Get The App

જેવી દાનત તેવી બરકત !!! .

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જેવી દાનત તેવી બરકત !!!                                       . 1 - image

- પહેલેથી જ તમે પાણીમાં બેસી જાવ, યા તો ટૂંકુ મન રાખો. આત્મવિશ્વાસ અધકચરો રાખો કે ઇચ્છાને મારી કાઢો. કોઈ કામને વૈતરું કે વેઠ સમજો પછી તમે ક્યાંથી સફળ થાવ

નાના હતા ત્યારે દાદા-દાદીના મોંઢે 'દાનત તેવી બરકત' સુક્તિ આપણે સૌએ સાંભળેલી જ છે. પણ એમાં રહેલો ગૂઢાર્થ પામવામાં હજુ પણ કાચા છીએ. આમાં માણસની વિચારધારાની વાત છે. આ વિચારધારા નકારાત્મક અને હકારાત્મક બંને છે. કોઈપણ કામ પાછળ આપણી દાનત કામ કરતી હોય છે. દાનતને તમે ભીતરનો ભેદ પણ કહી શકો. કામ કરવા પાછળનો તમારો હેતુ કે આશય શું છે એનું નામ 'દાનત'. ઘણાની દાનત ખોરા ટોપરા જેવી હોય છે, તો ઘણાની જલેબી જેવી મીઠી હોય છે.

પહેલેથી જ તમે પાણીમાં બેસી જાવ, યા તો ટૂંકુ મન રાખો. આત્મવિશ્વાસ અધકચરો રાખો કે ઇચ્છાને મારી કાઢો. કોઈ કામને વૈતરું કે વેઠ સમજો પછી તમે ક્યાંથી સફળ થાવ કે મંઝિલને પામો...? આપણા દાદીનો આશય ઉચ્ચ કોટિનો હતો. શીર્ષકના ટાઈટલમાં કહેલી વાત આપણા ભલા માટે છે. તમારી દાનત, તમારો હેતુ, તમારો આશય જ નક્કી કરે છે કે આમાં કેટલી બરકત રહેશે. બરકત એટલે કે પરિણામ. બરકત એટલે લાભ. તમારી દાનત નીચ કક્ષાની હશે તો દરેક મળતો લાભ શુભ નહીં રહે. એનું અશુભ પરિણામ (બરકત) તમારે વેઠવું જ પડશે. સંબંધોમાં પણ તમારી દાનત જ સંબંધોનું આયુષ્ય નક્કી કરે છે. ટૂંકમાં દાનત એટલે પ્રવૃત્તિ પાછળની વૃત્તિ.

શ્રદ્ધાળુ તરીકે એક સવાલ મનમાં એ પણ થાય કે જીવન જીવવાની તમારી દાનત કેવી છે ? અત્યાર સુધી જે દાનત સાથે જીવ્યા છો, એમાં તમને ક્યાંય બરકત દેખાણી ખરી ? હજુ પણ દાનત સુધારવાનો સમય છે, એવું લાગે છે ? પૂજા-પાઠ, ભક્તિ, સાધના-આરાધના આપણી એળે ન જાય મટે જાગ્યા ત્યાંથી સવાર સમજીને 'દાનત' ને સાચા રસ્તે લાવવાનો સમય છે. તમારી દાનત જો સો ટચના સોના જેવી હશે તો કોઈપણ ક્ષેત્રમાં તમે પાછા નહીં પડો. દાનત તમને પછાડે પણ ખરી અને ઊંચે પણ લઈ જાય.

- દિલીપ રાવલ