હાથ લાંબા હોવા એ સૌભાગ્યની નિશાની છે. પરંતુ હાથ 'શુભ'ના સાથી હોવા એ સદ્ભાગ્યની નિશાની છે...
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''જુઓ, ભગવાને બે હાથ વચ્ચે પેટ આપ્યું છે. એ એમ કહે છે કે પહેલા બે હાથે મહેનત કરો. પછી પેટ ભરો. એટલે આ રીતે મફતનો-મહેનત વિનાનો ગોળ મારે નથી લેવાનો !''
'પ્રભાતે કરદર્શનમ્' સૂત્રનાં અનુસંધાનમાં ગત લેખથી આરંભાયેલ લેખમાળામાં, આજે આપણે હસ્તદર્શનના બીજા અને ત્રીજા ક્રમાંકના લાભો વિચારીશું. પરંતુ એ પૂર્વે ભૂમિકારૂપે એક સરસ વિચારણા કે હાથ લાંબા હોય એને સામુદ્રિક લક્ષણશાસ્ત્ર ખૂબ ઉત્તમ ગણે છે. જૈન પરંપરામાં એવું વિધાન છે કે દરેક શ્રી તિર્થંકર ભગવંતોના હાથ જાનુ (ઘૂંટણ) સુધી સ્પર્શે એટલા લાંબા હોય છે. તેઓ કાયોત્સર્ગમુદ્રામાં સ્થિર (ટટ્ટાર) હોય ત્યારે એમના હાથ સહજભાવે ત્યાં સુધી જતા હોવાથી તેઓ 'આજાનુબાહુ' કહેવાય છે. રાજકીય-સામાજિક રીતે 'હાથ લાંબા' હોય એ ભલે લાગવગશાહીની -ગેરરીતિની નિશાની ગણાય. પરંતુ લક્ષણશાસ્ત્રની રીતે હાથ લાંબા હોવા એ ચોક્કસપણે સૌભાગ્યની નિશાની છે. અસામાન્ય વ્યક્તિને જ આ સૌભાગ્ય સાંપડે.
આપણ ેહાથ લાંબા હોવાનું સૌભાગ્ય ભલે ન પામી શકીએ. પરંતુ હાથ 'શુભ'ના સાથી બને તેવું સૌગ્ગ્ય જરૂર પામી શકીએ. એના માટે હવે વિચારીશું બીજા અને ત્રીજા ક્રમાંકના લાભો:
(૨) આ હાથથી દુઃખીઓનાં આંસુ લુછીશ ને નિર્બળનું રક્ષણ કરીશ: વહેલી પ્રભાતે શાંત મનઃ સ્થિતિમાં હાથ સમક્ષ નિહાળી એકાદ-બે ક્ષણ આ વિચારણા કરવી કે 'હાથનો સકારાત્મક ઉપયોગ પણ થઈ શકે અને નકારાત્મક ઉપયોગ પણ: જેમ પથ્થરનો ઘા પણ થઈ શકે અને પ્રતિમાનું પણ સર્જન થઈ શકે એમ. પથ્થરનો ઘા કરવારૂપ નકારાત્મક ઉપયોગ સ્વ-પર બન્નેને નુકસાન કરે તેમ હાથનો નકારાત્મક ઉપયોગ સ્વ-પર બન્નેને નુકસાન કરસે અને પથ્થરનો ઉપયોગ સ્વ-પર બન્નેને લાભદાયી બનશે. મારે મારા હાથનો નકારાત્મક ઉપયોગ નથી કરવો.'
આવી વિચારણા ચિત્તમાં વારંવાર ઘુંટાય ત્યારે એનું ઝડપી અથવા લાંબા ગાળાનું પરિણામ એ આવે કે હાથનો દુરુપયોગ નહિ, સદુપયોગ કરવાનો નિર્ધાર થાય. 'હાથ'ને આપણે અહીં સત્તાનું-સામર્થ્યનું પ્રતીક ગણીશું. સત્તા-સામર્થ્ય જે પણ સ્તરનું મળેલું હોય એનો જો દુરુપયોગ થાય તો નિર્બલ વર્ગનું શોષણ થાય યાવત્ નિકંદન પણ નીકળી જાય. ઉદાહરણરૂપે યાદ આવે હિટલર. હાથનો અર્થાત્ સત્તાનો દુરુપયોગ ન કરવાનો કોઈ નિર્ધાર-કોઈ સમજ એની પાસે ન હતી. એનાં કારણે શોષણનો એવો કોરડો એના વીંઝાયો કે સો-બસો નહિ સાઠ લાખ યહુદીઓનું નિકંદન નીકળી ગયું ! હાથના-સત્તાના દુરુપયોગનો આ કરુણ અંજામ છે કે એનાં કારણે કૈંક સ્મિત વેરતા ચહેરા આંસુનીતરતા થઈ જાય અને કૈંક કિલ્લોલ કરતા લોકોનું નિકંદન નીકળી જાય.
એથી વિપરીત, હાથનો-સત્તાનો જો સદુપયોગ થાય તો કૈંક આંસુ નીતરતા ચહેરા સ્મિત રેલાવતા થઈ જાય અને કૈંક બેહાલ થવાના આરે આવેલ લોકો ખુશહાલ થઈ જાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો સૈકાઓ પૂર્વેની આ ઘટના:
ગુજરાતમાં જ્યારે ચૌલુક્યવંશીય રાજાઓનું રાજ્ય હતું ત્યારની વાત. રાજાઓ સુશાસન આપતા તા, તો સામે પ્રજા પણ કાયદા મુજબના કર હોંશથી ભરતી હતી. પરંતુ એમાં એક વર્ષે કસોટી આવી. બન્યું એવું કે એ ચોમાસામાં વરસાદ બિલકુલ વરસ્યો જ નહિ. આકાશ વાદળ વિનાનું સાવ ખાલી રહ્યું. બાર મહિના કેવી રીતે કાઢવા તે જ એમને મન મોટો પડકાર હતો. ત્યાં દર વર્ષના નિયમ મુજબનો કરવેરો ઉઘરાવવા રાજઅધિકારીઓના ચક્કર શરૂ થઈ ગયા. ખેડૂતો ત્રાસ અનુભવી રહ્યા કે ઘરમાં ભોજન માટેનાં ધાન નથી ત્યાં કરવેરાના પૈસા કાઢવા ક્યાંથી ? પણ જડભરત રાજઅધિકારીઓ કાંઈ સમજવા-સાંભળવા તૈયાર ન હતા.
આખરે ખેડૂતોનું પ્રતિનિધિમંડળ રાજદરબારે ગયું. પણ ત્યાંય કોઈએ એમની વાત કાને ધરી નહિ: જાણે સ્વાર્થ સામે સંવેદના હારી ગઈ. રડતા-કકળતા હૈયા ખેડૂતો રાજમાર્ગ પર આવ્યા ત્યાં સામે રાજકુમાર મૂલદેવ ઘોડેસવાર થઈને આવતો દેખાયો. ખેડૂતોએ હાથ જોડી રાજકુમારને આપવીતી જણાવી. રાજકુમાર દયાનો-કરુણાનો અવતાર હતો. ખેડૂતોની વાત સાંભળી એનું હૈયું દ્રવી ઊઠયું. એણે હાથનો-સત્તાનો સદુપયોગ કરી નિર્બલ ખેડૂતોનાં રક્ષણનો નિર્ણય કર્યો, એમનાં આંસુ લૂછવાનો નિર્ધાર કર્યો. એણે પિતા રાજા ભીમદેવ પાસે જઈને ખેડૂતોની સમસ્યા વાસ્તવિક હોવાની મજબૂત રજૂઆત કરી અને કોઈ જ શરત વિના રાજ્યના તમામ ખેડૂતોનો કર માફ કરાવ્યો ! ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા.
બીજા વર્ષે ચોમાસામાં મેઘરાજા એવા સપ્રમાણ વરસ્યા કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ. દુઃખ માત્ર એમને એ હતું કે ચોમાસું શરૂ થાય તે પૂર્વે દયાનો દૂત યુવાન રાજકુમાર મૂલદેવ અચાનક અવસાન પામ્યો હતો. ખેડૂતોએ નક્કી કર્યું કે 'આપણે પ્રામાણિકતા દાખવીને ગયા વર્ષ અને આ વર્ષ, એમ બે ય વર્ષનો કર રાજ્યને ભરી દેવો. આવક બમણી છે તો પછી દિલચોરી શા માટે કરવી ?' તેઓ આ પ્રસ્તાવ લઈ રાજદરબાદે ગયા. તો ત્યાં આ પ્રસ્તાવ નકારાયો. રાજા કહે: 'ગયા વર્ષનો કર તો મૂલરાજે માફ કરાવ્યો હતો. હવે એ લઉં તો મારા સદ્ગત રાજકુંવરનો આત્મા દુભાય. એ ન બને !' ખેડૂતો કહે: 'બમણી કમાણી પછી અમે જો કર ન ભરીએ તો મૂલદેવકુમારના ગુનેગાર ઠરીએ.'
મૂલદેવકુમારનાં નામે બન્ને વચ્ચે મીઠી ખેંચતાણ જામી. બેમાંથી એકેય પક્ષ નમતું જોખવા તૈયાર થતો ન હતો. આખરે એ રકમમાંથી રાજકુમાર મૂલદેવનું કાયમી સ્મારક રચવામાં આવ્યું ! હાથનાં સામર્થ્યનો-સત્તાનો સદુપયોગ કેવો હોય તે મૂલદેવકુમારની વૃત્તિ-પ્રવૃત્તિમાં સરસ પ્રતિબિંબિત થાય છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે હિટલરનો હાથ જેવો અમાપ સામર્થ્યશાલી હતો તેવો સામર્થ્યશાલી હાથ મૂલદેવનો ન હતો. એ તો દેશના એક નાના પ્રાંતનો રાજા નહિ, પણ રાજકુમાર હતો. છતાં એણે અસરકારકપણે અન્યોનાં આંસુ લૂછયા અને વિકરાલ મુશ્કેલીઓથી એમનું રક્ષણ કર્યું. આ એમ દર્શાવે છે કે હાથ કેટલો સામર્થ્યશાલી છે એની દરકાર બહુ કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર આપણા હાથનો-આપણાં સ્તરની શક્તિનો સદુપયોગ કરવાના નિર્ધારની. એનાથી ક્યાંક તો કો'કનાં આંસુ લુંછાશે જ, કો'કનું તો રક્ષણ થશે જ.
હાથના-સત્તાના સદુપયોગ-દુરુપયોગના સંદર્ભમાં માર્મિક નિર્દેશ કરતું આંસુ સંલગ્ન એક સુવાક્ય સદૈવ સ્મૃતિમાં રાખીએ કે ''આંસુ પડાવે એ શયતાન છે... આંસુ લૂછે એ મહાન છે.'' શયતાનના સ્તરે ન જવું હોય તો હાથનો-સત્તાનો કદી દુરુપયોગ ન કરજો અને મહાન બનવાનાં સ્તરે જવું હોય તો હાથનો-સત્તાનો સદાય સદુપયોગ કરજો.
(૩) આ હાથ કોઈની સામે લંબાવીશ નહિ, સ્વાશ્રયી બનીને જીવીશ: એક નાનકડું કટાક્ષવાક્ય વાંચ્યું હતું, ક્યાંક કે ''આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે !'' એટલે ? શિષ્ટ-સજ્જન વ્યક્તિઓનો આચાર. સજ્જન વ્યક્તિનો એક શિષ્ટ આચાર એ છે કે ''પરધન પથ્થર માનીએ.' આજે આ વ્યાખ્યાનું શીર્ષાસન થઈ ગયું હોય તેમ પેલું કટાક્ષવાક્ય નિર્દેશ કરે છે. ભ્રષ્ટાચારમાં પરધન પડાવી લેવાય છે, તો વ્યક્તિને બધી રીતે નિચોવી પણ લેવાય છે. આવો દુષ્ટ ભ્રષ્ટાચાર આજે જાણે શિષ્ટાચારનો પર્યાય લેખાય છે. કેવી વિચિત્ર વિડંબણા છે આ ! આ વિડંબણાથી જાતને મુક્ત રાખવા નિત્ય પ્રભાતે શાંતચિત્તે હાથ નિહાળતાં એ વિચારવું કે 'આ હાથથી ચોરી જેવાં દુષ્ટ કાર્યો તો નહિ જ કરું, છેતરપિંડી-ભેળસેળ-લાંચ જેવા ભ્રષ્ટ કાર્યો પણ નહિ જ કરું. એથી ય વિશેષ મફતનું મળતું હોય એ લેવા ય હાથ લંબાવીશ નહિ. પૂર્ણપણે આશ્રયી બનીને જીવીશ.'
જે વિશ્વમાં આપણે જીવી રહ્યા છીએ, આપણી આસપાસ રોજ-બરોજ જે શર્મનાક ભ્રષ્ટ ઘટનાઓ બની રહી છે તે જોતાં ઘડીભર એમ પણ લાગે કે ર્દર્શની આવી વાતો આત્મસાત્ કરવી અશક્ય છે. પણ ના, આ જ વિશ્વમાં એવી પણ ઘટનાઓ ક્યાંક કો'ક ખૂણે આકાર લે છે કે ઉપરોક્ત આદર્શને અક્ષરશઃ ચરિતાર્થ કરે.