Get The App

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ 'મા'ના અસ્તિત્વ સાથે જોડાયેલા છે

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ 'મા'ના અસ્તિત્વ સાથે જોડાયેલા છે 1 - image


એક સંત ગામે ગામ ફરતા. મંદિરમાં કે ધર્મશાળામાં નિવાસ કરતા. ભીક્ષામાં જે મળે તે પ્રેમથી આરોગતા અને તેનું ઋણ ચૂકવવા સત્સંગ કરતા. લોકોને ધર્મની, આધ્યાત્મની વાતો કરતા. જીવન જીવવાની રીત શીખવતા. લોકોને કોઈ પ્રશ્નો હોય તો તેનું સમાધાન સરળભાષામાં સમજાવતાં હતા તેથી તેમની ખ્યાતી આજુ-બાજુનાં ગામો સુધી પહોંચી જતી. તેથી જે ગામમાં જાય ત્યાં તેમને સાંભળવા લોકો ઉત્સુક રહેતા હતા.

એક દિવસ સત્સંગમાં કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો: મહારાજ આપ ભગવાન વિશે વાતો ખૂબ કરો છો. તેમની કરુણાની ભક્ત વત્સલ હોવાથી વાતો અમે સાંભળી. પણ શું આપે ભગવાનને જોયા છે ?

સંતે કહ્યું: હા, મેં ભગવાનને સાક્ષાત જોયા છે. હું ભગવાન સાથે રોજ વાતો કરું છું. જેમ તમારી સાથે વાતો કરું છુ તેમ.

લોકોને આશ્ચર્ય થયું.

સંતે સ્પષ્ટતા કરતાં કહ્યું- મને ખબર નથી કે આ શ્રૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કર્યું છે કે નહીં. પરંતુ મને એટલી ખબર છે કે મારું સર્જન મારી માં એ કર્યું છે. મને તેની કોખમાંથી પેદા કર્યો છે. મારા માટે તો મારી માતા બ્રહ્મા છે. મારી માતાએ મારું પાલન કર્યું છે જેવી રીતે ભગવાન વિષ્ણુએ આ સૃષ્ટિનું પાલન કર્યું છે. મારા માતા-પિતા કુટુંબીજનો તથા મારા સંપર્કમાં આવતા દરેક મહાનુભાવોએ મને વિકસીત થવામાં મદદ કરી છે તે રીતે હું એ દરેકમાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરું છું. 

જે રીતે બુરાઈનો નાશ ભગવાન મહેશ (ભોળાશંકર) કરે છે તેમ મારી માતાએ જ મારી ખામીઓ, ખૂબીઓ અને બુરાઈનો નાશ કરીને મને સદ્ગ્રહસ્થ તરીકે જીવવાનું બળ આપ્યું છે. માટે મારા માટે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જેમ ત્રિદેવ. ભગવાન સ્વરૂપ મારાં માતા-પિતા અને તમારા જેવા પરિવારજનો છે. તેમને હું ભગવાન માનું છું. હું રોજ તેમના દર્શન કરું છું અને તેમની સાથે સહજતાથી વાતો કરું છું.

દરેક ગામજનોને સંતોષ થયો.

મારામાં જેવા ભગવાન છે. તેવા જ ભગવાન દરેકમાં છે. તેમ સમજીને એક બીજા સાથે વ્યવહાર કરતાં શીખીએ તેવો બોધ આ પ્રસંગમાંથી લેવાનો છે.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય

Tags :