- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
કદંબવનચારિણીં' મુનિકદમ્બકાદંબિની
નિતંબજિતભૂધરાં સુરનિતંબિની એવિતામ્ ।
નવમ્બુર હલોચનામભિનવામ્બુદશ્યામલાં
ત્રિલોચન કુટુંબિનીં ત્રિપુરસુંદરીમાશ્રયે।।
કદંબવનવાસિનીં' કનકવલ્લકીધારિણીં
મહાર્હમણિહારિણીં મુખસમુલ્લસદ્વારુણીમ્ ।
દયાવિભાવકારિણી વિશદ લોચની ચારિણી
ત્રિલોચન કુટુંબિની ત્રિપુર સુંદરીમાશ્રયે ।।
કદંબવનશાલયા કુચભરોલ્લસન્માલયા
કુચોપમિતશૈલયા ગુરુકૃપાલસદ્વેલયા ।
મદારુણકપોલયા મધુરગીતવાચાલયા
કયાપિ ધનનીલયા કવચિતા વયં લીલયા
( શ્રી ત્રિપુરસુંદરી સ્તોત્રમ્ (શ્લોક ૧,૨,૩)
આસો સુદ પાંચમ એટલે લલિતા પંચમી. આ દિવસે લલિતા દેવીનું પ્રાક્ટય થયું. 'સ્વતંત્ર' માં કહેવામાં આવ્યું છે. સ્વ-આત્મા જ વિશ્વાત્મિકા લલિતા દેવી છે. સ્વ-આત્મશક્તિ શ્રીવિદ્યા જ લલિતા કામેશ્વરી મહાત્રિપુરસુંદરી છે. તે મહાકામેશ્વરના ખોળામાં બિરાજમાન છે. ઉપાધિરહિત શુધ્ધ સ્વ-આત્મા જ મહાકામેશ્વર છે. સદાનંદરૂપ સોપાધિક સ્વ-આત્મા જ પરાદેવના મહાત્રિપુર સુંદરી લલિતા છે અર્થાત્ સ્વ-આત્મા અંતર્યામી જ સદાનંદ લલિતા છે. સદ્ચિદ્- આનંદ સ્વરૂપ ધર્મત્રયવિર્નિમુક્ત ધર્મિ માત્ર તે સ્વાત્મા શ્રીવિદ્યા લલિતાના આધારભૂત મહાકામેશ્વર છે.
લલિતા દેવી મહાત્રિપુરસુંદરી, શ્રીવિદ્યા, રાજરાજેશ્વરી, બાલા, પંચદશી અને ષોડશી વગેરે નામોથી ખ્યાતિ પામેલ છે. પ્રસિધ્ધ દશ મહાવિદ્યાઓમાં 'ષોડશી' વિદ્યા શ્રીવિદ્યાર્થી જ ઉત્પન્ન થયેલું સ્વરૂપ છે. કાલી, તારા, ષોડશી વગેરે બધી જ વિદ્યાઓ એક સમાન છે. શ્રીવિદ્યાને બ્રહ્મવિદ્યા કહેવાય છે કામરાજ વિદ્યા કકારાદિ પંચદશ વર્ણાત્મક છે. એને કાદિવિદ્યા પણ કહે છે. 'તંત્રરાજ'માં ભગવાન શિવજી દેવીને કહે છે- હે દેવી પાર્વતી ! કાદિ વિદ્યા તમારું જ સ્વરૂપ છે અને એનાથી બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આથર્વણ ત્રિપુરોપનિષદમાં કહેવાયું છે. 'કામો યોનિ: કમલા વજ્રપાણિર્ગુહા હ સા માતરિશ્વામ્રમિન્દ્ર : । પુનર્ગૃહાસકલા માયયા ચ પુરુષચ્ચેષા વિશ્વમાતાદિવિદ્યા ।। કામરાજ વિદ્યાની અધિષ્ઠાત્રી શ્રી વિદ્યાનું જ બીજું નામ લલિતા ત્રિપુરા સુંદરી છે. ત્રિમૂર્તિઓથી પુરા (પુરાતન) હોવાથી ત્રિપુરા નામથી ઓળખાય છે. તે સત્વ- રજસ્- તમસ્નું સૂચન કરે છે. ત્રિપુરાર્ણવમાં કહેવાયું છે કે ત્રણ નાડી ઇડા, પિંગલા અને સુષુમ્ણાનું સૂચન પણ ત્રિપુરા કરે છે. તેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પર શાસન કરનારી સર્વોચ્ચ ચેતના તરીકે પણ દર્શાવવામાં આવે છે.
દેવી લલિતાને સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. દેવી સતીના શરીરનું હૃદય નૈમિષારણ્યમાં પડયું હતું. જેનાથી તે એક મુખ્ય શક્તિપીઠ બન્યું છે. એને 'લિંગ ધરણી' ના નામથી પણ ઓળખવામાં આવે છે. લલિતા નામનો અર્થ જ સુંદર અને આકર્ષક થાય છે. આમ લલિતા દેવી અપ્રતિમ સુંદરતા, કરુણા અને કૃપા માટે પૂજાય છે. લલિતા સહસ્ત્રનામ અને સૌદર્ય લહરીમાં એમના ગુણગાન ગવાયા છે. લલિતા ત્રિપુર સુંદરી ત્રિનયના છે. એમની ચાર ભુજાઓમાં પાશ, અંકુશ, ધનુષ્ય અને બાણ છે. લલિતા ત્રિપુર સુંદરીએ રાક્ષસ ભંડાસુરનો વધ કર્યો હતો. આ યુદ્ધમાં લલિતા દેવીએ ભંડાસુરને મહાકામેશ્વર અસ્ત્રથી હરાવી એનો નાશ કર્યો હતો.
લલિતા ત્રિપુરા સુંદરીની સ્તુતિ કરતાં કહેવાયું છે. ' યત્રાસ્તિ ભોગો ન ચ તત્ર મોક્ષો, યત્રાસ્તિ મોક્ષો ન ચ તત્ર ભોગ : । શ્રી સુંદરી સેવન તત્પરાણાં ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવ ।। અર્થાત્ જયાં ભોગ છે ત્યાં મોક્ષ નથી, જ્યાં મોક્ષ છે ત્યાં ભોગ નથી, પરંતુ જે લલિતા ત્રિપુરાસુંદરીની સેવા અને ઉપાસના કરવામાં તત્પર રહે છે એમને ભોગ અને મોક્ષ બન્ને હસ્તગત (પ્રાપ્ત) થાય છે. લલિતા ત્રિપુર સુંદરીનો બીજમંત્ર છે. ઓમ શ્રીં હ્રીં કલીં એં સૌ: ઓમ હ્રીં શ્રીં ક એ ઇ લ હ્રીં સકલ હ્રીં સૌ : એં કલી હ્રીં શ્રી નમ: ।। આ મંત્ર શ્રી વિદ્યાનો મૂળ મંત્ર છે. જેમાં ઐ (જ્ઞાાન), હ્રીં (પરિવર્તનની શક્તિ) કલીં (પ્રેમ/ આકર્ષણ) અને સૌ: (મુક્તિ/ઉત્કર્ષ) જેવા બીજાક્ષરોનો પ્રયોગ થાય છે.


