Get The App

અંતર મન વિકસિત કરો...

Updated: Jun 22nd, 2022

GS TEAM

Google News
Google News
અંતર મન વિકસિત કરો... 1 - image


આ પણે ત્યાં અંતર શબ્દના બે અર્થો છે. ૧. અંતર એટલે તફાવત અથવા દુર કે નજીકનું ૨. અંતર એટલે અંદરનું કે આંતરિક. અંતરની જો વાત કરીએ તો બે પેઢી વચ્ચે પણ એક અંતર અવશ્ય હોય છે. સરકાર પણ બે બાળકો વચ્ચે અંતર રાખવાનું કહેતી હોય છે. રમત જગતમાં પણ થોડાં અંતરના તફાવતથી હાર-જીતની કે પહેલા બીજા ક્રમાંકનો નિર્ણય થતો હોય છે.

આજનો સમય જ્યારે કોરોના મહામારીનો છે ત્યારે સરકારી માર્ગદર્શિકા પણ સામાજિક અંતર (ર્જીષ્ઠૈટ્વઙ્મ ડ્ઢૈજંટ્વહષ્ઠી) રાખવાનું કહે છે. દુકાનો, મોલ કે મંદિરોનાં પ્રાગણમાં ઉભા રહેવામાં અંતર રહે તેથી મોટાં ચકરડાં ચીતરવામાં આવે છે. એક બીજા વચ્ચે અંતર જાળવતાં શીખીએ તો મહામારીમાંથી મુક્તિ કે રાહત મળે તેમ છે.

અંતર નીકટ હોય કે દુર પરંતુ એકબીજાનાં મનમાં અંતર ન રહે તે જોવું જરૂરી છે. દરિયો પણ પોતાની મર્યાદા ઓળંગીને કિનારાની હદ વટાવીને નગરમાં જતો નથી.

અંતરની જરૂર સંબધોમાં પડે છે. જેમકે પતિ-પત્ની, મિત્રો, પરિવારના સભ્યો વિગેરે બે સખીઓ વચ્ચે, મા-દીકરી વચ્ચે કે બે મિત્રો વચ્ચે આંતરિક વાતોની આપ-લે અંતર ન હોય તો જ થઈ શકે છે.

અંતર જ્યારે અનરાધાર વરસે છે ત્યારે આંતરિક નાદનો પડઘો કે પ્રતિબિંબ પડે છે. અંતર અને અત્તર વચ્ચે પણ ભેદ છે. અંતરથી અનંત સુધી પહોંચી શકાય છે. જ્યારે અત્તરની ખુશનુમા સુગંધથી વાતાવરણ મહેકી ઉઠે છે. અંતરનો નાદ અહમ્ને ઓગાળે છે અને અખિલેશ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે. અંતરના દ્વાર ખુલે છે ત્યારે અંદરનો જીવ પણ જાગે છે. અંતરનો નાદ અભ્યુદય લાવે છે. આંતરિક અવાજ અવિનાશી સુધી પહોંચાડે છે. અંતરની અભિલાષા અંબરને અડી જાય પછી ભાગ્ય યારી આપે જ છે.

અંતરમાં ઘણા અંતરાયો પણ આવતા હોય છે. અંતરમાં અંદેશો (વહેમ) રાખવો નહીં. અંતરમાં અજવાળું થાય તો દિલમાં દીવો થયા જેટલો આનંદ થાય છે.

અંતરની અપેક્ષામાં અંકુરો ફુટે તો ફુલની અપેક્ષા રાખી શકાય છે. અંતર અહમ્ને દુર કરે તો ગર્વની લાગણી થાય છે. અંતરથી અહિંસા પણ ન થાય તો સારૂં.

અંતર માટે અલગ અવાજની જરૂર નથી. માતાજીની સ્તુતિ 'વિશ્વંભરી સ્તુતિ' માં પણ એક કડી આવે છે.

'અંતર વિશે અધિક ઉર્મિ થતાં ભવાની ગાઉ સ્તુતિ તવ લખે નમીને મૃડાની.' એક જાણીતી કાવ્ય પંક્તિ પણ છે ઃ અંતર મન વિકસિત કરો અંતર મન હે...

સીતાજીએ લક્ષ્મણે દોરેલી રેખાનું અંતર ન જાળવ્યું તો અપહરણ થયું. પક્ષીઓ પણ અંતર રાખીને ઉડતાં હોય છે. આપણી દૃષ્ટિ પણ દુરની તથા નજીકની એ બે પ્રકારની હોય છે. તેથી ભાવો પણ અલગ અલગ આવે છે.

આપણે નિરંતર પ્રયાસોથી અંતરના ભાવો ઉકેલી શકીએ છીએ. એક બીજા વચ્ચેનો ભેદ કે વિવાદનો અંત લાવી શકીએ છીએ. અંતરનો વિકાસ થાય તો માનસિક શાંતિ મળે છે. અને મન પ્રફુલ્લિત થાય છે.

અંતરથી કરેલી પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે. અંતરના આશિષ પણ કામ કરી જાય છે. અંતરનું આપણા જીવનમાં ખુબ જ મહત્ત્વ છે. અંતરથી રાખેલી શ્રધ્ધા અને સબુરી ધાર્યા કામો કરી આપે છે. આવો પ્રવર્તમાન સમયમાં અંતરના ભેદ ઉકેલવા પ્રયાસો કરીએ અને અનંત સુધી પહોંચવા અનાહતનો નાદ સાંભળવા અહાલેખ ગાવીએ તે જ આજના સમયની માંગ છે.

- ભરત અંજારિયા

Tags :