Get The App

જ્યોતિષ કહે છે કે 'ગુરૂગ્રહ' કેન્દ્રમાં હોય તો ઉન્નતિ થાય...ધર્મ કહે છે કે 'ગુરૂદેવ' કેન્દ્રમાં હોય તો ઉન્નતિ થાય...

Updated: Mar 26th, 2025

GS TEAM

Google News
Google News
જ્યોતિષ કહે છે કે 'ગુરૂગ્રહ' કેન્દ્રમાં હોય તો ઉન્નતિ થાય...ધર્મ કહે છે કે 'ગુરૂદેવ' કેન્દ્રમાં હોય તો ઉન્નતિ થાય... 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- "સદ્ગુરૂભગવંત શિષ્યની વિશિષ્ટ ગુણવત્તા પર પ્રસન્નતા વરસાવે તો એ અનુગ્રહકૃપા કહેવાય અને શિષ્યની ખામીદોષ માટે કડક વલણ અખત્યાર કરે તો એ નિગ્રહકૃપા કહેવાય. બન્ને પરિસ્થિતિમાં શિષ્યોનો અભિગમ-શિષ્યોનું દૃષ્ટિબિંદુ સદ્ગુરૂભગવંત માટે કેવું હોવું જોઈએ તે આ 'પૂજનીયા ગુરવઃ' પંક્તિ દર્શાવે છે. ગુરૂ કૃપાળુ બને ત્યારે ય શિષ્ય માટે પૂજનીય છે અને કડક બને ત્યારે ય પૂજનીય છે.

સપ્તરંગી મેઘધનુષ માત્ર આકર્ષણરૂપ બને, એથી વિશેષ કાંઈ નહિ. હીરાજડિત સપ્તસેરો સુવર્ણહાર આર્થિક ક્ષમતાવૃદ્ધિરૂપ બની રહે, એથી વિશેષ કાંઈ નહિ. પરંતુ આપણે ગત બે લેખથી મહાન જૈન ગ્રન્થ 'ઉપમિતિ ભવપ્રપંચા'માંથી તારવેલ જે સાત વિચારસુત્રો પર ચિંતનયાત્રા કરી રહ્યા છીએ તે તો ઉપરોક્ત બન્નેથી શ્રેષ્ઠ પુરવાર થાય તેમ આત્મિક ક્ષમતા વૃદ્ધિનું-આત્મિક ઉન્નતિનું કારણ બને તેમ છે. આવો, આજે આપણે એ પૈકી ત્રીજા સુત્ર પર વિચારવિહાર કરીએ.

(૩) પૂજનીયા ગુરવઃ :- આ સુત્રનો શબ્દાર્થ છે ગુરૂજનો આપણા માટે પૂજનીય-આદરણીય-બહુમાનનીય હોવા જોઈએ. આ સુત્રના 'ગુરૂ' શબ્દનો અર્થ સદ્ગુરૂભગવંત છે. એમના પ્રત્યે શિષ્યોનો અભિગમ કેવો ભક્તિ-બહુમાનભર્યો હોય તેનો નિર્દેશ આ સુત્ર દ્વારા મુખ્યપણે છે. આપણે એ મુખ્ય નિર્દેશ વિસ્તારથી વિચારવાનું રાખી એથી પહેલા, જે ગૌણ નિર્દેશ છે તે સંક્ષેપથી નિહાળીએ.

ગૌણ નિર્દેશથી નિહાળીએ તો આ સુત્રના 'ગુરૂ' શબ્દના અર્થ ઉપકારી ગુરૂજનો અર્થાત્ વડિલો થાય છે. એમાં મુખ્ય છે માતા-પિતા-વ્યાવહારિક જ્ઞાાનદાતા શિક્ષક. વ્યક્તિનાં ઘડતરમાં-સંસ્કરણમાં આ ત્રણેયનો એકદમ મૌલિક અને મજબુત ઉપકાર છે. કલ્પના કરો કે માતા-પિતાએ જવાબદારીપુર્વક ઘડતર-સંસ્કરણ ન કર્યું હોત કે શિક્ષકે વ્યાવહારિક જ્ઞાાનસિંચન ન કર્યું હોત તો ? તો વ્યક્તિનું પ્રારંભિક વ્યક્તિત્વ જ બની શક્યું હોત. એથી યોગ્ય-લાયક વ્યક્તિઓ ક્યારે ય માતા-પિતાદિનો ઉપકાર ભુલે નહિ અને પોતે ચાહે તેવા સમર્થ બને તો ય માતા-પિતાદિનો આદર લોપે નહિ. આ સંદર્ભની અમારી નજર સમક્ષની એક હૃદયસ્પર્શી ઘટના જોઈએ.

મુંબઈનું શાંતાબેન વાડીલાલ શાહ કુટુંબ એટલે અમારો ધર્મપરિચિત પરમ ગુરૂભક્ત પરિવાર. પરિવાર બહુ સામાન્ય સ્થિતિમાંથી શ્રીમંતાઈની ટોચે પહોંચવા છતાં સંસ્કારી અને ધર્મભાવનાશીલ હતો. માતા શાંતાબેન સત્તાણું વર્ષની વયે અવસાન પામ્યા. એમની ભાવના એ હતી કે સંપત્તિમાં ગમે તેટલા આગળ વધો, પણ ત્રણેય દીકરાઓએ નજીક નજીકમાં રહેવાનું. જેથી સુખ-દુઃખમાં સહુ સાથે ઊભા રહે અને સંપ સચવાય. પુત્રોએ સામાજિક 'સ્ટેટસ'ને અનુરૂપ નવી જગ્યા શોધવા માંડી ત્યારે માતાના માપદંડને ધ્યાનમાં રાખ્યો. પણ બન્યું એવું કે એક ગલીમાં બે બંગલા સ્વતંત્ર મળતા હતા, ત્રીજો બંગલો ત્યાં ન હતો. ભાઈઓએ ત્રીજું મકાન થોડે દુર લેવાનું 'કોમ્પ્રોમાઈઝ' કરી બે બંગલાની 'ટોકન' રકમ પણ આપી દીધી. વૃદ્ધ માતાને આ ખબર પડતા એમણે નારાજગી દર્શાવી કે ત્રણે ય દીકરા સાથે જ જોઈએ. તુર્ત માતૃભક્ત દીકરાઓએ બંગલા ખરીદવાનું જતું કર્યું અને થોડા સમય બાદ એક 'પોશ' વિસ્તારના બિલ્ડીંગમાં ત્રણ મજલા ખરીદી ત્યાં રહેવા ગયા ! આને કહેવાય માતા નામના ગુરૂજનનો વડિલનો આદર.

હવે વિચારીએ 'ગુરૂ' શબ્દનો મુખ્ય અર્થ. પુર્વે જણાવ્યું તેમ એનાથી સદ્ગુરૂભગવંતનો નિર્દેશ છે કે જેઓ સંસારત્યાગી છે અને સદ્ગુરૂના શાસ્ત્રોક્ત લક્ષણોથી યુક્ત છે. તેઓ મુમુક્ષુને સંસારની જંજાળ છોડાવે, સંયમી બનાવે અને એને આત્મહિતમાં પ્રવૃત્ત કરે. આવા સદ્ગુરૂભગવંત શિષ્યની વિશિષ્ટ ગુણવત્તા પર પ્રસન્નતા વરસાવે તો એ અનુગ્રહકૃપા કહેવાય અને શિષ્યની ખામી-દોષ માટે કડક વલણ અખત્યાર કરે તો એ  નિગ્રહકૃપા કહેવાય. બન્ને પરિસ્થિતિમાં શિષ્યોનો અભિગમ-શિષ્યોનું દ્રષ્ટિબિંદુ સદ્ગુરૂભગવંત માટે કેવું હોવું જોઈએ તે આ 'પૂજનીયા ગુરવઃ' પંક્તિ દર્શાવે છે. ગુરૂ કૃપાળુ બને ત્યારે ય શિષ્ય માટે પૂજનીય છે અને કડક બને ત્યારે ય પૂજનીય છે. પાક્ષિક પ્રતિક્રમણના શ્રમણસંબંધી એક સુત્રમાં શિષ્ય દ્વારા ઉચ્ચારાતી એક પંક્તિ આવે છે કે "ચિઅત્તા મે પડિચોયણા." મતલબ કે ગુરૂ દ્વારા કઠોર શિક્ષા કરાય ત્યારે ય શિષ્ય તો એને શ્રેયનું કારણ માની પ્રસન્નતા જ અનુભવે, ગુરૂ પ્રત્યેનો પૂજ્યભાવ એ બરકરાર જ રાખે.

વિચારવા જેવી બાબત એ છે કે સંસ્કારી જણાતો પુત્ર પણ પિતા એના પર કડકાઈ દાખવે- એની ઈચ્છા વિરૂદ્ધ વર્તે ત્યારે પિતા પ્રત્યેનો આદર ગુમાવી બેસતો હોય છે, પિતા પર ગુસ્સો-ક્રોધ કરી બેસતો હોય છે. જ્યારે શ્રમણ-શિષ્ય ત્યારે પણ ગુરૂભગવંત પ્રત્યે એ જ છલોછલ પૂજ્યભાવ ધરાવતો હોય છે એનું કારણ શું ? કારણ એ કે એના માટે ગુરૂ 'જીવનસર્વસ્વ' હોય છે. શ્રમણજીવનના પ્રારંભથી જ એનામાં એ સંસ્કાર અસ્થિમજ્જાવત્ ઘુંટાયા હોય છે કે ગુરૂ જે કરે તે મારા શ્રેય માટે જ હોય. ના, આ માત્ર આદર્શના સ્તરની વાત નથી. આજે ય શ્રમણસંઘમાં ઠેર ઠેર આ વાત વાસ્તવિક્તાનાં સ્તરે નિહાળવા મળે છે. જાણવી છે આવી એક સત્ય ઘટના ? તો વાંચો અમારા જીવનશીલ્પી ગુરૂદેવ આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની આ રોમહર્ષ ઘટના :

તેઓ એમના દીક્ષા-દિક્ષાદાતા પરમગુરૂદેવ યુગદિવાકર આ.ભ.ધર્મસૂરીશ્વરજી મહારાજને આજીવન સમર્પિત હતા. એ એટલે સુધી કે મુમુક્ષુપણા અને દીક્ષાના મળી સળંગ આડત્રીશ વર્ષ અર્થાત્ પૂ. ધર્મસૂરીદાદાના અંતિમ શ્વાસ સુધી તેઓ સાથે જ રહ્યા હતા. એક પણ ચાતુર્માસ અલગ કર્યા વિના તેઓ પરમ ગુરૂદેવની બાહ્ય-અભ્યંતર સેવામાં તત્પર રહ્યા. એમાં એક વાર કસોટી એવી આવી કે એમના સગા સાંસારિક બહેન સાધ્વીજી વસંતપ્રભાશ્રીજીએ સળંગ પાંચસો પચીસ આયંબિલ કર્યા. બહેન સાધ્વીજી તથા સ્વજનોની તીવ્ર ઈચ્છા હતી કે પારણા પ્રસંગે સૂર્યોદયવિજયજી મુંબઈથી વિહાર કરી ડભોઈતીર્થે પધારે. કેમ કે બહેનમહારાજનાં જીવનનો આ સૌથી મોટો સળંગ તપ હતો અને પારણાપ્રસંગ ડભોઈતીર્થે-જન્મભૂમિમાં જ યોજવાનો હતો.

માતા-પિતાદિ સ્વજનો વિનંતી માટે મુંબઈ આવ્યા અને સૂર્યોદયવિજયજીને આગ્રહ-દબાણપુર્વક વિનંતી કરી. ગુરૂદેવે જરા ય લાગણીમાં તણાવ્યા વિના કહ્યું : "જુઓ, સામે પૂ. ધર્મસૂરિશ્વરદાદા બિરાજે છે. જે વિનંતી કરવી હોય તે એમને કરો. એ કહેશે એ જ મારે તહત્તિ છે." આશ્ચર્ય એ કે તેઓ સ્વજનોની સાથે જ તો પરમ ગુરૂદેવ પાસે ગયા, ન તો પોતાની ઈચ્છા પરોક્ષપણે દર્શાવી જવાબ તરફેણમાં લાવવાની કોશિશ કરી. તેઓ નખશિખ સમર્પણમૂર્તિ બની સ્વસ્થાને બેસી રહ્યા. સ્વજનોએ પૂ. ધર્મસૂરિદાદા સમક્ષ ભાવથી-ભારથી જોરદાર વિનંતી કરી. પૂ. ધર્મસૂરિદાદાએ ઉત્તર આપ્યો : "એ જ દિવસોમાં મારે ચેમ્બુરતીર્થે અંજનશલાકા મહોત્સવની જય બોલાઈ છે. અંજનશલાકા જેવા મોટા પ્રસંગમાં મારી સાથે સૂર્યોદયવિજયજી અનિવાર્યપણે જોઈએ જ. માટે તમારી વિનંતી સ્વીકારવી શક્ય નથી." ઉત્તર ધારણાથી પ્રતિકૂળ આવ્યો, સ્વજનો નિરાશ થયા, તો ય અમારા ગુરૂદેવ એ જ પ્રસન્નભાવે રહ્યા. ન કોઈ ગ્લાનિ કે ન પરમ ગુરૂદેવને ફેરવિચારણાની વિનંતી.

તેઓ એ શાસ્ત્રવચનને અનુસરતા હતા કે "અનુગુરૂણો ધમ્મો." સંસ્કૃત વ્યાકરણનાં એક ઉદાહરણમાં વાક્યપ્રયોગ છે કે "અનુગંગં વારાણસી." એના જેવું જ પેલું શાસ્ત્રવચન છે. અર્થ એનો એવો થાય કે જેમ ગંગાના તીરે તીરે વારાણસીનું અસ્તિત્વ છે તેમ ગુરૂભગવંતની આજ્ઞાાના-ઈચ્છાના તીરે તીરે ધર્મનું અસ્તિત્વ છે. ધર્મ તે જ શ્રેષ્ઠ આરાધી શકે, જે ગુરૂની  હરકોઈ આજ્ઞાા-ઈચ્છાને પ્રસન્નભાવે ઝીલીને ગુરૂ પ્રત્યે અનહદ પૂજ્યભાવ-બહુમાનભાવ અકબંધ જાળવી શકે. અમને આનંદ-આત્મસંતોષ એ છે કે ગુરૂદેવે અમારામાં પણ આ જ "અનુગુરૂણો ધમ્મો"ની સંસ્કારધારાનું સિંચન કર્યું છે. એથી અમે પણ અમારા ગુરૂદેવના અંતિમ શ્વાસ સુધી એક પણ ચાતુર્માસ અલગ કર્યા વિના સળંગ આડત્રીસ વર્ષ ગુરૂની નિશ્રામાં-છાયામાં રહ્યા હતા. 

પ્રભુ મહાવીરદેવના હસ્તદીક્ષિત મનાતા ધર્મદાસગણિભગવંતે 'ઉપદેશ માળા' નામે મહાન ગ્રન્થ રચ્યો છે. જૈન સંઘમાં ખુબ આદરપાત્ર ગણાતા આ ગ્રન્થમાં, ગુરૂ પ્રત્યે શિષ્યના ભાવસંબંધી અદ્ભુત પંક્તિ છે કે "ગુરૂમાગમેસિભદ્દા, દેવયમિવ પજ્જુવાસંતિ." આ પંક્તિ એમ કહે છે કે જેમનું કલ્યાણ-મોક્ષપ્રાપ્તિ બહુ નજીકના સમયમાં થવાની હોય તેવા શિષ્યો ગુરૂને જીવંત ભગવાન માનીને એમની સેવા-પર્યપાસના કરે. અમને લાગે છે કે આ પંક્તિ લેખના પ્રારંભે દર્શાવેલ પંક્તિને દૃઢપણે હૈયે જમાવી દેનાર મહામન્ત્ર છે અને શિષ્યોને મોક્ષમાર્ગે ગતિ-પ્રગતિ કરનાવનાર 'સુપર ગાઈડલાઈનર' છે. જે શિષ્યોનું ભાવી મહાન છે- જેઓ નિકટ મોક્ષગામી છે તે શિષ્યોની વૃત્તિ-પ્રવૃત્તિમાં આ પંક્તિ ભણ્યા પહેલા જ કેવી ચરિતાર્થ થતી હોય તે જાણવા માટે હવે આપણે નિહાળીશું અમારી યશસ્વી ગુરૂપરંપરાના શિરતાજ યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.ના શ્રમણ જીવનના શૈશવકાળનો એક પ્રેરક પ્રસંગઃ

આજથી બરાબર સો વર્ષ પુર્વે એટલે કે ઈ.સ. ૧૯૨૫માં તેઓનો સંયમપર્યાય હતો પાંચ વર્ષ. એ વર્ષે તળાજા નગરના ચાતુર્માસમાં તેઓને મહાનિશિથઆગમના સળંગ બાવન આયંબિલસહિતના યોગ ચાલતા હતા. પુષ્કળ ધાર્મિક ક્રિયાઓ અને આકરો તપ છતાં તેઓ ચુસ્તપણે રાત્રે એમના પરમ ગુરૂદેવ પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી મોહનસૂરિશ્વરજી મહારાજની ચરણસેવા કરે જ. એમાં નિયમ એવો કે જ્યાં સુધી પરમગુરૂદેવ 'બસ, હવે જાવ' ન કહે ત્યાં સુધી જવાનું નહિ. રોજ દશ-બાર મિનિટ બાદ પરમ ગુરૂદેવના આ શબ્દો આવે. પરંતુ એક રાત્રે દિવસભરના અતિ પરિશ્રમવશ પૂ. મોહનસૂરિદાદા સંસ્થારતાવેંત નિદ્રાધીન થઈ ગયા. 'બસ, હવે જાવ' શબ્દો ન બોલાયા. તો બાલમુનિ ધર્મવિજયજીએ સળંગ અઢી કલાક ચરણસેવા જારી રાખી ! રાત્રે સાડા અગિયારે અચાનક જાગી જતાં પરમગુરૂદેવ ચરણસેવા અખંડ જારી રહી જોઈ ગદ્ગદ્ થઈ ગયા. એમણે સ્વયંસ્ફૂર્ત પ્રસન્નતાથી બાલમુનિને આશિષ આપતા કહ્યું : "તારા જેવા વિનીત શિષ્યો મળવા એ ય સૌભાગ્ય છે." આ છે ભાવી મહાનતાની-નિકટસિદ્ધિની દ્યોતક વિનયશીલતા !

છેલ્લે એક વાત : જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગુરૂગ્રહ જેના કેન્દ્રમાં હોય એની પ્રગતિ ઉત્તમ હોય, અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે ગુરૂદેવ જેનાં કેન્દ્રમાં હોય એનું જીવન ઉત્તમ હોય.

Tags :