Get The App

બાબા રામદેવપીર કળિયુગમાં પ્રત્યક્ષ પરચાધારી લોકદેવતા

Updated: Aug 24th, 2022

GS TEAM

Google News
Google News
બાબા રામદેવપીર કળિયુગમાં પ્રત્યક્ષ પરચાધારી લોકદેવતા 1 - image


- ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સખા અર્જુનને સ્વધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવપીરે સમજાવ્યો હતો

બા બા રામદેવપીર "નકલંક નેજાધારી" કેમ કહેવાય છે? સતયુગમાં શિવજીએ પાર્વતી (શક્તિ) સાથે સનાતન ધર્મની સ્થાપના કરી હતી. મહાભારત કાળ દરમિયાન હિમાલયના આદેશ અનુસાર પાંડવોની કાળી ધજા ગુજરાતના ભાવનગર જીલ્લાના કોળીયાક ગામે સફેદ થઈ હતી અર્થાત પાંડવો બંધુહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા અને પાંડવોના હસ્તે દરિયા કિનારે કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવની સ્થાપના થઈ હતી !

શિવજીએ શરૂ કરેલો સનાતન ધર્મ બાબા રામદેવપીર આગળ ધપાવ્યો હોવાથી બાબા રામદેવપીરને શિવજીનું "નિષ્કલંક" બિરૂદ અપાયું છે અને શિવજીના સનાતન ધર્મનો નેજો - ધર્મની ધજા ફરકતી રાખી હોવાથી બાબા રામદેવપીર નિષ્કલંક-નકલંક નેજધારી કહેવાય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સખા અર્જુનને સ્વધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવપીરે સમજાવ્યો હતો. ગીતાનો સ્વધર્મ એ જ રામદેવપીરનો નિજ ધર્મ, જેને સંતો- ભક્તો- ભજનિકો- કથાકારો- નિજીયા ધર્મ- નેજાર ધર્મ- મહાપંથ કહે છે ! નિજીયા ધર્મ એટલે નિજ (સ્વ)ને ઓળખવાનો- જાણવાનો- પીછાણવાનો ધર્મ.

રામદેવજી મહારાજ "પીર" કેમ કહેવાયા ?

સાર્થ કોશ અને ભગવદગોમંડલં અનુસાર પીર એટલે પવિત્ર પુરૂષ- સિદ્ધ- માર્ગદર્શક- વડીલ... કહેવાય છે કે સાત સમુંદર પારથી - રણુજાના રાજા રામદેવજીની સિદ્ધિના સમાચાર સાંભળીને મક્કા-મદીનાથી પાંચ મુસ્લિમ પીર રણુજા આવે છે અને રામદેવપીર તેમના માટે મક્કાથી કટોરા- વાસણ- બર્તન પળવારમાં હાજર કરી દે છે. ઊડતી રકાબી (યુ.એફ.ઓ.) વિશે સૌ કોઈએ સાંભળ્યું છે. મધ્યકાલીન યુગમાં રામદેવજી મહારાજે યોગબળથી છેક મક્કાથી કટોરા લાવીને હાજર કર્યા હતા. તે પાંચ કટોરા હવામાં ઊડીને આવી રહ્યા હતા ! તે જોઈને પાંચ વીર રામદેવજી મહારાજને પીરોના પીર - સિદ્ધોના સિદ્ધ તરીકે નવાજે છે. ત્યારથી રામદેવજી મહારાજ બાબા રામદેવપીર કહેવાયા...

પીરનો બીજો અર્થ થાય છે પીડા... નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા

કબીરા સો હિ પીર હે જો જાને પર પીર જે બીજાની પીડા જાણીને તે મીટાવી શકે અન્યના દુ:ખ દુર કરી શકે, કોઈકના આંસુ લૂછી શકે તે સાચો પીર છે !

- જિતેન્દ્ર એમ. ટાંક

Tags :