દક્ષિણ ભારતના સંત કવયિત્રી અક્કા મહાદેવી મહાન શિવ ભક્ત અને સિદ્ધ યોગિની હતાં
- વિચાર-વીથિકા - દેવેશ મહેતા
- '...મેં એમના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા જેમના ચક્ષુનું તેજ ચૌદ બ્રહ્માંણ્ડોને પ્રકાશિત કરે છે. પરા શક્તિની સાથે રમણ કરતા પરમ ગુરુ ચેન્ન મલ્લિકાર્જુનનાં મેં દર્શન કર્યા. હું તરી ગઇ.'
અ ક્કા મહાદેવી વીર શૈવ ધર્મ સંબંધિત એક પ્રસિદ્ધ મહિલા સંત હતા. તેમનો જન્મ બારમી સદીમાં દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ઉદુતકી નામના સ્થળે થયો હતો. તે એક મહાન શિવ ભક્ત સિદ્ધ યોગિની હતા. માત્ર દસ વર્ષની ઉંમરે જ તેને શિવમંત્રમાં દીક્ષા પ્રાપ્ત થઇ હતી. તે મહાન ક્વયિત્રી પણ હતા. કન્નડ સાહિત્યના પ્રારંભના કવિઓમાં તે એક હતા. બારમી સદીમાં લિંગાયત શૈવ સંપ્રદાયની તે અગ્રગણ્ય વ્યક્તિ હતા. તેમની કવિતાઓને વચન કવિતાં કે વચન સાહિત્ય કહેવામાં આવે છે. તેમને ૪૩૦ વચન કવિતાઓ અને મંત્રોગોમ્ય તથા યોગાંગત્રિવિધ નામની બે લઘુ રચનાઓ કરી હતી. તેમ છતાં તે બન્નેને કન્નડ સાહિત્યમાં તેમનું નોંધપાત્ર યોગદાન માનવામાં આવે છે.
કન્નડ ભક્તિ આંદોલનના મહાન સંત બસવન્ના, સિદ્ધરામ અને અલ્લામ પ્રભુએ તેમને અકકા એટલે કે મોટી બહેન' એવું નામ આપ્યું હતું. અકકા મહાદેવી ચેન્ન મલ્લિકાર્જુન એટલે કે ભગવાન શિવને પોતાના પતિ માનતા હતાં. તેમણે પોતાની જાત ભગવાન મલ્લિકાર્જુનને સમર્પિત કરી દીધી હતી અને તેમને સંબોધિત કરતાં કવિતાઓ રચી હતી. અક્કા મહાદેવીએ ભગવાન શિવની આરાધના માટે વસ્ત્રોનો ત્યાગ કરી દીધો હતો. તે માત્ર પોતાના લાંબા કેશથી પોતાના શરીરને ઢાંકતા હતાં.
એવી દંતકથા છે કે સોળ વર્ષની અકક્કા મહાદેવીના લગ્ન તે સ્થાનના જૈન રાજા કૌશિક સાથે થયા હતા જે તેમને નદીના તટ પર પૂજામાં મગ્ન જોઈ તેમને મોહિત થઈ ગયો હતો. તેમની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. મહાદેવીએ વિધર્મી સાથે લગ્ન કરવા આશંકા કરી હતી. અમુક શરતો મૂકી હતી કે રાજા ક્યારેય એમની પૂજા- અર્ચનામાં અડચણ ઊભી નહી કરે, તેમને પોતાના ગુરુજનો, સત્સંગીઓ, શિવ ભક્તો સાથે હળવા મળવા દેશે રાજાએ તે શરતો માની લીધી. પરંતુ ધીમે ધીમે રાજા થકી તે બધી શરતો તૂટવા લાગી. રાજા કૌેશિકને અક્કાની સંસાર વિરક્તિ અને શિવઅનુરક્તિ અખરવા લાગી. અક્કા પાસે રાજા શરીર સુખ માંગતો તો તે કહેતા - મારા લગ્ન તો શિવ સાથે થયેલા છે. તે જ મારા પતિ છે. એક દિવસ રાજાએ તેમને ભર દરબારમાં બોલાવ્યા અને આ વિષે ફરી વાત કરી. અક્કાએ તે જ વાત પકડી રાખી. રાજા ગુસ્સે ભરાઇને કહેવા લાગ્યો - ' જો તારા લગ્ન શિવ સાથે થઇ ગયા છે તો તું મારી પત્ની કેમ બની ? તું અહીં મારા મહેલમાં શું કરી રહી છે ? તું અબઘડી અહીંથી નીકળી જા.' અક્કા તેને છોડીને ચાલવા લાગી. તેથી રાજાએ વધારે ગુસ્સે ભરાઇને કહ્યું - ' તેં આ જે કંઇ પહરેલું છે, તારા વસ્ત્રો, આભૂષણો, અલંકારો એ બધું મારું છે. એ ઉતારીને અહીંથી જા.' શિવમય બની ગયેલી, સર્વત્ર શિવને જોનારી એ સત્તર વર્ષની સુંદર રાજરાણીએ બધા અલંકારો, આભૂષણો અને વસ્ત્રો ઉતારી કાઢયા અને રાજ દરબારમાંથી ચાલી નીકળી. તે પછી તેણે જીવનમાં ક્યારેય વસ્ત્રો પહેર્યા નહીં. તે જ્યાં જાય ત્યાં નિર્વસ્ત્ર ફરતી અને રહેતી. ક્યારેક તેનું શરીર તેના લાંબા વાળથી કે ક્યારેક સ્મશાનની રાખથી ઢાંકતી.
શિવ ભક્તિમાં સતત રમમાણ અક્કા મહાદેવી જેવી દશા કાશ્મીરની સંત કવયિત્રી અને શિવ યોગિની લલ્લેશ્વરી દેવીમાં પણ ઉદ્ભવી હતી. શિવભક્તિમાં તલ્લીન અક્કા મહાદેવી ભૂખ, તરસ, નિદ્રા બધાની પીડામાંથી મુક્ત થઇ ગયા હતા. તે પૂર્ણતયા પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એકાકાર થઇ ગયા હતા. અક્કાને નિર્ગુણ, નિરાકાર શિવ તત્વનો સાક્ષાત્કાર થયા બાદ સગુણ, સાકાર ચેન્ન મલ્લિકાર્જુન પ્રભુના પણ દર્શન થયા હતા. આ સાક્ષાત્કાર થયા બાદ તેમના મુખેથી શબ્દો સરી પડયા હતા - મેં એમના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા જેમના ચક્ષુનું તેજ ચૌદ બ્રહ્માંણ્ડોને પ્રકાશિત કરે છે. પરા શક્તિની સાથે રમણ કરતા પરમ ગુરુ ચેન્ન મલ્લિકાર્જુનનાં મેં દર્શન કર્યા. હું તરી ગઇ.'
જ્યારે અક્કા મહાદેવ નિર્ગુણ, નિરાકારનો દિવ્ય અનુભવ કરતા તે વખતે એકવાર તેમના મુખેથી કવિતા વચન નીકળ્યા હતા - હું નથી કહેતી કે તે લિંગ છે, હું નથી કહેતી કે તે લિંગની સાથેનો એકાત્મ ભાવ છે. હું નથી કહેતી કે તે સંગમ છે, હું નથી કહેતી કે તે મિલન છે. હું નથી કહેતી કે તે બન્યું છે, હું નથી કહેતી કે તે નથી બન્યું. હું નથી કહેતી કે તે તું છે, હું નથી કહેતી કે તે હું છું. ચેન્ન મલ્લિકાર્જુનમાં લિંગની સાથે એક થઇ ગયા પછી હું કંઇ જ કહેતી નથી.'
અક્કા મહાદેવી દેહાતીત દર્શને તો ઉપલબ્ધ થયેલા જ હતાં. શિવ - સાક્ષાત્કાર બાદ દેહ ધારણ કરી રાખવાની આસક્તિ પણ ન રહી. જેમ સહજતાથી વસ્ત્રોનો ત્યાગ કર્યો તેમ શરીરનો ત્યાગ કરી શિવ લોકમાં સિધાવી ગયા હતા.