Get The App

તા: 17 થી 23....વાઘ બારસ ટુ ભાઇબીજ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
તા: 17 થી 23....વાઘ બારસ ટુ ભાઇબીજ 1 - image

ધનતેરસના શુભદિને કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે

- માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના કોડિયામાં રૂની દિવેટ બનાવીને દીવો પ્રગટાવાય છે. હિન્દુ માન્યતા અનુસાર ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે

- ધનતેરસના દિવસે સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની સાંજે પૂજા કરવામાં આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર રંગબેરંગી દિવાઓથી-રોશનીથી  શણગારવામાં આવે છે.. ધનતેરસની રાત્રે, લક્ષ્મી અને ધન્વંતરીના માનમાં આખી રાત દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ થાય છે. વાઘ બારસ, એટલે કે વસુ બારસના દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ગાય વૈદિક પરંપરાઓમાં પવિત્ર સ્થાન ધરાવે છે. તેને ગૌ માતા તરીકે કહીને પૂજવામાં આવે છે. ધન તેરસ વાઘ બારસના પછીના દિવસે આવે છે. ધનતેરશ  એ દિવાળીપર્વના શરુઆતનો બીજો દિવસ છે. તે દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં પુરીને આગણામાં સુશોભન કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે.

ધનતેરસના દિવસે, દિવાળીની તૈયારીમાં જે ઘરોને હજુ સુધી સાફ કરવામાં આવ્યાં નથી તેઓને સંપૂર્ણ રીતે સાફ કરીને ધોળવામાં આવે છે. સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની સાંજે પૂજા કરવામાં આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર રંગબેરંગી દિવાઓથી-રોશનીથી  શણગારવામાં આવે છે.. ધનતેરસની રાત્રે, લક્ષ્મી અને ધન્વંતરીના માનમાં આખી રાત દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમ તો જો કે ધનનાં સ્વામી કુબેર છે

કાળીચૌદશ દિવાળીની આગલી રાત્રે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરશ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણાવાળાં વડાં અને પૂરી, ઘર નજીકનાં ચારરસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ પરંપરાગત રીતે માનવામાં આવે છે.

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરકચતુર્દશી પડેલું છે. કાળીચૌદશ એ મેલીવિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે અને તેઓ એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. હિન્દુ માન્યતા અનુસાર ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ  દિપાવલીમાં ફેરવાઈ ગયો હતો.

દિપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ચોપડા પૂજન માટે દિવાળીનો દિવસ પસંદ કરે છે.

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.

ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.

ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે ત્યારથી જ આ પર્વ મનાય છે.

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામના. અને આ માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.

શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોરમાં ઉજવવામાં આવનાર આગામી દિવાળી તહેવારો

એકાદશી વાઘબારસ

૧૭/૧૦/૨૫, શુક્રવાર

ધન તેરસ

૧૯/૧૦/૨૫, રવિવાર

કાળીચૌદસ દિવાળી (હાટડી)

૨૦/૧૦/૨૫, સોમવાર

અન્નકૂટ (ગોવર્ધન પૂજા)

૨૧/૧૦/૨૫, મંગળવાર

બેસતુ વર્ષ (સંવત-૨૦૮૨) ૨૨/૧૦/૨૫, બુધવાર

ભાઈબીજ

૨૩/૧૦/૨૫, ગુરુવાર

લાભ પાંચમ

૨૬/૧૦/૨૫, રવિવાર

ગોપાષ્ટમી

૩૦/૧૦/૨૫, ગુરુવાર

તુલસી વિવાહ

૦૨/૧૧/૨૫, રવિવાર

પૂનમ (દેવ દિવાળી)

૦૫/૧૧/૨૫, બુધવાર