'જ્યાં ભક્તિભાવ ભર્યું નમન છે ત્યાં બધું જ પવિત્ર છે. ભક્તિ કરે તેને નિંદાનો ભય ન હોય. ભગવાન તેના સાચા ભક્તોને તેની ભક્તિ માધ્યમથી સદા સહાય કરતો રહે છે. ભગવાન તો તેનાં સંતો દ્વારા ખોલે છે. ભગવાન કહે છે કે હું મારા શબ્દોમાં નથી પણ શબ્દોમાંથી તમે જે કંઈ પામી શકો તેમાં છું.
શ્રદ્ધા એ ભક્તિની માતા છે. પોતાનામાં જે આત્મતત્વ છે તેને પૂર્ણ સ્વરૂપ આપી પૂર્ણતાને એટલે કે પરમાત્મા ને પામવા માટેની ક્રિયા તે ભક્તિ છે. અધ્યત્મ અથવા સાધના તેના સ્વરૂપો છે. ભક્તિની રીતો અને માર્ગો અનેક છે. તેનાં નવ પ્રકાર તુલસી રામાયણમાં વર્ણવ્યા છે જેને 'નવધા ભક્તિ' કહે છે.
વિનોબાજીએ નોંધ્યું છે કે - 'ભગવાને નારદને કહ્યું હતું કે 'વૈકુંઠ જેવા ઉત્તમ ધામમાં પણ કદાચ હું ન હોઉં એકાંતમાં ધ્યાન કરનાર યોગીઓનાં હૃદયમાં પણ હું ન હોઉં. એમ બંને સૂર્યમંડળમાં સૂર્ય જેવા પ્રકાશના ધામમાં પણ હું ન હોઉં પરંતુ હે નારદ ! મારા ભક્તો જ્યાં મારું ભજન કરે છે ત્યાં હું અચૂક હોઉં જ છું.
मद् भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारदः ।
ઇશ્ક એટલે પ્રભુની પ્રત્યેનો પ્રેમ જે ઓછો નથી કે અછતો નથી રહી શકતો. ફુલોમાંથી આપોઆપ પ્રગટ થતી ખુશ્બુની માફક પ્રભુ પ્રેમની ખુશ્બુના પ્રવાહ સમગ્ર જીવનમાં પ્રસરી રહે છે. ઓછું શારીરિક કષ્ટ સહન કરવું પડે તે પ્રકારનો ભક્તિયોગ ઘણો સરળ છે.
કળિયુગમાં ભક્તિ કે સંકિર્તન પ્રભુ પ્રાપ્તિનું મહામૂલું સાધન છે. ભક્તિ ધરાવતી વ્યક્તિ જે પ્રકારની શક્તિ પ્રાપ્ત કરે છે તે શક્તિ થકી તે ભક્ત પોતે જ તીર્થધામ સમો બની જાય છે. ભક્તિમાં ભગવાનની અદ્રશ્ય શક્તિ કાર્યશીલ બને છે. ભક્તિની શક્તિ દ્વારા ભક્તોનાં હૃદયમાં પ્રભુના પ્રકાશનો આનંદ (પ્રેમપ્રદીપ) પ્રગટ થાય છે જે દિવ્યાનંદરૂપે જીવનમાં પ્રગટે છે.
ના મેં જાનુ આરતી વંદન
ના પૂજાકી રીત...
મેં અનજાની દરશન દીવાની
પાગલ મેરી પ્રીત
- મીરાબાઈ
- ડો. ઉમાકાંત જે. જોષી


