Get The App

ગુરુ આજ્ઞા અને કૃપાથી વિદ્યા પ્રાપ્તિ .

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ગુરુ આજ્ઞા અને કૃપાથી વિદ્યા પ્રાપ્તિ                               . 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

ઉત્તરપૂર્વના એ વિશાલ રાજ્યના મંત્રીનો વજ્રસેન એકનો એક પુત્ર હતો. બાર વર્ષની ઉમર થતા મંત્રીએ તેને ઋષિકેશ ગુરુકુળ આશ્રમમાં ગુરુપાસે વિદ્યા ભણવા મોકલ્યા.

આ ગુરુકૂળમાં છાત્રોને વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખવવામાં આવતી જેવી કે રાજ્ય શાસ્ત્ર, શસ્ત્રવિદ્યા, દર્શનશાસ્ત્ર અર્થ-તર્ક જેવી વિદ્યાઓ પ્રદાન કરવામાં આવતી. વિદ્યા ક્ષેત્રમાં બધાં જ ગુરુકૂળ કરતાં આ ગુરુકૂળ અલગ તરી આવતું હતું. અહિં વિશિષ્ટ પ્રકૃતિલક્ષી વિદ્યાઓ પણ શીખવવામાં આવતી હતી હવામાન અને વરસાદનો વરતારો જંગલની વિવિધ વનસ્પતીનાં ગુણધર્મો જંગલી અને પાલતુ પશુઓની શક્તિ અને સ્વભાવને જાણવાની વિશિષ્ટ વિદ્યા પણ આ ગુરુકૂળમાં ભણાવવામાં આવતી.

૬ વર્ષ સુધી વજ્રસેન વિવિધ વિદ્યાઓ સંપન્ન કરે છે. આ વિનય અને વિવેક શિષ્ય હોવાને કારણે ગુરુવર્યોમાં પ્રિય હતો. ગુરુઆજ્ઞાસહ નિષ્ઠાપૂર્વક વિદ્યા ગ્રહણ કરીને તે છ વર્ષ પુન:પોતાના ગૃહમાં પ્રવેશે છે. ૬ વર્ષ પછી વિદ્યા પ્રાપ્ત કરીને પુત્રને ઘરે પરત આવતા માતા પિતા આનંદીત થયા. બીજે દિવસે મંત્રી રાજ દરબારમાં જઈ ઘરે આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ છે ચતુર વજ્રસેન પૂછે છે કે પિતાશ્રી ઉદાસ કેમ  છો મંત્રી કહે ના ખાસ કોઈ કારણ નથી થોડુ થાક જેવું લાગે છે. વજ્રસેન કહે ના આ શારીરિક થાક નથી આ મનનો ઉદવેગ કે ચિંતા દૃષ્ટિ ગોચર થાય છે. જે સમસ્યા હોય તે કહો.

મંત્રી કહે પુત્ર આજે એક ખગોળશાસ્ત્રી રાજ દરબારમાં આવ્યા હતા રાજાએ તેને સૂર્યગ્રહણ વિશે કેટલાંક પ્રશ્નો પૂછયાં પેલાએ જે જવાબ આપ્યા તેથી રાજાને સંતોષ ન થયો ? રાજા કહે આ મને બરાબર લાગતું નથી. રાહુ શા માટે સૂર્યને ગ્રસે ને વળી પાછો મુક્ત કેમ કરે આ વધુ જાણવા માટે આપણે સૂર્યને જ વ્યક્તિગત મળી આ સમસ્યાનું સમાધાન કરવું છે રાજાએ એક હજાર ઘોડેશ્વારો સાથે આવતીકાલે સૂર્ય તરફ યાત્રા કરવાનું નક્કી કર્યું મેં ઘણા સમજાવ્યા આ યાત્રા નિરર્થક તો છે જ વળી જોખમી પણ છે રાજાએ જવું જ છે. તેમ નિરાધાર કર્યા. વજ્રસેન કહે પિતાજી આ વિકટ યાત્રામાં મને સાથ લઈ જાઉં મંત્રી કહે એ મુશ્કેલ છે કારણ રાજાએ પચ્ચીસ વર્ષ ઉપરના ચૂનંદા ઘોડેશ્વાર લેવાનું જ નક્કી કર્યું છે તું હજું નાનો છે તને યાત્રા સાથે કઈ રીતે લઈ જઇ શકાય. વજ્રસેન કહે પિતાજી આમા ઉમરના સવાલ નથી આ વિકટ યાત્રામાં હું આપને જરૂર ઉપયોગી થઇશ મંત્રી કહે ભલે તું આવ પણ ઘોડેશ્વરો પાછળ તુ ધીરે ધીરે એકલો આવજે.

વજ્રસેન પાછળ પોતાની ઘોડી પર સ્વાર થઈને આગળ વધે છે બે દિવસ યાત્રા બરાબર ચાલી-ત્રીજે દિવસ સવારે યાત્રા શરૂ કર્યા પછી બે કલાકે ભયંકર જંગલ આવ્યું. જંગલમાં થોડું ચાલતા ઝાડીની એવી ગીચતા આવી કે જાણે રાત્રિનો ઘોર અંધકાર ક્યાંય રસ્તો સૂજે નહિ. રાની પશુઓના અવાજે-ધુરકિયાથી ઘોડાઓ ભડકે છે ને આમ તેમ નાસવા માંડે છે થોડા કલાકોમાં તો કોઈ રસ્તો મળતો નથી. જંગલી પશુ પક્ષી અને વિવિધ જીવોના અવાજથી જંગલ બિહામણું લાગે છે ખાવા પીવાનું કશું મળતું નથી બધા ભૂખ અને તરસથી ત્રસ્ત છે. રાજા મુંજાણા સાથે આવેલ સુભટો, દરબારીઓ અને મંત્રીઓ સાથે મંત્રણા કરે છે. કોઈને કાંઈ રસ્તો સૂજતો નથી રાજાએ સમગ્ર ઘોડેસ્વાર અને તમામ સાથીઓને જણાવ્યું કે આપણા રાજ્યમાં પાછા ફરવા માટે ક્યા રસ્તેથી કઈ રીતે જાવું આ અટવીમાં ફસાયા છીએ તો કઈ રીતે પરત ફરવું તેનો કોઈને પણ ઉપાય સૂજતો હોય તો અહીં આવી અને બતાવે.

વજ્રસેન મંત્રી પિતાને એક બાજુ બોલાવીને કહે છે પિતાજી મને ઉપાય સૂજે છે. મંત્રી કહે હું રાજાની આજ્ઞા લઈને અને જાણ કરું છું. મંત્રીએ રાજાને કહ્યું કે આ યાત્રામાં મારો નાનો પુત્ર સાથે આવેલ છે જે આપની આજ્ઞા હોય તો તે કાંઈ કહેવા માંગે છે. રાજાએ આજ્ઞા આપી વજ્રસેન કહે રાજન આ અટવીમાંથી મારી ઘોડી આપણને બહાર કાઢી શકે તેમ છે. મારી ઘોડીએ થોડા સમય પહેલા જ વછેરાને જન્મ આપ્યો છે. આપણે તેને છૂટી મૂકીએ તો તેના વછેરા પાસે જવા તે અમારા ઘર તરફ રસ્તે જશે. પશુઓને પોતાના ઘરનો રસ્તો જ્ઞાત હોય છે વળી રસ્તામાં પાણી મળવાનું હશે તે જગા પણ જમીન સુંઘીને બતાવશે જેથી તૃષ્ણાની તૃપ્તિ થશે અને આપણને ખાવા લાયક ફળોના વૃક્ષોની પણ ઓળખાણ આપશે. રાજાએ આજ્ઞા આપી માત્ર બાર કલાકની યાત્રામાં ઘોડીએ બધાને પાણીનું સ્થળ અને ફળોના વૃક્ષો બતાવ્યા અને મુળ રસ્તા પર લઈ આવી. વજ્રસેનને રાજાએ પૂછયું નાની ઉમરમાં આવી તેજસ્વી બુદ્ધિ અને જ્ઞાન તારામાં કંઈ રીતે આવ્યું વજ્રસેન કહે પિતાશ્રીએ ગુરુકૂળ મોકલ્યો ગુરુ કૃપાથી અને તેની આજ્ઞાવડે અનેક પ્રકારની વિદ્યા શીખ્યો. આજ આ સફળતા મને મળી છે તે માત્ર ગુરુકૃપાને કારણે જ. રાજાએ એક હજાર સોના મહોરો બક્ષિસમાં આપી મંત્રી મંડળમાં વજ્રસેનને સ્થાન આપ્યું.

Tags :