ભક્તિ માત્ર પ્રભુ માટે .
ગુરૂ હરિદાસ, સમ્રાટ અકબરના દરબારના નવ રત્નોમાંનું એક રત્ન તાનસેનના ગુરૂ. તાનસેન સ્વયં જોરદાર સંગીતકાર હતો, તે જ્યારે ગીત ગાતો ત્યારે ભલભલાના મસ્તક ઝૂકી જતા. અલ્પ સમયમાં તો જાણે આખા રાજદરબારનું વાતાવરણ બદલાઈ જતું.
એક દિવસ કોઈએ અકબરને કહ્યું : 'તાનસેન આટલું જોરદાર ગાય છે, તો તેમના ગુરૂ હરિદાસ કેટલું જોરદાર ગાતા હશે ! તેમને અહીં રાજદરબારમાં બોલાવવા જોઈએ.' અકબર આમ પણ સંગીતપ્રેમી હતો. તેમણે તાનસેન આગળ પોતાની ભાવના વ્યક્ત કરી : 'મારે તારા ગુરૂ હરિદાસનું સંગીત સાંભળવું છે, તો હવે તેઓને રાજદરબારમાં બોલાવ.' જોકે તાનસેને વિનમ્ર ભાષામાં અકબરને કહ્યું : 'જહાંપનાહ ! મારા ગુરૂદેવ અહીં મહેલમાં તો નહીં જ આવે, જો તેઓનું સંગીત સાંભળવું હોય, તો આપણે તેઓના આશ્રમ પર જઈએ.' અકબર સંમત થયા. જેની તાલાવેલી હોય, તે માટે માનવ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
હરિદાસજી જાહેરમાં તો ગાય જ નહીં, કોઈને સંભળાવવા પણ ના ગાય, તેથી અકબર અને તાનસેન ચૂપચાપ તેઓના આશ્રમમાં આવ્યા. હરિદાસજી એ સમયે આંખ બંધ કરીને ભક્તિ કરતા હતા. જોર જોરથી ભજતો ગાતા હતા. પોતાના સમ્રાટપણાને બાજુમાં મુકીને અકબર નીચે બેસી ગયા. સંગીત એવું જોરદાર જામ્યું કે, સૌ તેઓના ભજનના દરિયામાં જાણે ડુબી જ ગયા. અકબરને પણ આ અનુભવ થયો કે, તાનસેનનું સંગીત તો માત્ર શરીર જ ડોલાવતું, જ્યારે હરિદાસજીના સંગીતથી તો સૌનો આત્મા ડોલવા લાગ્યો. કેટલાક સમય પછી બંને ચુપચાપ પાછા આવી ગયા. પાછા આવ્યા પછી અકબરે તાનસેનને કહ્યું : 'તાનસેન ! તારા ગુરૂની ગાયકીમાં જે નશો છે, એ તારામાં કેમ નથી ? એમાં જે મજા આવે છે, એ તારામાં કેમ નથી આવતી ?' અને તાનસેને અદ્ભુત જવાબ આપ્યો : 'જહાંપનાહ ! મારા ગુરૂની અને મારી ગાયકીમાં એટલા માટે ફરક છે કે, હું હિંદુસ્તાનના રાજાને રાજી કરવા માટે ગાઉં છું, અને મારા ગુરૂ ત્રણેય લોકના રાજાને રાજી કરવા માટે ગાય છે.' તાનસેનનો વાસ્તવિક પણ કડવો ઉત્તર સાંભળી અકબર આશ્ચર્યચકિત થઈ ગયા.
- રાજ સંઘવી