ભક્ત પ્રહલાદનાં ભક્તિ સૂત્રો - મંત્રો .
પ્રહલાદજીએ ભક્તિનાં નવ ભેદો આપ્યા છે,
શ્રવણ કરવું, કિર્તન કરવું, સ્મરણ કરવું, પંડિતો તથાપ્રભુનો સ્પર્શ કરવો (પાદસેવ નમઃ) અર્ચના કરવી, વંદન કરવા દાસપણાનો ભાવ રાખવો, અને આત્મનિવેદન કે સમર્પણ આવી નવધા ભક્તિ પ્રહલાદે આપણને સહુને આપી છે.
શ્રી મદ્ ભાગવત સાતમાં સ્કંધમાં પ્રહલાદ ભક્તનું આખ્યાન આવેલું છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હિરણ્યકશિપુને ચાર પુત્રો હતા. સંહલાદ, હલાદ, અનુહલાદ અને પ્રહલાદ. તે ચાર પુત્રો અને સિહિકા નામની એક પુત્રી હતી (૬-૧૮-૧૩)માં આ નામોનો ઉલ્લેખ છે.
તેમાં પ્રહલાદ સૌથી નાનો છતાં ગુણોમાં સૌથી મોટો હતો. સૌમ્ય સ્વભાવનો હતો. હલાદ એટલે આનંદ, પ્રહલાદ એટલે પ્રશિષ્ટ આનંદ પુષ્કળ આનંદ. પ્રહલાદ અસુર પુત્ર હોવા છતાય તેનામાં આસુરી સંપત્તિનો લેશ માત્ર અંશ ન હતો. એ સાત્વિક આનંદથી ભર્યો પૂર્યો હતો. એ સર્વગુણ સંપન્ન છતાં નિરાભિમાની પ્રભુનો ભક્ત હતો.
તેના પિતા હિરણ્યકશિપુ તેની ભક્તિનાં તદ્દન વિરોધી હતા. તેને ભગવાન વિષ્ણુ નામ જ પ્રિય ન હતું. તેથી તેણે પ્રહલાદને તેમાંથી મુક્ત કરવા મારવા કાંઈ જુલમો ગુજાર્યા, પર્વત ઉપરથી ફેંક્યો, અંધારી ઓરડીમાં પૂર્યો, હાથીના પગ નીચે કચડાવ્યો, શમ્બાસુર પાસે અનેક માયાવી પ્રયોગો કરાવ્યા, વિષનાગથી કરડાવ્યો, સમુદ્રમાં નાખ્યો. આગમાં (હોળીમાં) નાખ્યો પરંતુ પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. જેનો બચાવનારો હરિ હોય તેને કોણ મારી શકે ?
આપણે પણ આસૂરી વૃત્તિ નાશ કરવા એ સાત્વિક વૃત્તિ ને બચાવવા આજે પણ હોલિલ તહેવારને પ્રેરણા રૂપે સાત્વિક ભાવોના રક્ષણ માટે આને તહેવાર રૂપે ઉજવીએ છીએ.
આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળામાં શરીરમાં જામેલા કફને ઓગાળવા તથા કફનો નાશ કરવા માટે હોળી તાપીએ છીએ અને કફ વિરોધી ધાણી દાળીયા હળદર કોપરૃં વિગેરેનો ઉપયોગ કરીએ છીએ.
પ્રહલાદે આપેલાં
ભક્તિમય જીવન સૂત્રો:
(૧) પ્રહલાદજીએ ભક્તિનાં નવ ભેદો આપ્યા છે, શ્રવણ કરવું, કિર્તન કરવું, સ્મરણ કરવું, પંડિતો તથાપ્રભુનો સ્પર્શ કરવો (પાદસેવ નમઃ) અર્ચના કરવી, વંદન કરવા દાસપણાનો ભાવ રાખવો, અને આત્મનિવેદન કે સમર્પણ આવી નવધા ભક્તિ પ્રહલાદે આપણને સહુને આપી છે. આ નવમાંથી કોઈપણ પ્રકારની ભક્તિ વિષ્ણુ ભગવાનની સમર્પણ ભાવથી કરવી જોઇએ.
(૨) ભક્તિ તો ઘડપણમાં ન થાય. પ્રહલાદ કહે છે કે પાછલી ઉમરે તો સંન્યાસ લેવાય, ભક્તિતો નાનપણથી જ ચાલુ થાય. મુકુંદ ગોવિંદના ચરણાર વિંદનો આશ્રય લીધા સિવાય પ્રાણીનું ક્ષેમ કલ્યાણ ન થાય.
(૩) સુખ અને દુઃખ સહજમાં આવે છે. સુખની આકાંક્ષા જ, દુઃખની જનેતા છે. માટે સુખ માટે વલખાં મારવા જોઇએ નહિ.
(૪) દરેક પ્રાણી માત્ર ઉપર દયા ભાવ રાખવો. દેવ, દાનવ અને માનવમાં દેવતાઓમાં કામ વધારે છે. દાનવોમાં ક્રોધ વધારે છે. માનવોમાં લોભ વધારે છે. જો દેવા કામનું દમન કરે, દાનવો દયા કરે અને માનવો દાન કરે તો તે અનુક્રમે કામ-ક્રોધ અને લોભને જીતે તો તેનું કલ્યાણ થાય.
(૫) પ્રહલાદ અસુરને ત્યાં જન્મ્યો હોવા છતા એનામાં આસુરી વૃત્તિ જરાય નહોતી. પ્રહલાદને ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ પ્રગટ થયેલો.
(૬) સંસાર અંધારાકૂવા જેવો છે. એમાં પડીને આપઘાત કરવાને બદલે વનમાં જઈ શ્રી હરિનો આશ્રય કરવો જોઇએ.
(૭) હરિ વ્યાપક છે, જે સર્વદા અને સર્વત્ર છે. ધગધગતા સ્તંભમાં પણ તે છે.
(૮) હે હરિ ! આપ ધનથી, રૂપથી, તેજથી, બળથી, પૌરુષથી, જ્ઞાનથી પણ પ્રસન્ન થનાર નથી, માત્ર ભક્તિથી જ આપ પ્રસન્ન થાઓ છો. પ્રાણી માત્ર ઉપર પ્રસન્ન થનારા છો.
(૯) સર્વ શક્તિમાન પ્રભુ આપ્તકામ ખુદપવિત્ર હોવાને લીધે તેમને કોઈ પવિત્ર કરી શક્તો નથી. તેમને કોઇની સેવા પૂજાની જરૂર નથી. છતાં કરૂણા વશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમનાવડે કરાયેલી પૂજા તમો સ્વિકારી લ્યો છો.
(૧૦) હે નાથ ! હું સર્વથા અયોગ્ય અને અનાધિકારી હોવા છતાંય નિઃશંકપણે, પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાનના મહિમાનું વર્ણન કરી રહ્યો છું. આ મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીધે સંસારના ચકરાવમાં પડેલો જીવ તત્કાલ પવિત્ર થઇ જાય છે.
(૧૧) હે ભગવાન ! આપ સત્વગુણનાં આશ્રય છો આ બ્રહ્મા વગેરે દેવો આપના આજ્ઞાંકિત ભક્તો છે. તેઓ અમારા દૈત્યોની જેમ આપની સાથે દ્વેષ કરતા નથી, હે પ્રભુ ! આપ મોટા મોટા સુંદર સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતનાં કલ્યાણ અને અભ્યુદય માટે અને તેમને આત્માનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ કરો છો.
(૧૨) જે અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે મરાઈ ચૂક્યો છે.હવે આપ પોતાનો ક્રોધ શાંત કરો. જેમ ઉપદ્રવ કરનારા વીંછી અને સાંપને મારવાથી સજ્જનો પણ સુખી અને આનંદિત જ થાય છે. તેવી રીતે આ દૈત્યનો સંહાર કરવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે બધા આપના શાંત સ્વરૂપને નીરખવા ઇચ્છે છે. આથી હે નરસિંહ દેવ ! ભયથી મુક્ત થવા માટે આપનાં આ રૂપને ભક્તજનો સ્મરણ કરશે.
(૧૩) હે સર્વ શક્તિમાન પ્રભુ ! માયા અને સોળ આરા વાળા સંસાર ચક્રમાં નાખી શેરડીની જેમ પીસી રહી છે. આપ પોતાની ચૈતન્ય શક્તિથી, બુધ્ધિનાં સમસ્ત ગુણોને અને પોતાનાં કાળ-રૂપથી સમસ્ત સાધ્યો અને સાધનોને પોતાને આધિન રાખો છો ! હું આપના શરણમા આવ્યો છું આપ મને બધાથી બચાવી લો અને પોતાના સાનિધ્યમાં ખેંચી લો.
(૧૪) હે ભગવન ! આ સંપૂર્ણ જગત એક માત્ર આપનું જ સ્વરૂપ છે. કારણ કે તેના આદિમાં આપ જ કારણભૂત હતા, અંતમાં આપ જ અવધિરૂપ હશો, અને મધ્યમા એની પ્રતીતિ રૂપે પણ માત્ર આપ જ છો. બધુ આપ જ છો.
(૧૫) હે વૈકુંઠપતિ ! મારૃં મન ઘણુ દુર્દશાગ્રસ્ત છે. તે પાપ અને વાસનાઓથી દૂષિત છે. હર્ષ, શોક ભય તેમજ લોક-પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે. તેને આપની લીલા કથાઓનો રસાનુભવ થતો નથી. તેને લીધે હું દીન થઇ રહ્યો છું. આવા મનથી હું આપનું ચિંતન કેવી રીતે કરી શકું ? આપ જ મારા ઉપર કૃપા કરી તમારી તરફ મને ખેંચો.
(૧૬) હે પરમ પૂજ્ય ! આપની સેવાનાં છ અંગો છે. નમસ્કાર - સ્તુતિ - સમસ્ત કર્મોનું સમર્પણ સેવા પૂજા ચરણ કમળોનું ચિંતન અને આપની લીલા કથાઓનું શ્રવણ આપ જ પોતાના પરમ પ્રિય ભક્તજનોનું પરમહંસોનું સર્વસ્વ જ છો.
ભક્તિ જનઃ પરમ હંસગતૌ લભેત્ ।
(શ્રીમદ ભાગવત સ્કંધ ૭.૯.૫૦)
આ પ્રમાણેની સ્તુતિથી શ્રી નરસિંહ ભગવાન પ્રસન્ન થઇને બોલ્યા - હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ તારૃં કલ્યાણ થાઓ હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું. હે ! આયુષ્યમાન, જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થવા અત્યંત મુશ્કેલ છે.પરંતુ જ્યારે મારા દર્શન થઇ જાય છે પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેતો નથી. હું સમસ્ત મનોરથોને પુરા કરનારો છું તેથી જ બધા મને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.
અસુર કુળનાં ભૂષણ પ્રહલાદજી ભગવાનનાં અનેક પ્રલોભનો આપવા છતા તેમણે કંઇ માંગવાની ઇચ્છા કરી નહીં.
છતાય આપ આગ્રહ કરો છો તો મારા ઉપર એવી કૃપા કરો કે ''મારા હૃદયમાં કોઇ ને કોઇ કામનાઓને તેનાં અંકુર ને ઉખેડી નાખો અને નિર્મળ કરી નાખો જેથી મને બીજી કોઈ ઇચ્છા ન રહે. હું એટલું જ માગું છું કે તમારો દાસ કોઈપાસે કંઇ માગે નહી. હે નારાયણ ! આપના સિવાય મને કંઇ જોઇતું નથી."
विमुच्यति यदा कामान
मानवो मनसि स्थितान् ।
तहयवे पुंडरीकाक्ष
भगवत वाय कल्पते ।। 1)
- શ્રીમદ્ ભાગવત સ્કંધ ૭/૧૦
આપનાં ચરણોમાં હુ ંવારંવાર પ્રણામ કરૃં છું. મારા પિતાના અજ્ઞાનને કારણે આપની નિંદા કરી છે. તેમનો ઉદ્ધાર કરો.
નરસિંહ ભગવાને કહ્યું:
મારા સ્પર્શથી જ તેનો ઉદ્ધાર થઇ ગયો છે. તારા પિતા સ્વયં પવિત્ર થઇને તરી ગયા છે.
તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર જેને મળે છે. તેની એકવીસ પેઢીઓનો ઉદ્ધાર થઇ જાય છે.
આ નરસિંહરૂપનું જે કોઈ વ્યક્તિ એકાગ્રચિતે ધ્યાન ધરશે તેને આવા બધા જ પ્રકારનાં ભયથી બચી જશે અને મૃત્યુમાંથી અમરત્વ પ્રાપ્ત કરશે.
- ડો. ઉમાકાંત જે. જોષી