Get The App

પગ ખેંચીને પછાડવા કરતાં પીઠ થાબડીને પ્રોત્સાહન આપવામાં મહેનત ઓછી છે અને પરિણામ ઉત્તમ છે

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
પગ ખેંચીને પછાડવા કરતાં પીઠ થાબડીને પ્રોત્સાહન આપવામાં મહેનત ઓછી છે અને પરિણામ ઉત્તમ છે 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

''સાર એ હ્ય્દયસ્થ કરજો કે બિલકુલ શબ્દાર્થની રીતે તમે કોઈ ગબડેલ વ્યક્તિને હાથ-સાથ આપી ઉપર લાવશો તો પણ એનાં જીવનમાં તમારું સ્થાન-માન અદકેરું બનશે અને વ્યાપક અર્થની રીતે તમે કોઈ માર્ગપતિતને હાથ-સાથ આપી ઉપર લાવશો તો એનાં જીવનમાં તમારુ સ્થાન લગભગ ભગવાન જેવું ઉત્તમ બની જશે. માટે હાથનો અર્થાત્ ક્ષમતાનો-સામર્થ્યનો ઉપયોગ કોઈ ગબડેલને ઉપર ઉઠાવવામાં કરીએ.''

દુન્યવી દ્રષ્ટિએ વિચાર કરીને તો લોકોને હાથ મજબૂત હોય એમાં વિશેષ રસ હોય છે. નવયુવાનો કસરત કરી 'મસલ્સ પાવર' મજબૂત કરે છે, તો રાજકીય નેતાઓ ટેકેદારોનો વ્યાપ વધારી જરા અલગ અંદાઝમાં પોતાના હાથ મજબૂત બનાવવાની કોશિશ કરે છે. પણ... સબૂર! અમે હાથને મજબૂત તો ઠીક, પરંતુ એથી વિશેષ સત્પ્રવૃત્તિઓ દ્વારા મહાન બનાવવા તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવા ચાહીએ છીએ. એથી જ છેલ્લા બે લેખોથી હાથને કેન્દ્રમાં રાખી સાત વિચારણાઓ શરૂ કરી છે. આજે એમાં વિચારીશું ચોથા તથા પાંચમા ક્રમની બાબતો :

(૪) આ હાથથી કોઈને ગબડાવીશ નહિ, બલ્કે ગબડેલાને ઊભા કરીશ : હમણાં જ આપણે વિચાર્યું કે લોકોને હાથ મજબૂત હોવામાં વિશેષ રસ હોય છે. અમે આ ચોથા સૂત્ર દ્વારા એ નિર્દેશ કરીએ છીએ કે હાથ મજબૂત-તાકાતવાન હોય તો પણ એનો ઉપયોગ કોઈને ગબડાવવામાં ન કરશો. એ, હાથની મજબુતાઈનો-તાકાતનો નેગેટીવ ઉપયોગ છે. ખબર છે પેલું સરસ સુવાક્ય? હાથનો આ રીતનો નકારાત્મક ઉપયોગ અટકાવવા એ બહુ કલાત્મક શૈલીથી વાત કરે છે કે ''પગ ખેંચીને પછાડવા કરતાં પીઠ થાબડીને પ્રોત્સાહન આપવામાં મહેનત ઓછી છે અને પરિણામ ઉત્તમ છે !'' તમે 'માર્ક' કરશો તો સમજાશે કે પગ ખેંચવામાં જોર વધુ લગાવવું પડે, જ્યારે પીઠ થાબડવામાં માત્ર હળવો હાથ જ થપથપાવવો પડે. છતાં પરિણામમાં આસમાન-જમીનનો તફાવત એ કે જેના પગ ખેંચો એ વ્યક્તિ તમારી દુશ્મન બની જાય અને પીઠ થાબડો એ મિત્ર બની જાય. હકીકત આ હોવાથી નક્કી એ કરવું જોઈએ કે મારા હાથનો-મારી તાકાતનો ઉપયોગ કોઈને પછાડવામાં-ગબડાવવામાં નહિ કરું, બલ્કે કોઈ સ્વયમેવ ગબડેલને ઊભા કરવામાં-સહાયક થવામાં મારા હાથનો-મારી તાકાતનો ઉપયોગ કરશે. એક શાયરી તો આવી ભાવના ધરાવનારને બહુ ઊંચા ગજાનાં સ્તરે પહોંચાડી દેતા લખે છે કે :

યૂં તો હર દિલ કિસી દિલપે ફીદા હોતા હૈ, પ્યાર કરનેકા તોર મગર જૂદા હોતા હૈ, આદમી લાખ સંભલને પર ભી ગિર જાતે હૈ, ઝુક કે જો ઉસે ઊઠા લેતે હૈ વો ખુદા હોતા હૈ.

યાદ રહે કે આ દુનિયામાં ગબડાવનાર ઘણા છે. પરંતુ 'ગબડયો છે' એમ જાણ્યા પછી કોઈ તિરસ્કાર-ઉપેક્ષા-મજાક વિના કરુણાબુદ્ધિથી એને ઊંચે ઉઠાવનાર બહુ અલ્પ હોય છે. આ અલ્પ લોકો જ પોતાના હાથના અર્થાત્ ક્ષમતાના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા મહત્તા પામતા હોય છે. કરવી છે આની પ્રતીતિ? તો વાંચો આ અક્ષરશ: સત્ય ઘટના :

કર્ણાટક રાજ્યની એક વ્યક્તિ. નામ એનું ગુડપ્પા. નાની વયથી એ એકદમ હોંશિયાર-ચાલાક હતો. પરંતુ એની એ શક્તિને નકારાત્મક પરિબળનો સાથ-સંગાથ મળ્યો. જાણે કે એ પરિબળો-એ તાકાત એને સન્માર્ગથી ગબડાવનાર-પછાડનાર હતા. ખોટી વ્યક્તિઓના સંસર્ગથી એ ચોરીના રવાડે ચડયો. ચાલાકી તો જન્મજાત મળી હતી. એથી એવી સિફતથી એ ચોરીને અંજામ આપતો કે એ પકડાય તો નહિ જ, બલ્કે એના પર કોઈને શંકા પણ ન જાય. એક-બે... પાંચ પચીશ... : એની ચોરીનો સ્કોર આગળ વધતો ગતો અને છતાં એ ક્યાં ય ઝડપાયો નહિ. એમ કરતા કરતા એણે બસો એકત્રીશ વાર ચોરીઓ કરી! આટલી ચોરીઓ પછી ય એ સમાજની નજરમાં બે-દાગ જ રહ્યો. હજુ ચોરીના ચક્કરમાંથી એ બહાર આવી શકત નહિ. પરંતુ એ અરસામાં તે એક સાચુકલા સાધુના સંસર્ગમાં આવ્યો. જેમ જેમ પરિચય પ્રગાઢ બનતો ગયો તેમ તેમ ગુડપ્પાને અંદરથી અહેસાસ થવા માંડયો કે પોતે નૈતિક અધ:પતનની કેવી ઊંડી ખીણમાં ફંગોળાઈ ગયો છે! પશ્ચાતાપની એક પાવન ક્ષણે તેણે પોતાની જિંદગીની કાળી કિતાબનાં એ પાનાં સાધુ સામે નિખાલસપણે ખુલ્લા કરી દીધા. સાધુએ એ પતિતાત્મા પ્રત્યે તિરસ્કાર કે ઘૃણા ન દાખવી. બલ્કે એનો હાથ પકડીને ઊભા કરવાનો ઉમદા અભિગમ દાખવ્યો. સાધુએ એને પૂર્ણ ધીરજથી ચોરીનાં બૂરાં ફળ દર્શાવ્યાં. ભયંકર ચોરીઓથી થનાર ભયંકર દુર્ગતિનો ચિતાર આપ્યો અને... માનશો? પરિણામ એવું અદ્દભુત આવ્યું કે એણે સામે પગલે તમામ બસો એકત્રીશ ચોરીનો માલ એના અસલ માલિકોને પહોંચાડી દરેકની અંત:કરણથી માફી માંગી!

વિશ્લેષણ કરીશું આ ઘટનાનું તો એમાં ત્રણ સાર બહુ સ્પષ્ટ નજરે તરી આવે તેવા છે. એક, સન્માર્ગથી ગબડાવી દેનાર કુસંસ્કારી લોકો આ સૃષ્ટિમાં-સમાજમાં હાલતા-ચાલતા ચિક્કાર મળી આવે છે. આવા જ લોકોએ ગુડપ્પાને ચોરીના રવાડે ચડાવી દીધો... બે, 'આ ગબડયો છે' એમ જાણવા છતાં એના પ્રત્યે કોઈ તિરસ્કાર-ઘૃણા વિના કેવલ કરુણાબુદ્ધિથી એને ઉપર ઉઠાવનાર બહુ અલ્પ હોય છે. એટલે જ ગુડપ્પાને એવા સાધુ બહુ દીર્ઘ કાળ બાદ મળ્યા... ત્રણ, અનુભવે ગુડપ્પાને એ ચોક્કસ સમજાવી દીધું કે ગલત માર્ગે લઈ જનારાઓ હિતની દ્રષ્ટિએ એના દુશ્મન હતા અને પેલા સાધુ હિતની દ્રષ્ટિએ હતા એના મિત્ર. અરે ! મિત્ર જ નહિ, બલ્કે જીવનસુધારણા બક્ષવાની દ્રષ્ટિએ જાણે ભગવાન હતા. સાર એ હ્ય્દયસ્થ કરજો કે બિલકુલ શબ્દાર્થની રીતે તમે કોઈ ગબડેલ વ્યક્તિને હાથ-સાથ આપી ઉપર લાવશો તો પણ એનાં જીવનમાં તમારું સ્થાન-માન અદકેરું બનશે અને વ્યાપક અર્થની રીતે તમે કોઈ માર્ગપતિતને હાથ-સાથ આપી ઉપર લાવશો તો એનાં જીવનમાં તમારું સ્થાન લગભગ ભગવાન જેવું ઉત્તમ બની જશે. માટે હાથનો અર્થાત્ ક્ષમતાનો-સામર્થ્યનો ઉપયોગ કોઈ ગબડેલને ઉપર ઉઠાવવામાં કરીએ.

(૫) આ હાથથી દેવ-ગુરુને સદાવંદન કરીશ :- પરસ્પર વિરુદ્ધ ગુણધર્મો ધરાવતી બાબતો ઘણી વાર એક જ સ્થળે જોવા મળતી હોવાનું પ્રતિપાદન એક શાયરીમાં આવું કરાયું છે કે :

હર હાથમેં પ્રહાર ભી હૈ ઔર પ્રણામ ભી હૈ, હર દિનમેં સુબહ ભી હૈ ઔર શામ ભી હૈ, ચુનાવ કરના આપ કે જિમ્મે મેં હૈ, હર દિલમેં રાવણ ભી હૈ ઔર રામ ભી હૈ...

આપણને આમાં નિસબત છે હાથની વાત સાથે. જો દિલની રાવણવૃત્તિ નકારાત્મક અને રામવૃત્તિ સકારાત્મક છે, તો હાથની પ્રહારવૃત્તિ નકારાત્મક અને પ્રણામવૃત્તિ સકારાત્મક છે. પરંતુ પ્રણામવૃત્તિ ય બે પ્રકારની છે : એક સ્વાર્થની અને બીજી પરમાર્થની. 'ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે' એ કહેવતને અનુસરીને પ્રણામ કરવા પડે તો એનાથી દુન્યવી લાભ ભલે કદાચ થાય. પરંતુ આત્મહિતની દ્રષ્ટિએ એનું કોઈ મૂલ્ય નથી. જે પ્રણામવૃત્તિ પરમાર્થની હોય એટલે કે ગુણપ્રાપ્તિની-દોષનાશની વૃત્તિથી ગુણસમૃદ્ધ તત્ત્વોને નમસ્કાર કરવાની હોય એ સાચી સકારાત્મક પ્રણામવૃત્તિ છે.

જૈન પરંપરામાં આવાં ગુણસમૃદ્ધ તત્ત્વો બે દર્શાવ્યા છે : એક છે દેવ અર્થાત્ અરિહંત અને સિદ્ધ ભગવંતો. ઘાતીકર્મોથી તેમજ સર્વકર્મોથી રહિત આ દેવ દોષોનો અંશમાત્ર નથી હોતો અને ગુણો અનંત હોય છે. એમને કરાતો નિ:સ્વાર્થભાવનો નમસ્કાર પરમાર્થભાવની પ્રણામવૃત્તિ છે. શ્રવણ-શ્રવણી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના લોકો સદસ્યો આજે ય એવા છે કે જેઓ તે દેવને પ્રણામ વંદન કર્યા વિના મુખમાં અન્ન-જલનો કણ પણ લેતા નથી ! એક સરસ ઘટના યાદ કરીએ પરમાત્માના વંદન-નમન-પૂજનના સંદર્ભની.

અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઈ.સ. ૧૯૭૭માં મુંબઈ મહાનગરથી શ્રી શત્રુંજયગિરિરાજનો બહોંતેર દિવસનો દીર્ઘ અને બે હજાર યાત્રિકોયુક્ત છ 'રી' પાલક પદયાત્રામહાસંઘ યોજાયો હતો. આ પદયાત્રાસંઘ યાત્રિકરૂપે મુંબઈ-માટુંગાના હરિભાઈ નામે સિત્તેરથી વધુ વયના ગૃહસ્થ જોડાયેલ હતા. એમણે યાત્રાસંઘમાં બે નિયમ અપનાવ્યા હતા. એક એ કે પદયાત્રાવિહાર એક સાથે બાર-પંદર-અઢાર-એકવીશ કિલોમીટરના હોય તો ય સંપૂર્ણ વિહાર ચાલીને જ કરવો. એકાદ મિનિટ માટે ય વાહનનો ઉપયોગ ન કરવો. બીજો નિયમ એ કે સંઘના વિહારક્રમથી અંદરના અંતરિયાળ ગામોમાં પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં જિનમંદિર મળતું હોય તો એટલા કિલોમીટરનો 'એકસ્ટ્રા' વિહાર કરીને પણ ત્યાંના પરમાત્માનાં વંદન-પૂજન કરવાના જ. સિત્તેરથી વધુ વર્ષની વયે ક્યારેક એકવીશ+પાંચ મળી કુલ છવીશ કિલોમીટરનો વિહાર ખુલ્લા પગે કરી બપોરે બે-અઢી કલાકે પદયાત્રાસંઘના પડાવે પહોંચવું એ અતિશય કઠિન બાબત હતી. છતાં તેઓ હાથનો ઉપયોગ દેવનાં વંદન-પૂજન કરવા આટલું જબરજસ્ત કષ્ટ સહર્ષ સ્વીકારતા...

ગુણસમૃદ્ધ બીજું તત્ત્વ છે સદ્દગુરુભગવંત. એમણે ભલે ઘાતી કર્મ કે સર્વ કર્મના ક્ષય  નથી કર્યો. પરંતુ કર્મક્ષયના માર્ગે એ સર્વાધિક પ્રયત્નશીલ હોય છે. એટલે જ દેવની જેમ ગુરુનાં વંદનને પણ ધર્મમાર્ગે એટલું જ મહત્ત્વ અપાય છે. જૈન અભ્યાસીઓને જે ત્રણ ભાષ્યો કંઠસ્થ કરાવાય છે એમાંના બે ભાષ્યોનાં નામ છે ચૈત્યવંદનભાષ્ય અને ગુરુવંદનભાષ્ય. ચૈત્યવંદનભાષ્યમાં પરમાત્માનાં વંદનનું-પૂજનનું વિસ્તૃત વિવરણ છે, તો ગુરુવંદનભાષ્યમાં સદ્ગુરુનાં વંદનનું વિસ્તૃત વિવરણ છે. અમને મુંબઈ-વાલકેશ્વર સુપાર્શ્વનાથ જૈન સંઘમાં એક પુણ્યાત્મા એવા મળ્યા હતા કે જેમણે ઉપાશ્રયે આવીને નિત્ય ગુરુવંદનનો નિયમ કર્યો છે. જે દિવસે તેઓ સુધર્માસ્વામી પ્રવચનપીઠને વંદન કરે. નામ છે એમનું સુમનભાઈ.

છેલ્લે વંદનસંબંધી સરસ પંક્તિ દ્વારા સમાપન કરીએ કે :

કરું દેવ - ગુરુને વંદન... તૂટે મારાં ભવનાં બંધન....

Tags :