Get The App

શરણ-સેવા-સમર્પણ .

Updated: May 11th, 2022

GS TEAM


Google News
Google News
શરણ-સેવા-સમર્પણ                             . 1 - image


સે વા શબ્દ અતિ પ્રાચીન, પ્રચલિત અને વિસ્તૃત રીતે ફેલાયેલો છે. રોજિંદા જીવન વ્યવહારમાં ઘણીવાર સેવા શબ્દ કાને સંભળાય. સેવા સંદર્ભે થોડું-ઘણું લખું તો સેવાકાર્ય ક્યારેય નાનું કે મોટું હોઈ ન શકે. સેવા ખરેખર હૃદયની સંવેદના સાથે જોડાયેલી હોય છે જે નિરંતર પ્રસન્નતા, નવી ઉર્જા અને આનંદની લહેરીઓમાં પરિણમે છે. સેવા અને સમર્પણ એકબીજાના પૂરક અને સહસંબંધી જોવા મળે છે. જેમ કે સમર્પણ-શરણ વિના સેવા સંભવ નથી. શરણાગતભાવ-સમર્પણ જ સેવાનો એક પ્રાણ છે. આમ સમર્પણની હાજરી સેવા માટે અત્યંત આવશ્યક છે. સેવા સ્વયં ઉદ્ભવે - જન્મે અને તદ્પશ્ચાતના પ્રયત્નોએ આનંદદાયક શુભફળમાં પ્રગટ થાય. સેવામાં ઉમદા પ્રયત્નો હોય જ્યારે શરણ-સમર્પણમાં સહજતા દ્રષ્ટિમાન બને છે. સમર્પણમાં રહેલી આ સહજતા જ સેવાના ભગીરથ-પવિત્ર પ્રયત્નોમાં નવી ઉર્જા ભરી દે છે.  વિશેષ સેવાનું ક્ષેત્ર અનંત અને વિશાળતાથી ભરપૂર છે. સાથે સાથે સેવા એ કલ્યાણ, ત્યાગ, સદ્ભાવ, સંતોષ, શાંતિ, તૃપ્તિની પરિપૂર્ણ અનુભૂતિ અને પ્રીતિ કરાવે છે. જે મનુષ્યને સુખમય શાશ્વત પવિત્રતા તરફની સાધના કે ઉપાસના તરફ લઈ જઈ મોક્ષની ગતિ તરફ દોરે છે. સમર્પણભાવથી છલોછલ જ્યાં ભરપૂર ત્યાગ અને શરણાગતિ છે તે ભાવ સાથેનું પ્રાચીન સમયનું શ્રી હનુમાનજી અને ભાઈ ભરતનું શ્રીરામ માટેનું સમર્પણનું એક અનુપમ ઉદાહરણ છે જે સેવા-સમર્પણની સર્વોપરિતા-શ્રેષ્ઠતા દર્શાવે છે.

ભૂખ્યાને ભોજન, બિમારને ચિકિત્સા તેમજ અભણને સાક્ષાર-શીક્ષિત બનાવવા આ સર્વે સત્કાર્યો સેવામય મનુષ્યની વિચારધારાએ ઉચ્ચ કોટિનાં સેવાનાં સૌથી ઉમદા અને શ્રેષ્ઠ કાર્યો છે. છેવટે તો પ્રત્યેક ધર્મનો સારાંશ કે નિચોડ એ સેવા જ છે. સેવા એ જ ધર્મ. સેવા એ જ આસ્થા-શ્રદ્ધા. સેવા એ જ પ્રાર્થના-વંદના જે ભરપૂર ઉર્જાસભર છે જ્યાં બળરૂપી શક્તિ છે. આપણે નાની-મોટી સેવાને આપણો ધર્મ, સેવા-પ્રીતિ કે રોજિંદુ કાર્ય બનાવવું જોઈએ. જ્યાં સેવાથી સમર્પણ, સમર્પણથી પ્રેમ-સ્નેહ-કરૂણા-દયાની પવિત્ર-મંગલકારી શાશ્વત ચિદાનંદ-આનંદ-પરમાનંદની અનુભૂતિ પ્રકટ થાય છે કે ઉદ્ભવે છે. 

Tags :