Get The App

માસક્ષમણના તપસ્વી નવકારશીતપ કરનારની અનુમોદના કરે એનું નામ છે સાચી સુકૃતાનુમોદના

Updated: Sep 27th, 2023

GS TEAM


Google News
Google News
માસક્ષમણના તપસ્વી નવકારશીતપ કરનારની અનુમોદના કરે એનું નામ છે સાચી સુકૃતાનુમોદના 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- અન્યોનાં સુકૃતોની - સત્કાર્યોની ભરપૂર અનુમોદનાનું વિધાન છે. આપણે જેમ જેમ અન્યોની સુકૃતોની - ગુણોની અનુમોદના કરીએ, તેમ તેમ એ જીવો પ્રત્યે આદરભાવ-પ્રમોદભાવ વધે અને જીવનમાં ગુણો જામતા જાય.

આ ત્માને પાપોથી - દોષોથી - કર્મોથી મલિન કરી દેનાર અઢારે ય પાપસ્થાનકોનાં નિરૂપણ બાદ, 'અમૃતવેલ સજ્ઝાય' કર્તા મહર્ષિ આરાધક ભાવ વિકસાવવા મજાની પંક્તિ આ લખે છે કે :-

પાપ જે એહવા સેવિયા,

નિંદિયે તેહ તિહું કાળ રે...

મતલબ કે હિંસા-જૂઠ આદિ જે જે પાપસ્થાનકોનું સેવન થયું હોય એની નિંદા-એનો પશ્ચાત્તાપ દિવસમાં એક વાર નહિ વારંવાર કરવો જોઈએ, સવાર-બપોર-સાંજ ત્રણ વાર તો અવશ્ય કરવો જોઈએ. જરા વિસ્તારીએ આપણે આ પંક્તિના ભાવો.

જીવનમાં જે જે પાપોનું આચરણ-સેવન થતું હોય એ તમામ પાપો પ્રત્યેની આપણી રસ-રુચિની તીવ્રતા નિષ્ઠુર વિચારધારા વગેરે એક સરખા નથી હોતા. અરે ! ખુદ પાપોની કક્ષા પણ વિવિધ કારણોસર અલગ અલગ રહેતી હોય છે. થોડી આવી કક્ષા જોઈએ :

(૧) કેટલાક પાપો શોખથી થાય છે :- આ પાપો એવા હોય છે જેમાં જરૂરિયાત કે અનિવાર્યતા જેવું કાંઈ જ નથી હોતું. માત્ર રસ-રુચિ-વિકૃત મોજમજા પોષવા એ પાપો કરાતા હોય છે. પૂર્વકાળના રાજાઓથી લઈને આજના યુગના કેટલાક નબીરાઓ જંગલમાં ઊતરી પડી નિર્દોષ જીવોનો શિકાર કરતાં હોય છે, તો ચાયના જેવા દેશોમાં જીવતા સાપ વગેરેને ક્રૂરતાથી શેકી નાંખી એની વાનગીઓ આરોગાય છે, શું છે આ હિંસાજન્ય પાપો ? જરૂરિયાત ? ના, માત્ર શોખનાં પાપો છે એ.

જૈન માન્યતા મુજબ પાણીમાં પણ જીવ છે એટલે કે પાણી સ્વયં અસંખ્ય અપ્કાય જીવોનો સમૂહ છે. તેથી કાચા પાણીનો વપરાશ ઓછામાં ઓછો-અનિવાર્ય હોય તેટલો જ કરી એની વ્યર્થ હિંસાથી બચવું જોઈએ. પરંતુ અમારા એક પરિચિત ભાઈ એવા નીકળ્યા કે એ શોખ ખાતર મોરેશિયસ જઈ ત્યાંના સમુદ્રમાં સ્નાન કરવા પડયા. કમનસીબી એમની એવી કે ત્યાં કિનારાના વિસ્તારમાં પાણીની અંદર કાંટાનું વૃક્ષ હતું. ભાઈએ જેવો કૂદકો લગાવ્યો એવા જ કાંટાના વૃક્ષ પર પટકાયા. પૂરા શરીરમાં કાંટા કાંટા થઈ ગયા. આઠ આઠ વાર ઓપરેશન પછી પણ શરીરમાંથી તમામ કાંટા તો દૂર ન જ થઈ શક્યા. એક તરફ તેઓ કાચા પાણીની બેફામ વિરાધનાનાં પાપોથી ઘેરાયા, તો બીજી તરફ પીડાથી ઘેરાયા !

વસ્તુત: પાપભીરુ વ્યક્તિ વિવેક એ રાખે કે પાણી ગાળીને - અચિત્ત કરીને, સ્નાન પૂરતા અર્ધી બાલ્દી એક બાલ્દી જેટલા પાણીનો ઉપયોગ કરે. એનાં બદલે સમુદ્રસ્નાનનાં અભરખા કરવા એ સ્પષ્ટપણે શોખનું - મોજમસ્તી માટેનું પાપ હતું.

(૨) કેટલાક પાપો લાભ મેળવી લેવા થાય છે :- કેટલીક વાર વ્યક્તિ ધંધાકીય ક્ષેત્રે સહીસલામત મોટી રકમ મળી જતી હોય ત્યારે માલમાં મોટી ભેળસેળ કરવા ય તૈયાર થઈ જાય છે, તો ગ્રાહક સાથે ને ભાગીદાર સુદ્ધ સાથે વિશ્વાસઘાત કરવા તૈયાર થઈ જાય છે. શું ત્યારે એ વ્યક્તિ સમજતી નથી હોતી કે આ પાપ છે ? ના. એને એ પાપ હોવાની પૂરેપૂરી સમજ છે જ. છતાં એ જાણી-બૂઝીને તે પાપ એટલા માટે કરે છે કે એનાથી એને આર્થિક લાભ થતો દેખાય છે. આ જ રીતે ઘણીવાર વ્યક્તિ તાત્કાલિક લાભ અંકે કરી લેવા માટે હળાહળ જૂઠ-હિંસા વગેરે પાપો કરી લેતી હોય છે.

(૩) કેટલાક પાપ અનિવાર્ય હોવાથી થાય છે :- જૈન દર્શન અગ્નિ-પાણી-વનસ્પતિ વગેરેમાં જીવત્વ માને છે અને વિના કારણ એની હિંસા થતી હોય તો એનાથી દૂર રહેવાનો ઉપદેશ આપે છે. પરંતુ ગૃહસ્થ વ્યક્તિ માટે એ અગ્નિ-પાણી-વનસ્પતિ વગેેરેેની અમૂક હદ સુધીની હિંસા અનિવાર્ય છે. એના વિના તેનું ભોજન-સ્નાન-પાન વગેરે કાંઈ જ શક્ય ન બને. એ નિમિત્તે એના દ્વારા થતી જરૂર પૂરતી અગ્નિ આદિની હિંસા આ અનિવાર્યની કક્ષામાં આવે. જેમ ઓપરેશન સમયે લોહી નીકળવું અનિવાર્ય છે તેમ ગૃહસ્થ માટે આવી વિરાધના પ્રાય: અનિવાર્ય છે.

પાપસંબંધી આપણે જે આ ત્રણ કક્ષાઓ વિચારી એ ઉપરાંતની પણ વિવિધ કક્ષાઓ વિચારી શકાય. આ અલગ અલગ કક્ષાના પાપોનાં ફળમાં ય વિવિધતા આવી શકે. જેમ કે ઉપરોક્ત ત્રણ પૈકી પહેલી બે કક્ષાનાં પાપોનાં ફળ તીવ્ર હોય, જ્યારે ત્રીજી કક્ષાનાં પાપનાં ફળમાં તીવ્રતા અત્યલ્પ હોય. ગ્રન્થકાર આ તમામ પાપોનો અંત:કરણથી પશ્ચાત્તાપ કરવા ફરમાવે છે કે 'નિંદિયે તેહ ત્રિહું કાળ રે.' એમણે જણાવેલ આ વાતને સમર્થન આપતાં પ્રતિક્રમણક્રિયાનાં બે વિધાન જોઈએ : એક, પાપપ્રતિક્રમણ માટેનું એક મહત્વનું સૂત્ર છે 'વંદિત્તુ'. એમાં પાપની આલોચના સમયે વારંવાર પંક્તિ મળે છે કે "તં નિંદે તં ચ ગરિહામિ." મતલબ કે હું તે પાપની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુસાક્ષીએ ગર્હા કરું છું... બે, પ્રતિક્રમણ ક્રિયામાં અઢારે ય પાપસ્થાનકના નામનિર્દેશ સાથેનું સૂત્ર મળે છે 'પહેલે પ્રાણાતિપાત.' એમાં અંતે શુદ્ધ ગુજરાતીમાં આ પાઠ મૂકાયો છે કે "એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં." આ થઈ પાપનિંદા અર્થાત્ દુષ્કૃતગર્હા...

'અમૃતવેલ સજ્ઝાય'ના જે મુખ્ય - અતિ મહત્વના ત્રણ વિષયો છે તેમાં દુષ્કૃતગર્ભનો આ પ્રથમ વિષય અહીં પૂર્ણ થાય છે. હવે ગ્રન્થકાર બીજો મુખ્ય વિષય શરૂ કરે છે. એનું નામ છે સુકૃત અનુમોદના. સ્વયં ગ્રન્થકાર એ માટે લખે છે આ પંક્તિ કે :-

સુકૃતઅનુમોદના કિજીએ,

જિમ હોય કર્મ વિસરાલ રે...

સુકૃત એટલે શુભ કાર્યો યાવત્ સદ્ગુણો અને અનુમોદના એટલે પ્રશંસા. ગ્રન્થકાર જે વિસ્તારપૂર્વક આ વિષય ખોલે છે એમાં પ્રવેશતા પૂર્વે આપણે સુકૃતઅનુમોદના અંગે બે ત્રણ પાયાની વાત વિચારીએ :

(૧) સુકૃત અનુમોદના સ્વ અને પર, સહુની થઈ શકે છે :- દુષ્કૃતગર્હા અર્થાત્ પાપોની નિંદા માત્ર પોતાની જ કરાય. અન્યોની નહિ, જેમ કે 'હું ક્રોધી છું ... હું કપટી-દંભી છું... હું કામી છું' આવી પોતાના દોષોની-પાપોની વિચારણા કરી એની પ્રભુ-સદ્ગુરુ વગેરે સમક્ષ ગર્હા-પશ્ચાત્તાપ કરાય. પરંતુ 'આ વ્યક્તિ ક્રોધી-કામી-દંભી-પાપી છે.' આવી અન્યોના દોષોની વિચારણા માત્ર પણ ન કરાય. કારણ કે આવી વિપરીત વિચારણાથી આપણાં અંતરમાં એ વ્યક્તિ - એ જીવ પ્રત્યે ઘૃણા-દુર્ભાવ જાગે, તો એ જીવને ય આપણા પ્રત્યે ઘૃણા-તિરસ્કાર જાગે. આ ઉપરાંત આપણા જીવનમાં દોષો જામી જવા વગેરે નુકસાનો અલગ. માટે અન્યોના દોષોની નિંદાનો સખત નિષેધ કરાયો છે.

પરંતુ સુકૃત અનુમોદના માટે આવો નિયમ નથી. એમાં અન્યોનાં સુકૃતોની - સત્કાર્યોની ભરપૂર અનુમોદનાનું વિધાન છે. આપણે જેમ જેમ અન્યોની સુકૃતોની - ગુણોની અનુમોદના કરીએ, તેમ તેમ એ જીવો પ્રત્યે આદરભાવ-પ્રમોદભાવ વધે અને જીવનમાં ગુણો જામતા જાય. આ ઉપરાંત પોતાનાં સુકૃતોની પણ અનુમોદના થઈ શકે. જેમ કે 'મને દેવ-ગુરુકૃપાથી લાખો રૃા.ના દાનનો લાભ મળ્યો. તપસ્યા કરવાનો લાભ મળ્યો' વગેરે. આ રીતની અનુમોદનાથી પણ જીવનમાં સુકૃતો જામતા જાય. સાવધાની એમાં એટલી રાખવાની કે 'આ મેં કર્યું છે' એવો અભિમાનનો ભાવ લેશમાત્ર ન આવવો જોઈએ, માત્ર માર્ગાનુસારી ભાવ રહેવો જોઈએ. એટલે કે શાસ્ત્રોએ જે નિભિમાન ભાવે સુકૃતાનુમોદનાનું માર્ગદર્શન આપ્યું છે એ જ માર્ગે સુકૃતની અભિમાનરહિત અનુમોદના કરવી જોઈએ...

(૨) સુકૃત અનુમોદના મોટાની જેમ નાનાની પણ થાય :- ધારો કે આપણી સમક્ષની બે વ્યક્તિમાં એક આપણા ગુરુભગવંત છે અને બીજી વ્યક્તિ શિષ્ય છે. અથવા એક વ્યક્તિ આપણા પિતા છે અને બીજી વ્યક્તિ પુત્ર છે. ગુરુદેવના ઉત્તમ જ્ઞાાન-વૈરાગ્ય આદિ ગુણોની જેમ અનુમોદના કરવી જોઈએ, એમ જ શિષ્યના ઉત્તમ જ્ઞાાન-વૈરાગ્ય આદિ ગુણોની અનુમોદના કરવી જોઈએ. એ જ રીતે જેમ પિતાની ધર્મનિષ્ઠા-વિશિષ્ટ આરાધના આદિની અનુમોદના કરવી જોઈએ, એમ જ પુત્રની પણ ધર્મનિષ્ઠા-વિશિષ્ટ આરાધના આદિની અનુમોદના કરવી જોઈએ. એમાં એવા વિચારને કોઈ અવકાશ ન હોવો જોઈએ કે 'શિષ્ય યા પુત્રથી હું મોટું છું, એ નાના છે માટે એની પ્રશંસા હું ન કરું.' અહીં તો એક જ વાત છે કે "ગુણા: પૂજાસ્થાનં." એટલે કે ગુણો જ પૂજનીય માનો. મોટા-નાના રૂપ સ્થાનને કોઈ મહત્ત્વ ન આપો.

(૩) સુકૃત અનુમોદના પોતાનાથી ઉત્તમ ગુણવાનની જેમ ન્યૂન ગુણવાનની ય થાય :- ધારો કે એકે ઉત્તમ ભાવથી ક્રોડ રૃા. નું દાન કર્યું, તમે લાખ રૃા.નું દાન કર્યું અને ત્રીજાએ હજાર રૃા.નું દાન કર્યું. દાનગુણની દ્રષ્ટિએ પ્રથમ વ્યક્તિ તમારાથી ઉત્તમ છે, જ્યારે ત્રીજી વ્યક્તિ ન્યૂન છે. તમે જે અહોભાવથી ઉત્તમ ગુણવાનની અનુમોદના કરો, એ જ અહોભાવથી ન્યૂન ગુણવાનની પણ અનુમોદના કરો તો તમે સુકૃત અનુમોદનાનાં હાર્દ સુધી પહોંચ્યા છો એમ માની શકાય.

આ ત્રીજા ક્રમની વાતના સંદર્ભમાં જ સરસ વિધાન ટાંકી સમાપન કરીએ કે માસક્ષમણનો તપસ્વી નવકારશી કરનારના નવકારશીતપની અનુમોદના કરે એ જૈનશાસનની સુકૃત અનુમોદના છે !

Tags :