ફાગણના રંગે... હોળીનાં સંગે...
વસંતનાં રંગ- રાગની વચ્ચે પ્રવેશતી હોળી- ધૂળેટીનાં રંગો મોજ- મસ્તીની વર્ષા કરે છે. એના રંગમાં સૌને રંગાવું પડે છે. આમાં ભક્તિનો રંગ પણ ભળે છે.
ભા રતીય સંસ્કૃતિમાં હોળીનું પર્વ, ને અનેરા આનંદો ઉલ્લાસનું શ્રેષ્ઠ રસોત્સવ મનાયું છે. આ તહેવારમાં રંગોનાં છાટણાં સાથે નૃત્ય-ગીત, હસી-ખુશી, મોજ-મસ્તીનો ત્રિવેણી સંગમ રચાતો હોય છે. વસંત- પંચમીથી રંગપંચમી રંગપંચમી સુધીનો સમયએ પ્રણયનાં રંગ-રાગમાં ભીંજાવાનો- પલળવાનો અને બીજાને પલાળવાનો અદ્ભૂત અવસર છે. ખરેખર હોળી- ધૂળેટી એ વસંતઋતુનો યૌવન કાળ છે.
આ રંગરાસનાં આનંદોત્સવમાં એક તરફ વનશ્રી પૂર બહારમાં ખીલી ઉઠે છે તો માનવ- ઊર્મિઓનો ઉલ્લાસ એની ચરમસીમાએ પહોંચે છે. ફળ-ફૂલોની ડાળી-ડાળીએ તાજગી ટહુકા કરે છે. બીજી તરફ ખેતરોના દ્યાન પરિપકવતાની ધન્યતા પામીને પ્રસન્ન ચિત્તે લહેરાવા લાગે છે.
પ્રકૃતિનાં આ રંગીન પ્રભાવથી માનવી કઈ રીતે અલિપ્ત રહી શકે ? રંગ- રસનાં ઉલ્લાસમાં એનું મન પ્રફુલિત થઈને ઉન્મતાથી ઝૂમી ઉઠે છે. કવિવર, રવિન્દ્રનાથ ટાગોરે ફાગણનાં સૂર્યની ઉષ્માને 'પ્રિયલિંગન- મધૂ- માધુર્ય સ્પર્શ જેવી દર્શાવતા વર્ણવ્યું છે.' સહસ્ત્ર, સહસ્ત્ર મધુમાદક સ્પર્શોથી આલિંગન આપી રહેલા આ કિરણોએ ફાગણની આ વાસંતી સવારને સુગંધિત સ્વર્ણથી આચ્છાદિત કરી છે.
વસંતનાં રંગ- રાગની વચ્ચે પ્રવેશતી હોળી- ધૂળેટીનાં રંગો મોજ- મસ્તીની વર્ષા કરે છે. એના રંગમાં સૌને રંગાવું પડે છે. આમાં ભક્તિનો રંગ પણ ભળે છે.
એટલે જ તો ભજનમાં ગવાય છે ને 'તું રંગાઈ જાને રંગમાં'... રસરાજ કૃષ્ણ અને આહલાદિની રાધા વ્રજમાં જે ઉલ્લાસથી ઉજવાતા આ હોળીનાં રંગોત્સવનું રસમય વર્ણન બધા અષ્ટકવિઓએ ખૂબ સરસ કર્યું છે તો પરમાનંદદાસ એમનાં એક પદમાં લખે છે. નંદકુંવર ખેલત રાધાસંગ, જમુનાપુલિન રસ રંગહોરિ નવધનશ્યામ મનોહર રાજત, શ્યામા સુભગતન
દામિની ગોરી, કેસર કે રંગ કલસ ભરે બહુ, સંગ સખા હલદ્યર કી છોરી, હાથિન લિયે કનક પિચકાઈ ।
છિરક્તિ તકિ તકિ નવલ કિશોરી... (પરમાનંદ દાસ' યા સુખકો ચાહત વિમલ મુક્તિ પદ છોરી ।।
આ પદને અંતે કવિ પરમાનંદદાસ કહે છે - ' હું નિર્મળ મુક્તિનું પદ છોડીને વ્રજમાં હોળી ખેલતા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાનાં દર્શનનું સુખ ઇચ્છું છું.
હોળી વખતે વ્રજમાં'રસિયા' ગાવાનો રિવાજ પ્રચલિત છે. રસિયાએ વ્રજ પ્રદેશની લોકગીત કળા છે. આમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું રસ-પ્રચુર વર્ણન છે. વાસ્તવમાં રસિયા એ રાધા- કૃષ્ણને નાયક- નાયિકાનાં રૃપે દર્શાવી, માનવ સંબંધો, પ્રેમ અને ઇશ્વરીય પ્રેમ, ભક્તિનું ગાયન છે. શ્રેષ્ઠ રસિયા ગીતોમાં શૃંગાર- ભક્તિરસનો અનેરો સમન્વય હોય છે. જેમાં પ્રેમના ભાવને પરમાત્મા સુધી ઉન્નત કરે છે.
ખરેખર તો રસિયા એનાં નામ પ્રમાણે રસનાં સાગર જેવા છે. આનંદ અને પ્રેમનાં સાકારરૃપ સમા વ્રજરાજ શ્રીકૃષ્ણ અને વ્રજ રાજેશ્વરી રાધાની દિવ્ય પ્રેમાભિવ્યકિતનું રસમય વર્ણન કરતા રસિયા- કાવ્ય- સંગીતના માધ્યમથી ભાવકનાં હૃદયનાં તાર રણઝણાવી દે છે.
'ખેલન દે મોહે હોરી હો રસિયા,
હોરી રે રસિયા બરજરી રે રસિયા.
'દશ કુમાર ચરિત'માં હોળીને 'મદનોત્સવ' કહી છે. વસંતને કામ સાથે ઉંડો સંબંધ છે. માટે આ વસંત ઋતુમાં કામદેવનું વિશેષ પૂજનનું મહત્વ છે. આમાં પ્રિયજનોનાં સંવનન, પ્રેમનાં આદાન- પ્રદાનનો સુંદર સમય ગાળો છે. વસંત ઋતુ પ્રેમની લાગણીને ઉન્મુક્ત કરે છે. સર્વેશ્વર દયાલ કહે છે, ' ઉદ્યાન મેં ઉડ રહી તિતલિયા, વસંત કે પ્રેમપત્ર છે.
મહાકવિ કાલિદાસ, શ્રીહર્ષ અને મદનોત્સવનું કમનીય ચિત્રણ કર્યું છે. પશ્ચિમ સંસ્કૃતિમાં પ્રેમની અભિવ્યકિત કે એકરાર માટે માત્ર એક જ દિવસ ' વેલેન્ટાઈન ડે' છે. જ્યારે આપણા દેશમાં વસંત ઋતુ કે અષાઢ શ્રાવણ જેવી ઋતુઓનો લાંબો સમયગાળો છે. જેના માટે સંગીતકાર- ગીત - સુગમ સંગીતકાર પુરષોત્તમ ઉપાધ્યાયે ગાયું છે ને,
'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલ્ક્યા વિના કેમ રહીએ ?
કામણ કીદ્યા છે અહીં કેસૂડે એવા
કે મહેંક્યા વિના તે કેમ રહીએ ?
- પરેશ અંતાણી
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar