Get The App

ભગવાનના ચાર પ્રકારના ભક્તો

Updated: Jan 11th, 2018

GS TEAM

Google News
Google News

જેનામાં ભગવાનના સંબંધનું પ્રાધાન્ય છે તે ક્રમશ : ભગવાનની તરફ જ આગળ વધતો જાય છે. અને ભગવાનમય બની જવાથી સમયાંતરે તેનામાં ધનલોલુપતા ઘટતી જાય છે અને સમય આવ્યે ક્ષીણ પણ થઈ જાય છે. આવા ભક્તોમાં ધ્રુવજીનું નામ પ્રસિદ્ધ છે

ભગવાનના ચાર પ્રકારના ભક્તો 1 - imageશ્રી મદ્ ભગવદ્ગીતામાં ભગવાનના કેટલાક એવા ભક્તોનો ઉલ્લેખ છે. જેઓ શાસ્ત્રોક્ત વિધિવિધાન, નૈતિક તેમજ સામાજિક નિયમોનું પાલન કરે છે અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ રાખે છે. અન્યના દુ:ખે દુ:ખી થનારા, જિજ્ઞાાસા ધરાવનારા, ધનની આકાંક્ષા રાખનારા અને જ્ઞાાનની સાધના કરનારા ભક્તો અનુક્રમે આર્તભક્ત, જિજ્ઞાાસુ ભક્ત, અર્થાર્થી ભક્ત અને જ્ઞાાની ભક્ત કહેવાય છે. આવા ભક્તોની અનવરત ચાલતી કર્મ- પ્રવૃત્તિ અહીં પ્રસ્તુત છે.

૧. આર્ત ભક્ત :
 

આર્ત એટલે સંતપ્ત, પીડાગ્રસ્ત. કોઈ આ આફત આવતાં જેઓ દુ:ખી થઈને પોતાનાં દુ:ખો દૂર કરવા માટે ભગવાનને પોકારે છે. તેઓ આર્તભક્ત કહેવાય છે આર્ત એટલે ભીનાશ જોનારો, ભગવાન માટે રડનારો. વિહ્વળ થનારો- જેવા કે સંત નામદેવ. આવો ભક્ત ભગવાનનો પ્રેમ ક્યારે મળે, ક્યારે તેને ભેટું, તેના ચરણકમળમાં ક્યારે સ્થાન પામું. એવી તાલાવેલી ધરાવે છે.

આ ઉપરાંત સૃષ્ટિ આટલી દુ:ખી કેમ છે ? માણસ આટલો ઉદાસીન કેમ છે, એનું ચિંતન તેને હૈયે હોય છે. તે પોતાના દુ:ખથી જ નહિ, અન્યના દુ:ખથી પણ આર્ત બને છે. મીરાં ગાતી હતી :' હરિ ! તુમ હરો જનકી ભીર.' કુંતીએ પણ પ્રાર્થના કરતાં કહેલું : 'પ્રભુ ! મને દુ:ખમાં નાખ જેથી પળેપળ તારું સ્મરણ રહે.' આવી પ્રાર્થના આર્ત ભક્તની હોય છે.

૨. જિજ્ઞાાસુ ભક્ત :

જે સતત જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે ઉત્સુક રહે છે. તેને જિજ્ઞાાસુ ભક્ત કહેવામાં આવે છે. આવો ભક્ત દુ:ખ આવ્યા પછી મનોમન વિચાર કરે છે કે પોતાના દુ:ખનું કારણ શું છે ? દુ:ખ કર્મથી આવ્યું કે દૈવથી ? જગતના લોકો દુ:ખી કેમ છે ? હું શું કરું કે જગતને શક્તિશાળી અને પવિત્ર વિચારો મળે. આ કર્મ માટે ભગવાન પાસે જનારા જિજ્ઞાાસુ ભક્ત છે. આવા ભક્તો સ્વાધ્યાય અને પ્રવચનમાં ખૂબ રસ દાખવે છે, સદ્ગ્રંથોનું અધ્યયન કરી ચિંતન- મનન કરે છે.

જિજ્ઞાાસુ ભક્ત ભગવાન વિશે ઘણું બધું જાણે છે. પરંતુ તેને પામવાની તાલાવેલી સામાન્ય  સ્તરથી આગળ વિસ્તરતી નથી. આવા જિજ્ઞાાસુ ભક્તોમાં ઉદ્ધવજીનું નામ લેવામાં આવે છે. ભગવાને તેમને દિવ્યજ્ઞાાનનો ઉપદેશ આપ્યો હતો. જે 'ઉદ્ધવગીતા' તરીકે ઓળખાય છે.

૩) અર્થાર્થી ભક્ત:

ભગવાનના ચાર પ્રકારના ભક્તો 2 - imageકંઈક લાભ પામવા જે ઇચ્છુક છે તે અર્થાર્થી ભક્ત છે. તે કોઈક વસ્તુ, ધનદોલત કે કીર્તિ મેળવવાની ઇચ્છાથી ભગવાનની પાસે જાય છે. અહીં જગતમાં બીજા કોઈ પાસેથી માગવું એના કરતાં ભગવાન પાસે માંગવું વધારે ઉચિત છે એમ તે માને છે. એટલું જ નહિ, તે ધનપ્રાપ્તિ માટે જયકીર્તન, નામસ્મરણ, ધ્યાન વગેરે કરે છે. અને ભગવાન પાસેથી જે કંઈ મળે તેનો ઉપયોગ પોતે ખૂબ કરકસરથી કરે છે અને ધર્મપ્રીત્યર્થે તેનો ઉદારતાથી ઉપયોગ કરે છે.

જેનામાં ભગવાનના સંબંધનું પ્રાધાન્ય છે તે ક્રમશ : ભગવાનની તરફ જ આગળ વધતો જાય છે. અને ભગવાનમય બની જવાથી સમયાંતરે તેનામાં ધનલોલુપતા ઘટતી જાય છે અને સમય આવ્યે ક્ષીણ પણ થઈ જાય છે. આવા ભક્તોમાં ધ્રુવજીનું નામ પ્રસિદ્ધ છે.

૪) જ્ઞાાની ભક્ત :

વસ્તુને યર્થાથ રૃપે જાણનારો જ્ઞાાની ભક્ત કહેવાય છે. આવા ભક્તને જે દેખાશે તે બધું જ ભગવાનનું સ્વરૃપ હશે. કુરૃપ- સુરૃપ, રાય-રંક, સ્ત્રીપુરુષ, પશુપંખી- બધામાં તેને ભગવાનનાં દર્શન થાય છે. ગંભીર સાગરમાં તેને ઇશ્વરનો વિલાસ દેખાય છે. ગાયમાં તેને ઇશ્વરની વત્સલતાનો અનુભવ થાય છે. ધરતીમાં તેને ક્ષમાનું દર્શન થાય છે.

આકાશમાં નિર્મળતા તેમજ  સૂર્યચંદ્રતારામાં તેને તેનું તેજ અને ભવ્યતા દેખાય છે. ફૂલોમાં તે તેની કોમળતાનો અનુભવ કરે છે. દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ભગવાનનું દર્શન કરે છે. આમ સર્વત્ર ઇશ્વર રહેલો છે. એમ જોવાનો જ્ઞાાની ભક્તનો અભ્યાસ સતત ચાલુ રહે છે. તે ઇશ્વરના સૂક્ષ્મતમ સ્વરૃપને પામવાની સાધના કરે છે અને એમ કરતો કરતો તે એક દિવસ ઇશ્વરમાં ભળી જાય છે આ છે ભગવાનનો જ્ઞાાની ભક્ત.

- કનૈયાલાલ રાવલ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :