ચૌદસો વર્ષની વયના સિદ્ધયોગી ચાંગદેવ સોળ વર્ષની વયના સંત જ્ઞાાનેશ્વરના શિષ્ય બન્યા !
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
મ હારાષ્ટ્રના સિદ્ધ અને યોગી સંતોમાં મહાત્મા ચાંગદેવનું નામ પ્રસિધ્ધ છે. તે બ્રહ્મવિદ્યાના જાણકાર જ્ઞાાનીપુરુષ હતા. તેમના અનેક શિષ્યો હતા. તે અનેક મઠોના અધિપતિ પણ હતા. યોગસાધનાથી તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ગોદાવરી નદીના તટ પર પુણબાંબે શ્રેત્રમાં મહાત્મા ચાંગદેવનો આશ્રમ હતો. યોગિરાજ ચાંગદેવ મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાાનેશ્વરના સમકાલીન હતા. સંત જ્ઞાાનેશ્વરનો જન્મ ઇ.સ. ૧૨૭૫માં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં પૈઠણ પાસે આપેગાંવમાં ભાદરવા વદ આઠમના રોજ થયો હતો. તેમણે માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ આ સંસારનો ત્યાગ કરી સમાધિ ગ્રહણ કરી લીધી હતી. એકદમ નાની વયમાં જ તેમણે વેદો-ઉપનિષદો-બ્રહ્મસૂત્ર-ગીતા અને વિવિધ પુરાણોનું જ્ઞાાન ગ્રહણ કરી લીધું હતું. તે સાથે અનેકવિધ યોગસિદ્ધિઓ પણ મેળવી લીધી હતી. ચાંગદેવજી સંત જ્ઞાાનેશ્વરના શિષ્ય બન્યા એની પાછળ પણ સુંદર રોચક કથા જોડાયેલી છે.
એવું કહેવાય છે કે સંત ચાંગદેવની ઉંમર ૧૪૦૦ વર્ષની હતી. તેમણે યોગ બળ અને સિધ્ધિઓ થકી મૃત્યુને ૪૨ વખત પાછું ઠેલ્યું હતું. તેમણે પોતાના યોગ બળથી એ જાણી લીધું જ્યારે એમની ઉંમર ૧૪૦૦ વર્ષની થશે ત્યારે તેમને ૧૬ વર્ષની વયના ગુરુ મળશે. ચાંગદેવે સંત જ્ઞાાનેશ્વરના યોગબળના ચમત્કારો વિશે સાંભળ્યું ત્યારે તે તેમનાથી પ્રભાવિત થયા હતા અને એમને મળવાની ઇચ્છા થઇ હતી. પરંતુ એમના કેટલાક શિષ્યોએ એમને કહ્યું હતું કે તમે તો મહાન યોગી અને સિદ્ધપુરુષ છો. જ્ઞાાનેશ્વર તો બાળક છે તમે એમને સામેથી મળવા જાઓ તો તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચશે. આ સાંભળી તેમનામાં અહંકાર ઉદ્ભવ્યો અને તેમને મળવા ન ગયા.
એમ છતાં ચાંગદેવે સંત જ્ઞાાનેશ્વરને પત્ર લખવાનું વિચાર્યું. તે લખવા બેઠા ત્યારે ભારે અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયા કે તેમને આરંભમાં સંબોધન શું કરવું ? આદરણીય, પૂજ્ય લખવું કે ચિરંજીવી લખવું ? આ બાબતમાં કંઇ સૂઝ ન પડવાથી તેમણે એ કાગળ કોરો જ મોકલ્યો. એ કોરો પત્ર જોઈ બધાને આશ્ચર્ય થયું. જ્ઞાાનેશ્વરના બહેન મુક્તાબાઈ પણ જ્ઞાાની અને સંત હતા. તેમણે પત્રવાહકને કહ્યું - 'તમારા યોગીજી ચૌદસો વર્ષની તપસ્યા પછી યે આ પત્રની જેમ કોરા ને કોરા રહી ગયા' આ સંદેશો સાંભલ્યા પછી ચાંગદેવની સંત જ્ઞાાનેશ્વરને મળવાની ઉત્કંઠા અત્યંત વધી ગઈ.
મુક્તાબાઈ પાસેથી મળેલો ચાંગદેવનો કોરો પત્ર જ્ઞાાનેશ્વરે એમના ભાઈ નિવૃત્તિનાથને આપ્યો. તેમણે કહ્યું 'જ્ઞાાનદેવ ! આ એ મહાન સિદ્ધ પુરુષનો મૂક પત્ર છે જે અંદર-બહાર કોરો અને સ્વચ્છ છે. એમના પત્રનો યથાર્થ ઉત્તર લખો.' એની આજ્ઞાા શિરોધાર્ય કરી સંત જ્ઞાાનેશ્વરે ૬૫ ઓવિયોમાં જવાબ લખ્યો. એ ૬૫ ઓવિયોને 'ચાંગદેવ પૈંસઠી' કહેવામાં આવે છે.
તેમાં જ્ઞાાનેશ્વરે લખ્યું - 'તમે જે મૂક-નિઃશબ્દ છો તેનાથી તમે એ જ જાણવા માગો છો કે વેદ શાસ્ત્રોમાં વર્ણન કરાયેલું બ્રહ્મ જે મન અને વાણીને માટે અગમ-અગોચર છે તેને હું ચાંગદેવ પણ જાણું છું. તે અનિર્વચનીય તત્ત્વને લેખન દ્વારા વ્યક્ત કરવામાં તમે સક્ષમ હો તો આ કાગળ પર લખો. તેનાથી જો મારું સમાધાન થશે તો હું જાણીશ કે તમે મારા સદ્ગુરુ છો. નહીં તો આ કાગળ જેવો કોરો છો એવો જ હું કોરો અને તમે પણ કોરા. એ જાણીને હું ચૂપ રહીશ.'
સંત જ્ઞાાનેશ્વરનો આ પત્ર વાંચી યોગિરાજ ચાંગદેવ એમના શિષ્યોની વિશાળ ફોજ લઇને એમને મળવા આવ્યા. તે વખતે પોતાની યોગશક્તિ અને સિદ્ધિઓનું પ્રદર્શન કરવા વાઘ ઉપર સવાર થઇ હાથમાં સર્પની ચાબુક લઇને નીકળ્યા. જ્યારે સંત જ્ઞાાનેશ્વરને જાણ થઇ કે યોગિરાજ ચાંગદેવ એમને મળવા આવી રીતે આવે છે ત્યારે તેમનું આગળ જઇને સ્વાગત કરવું જોઇએ. એ સમયે સંત જ્ઞાાનેશ્વર એમના બે ભાઈઓ નિવૃત્તિનાથ અને સોપાનદેવ તથા બહેન મુક્તાબાઈ સાથે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તેમણે એ ઓટલાને ચાલવાનો અને હવામાં ઉડવાનો આદેશ કર્યો. એમની દૈવી શક્તિથી જાણે એ નિર્જીવ ઓટલામાં પ્રાણ પ્રવેશી ગયા હોય તેમ તે ચાલવા અને ઉડવા લાગ્યો.
જ્યારે ચાંગદેવે આ દ્રશ્ય જોયું તો તેમના વિસ્મયનો પાર ન રહ્યો. તેમને પ્રતીતિ થઇ ગઈ કે સંત જ્ઞાાનેશ્વરની સિધ્ધિઓ મારાથી પણ ચડી જાય તેવી છે કેમ કે મારો અધિકાર કેવળ પ્રાણીઓ પર છે જ્યારે જ્ઞાાનેશ્વરનો અધિકાર નિર્જીવ વસ્તુઓ પર પણ છે ! તેમનું જ્ઞાાન અને યોગબળનું અભિમાન દૂર થઇ ગયું. પછી વાઘ ઉપરથી ઉતરીને તે સંત જ્ઞાાનેશ્વરના પગમાં પડી તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા અને તેમના શિષ્ય બની ગયા.