'ધનતેરસ' એટલે આરોગ્યનાં દેવતા ભગવાન ધન્વંતરિનો પ્રાદુર્ભાવ દિવસ (ધન્વન્તરિ જયંતિ)
- આસોમાસના કૃષ્ણપક્ષની તેરસ તે ભગવાન ધન્વન્તરિનો પ્રાગટય દિવસ છે. જેને વૈદ્યો ધન્વન્તરી જયંતી' તરીકે ઉજવે છે. અને તેની પૂજા કરે છે
વિ ષ્ણુભગવાનનાં ચોવીસ અવતારોમાં 'શ્રી ભગવાન ધન્વન્તરિ' બારમો અવતાર છે. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદનાં પ્રવર્તક છે. એટલે આયુર્વેદ-આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વન્તરિ છે. જેણે આ જગતને આરોગ્યશાસ્ત્રની ભેટ ધરી છે. માનવીના દુઃખો દુર કરવા માટે તે અવતર્યા હતા. એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્યશાસ્ત્રની ઉત્પતિ અને જન્મ ભારતમાં જ થયો છે. આ એક આપણા સહુ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે.
શ્રી ભગવાન ધન્વન્તરિ દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થઈ. કાશીના મહારાજા દેવોદાસ ધન્વન્તરિના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો. આ ઇતિહાસ ભાગવત્- મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. તેમનું કાર્યક્ષેત્ર વારાણસી(કાશી) પ્રદેશમાં રહ્યું.
આયુર્વેદની સુશ્રુત સંહિતામાં ધન્વંતરિ દિવોદાસનો સાક્ષાત ઇન્દ્રદ્વારા જ વિદ્યા પ્રાપ્તિનો ઉલ્લેખ મળે છે. લોકોપકાર માટે આ આરોગ્ય શાસ્ત્રને પોતાના શિષ્યોને ઉપદેશ કર્યો. આ રીતે વૈદિક જ્ઞાન રૂપી ભૂમિકામાં બ્રહ્માનાં વિજ્ઞાન સંબંધી બીજથી શરૂ કરીને ઉત્પન્ન થયેલો.
- કથા : યમરાજા અને તેના પાર્ષદો વચ્ચે એકવાર સંવાદ થયો કે 'હે યમરાજ ! અમને ઘણી વખત ન લેવા જીવોનો પણ પૃથ્વિ ઉપરથી લાવવા પડે છે. તેવા અકાળ મૃત્યુ એ લેવાતા જીવોની ઉપર દયા આવી જાય છે. આપ એવું કંઈ કે તેવા કુમળા છોડને સશક્ત નિરોગી જીવોને તેને અકાળે મૃત્યુલોકમાં લાવવા પડે છે. અમારા હાથે એવું દુષ્કૃત્ય ન થાય તેવી કૃપા કરો. યમરાજે તેના દુતોને કહ્યું કે આ પૃથ્વી ઉપર જે લોકો આરોગ્યનાં દેવતા 'ભગવાન ધન્વન્તરિ' કે જેમણે માનવના આરોગ્ય માટે આયુર્વેદનું પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું છે. તેની જન્મજંયતિ કે પ્રાગટય દિવસ 'ધનતેરસ'નાં દિવસે તેની પૂજા-સ્મરણ કે વેદના કરશે. તેનાં ઘરે તમારે અકાળે પ્રવેશ કરવો નહિં.
કારણકે તે ભગવાન ધન્વન્તરિ આરોગ્યના દેવતા છે. તે દયાનિધી, કરૂણા સાગર, વિશ્વભરનાં આરોગ્યનાં દાતા અને રોગોને વિનાશ કરનારા દેવતા છે. જે ભગવાન તુલ્ય ઐશ્વર્યવાન છે. તેનું સ્મરણ પણ માનવ માટે સ્વાસ્થ્ય દાયક છે. તેના ઉપાસકોને તમે અકાળે હણશો નહિં. તેવું યમરાજાએ તેના પાર્ષદોને કહ્યું.
આસોમાસના કૃષ્ણપક્ષની તેરસ તે ભગવાન ધન્વન્તરિનો પ્રાગટય દિવસ છે. જેને વૈદ્યો ધન્વન્તરી જયંતી' તરીકે ઉજવે છે. અને તેની પૂજા કરે છે. આ સૃષ્ટિના એ પ્રથમ તબિબ છે. જેણે અષ્ટાંગ આયુર્વેદ આપી, દુઃખી, રોગોથી પીડિતજનો, સ્વાસ્થયને ઝંખનારા માટે તે આરોગ્યના દેવતા તરીકે ઓળખાય છે.
- ધન્વન્તરિની પૂજાઃ આ ધન્વન્તરિ જયંતિ- ધનતેરસના દિવસે જેકોઈ પોતાના ઘરનાં પ્રવેશદ્વારનાં ઉબરે દિપક મુકીને સાંજના સમયે જો ધન્વન્તરિનો ફોટો હોય તો તે મૂકીને ન હોય તો તેનું સ્મરણ કરીને સંધ્યા વખતે ધન્વન્તરિની પૂજા કે વંદન કરે છે. તે ઘરમાં અકાળ મૃત્યુ પ્રવેશી શકતું નથી. અને ભગવાન ધન્વન્તરિ તેનું રક્ષણ કરે છે. ઐશ્ચર્ય આપે છે. આશિષ આપે છે. આ ભારતીય સંસ્કૃતિની આરોગ્યની ગાથા છે. આ ભગવાન ધન્વન્તરિનું મહાત્મ્ય અને પ્રભુત્વ છે.
મહાભારતની લડાઈમાં ભગવાન ધન્વન્તરિનાં સાંપ્રદાયિક અશ્ચિન દેવોએ પક્ષપાત વિના કૌરવો-પાંડવોના બન્ને પક્ષોનાં ઘવાયેલાઓની પક્ષપાત વિના તટસ્થ ભાવે શ્રી સુષેનવૈદ્યે શ્રી લક્ષ્મણજીની સુશ્રુષા કરેલી.
ભગવાન ધન્વન્તરિની ચાર ભૂજાઓ છે. જેમાં આયુર્વેદ- ઔષધી-શંખ તથા અમૃતકુંભ ધારણ કરેલા છે. અને દેવતાઓને અમૃતઆપી આરોગ્ય અર્પણ કરેલું. વેદોના મંત્રોથી - મંત્રયુક્ત ઔષધીઓથી આરોગ્ય રક્ષાની વાત આદિકાળથી ચાલતી આવી છે. મહાભારતમાં શસ્ત્રક્રિયા (સર્જરી) કરનાર સુશ્રુત સાંપ્રદાયિક વૈદ્યો પણ હતા.
'શ્રીમદ ભાગવતમાં તથા સુશ્રુત સંહિતામા ધન્વન્તરિના પ્રાદુર્ભાવની કથા છે. સમુદ્રમંથન વખતે અમૃતકલશ લઈને તેઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા. બીજા જન્મમાં કાશીના નરેશ દિવોદાસનાં રૂપમાં ધરતી ઉપર પ્રગટ થઈ. સ્વમુખે આયુર્વેદનો ઉપદેશ સુશ્રુતઆદિ શિષ્યોને આપ્યો હતો.
પોતાનો પરિચય આપતા સુશ્રુતસંહિતા સૂત્રસ્થાન તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ' અહં ધન્વન્તરિ દેવો । હું ધન્વન્તરિનાં રૂપે અકાળમૃત્યુ-ઘડપણ- તથા વ્યાધિઓના વિનાશ માટે શસ્ત્રક્રિયાનું પ્રધાન સ્વરૂપ લઈને આયુર્વેદનાં અવતરણ માટે પૃથ્વિ ઉપર પ્રગટ થયો છું.'
'ભગ'નો અર્થ ઐશ્વર્ય થાય છે કે અપાર શક્તિ એવો થાય છે. ધન્વન્તરિમાં અપાર ઐશ્ચર્ય, અચિંત્ય દૈવશક્તિ, પરાક્રમ,યશ, શ્રી, અને સંશય વિનાનું ત્રિકાળ સત્ય તેવું જ્ઞાન હોવાથી તે ભગવાન કહેવાયા છે. જીવનનું શ્રેષ્ઠ સુખ આરોગ્ય છે. એટલે આરોગ્યનાં દાતા-આરોગ્યનાં રક્ષક તેવા બિનસાંપ્રદાયિક દેવતા ભગવાન ધન્વન્તરિ વૈશ્વિક આરોગ્યનાં દેવ છે. લોકોનાં દુઃખો દૂર કરવા- વ્યાધિમુક્ત કરવાની વિચારધારા-ઉપદેશ આપનાર તબિબીક્ષેત્રનાં પ્રથમ વિભૂતિ ભગવાન ધન્વન્તરિ તે ભારતનાં ગૌરવ સમાન વૈશ્વિક દેવ છે.
- તેની પ્રાર્થનાનો શ્લોક :
धन्वन्तरि धृत कशमुतकुभं,
पिताम्बर सफल सिद्ध सुरेन्द्र वंधीम ।
वन्दे अरविन्द नयनम मणि माल्यम्,
आयुर्वेद प्रवर्तक,
मनुस्मृति, रोगनाशनम् (સુશ્રુત સૂત્રસ્થાને)
'હાથમાં અમૃતથી પરિપૂર્ણ કુંભને ધારણ કરેલા. પિતામ્બર વસ્ત્રથી સુશોભિત, સર્વેસિદ્ધિવાળા, સરેન્દ્ર, દ્વારા વંદનીય, કમળ સમાન નેત્રોવાળા આયુર્વેદનાં પ્રવર્તક, તેમજ જેના સ્મરણ માત્રથી રોગોનો નાશ થાય છે. તેવા ભગવાન ધન્વન્તરિને હું પ્રણામ કરૃં છું. અમારા સ્વાસ્થનું રક્ષણ કરો અને અમારા આરોગ્યની રક્ષા કરો. આ મંત્ર આપણી રોગ પ્રતિકારક શક્તિ, આત્મબળ, આત્મવિશ્વાસ, દેવો-ઔષધીઓ ઉપરની શ્રધ્ધા વધારનાર છે. માંદગીમાં કે ઔષધગ્રહણ કરતી વખતે 'જયધન્વન્તરિ 'ત્રણવાર બોલવું જોઈએ.
- ગુજરાતમાં ધન્વન્તરિનું મંદિરઃ રાજ વૈદ્ય શ્રી રસિકભાઈ પરીખનાં મત- અભ્યાસ પ્રમાણે સમુદ્રમંથન સૌરાષ્ટ્ર પાસેના સમુદ્રમાંજ થયો હતો. અને વારાણસીથી નિવૃત્ત થઈને ભગવાન ધન્વન્તરિએ પોતાના આશ્રમ અહીં જ સૌરાષ્ટ્રમાં મોટી ઘણે જ (તાલુકો માળિયાહારિના) જીલ્લો જુનાગઢ માંજ બનાવ્યો હતો. આજે પણ અહિં ધન્વન્તરિ આશ્રમ આવેલો છે. તક્ષક ગુફા, ધન્વન્તરિ વડલો કશ્યપગંગાઘાટ આદિ અવશેષો પણ જોવા મળે છે. આ મોટી ઘણેજ ગામને 'ધન્વન્તરિ ઘણેજ કહેવાય છે. અહીં ધન્વન્તરિ મેળો પણ ભરાતો હતો. લોકો તેને ધનેતર ના મેળા તરીકે ઉદ્બોધન કરતા. ત્યાં ભગવાન ધન્વન્તરિની સમાધિ પણ છે. અહી લોકો કોઈ વનસ્પતિ ચઢાવીને આરોગ્યની પ્રાર્થના કરે છે. અહીં ભગવાન ધન્વન્તરિએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. વૈદ્ય અશ્ચિની કુમારો જે દેવોના વૈદ્યો કહેવાતા હતા તેનું સ્થાન સુરતની પાસે તાપી (તાપ્તિ) નદીનાં તટ પર આજે પણ વિદ્યમાન છે. અહીં અશ્ચિનીકુમાર નામનું ગામપણ છે. ત્યાં એક નાનકડો વડલો છે. આ પ્રદેશના લોકો ખાસ કરીને સંતાન માટે એ વડની બાધા રાખે છે. અને અશ્વીની કુમારોની પૂજા-અર્ચના કરીને તેને સુતર બાધી તેની પ્રદક્ષિણા કરે છે.
ભગવાન શંકર પણ એક રસવૈદ્ય હતા. પારદ-ગંધકનું જ્ઞાન તેને વિશ્વને આપ્યું. અને તે સિદ્રોના ગુરૂ દત્તાત્રેયે રસવિદ્યાનો અવિષ્કાર કર્યો- સંશોધન કર્યું. દત્તાત્રેયનું સ્થાન પણ સૌરાષ્ટ્રનાં ગિરનાર પર્વત પર રહ્યું છે. ચ્યવનઋષિનો આશ્રમ ઉત્તરગુજરાતનાં ભિલોડા ગામ પાસે આવેલ છે. ગૌતમઋષિનો આશ્રમ સૌરાષ્ટ્રનાં સિહોર પાસે ગૌતમી નદીનાં તટ પર આજે પણ છે. ઋષિવર્ય માર્કન્ડેયનો આશ્રમ નર્મદા તટ પર સુરપાણેશ્વરમાં આજે પણ મોજુદ છે. મહાનઋષિ વિશ્વામિત્રનો આશ્રમ વડોદરાની પાસે વિશ્વામિત્રી નદીના તટ પર આજે પણ મોજુદ છે. વૈદ્ય અશોકભાઈ તળાવિયાએ આના ઉપર બહુ સંશોધન કરેલું છે.
આવા આરોગ્યદાયક ભગવાન ધન્વન્તરિ તથા દરેક ઋષિઓને પ્રણામ સાથે 'જયધન્વન્તરિ'.
- ડો.ઉમાકાંત જે.જોષી