પ્રૌઢપ્રભાવશાળી આ.ભ. સૂર્યોદયસૂરીશ્વરજી મ.ને પુણ્યતિથિએ પ્રાર્થનાઃ 'સમર્પણની સરગમ બનીને પધારો'
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- પૂ.ધર્મસૂરિદાદાના વંદનાર્થે પધારેલ પં.અજિતચન્દ્રવિજયજી ગણિએ પૂછયુંઃ ''પૂ.પં.શ્રી સૂર્યોદયવિજયજી ગણિ તો ખૂબ વિદ્વાન છે. આપ એમને અલગથી ચાતુર્માસ મોકલો ને? અન્ય સંઘો સચવાય.'' પરમગુરુદેવે ઉત્તર આપ્યો: ''ના. સૂર્યોદયવિજયજી મારી સાથે જ જોઈએ. મારી બધી કાર્યવાહી એ જ સંભાળે છે !'' ગુરુદેવ દ્વારા આવો ઉત્તર ક્યારે આવે? શિષ્ય ગુરુના હૈયે વસ્યા હોય તો જ. એક પ્રાકૃત સુભાષિત એમ કહે છે કે ''ગુરુને પોતાનાં હૈયે વસાવે તે શિષ્યો ધન્ય છે. પરંતુ જેઓ પોતાના ગુણોથી ગુરુના હૈયે વસે તે શિષ્યો તો ધન્યાતિધન્ય છે!'' પૂજ્યશ્રી આવા ધન્યાતિધન્ય શિષ્ય હતા
જૈન ધર્મપરંપરામાં દેવતત્વ ગુરુતત્વનો મહિમા અદ્ભુત છે. એમાં દેવતત્વ સર્વગુણસંપન્ન અને સર્વદોષશૂન્ય હોવાથી એનો મહિમા સામાન્યતઃ સર્વોપરિ અને ગુરુતત્વનો મહિમા એ પછીના ક્રમે અને તમામ કરતાં ઉત્કૃષ્ટ છે. પરંતુ આ સિવાય પણ આ બે તત્વો માટેની જૈન પરંપરાની રજૂઆત ધ્યાનાકર્ષક છે. દેવતત્વ તેમજ ધર્મતત્વને ઓળખાવનાર ગુરુતત્વ હોવાથી આધ્યાત્મિક પ્રથમ અને પ્રત્યક્ષ ઉપકાર કરનારની અપેક્ષાએ ગુરુતત્વને એ દેવતત્વ કરતા પણ ઉપર અર્થાત્ સર્વોપરિ સ્થાન આપે છે, તો ઉપરોક્ત બન્ને ને એક સમાન મહત્વ આપવાનું પણ વિધાન જૈન પરંપરા કરે છે. બન્ને તત્વોની ભક્તિ-ઉપાસના માટે એક સ્થળે લખાયું છે કે ''યશ દેવે તથા ગુરૌ.'' એટલે કે જેવી દેવતત્વની ઉપાસન કરવી, એવી જ ઉત્કટ ઉપાસના ગુરુતત્વની કરવી.
અમને જૈન દર્શનની ગુરુતત્વસંબંધી ઉપરોક્ત પ્રરૂપણાઓ બહુ નાની વયથી હૃદયસ્થ થઈ હોવાથી જ્યારે પણ સદ્ગુરુભગવંતના મહિમાની-ગુણસંકીર્તનની તક મળે ત્યારે એને અચૂક ઝડપી લેવા અંતર લાલાયિત રહે છે. આજે આવી એક તક ઉપસ્થિત થઈ છે અનંતોપકારી ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી પરમશાસનપ્રભાવક આચાર્યપ્રવર સૂર્યોદયસૂરિશ્વરજી મહારાજની પુણ્યતિથિના રૂપમાં. આ જેઠ વદિ ત્રીજના દિને તેઓશ્રીની ચિરવિદાયના દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે આપણે આજે અહીં આ લેખરૂપે તેઓનું ગુણસંકીર્તન કરીશું જેમાં પ્રારંભે ગુરુદેવનાં જીવનની વિગતલક્ષી માહિતી અને તે પછી ગત વાર્ષિક તિથિથી આરંભેલ 'સ્' અક્ષરથી શરૂ થતી તેઓશ્રીની એકેક ગુણવિશિષ્ટતા પૈકી બીજા ક્રમની ગુણવિશિષ્ટતાનું વિશ્લેષણ કરીશું. દીક્ષાની ખાણ દર્ભાવતી-ડભોઈ તીર્થે વિ.સં. ૧૯૮૮માં જન્મ, શ્રીમંર્ધર્મસંસ્કારી કુલ છતાં મોહવશ દીક્ષાસંમતિ ન મળી તો સત્તર-સત્તર વાર એકાકી ભાગી જવાના અદ્ભુત પરાક્રમો સાથે સોળ વર્ષની વયે યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે ગુપ્ત દીક્ષા, સુડતાળીસ દિવસમાં ત્રેવીશ ત્રેવીશ અતિ કઠિન સંસ્કૃત ગ્રન્થોના પરીક્ષાલક્ષી તલસ્પર્શી અભ્યાસ માટે એ તમામ દિવસોમાં અઢાર કલાક અધ્યયન, કલકત્તા યુનિવર્સિટીની તમામ નવ પરીક્ષાઓ 'ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ' ઉત્તીર્ણ કરી ન્યાય-વ્યાકરણ-સાહિત્યના વિષયોમાં 'તીર્થ' પદવી પ્રાપ્તિ, ગુરુદેવ ધર્મસૂરિશ્વરજી મ. કૃત સંસ્કૃત નવતત્વ-સુમંગલાટીકાનો દશહજાર શ્લોક પ્રમાણ ગુર્જર ભાવાનુવાદ અને ગુરુદેવના વિવિધ આકર ગ્રન્થોના વિદ્વતાભર્યાં સંપાદનો, એક્યાશી જિનાલય-ઉપાશ્રયોનાં નિર્માણો, વીશ અંજનશલાકાવિધાનો, એકવીશ ઉપધાનતપારાધનાઓ, પંદર પદયાત્રાસંઘો, શિષ્યો સાથે એકસો અગિયાર પુસ્તકો-ગ્રન્થોનાં પ્રકાશનો, આશ્રિત સો થી વધુ સંયમીઓનું યોગ-ક્ષેમ, ચોર્યાશી વર્ષની વયે અડસઠ વર્ષના દીક્ષાપર્યાયના અંતે કાલધર્મ, ઓગણત્રીસ કિ.મી. દીર્ઘ અને સવા લાખની માનવમેદનીથી ઉભરાતી સંપૂર્ણ પગપાળા અંતિમ પાલખીયાત્રા, ભાયંદર-બાવનજિનાલયતીર્થે અંતિમસંસ્કાર, ચોપન સ્થળે તેઓનાં ગુરુમંદિરનિર્માણ, સાતસો પેજના વિરાટ 'તમે સૂરજ થઈને ચમક્યા' જીવનચરિત્રગ્રન્થ અને અન્ય છ જીવન પ્રસંગ પુસ્તકોના હિંદી-સંસ્કૃત-ઇંગ્લીશભાષામાં પ્રકાશન: આ છે તેઓશ્રીનાં જીવનની વિગતલક્ષી માહિતી. હવે નિહાળીએ ગુરુદેવનાં જીવનમાં ઝળહળતો 'સ્' અક્ષરથી શરૂ થતો ગુણ.
* સમર્પણશીલતા:- સાધકપણાને - શિષ્યત્વને શ્રેષ્ઠતા બક્ષતો સર્વોપરિગુણ છે સમર્પણ. આ સમર્પણની અલગ અલગ વ્યાખ્યાઓ અલગ અલગ ચિંતકો કરે છે. કોઈ કહેશે કે ગુરુની આજ્ઞાા મુજબ પ્રવર્તવું એ સમર્પણ છે, તો કોઈ કહેશે કે ગુરુની ઇચ્છાનુસાર પ્રવર્તવું એ સમર્પણ છે. અલબત્ત, આ સર્વ સમર્પણના જ પ્રકાર છે. પરંતુ અમારી દ્રષ્ટિએ સમર્પણની શ્રેષ્ઠ વ્યાખ્યા આ છે કે ગુરુની ઇચ્છામાં પોતાની ઈચ્છાનું કાયમી વિલીનીકરણ એનું નામ સમર્પણ. ગુરુની આજ્ઞાા યા ઇચ્છાનાં પાલનમાં એ પુરવાર થાય છે કે ગુરુની ઇચ્છાથી શિષ્યની ઇચ્છા અલગ છે અને એ પોતાની ઈચ્છા જતી કરીને ગુરુની આજ્ઞાા/ઇચ્છાનું પાલન કરે છે. દરેક ઘટનામાં પોતાની ઇચ્છા જતી કરવા જતાં એ શિષ્ય ક્યારેક પોતાનું મન કેળવી ન શકે ત્યારે એનું સમર્પણ તૂટે. પરંતુ જ્યાં પહેલેથી એ જ વિચારધારા અપનાવાઈ હોય કે 'મારી કોઈ ઇચ્છા નહિ-મારું કોઈ મન નહિ. ગુરુની ઇચ્છા એ જ મારી ઇચ્છા' ત્યાં શિષ્ય-સાધક સમર્પણનશ્રેષ્ઠ સ્તરે-ઉત્કૃષ્ટપણે આત્મસાત્ કરી શકે. માટે મારી દ્રષ્ટિએ સમર્પની શ્રેષ્ઠ વ્યાખ્યા પૂર્વે દર્શાવીએ છે.
અલબત્ત, એ ચોક્કસ છે કે દરેક શિષ્ય-સાધક પહેલા જ પ્રયાસે આ સ્તરે પૂરેપૂરું આત્મસાત્ કરી શકે એવું ન બને. પરંતુ જો લક્ષ્યાંક સ્વ-ઇચ્છાનાં વિલનીકરણનું જ હોય તો શિષ્ય-સાધક બહુ ઝડપથી પોતાની ખામી-સ્ખલના સુધારી ઇચ્છાઓનું વિલીનીકરણ આત્મસાત્ કરી શકે. સમર્પણસાધના આ ક્રમે નિહાળવા મળે એ રીતે આપણે ગુરુદેવના જીવનપ્રસંગોનું દર્શન કરીએઃ
(૧) વિ.સં. ૨૦૦૬. આજથી પંચોતેર વર્ષ પૂર્વેના એ સમયે દીક્ષાના ત્રીજા વર્ષમાં પ્રવેશેલ મુનિ સૂર્યોદયવિજયજી પરમગુરુદેવ ધર્મસૂરિશ્વરજી મ.સા. સાથે પગપાળા વિહારમાં હતા. વૈશાખ માસની ભયાનક ગરમીમાં સૌરાષ્ટ્રના મોરબીથી એ પદયાત્રા-વિહાર શરૂ થયો હતો અને જેઠ માસના અંતે મુંબઈમાં એ વિહાર પૂર્ણ થવાનો હતો. સંપૂર્ણ ગ્રીષ્મકાલીન છસોથી વધુ કિલોમીટરની એ વિહારયાત્રામાં તે કાળે સૂર્યોદય સમયે જ વિહાર પ્રારંભ થતો. એથી પૂરા વિહારમાં ગરમીની ઉગ્રતા રહે. આવા વિહારમાં તેઓ એક દિવસ સાડા નવે પહોંચ્યા. સફાલા ગામમાં. પ્રસ્વેદ નીતરતો દેહ અને વૈતરણા નદીના રેલવે-બ્રીજ પરની ચારે તરફથી બંધ ફક્ત એક દ્વારની પતરાની કેબિન છે. અસહ્ય ગરમીમાં વિહારની અને બંધ ખંડના રાત્રિમુકામની વાતથી એમણે પરમગુરુદેવને પૂછયું: ''આજે સાંજે વિહાર છે ?'' શબ્દો ભલે પૃચ્છાના હતા. પરંતુ એમાં થોડી શી નારાજગીના
ભાવ હતા.
એ પરખી લેતાં પરમગુરુદેવે પણ જરા નારાજગીથી કહ્યુંઃ ''સાંજે વિહાર ન કરવો હોય તો મોકૂફ રાખીએ.'' બસ, આટલા જ શબ્દો અને સૂર્યોદયવિજયજીના વિચારતંત્રને એક ધક્કો લાગ્યો કે 'ગુરુદેવને મારી ઇચ્છા સામે કેમ જોવું પડયું? મારી ભૂમિકા એ હોવી જોઈએ કે ગુરુદેવ દરેક નિર્ણયો પોતાની રીતે ખચકાટ વિના કરી શકે.' એમણે એ સાંજે વિહાર તો કર્યો જ. સાથે જીવનભર માટે જબરજસ્ત મોટો નિર્ણય કર્યો કે 'હવે આજીવન ધર્મસૂરિદાદાની ઇચ્છા જ મારી ઇચ્છા. એમની ઇચ્છાથી મારી ઇચ્છા-મારા વિચાર જુદા નહિ રાખવાના. એ જે કહે - મારા માટે જે ઇચ્છા રાખે તે તહત્તિ.' દીક્ષાના ત્રીજા વર્ષે ઓગણીસ વર્ષની યુવાવયે સમજણપૂર્વક એમણે કરેલ આ નિર્ણય તેઓને આજીવન ગુરુસમર્પિત ગુરુનિશ્રાવર્તી તો બનાવ્યા જ. ઉપરાંત ગુરુહૈયે પણ તેઓએ કેવું અદ્ભુત સ્થાન સંપ્રાપ્ત કર્યું તે હવે બીજા-ત્રીજા ક્રમાંકના જીવન પ્રસંગમાં આપણે નિહાળીશું.
(૨) વિ. સં.૨૦૨૩. મુનિ સૂર્યોદયવિજયતી ના સગા સાંસારિક બહેન સાધ્વીજી વસંતપ્રભાશ્રીજીએ સળંગ પાંચસો પચીશ આયંબિલની તપશ્ચર્યા કરી હતી. સાંસારિક સ્વજનોના ભાવ મુજબ એનો પારણાપ્રસંગ જન્મભૂમિ દર્ભાવતીતીર્થે યોજાયો હતો અને મુનિ સૂર્યોદયવિજયજી પરમગુરુદેવની સેવામાં મુંબઈમાં હતા. સ્વજનોની ભાવના એ હતી કે આવી મોટી તપશ્ચર્યા પ્રસંગે તેઓ પણ મુંબઈથી વિહાર કરી ડભોઈ પધારે. સ્વજનોનું વૃંદ આની વિનંતી માટે મુંબઈ આવ્યું. સ્વજનોએ તેઓને આગ્રહભરી-દબાણભરી વિનંતી કરી. ગુરુઇચ્છામાં પોતાની ઇચ્છા ભેળવી દેનાર પૂજ્યશ્રીએ સ્વજનોને કહ્યું: 'સામે જ પૂ. ધર્મસૂરિદાદા વિરાજે છે. એમને વિનંતી કરાય, મને નહિ. એમનો જે નિર્ણય હશે તે મારે કરવાનું છે.'' સ્વજનોએ કહ્યું: ''આપ સાથે આવો અને પૂ. ધર્મસૂરિદાદા પાસે ડભોઈ આવવાની ભાવના દર્શાવો તો અમારી વાત મજબૂત બને.'' પૂજ્યશ્રીએ ઇન્કાર કર્યો કે ''મારે કોઈ ઇચ્છા જ નથી દર્શાવવી. જે ગુરુદેવની ઇચ્છા હોય એ મારી ઇચ્છા.''
નસીબયોગે એવું થયું કે પારણાના દિવસોમાં જ મુંબઈ-ચેમ્બુરતીર્થે અંજન-પ્રતિષ્ઠામહોત્સવ હોવાથી ધર્મસૂરિદાદાએ ઇન્કાર કર્યો કે ''અંજનશલાકાનાં વિરાટ કાર્યોમાં સૂર્યોદયવિજયજી મારી સાથે જ જોઈએ. માટે એ ડભોઈ નહિ આવી શકે.'' સ્વજનોએ એ પછી પણ સૂર્યોદયવિજયજીને ખૂબ આગ્રહ કર્યો કે ''આપ પરમગુરુદેવને કહો તો અમારી ભાવના સફળ થાય.'' પૂજ્યશ્રીએ ત્યારે ય એ જ નિર્લેપતા દાખવી. આખર તેમની નિશ્રા વિના જ બહેન મહારાજના પારણાં જન્મભૂમિમાં થયા ! લાગણીઓનું તુમુલ યુદ્ધ કરાવે એવી આ સંવેદનશીલ ઘટનામાંની પૂજ્યશ્રીની નિર્લેપતા સમર્પણની પરાકાષ્ઠા સૂચિત કરે છે ! સાચું શિષ્યત્વ આ છે. પેલી પંક્તિ પણ આ જ કહે છે કે ''સંસાર છોડીએ તો સાધુ થવાય અને મન (ઇચ્છા) છોડીએ તો શિષ્ય થવાય.''
(૩) વિ.સં. ૨૦૩૮. મુંબઈ-મલાડમાં પૂ. ધર્મસૂરિદાદાના વંદનાર્થે પધારેલ પં. અજિતચન્દ્રવિજયજી ગણિએપૂછયું: ''પૂ.પં.શ્રી સૂર્યોદયવિજયજી ગણિ તો ખૂબ વિદ્વાન છે. આપ એમને અલગથી ચાતુર્માસ મોકલો ને ? અન્ય સંઘો સચવાય.'' પરમગુરુદેવે ઉત્તર આપ્યો: ''ના. સૂર્યોદયવિજયજી મારી સાથે જ જોઈએ. મારી બધી કાર્યવાહી એ જ સંભાળે છે !'' ગુરુદેવ દ્વારા આવો ઉત્તર ક્યારે આવે ? શિષ્ય ગુરુના હૈયે વસ્યા હોય તો જ. એક પ્રાકૃત સુભાષિત એમ કહે છે કે ''ગુરુને પોતાનાં હૈયે વસાવે તે શિષ્યો ધન્ય છે. પરંતુ જેઓ પોતાના ગુણોથી ગુરુના હૈયે વસે તે શિષ્યો તો ધન્યાતિધન્ય છે !'' પૂજ્યશ્રી આવા ધન્યાતિધન્ય શિષ્ય હતા.
(૪) પરમગુરુદેવના કાલધર્મ-ચિરવિદાય બાદ પૂજ્યશ્રીએ સ્વતન્ત્ર ચાતુર્માસ શરૂ કર્યા, એ પહેલા કદાપિ નહિ. એકત્રીસ વર્ષના એ અદ્ભુત ઇતિહાસસર્જક સ્વતંત્ર શાસન પ્રભાવનાકાળ દરમ્યાન પૂજ્યશ્રીના હસ્તક જેટલા ઉપાશ્રયો થયા તેમાં એક પણ સ્થળે ઉપાશ્રય સાથે પોતાનું નામ નથી અંકિત કરાવ્યું. સર્વત્ર પૂ. ધર્મસૂરિદાદાનું જ નામ અંકિત કરાવ્યું છે! આ હતી એમની ગુરુદેવની હયાતિ પછીની પણ પોતાના અંતિમ શ્વાસ પર્યંતની ગુરુભક્તિ. આ ગુરુભક્તિના પ્રભાવે જ તો પરમગુરુદેવની સ્મૃતિ કરાવે તેવા સર્વાંગીણ સર્વક્ષેત્રીય પુણ્યશાલી મહાન સૂરિવર બન્યા. પુણ્યતિથિની પુનિત પળે ગુરુદેવ પાસે એમના જેવા સમર્પણગુણની પ્રાપ્તિની પ્રાર્થના કરતાં જરાક શબ્દ ફર્ક સાથે અમે ટાંકીશું પેલી ગીત પંક્તિ કે:
ગુરુ ! એ વિનંતી, હવે તો સ્વીકારો...
સમર્પણની સરગમ, બનીને પધારો...