ભગવાન શ્રીરામના અર્ધાંગિની પરમ પતિપરાયણા જનકસુતા સતી સીતા માતા
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'રામેતિ રામેતિ સદૈવ બુદ્ધયા વિચિન્ત્ય વાચા બ્રુવતી તમેવ ।
તસ્યાનુરુપં ચ કથાં તદર્થામેવં પ્રપશ્યામિ તથા શ્રૂણોમિ ।।
અહં હિ તસ્યાદ્ય મનોભવેન સંપીડિતા તદ્વાતસર્વભાવા ।
વિચિન્તયન્તી સતતં તમેવ તથૈવ પશ્યામિ તથા શ્રૂણોમિ ।।
હું બુદ્ધિથી નિરંતર શ્રીરામનું જ ચિંતન કરતી રહેતી હોઉં છું, વાણીથી એમનું જ વર્ણન કરતી રહું છું. એ જ પ્રમાણે એમને લગતી વાતો મને સંભળાય છે. અને એવી જ ઘટના હું જોઈ રહી છું. મારા બધા ભાવ એમનામાં સમર્પિત છે, એમની અભિલાષાથી સંતપ્ત થઈને હું નિરંતર એમનો જ વિચાર કરતી રહું છું. એટલા માટે એવું જ સાંભળું છું અને જોઉં છું.'
- જગજનની સીતાજી, વાલ્મીકિ રામાયણ.
રામાયણ મુજબ સીતાજીનો પ્રાદુર્ભાવ મિથિલામાં થયો હતો. બિહારમાં આવેલ સીતામઢી એ પ્રાચીન કાળની મિથિલા હતી. આપણા પંચાગ મુજબ આ પ્રાક્ટય મહા વદ અષ્ટમીના દિવસે થયું હતું. મિથિલાના રાજા જનક ખેતરમાં હળ ચલાવતા હતા ત્યારે તેમને ખેતરની જમીનમાંથી એક મોટો કળશ પ્રાપ્ત થયો હતો. એ કળશમાંથી તેમને એક દિવ્ય કન્યા બાળકીના રૂપે પ્રાપ્ત થઈ. રાજા જનક અને તેમની પત્ની સુનયનાના ગર્ભમાં એમને દિવ્ય કલાઓ અને આત્મા સાથે પ્રસ્થાપિત કરવાનું કાર્ય મહર્ષિ યાજ્ઞાવલ્કય દ્વારા કરાયું. તે પછી રાણી સુનયનાએ માતૃત્વ ગ્રહણ કર્યું અને તેમનું પાલન પોષણ કર્યું. રાજા જનકની પુત્રી હોવાને કારણે તેમને જાનકી, જનકસુતા કે જનકાત્મજા કહેવાય છે. મિથિલાની રાજકુમારી હોવાને કારણે તે મૈથિીલી નામથી પણ પ્રસિદ્ધ છે. ભૂમિમાંથી પ્રાપ્ત થયેલ હોવાને કારણે ભૂમિપુત્રી કે ભૂસુતા પણ કહેવાય છે.
વિશ્વામિત્ર મુનિ એમના યજ્ઞાના રક્ષણ માટે રામ અને લક્ષ્મણને પોતાની સાથે લાવ્યા હતા. યજ્ઞા પરિપૂર્ણ થયા બાદ તે મુનિના આશ્રમમાં હતા તે ગાળામાં મહારાજ જનકે સીતા સ્વયંવરની ઘોષણા કરી અને વિશ્વામિત્ર મુનિને તેમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ મોકલ્યું. વિશ્વામિત્ર પોતાની સાથે રામ અને લક્ષ્મણને પણ લઈ ગયા. સ્વયંવર વખતે મહારાજ જનકે જાહેર કર્યું કે જે શિવ ધનુષ્ય ઉઠાવી એની પણછ ખેંચી શક્શે તેની સાથે તે સીતાના વિવાહ કરશે, સભામાં ઉપસ્થિત કોઈ રાજકુમાર, રાજા કે મહારાજા શિવ ધનુષ્ય ઉપાડી શક્યા નહીં. મહારાજ જનકે પૃથ્વી પર કોઈ શક્તિશાળી ક્ષત્રિય રહ્યો જ નથી ! એમ કહી ક્ષાત્રત્વને લલકાર્યું એટલે વિશ્વામિત્રના કહેવાથી રઘુકુળ ભૂષણ દશરથનંદન શ્રીરામે એ ધનુષ્ય સળકળીની જેમ ઉઠાવી લીધું અને એની પણછ ખેંચી એના ટુકડા કરી નાખ્યા. એ રીતે સીતાજીના લગ્ન ભગવાન શ્રીરામ સાથે નક્કી થયા. એ સાથે ઉર્મિલાના લગ્ન લક્ષ્મણ સાથે, માંડવીના ભરત સાથે અને શ્રુતકીર્તિના શત્રુધ્ન સાથે નક્કી થયા. ખૂબ ધામધૂમથી તેમના લગ્નની વિધિ થઈ.
દશરથે કૈકેયીને આપેલા વચનને કારણે શ્રીરામને ચૌદ વર્ષ વનવાસ થયો. શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ પણ વનમાં ગયા. ભરત એમને મનાવી પાછા લેવા આવ્યા પણ પિતાને આપેલા વચનનો ભંગ ન થાય તે માટે તેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરી તેમને સમજાવી પાછા રવાના કર્યા. રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને તેની લંકાનગરીની અશોકવાટિકામાં રાખ્યા. હનુમાનજી દૂત બનીને આવ્યા અને રામનો સંદેશો આપ્યો. રામ-રાવણનું ભયાનક યુદ્ધ થયું અને રાવણને મારી ભગવાન શ્રીરામ સીતાજીને લઈને અયોધ્યા પાછા ફર્યા.
જગતની પતિવ્રતા નારીઓમાં સતી સીતાનું નામ સૌથી ઉપર આવે. સીતાજીનું ચરિત્ર સર્વોત્કૃષ્ટ, પરમ પતિપરાયણા સન્નારી તરીકેનું છે. તેમની પતિભક્તિ અન્નય પ્રકારની હતી. વનગમન વખતે શ્રીરામ ભગવાને જ્યારે પલટાયેલ પરિસ્થિતિની વાત કરી ત્યારે સીતાજીએ કહ્યું હતું - 'નારી માટે આ લોક અને પરલોકમાં પતિ જ શ્રેષ્ઠ આશ્રયદાતા છે. પિતા, પુત્ર, માતા, સખી અને પોતાનું શરીર પણ સાચું સહાયક નથી. જો તમે આજે જ દુર્ગમ વનમાં પ્રસ્થાન કરી રહ્યા છો તો હું પણ તમારી સાથે છું. તમારા રસ્તાના કાંટા વીણતા વીણતા હું તમારી આગળ ચાલીશ. ઊંચા ઊંચા મહેલોમાં રહેવું, વિમાનમાં બેસીને પરિભ્રમણ કરવું, અણિમા વગેરે સિદ્ધિઓ દ્વારા આકાશમાં વિચરણ કરવું આ બધા કરતાં સ્ત્રી માટે કોઈ પણ અવસ્થામાં પતિના ચરણોની છાયામાં રહેવું વિશેષ મહત્ત્વ ધરાવે છે.
રામને જ અનેક જન્મો સુધી પોતાના પતિ બનાવવાની માગણી કરી સીતાજી જે ધરતીમાંથી પ્રાદુર્ભૂત થયા હતા તેમાં જ પાછા સમાઈ ગયા હતા. પતિ ભક્તિ, કુટુંબ પ્રેમ, સેવા પરાયણતા, સહિષ્ણુતા, સહનશીલતા, ધીરતા, વીરતા, તપસ્વિતા અને ધર્મપરાયણતા જેવા અગણિત સદ્ગુણોના ભંડાર સમા સીતાજી સર્વથા અનુકરણીય આદર્શરૂપ સ્ત્રીરત્ન છે. ભગવાન શ્રીરામના અર્ધાંગિની સતી સીતા માતા પરમ પૂજનીય છે.