Get The App

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

પ્રૌઢ પ્રભાવશાળી આ.સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના જીવનગ્રન્થનું પ્રકાશન:ચારિત્રને ઘડે તે ચારિત્ર !!

Updated: Jul 26th, 2018

GS TEAM


Google News
Google News
અમૃતની અંજલિ -  આચાર્ય વિજયરાજરત્નસૂરિ 1 - image

સંસ્કૃત સુભાષિતકારોએ એક માર્મિક અને મજેદાર સુભાષિત આપ્યું છે કે ' સાહિત્ય- સંગીતકલાવિહીન, સાક્ષાત્ પશુ: પુચ્છવિષાણહીન :  મતલબ કે જે વ્યકિતનાં જીવનમાં સારાં સારાં સાહિત્યનાં- પુસ્તકોનાં વાંચનનો શોખ નથી. સંગીત પ્રત્યે અભિરુચિ નથી અને કળા પ્રત્યે સુઝ- સમજ કે આદર નથી એ વ્યકિત વાસ્તવમાં તો માનવનાં રૃપમાં રહેલ એક પ્રકારનો પશુ જ છે. ફર્ક એટલો કે પશુને શૃંગ અને પુચ્છ હોય છે. જ્યારે આ શિંગડા- પૂછડાં વિનાનો હોય છે !! આટલા કડક કટાક્ષ દ્વારા સુભાષિતકારો એમ સમજાવવા ચાહે છે કે દરેક વ્યકિતનાં જીવનમાં સાહિત્ય સંગીત અને કળાને સ્થાન હોવું જ જોઈએ.

આપણે એ પૈકી આછો વિચાર કરીશું સાહિત્યનો. સાહિત્ય બે પ્રકારનું હોય છે : સાત્ત્વિક અને મનોરંજક. જ્યાં માત્ર મનોરંજનની મુખ્યતા છે ત્યાં મનને બહેકાવે- ગલગલિયાં કરાવે એવી અશ્લીલ - વિકરોત્તેજક વાતો હોય  અથવા ખૂન-ધાડ જેવી થ્રીલર બાબતો હોય. વસ્તુત : આવું સાહિત્ય મનોરંજક નહિ, મનોભંજક બની રહે છે. કેમ કે એનાથી મનના શુભ વિચારોનું ભંજન- નાશ થાય છે. આથી વિપરીત જે સાત્ત્વિક સાહિત્ય છે ત્યાં શુભ વિચારો- આચારોનું નિર્માણ થાય એવી બાબતો હોય.

એમાં ય જો તે સાહિત્ય મહાન વિભૂતિઓનાં જીવનકથાનક- જીવનચરિત્રરૃપે હોય તો તો એ સાત્ત્વિક બનવા ઉપરાંત મનોરંજક- હૈયે વસી જાય એવું પણ બને. એટલે જ આવા  સાહિત્ય માટે એક જૈન સૂત્રમાં અભિલાષા વ્યકત કરાઈ છે કે ' કહાઈ વોલંતુ મે દી અહા ' અર્થાત્ એ કથાઓનાં શ્રવણમાં મારા દિવસો પસાર થાઓ. જીવનચરિત્રોની ટૂંકી અને ટચ વ્યાખ્યા એ છે કે ' ચારિત્રને ઘડે તેનું નામ ચરિત્ર .'

અમને આ લખતાં રોમરોમ આનંદાનુભૂતિ થઈ રહી છે કે અમારા અનંતોપકારી ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી પરમશાસન પ્રભાવક દિવંગત આચાર્યવર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનો આવો જ એક દલદાર જીવનચરિત્રગ્રન્થ તા. ૧૫ ઓગષ્ટ શ્રાવણ શુદિ પાંચમે અમારાં ચાતુર્માસક્ષેત્ર મુંબઈ- શાંતક્રુઝના કુંથુનાથજિનાલય સંઘમાં પ્રકાશિત થઈ રહ્યો છે.  ૧૧ટ૧૧ સાઈઝના સવા છસો જેટલા ફોરકલર પેજ ધરાવતા આ મહાગ્રન્થના સાડા ચારસો જેટલા પેજના પ્રથમ વિભાગમાં ગુરુદેવનું આરંભથી અંત સુધીનું જીવન- કવન રસપ્રદ કથા સમી શૈલીથી અમારા દ્વારા લખાયું છે, તો બીજા વિભાગમાં  અલગ અલગ સમુદાયોના ચાલીશ આચાર્યદેવો સહિત એકસો પચીશ સંયમીઓ આદિના શ્રદ્ધાંજલિલેખો છે.

એમાં અમારા અઢાર શ્રમણોના ય લેખો છે, તો એમાં જ સંસ્કૃત- ઇંગ્લીશ લેખ પણ છે. આ ઉપરાંત ત્રીજા વિભાગમાં ગુરુદેવવિશે વૈવિધ્યસભર માહિતી આપતા ૧૧ પરિશિષ્ટો છે. અમારા સમુદાયમાં આવા ભવ્ય- વિરાટ જીવનગ્રન્થ માત્ર બે થાય છે : એક દિવંગત યુગદિવાકર પરમગુરુદેવ આચાર્ય પ્રવર ધર્મસૂરીશ્વરજી મહારાજનો અને બીજો આ મહાગ્રન્થ. અમારું એ ધન્ય ભાગ્ય છે કે આ બન્ને મહાગ્રન્થો આલેખવાનો લાભ અમને સાંપડયો છે. આ પૈકી ' તમે સૂરજ થઈને ચમક્યા ' નામે પ્રસ્તુત મહાગ્રન્થના રસપ્રદ પ્રસંગો દ્વારા આજથી કુલ ત્રણ લેખોમાં આપણે ગુરુતત્ત્વ અને ગુરુદેવની વિરલ વાતો માણીશું.

'ગુરુ' શબ્દના ઇંગ્લીશ સ્પેલિંગમાં ચાર અક્ષર આવે : જી-યુ-આર-યુ. આ પ્રત્યેક અક્ષરથી આરંભાતા એકેક ઇંગ્લીશ શબ્દ દ્વારા આજના લેખમાં આપણે ગુરુતત્ત્વ વિશે અને ગુરુદેવના જીવન-પ્રસંગો વિશે વિચારયાત્રા કરીએ.

૧) જી ફોર ગેટ : ગુરુ એક એવું અદ્ભુત તત્વ છે કે જે સાધક માટે આત્મકલ્યાણનું મહાન પ્રવેશદ્વાર બની રહે. જેઓ અધ્યાત્મદૃષ્ટિથી વંચિત હોય એમના માટે તો ગુરુનાં વચનો આત્મા- કલ્યાણનું પ્રવેશદ્વાર બને જ. કિંતુ જેઓ આવી દૃષ્ટિથી સંપન્ન થયા બાદ પણ વિષમ કર્મોદયવશ કારમી કસોટીમાં મુકાઈ ગયા હોય એમને વિચલિત ન થવા દઈને ય એ આત્મકલ્યાણનું પ્રવેશદ્વાર બને. દિવંગત ગુરુદેવ આ સંદર્ભમાં કેવા મહાન પ્રવેશદ્વાર (ગેટ) રૃપ હતા એનો એક આ મહાગ્રન્થમાંનો પ્રસંગ નિહાળીએ :

યુગદિવાકરસમુદાયના એક આરાધક- પ્રભાવક સાધ્વીજી કલ્પલતાશ્રીજી. વિશાલ શિષ્યાવૃંદ અને દીર્ઘ દીક્ષાપર્યાય ધરાવતા આ સાધ્વીજીને કેન્સરનો જાલિમ રોગ થયો. વ્યકિત ગમે તેટલી દૃઢ હોય સત્ત્વશીલ હોય પરંતુ જયારે કેન્સરની નાગચૂડ જાલિમ બની જાય- ' કીમો'ની સારવાર હલબલાવી દેતી હોય ત્યારે વ્યકિતની સમાધિને વિચલિત થતા વાર ન લાગે.

આ વાસ્તવિકતા સમજીને સ્વ. આચાર્યશ્રીએ એ સાધ્વીજીને સામેથી અવારનવાર અદ્ભુત સમાધિપ્રેરક પત્રો લખ્યા. એમાં ક્યારેક રોગ દ્વારા થઈ શકતી સકામ નિર્જરાની વાત હોય, તો ક્યારેક શરીરની અનિત્યતાની વાત હોય, ક્યારેક દેહ અને આત્માની ભિન્નતાની વાત હોય, તો ક્યારેક સહિષ્ણુતાના લાભોની વાત હોય. એક પત્રમાં તેઓએ નીચે મુજબ અક્ષરશ : લખ્યું હતું કે :

' સૈનિકની ખરી કસોટી યુદ્ધમાં થાય, વિદ્યાર્થીની ખરી કસોટી પરીક્ષામાં થાય, દાતાની ખરી કસોટી મૂડી સાવ અલ્પ હોય ત્યારે થાય, શિષ્યની ખરી કસોટી વિનયમાં- સેવામાં થાય, એમ સાધુ- સાધ્વીની ખરી કસોટી પરિષહો સહન કરવામાં થાય. જે સહન કરે તે સાધુ. તમારે મેતાર્યમુનિ- ખંઘકમુનિ- સનત્ કુમારમુનિ વગેરેના નાનકડા ય વારસદાર બનીને આ કસોટીમાં 'પાસ' થઈ જ જવાનું છે. તો જ આટલાં વર્ષોનાં ચારિત્રપાલનનો નક્કર લાભ થયો ગણાશે. અમને તો વિશ્વાસ છે કે તમે એમાં કાચા નહિ જ પડો.'

પરિણામ એ આવ્યું કે એકવાર એ સાધ્વીજીનો જીવનદીપ બુઝાવાની ક્ષણો હતી ત્યારે એમણે આચાર્યશ્રીને ઉદ્દેશી સમાચાર આપ્યા કે ' છેલ્લીક્ષણે પણ મારું મન પ્રભુમાં રહે એવા આશીર્વાદ આપજો.' નથી લાગતું કે ગુરુ આત્મકલ્યાણનું મહાન પ્રવેશદ્વાર છે ??

(૨) યુ ફોર યુટર્ન : અધોગતિના માર્ગે જતી જીવનની ગાડીને 'યુ-ટર્ન' આપીને સદ્ગતિ- પરમ ગતિના માર્ગે લઈ જવાનું કૌશલ્ય જેટલું સદ્ગુરુમાં મળે એટલું ક્યાં ય ન મળે. કેવી સહજતાથી એ જીવનની ગાડી સહી દિશામાં  લાવી શકે એ જાણવું છે ? તો વાંચો આ અમારો જ સ્વાનુભવનો પ્રસંગ :

અમારી દીક્ષા માત્ર અગિયારવર્ષની બાળવયે યુગદિવાકર ગુરુદેવના હસ્તે થઈ. એ પછીના પ્રારંભિક ચાતુર્માસ ધર્મસૂરિદાદની નિશ્રામાં સમુદાયની સાથે થયા. તેમના કાલધર્મ બાદ. ઇ.સ.૧૯૮૩નું અમારું સર્વપ્રથમ સ્વતન્ત્ર ચાતુર્માસ ઘાટકોપર- સાંઘણીસંઘમાં થયું. પૂજયશ્રી અને એક વૃદ્ધ મુનિસહિત એમ કુલ ત્રણ શ્રમણે ત્યાં પ્રવેશ કર્યો. દીક્ષાનું પાંચમું વર્ષ હતું. કિંતુ અમારી વયના એક પણ શ્રમણ ન હોવાથી ત્યાં એકલતા લાગતી હતી. સતત ખાલીપો લાગતાં એક સાંજે અમે આચાર્યશ્રીને કહ્યું : ' કઈ સાથી બાલશ્રમણ નથી, અહીં તો જરાય નથી ગમતું.'

તેઓએ ગુસ્સો કર્યા વિના શાંતિથી ત્રણ મુદ્દા સરસ સમજાવ્યા કે ' (અ) માતા-પિતાએ નાની વયે દીક્ષા એટલે અપાવી છે કે તું અભ્યાસમાં આરાધનામાં આગળ વધે. એ હેતુ સિધ્ધ કરવા માટે આ વર્ષોની એકલતા તો બહુ સારી. (બ) સાથે જો કોઈ બાલશ્રમણ હોય તો વાતોમાં- મજાક મસ્તીમાં સમય વ્યર્થ જાય.

એકલા હોવાથી આવો કોઈ સમય વ્યર્થ ન જાય. ઘણું ભણાય (૩) એકવાર અભ્યાસમાં મન પરોવાઈ જશે તો પછી એકલતા જરાય સાલશે નહિ. ઉપરથી સમય બચાવવા એકાંત વધુ રુચવા માંડશે.' દશ મિનિટની એ સરસ સમજાવટથી અમારા વિચારોમાં એવો 'યુ-ટર્ન' આવી ગયો કે એ પછી ક્યારેય એકલતાની ફરિયાદ ન રહી. સમયનો સતત સદુપયોગ કરવાની વૃત્તિ જામી ગઈ.

માત્ર દશ મિનિટની સચોટ સમજાવટથી જીવનમાં આટલો ત્વરિત ' યુ-ટર્ન' લાવી દેનાર આ ગુરુદેવ માટે જરૃર કહી શકાય કે ' ગુરું વિના કોન પથપ્રદાતા.''

૩) આર ફોર રોલ : ઘટના વ્યકિત સંબંધી હો કે સંસ્થા સંબંધી, ક્યારેય એમાં કોઈ વ્યકિત એવો 'રોલ'- એવી ભૂમિકા અદા કરે કે એનાથી વ્યકિત સંસ્થા સુરક્ષિત- સદ્ધર બની જાય, તો વળી કોઈ વ્યકિત એવો 'રોલ' પણ ભજવે જેથી વ્યકિત / સંસ્થા નારાજ પણ થઈ જાય. સદ્ગુરુ એવો 'રોલ' અદા કરે કે જેથી વ્યકિત / સંસ્થા તારાજીમાંથી બહાર આવી સુરક્ષિત થઈ જાય. દિવંગત આચાર્યશ્રીએ આવો 'રોલ' અદા કર્યો હતો ઘાટકોપરના જગડૂશાનગર મહાજિનાલયની રક્ષાપ્રસંગે. એ સમયે સર્વત્ર ગાજેલ આ મહાન શાસનરક્ષાકાર્યની સંક્ષિપ્ત ઝલક આપણે નિહાળીએ :

પરિકરસહિત એકસો છવીસ ઇંચની ઊંચાઈ ધરાવતા મૂલનાયક શ્રી ઉવસગ્ગહરપાર્શ્વપ્રભુ જયાં પ્રતિષ્ઢિત છે એ ત્રિમજલી વિશાલ જગડૂશામહાજિનાલય કાયદાની ચુંગાલમાં આવી જતાં હાઈકોર્ટે એને સંપૂર્ણ ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો. અખબારોમાં એના સમાચારો આવવા માંડયા, તો પ્રશાસન દ્વારા તે અંગેના ટેન્ડરો પણ અપાયા.  સમગ્ર મુંબઈના સંઘો- જૈનાચાર્યો ચિંતિત હતા. પરંતુ સહુને દહેશત હતી કે પ્રશાસન- કોર્ટ સામે બાથ શી રીતે ભીડાય ? આ સમયે આચાર્યશ્રીએ ' લીડીંગ રોલ' અદા કરવાનો નિર્ણય કર્યો.

એમની નિશ્રામાં જ એ જિનાલયના ખનનથી પ્રતિષ્ઢા સુધીનાં સર્વ કાર્યો થયા હોવાથી તેઓ ત્યાંની સ્થિતિથી વાકેફ હતા. ચાલુ ચાતુર્માસમાં તેઓએ ભાયંદર- બાવનજિનાલયની વિહાર કર્યો, તીર્થરક્ષા આંદોલનનો શંખનાદ ફૂંકીને અનેક સંઘોમાં એમણે જાગૃતિ ફેલાવી અને તા.૨૫-૭-૨૦૦૪ ના જંગી મહાસભાનું એલાન કર્યું. એ દિવસોમાં ગુજરાતસમાચાર સહિતના અખબારોમાં આ આંદોલન 'હોર્ટ ઇશ્યૂ' રૃપે ચમકતું હતું. ગુરુદેવનો 'લીડીંગ રોલ' અને આત્મવિશ્વાસ ગજબનાક હતો.

'ચિત્રલેખા'ના પત્રકારે એમને પૂછયું કે' મંદિર તૂટે તે પહેલા એમાંની મૂર્તિઓ અન્યત્ર મૂકવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે ખરી ?' આચાર્યશ્રીએ અદ્ભુત શ્રદ્ધાભર્યો ઉત્તર આપ્યો કે 'મંદિર તૂટવાનું જ નથી. માટે અમારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની જરૃર નથી.' એમણે જે મહાસભાનું એલાન કર્યું હતું એમાં સાઠ હજારની જંગી જનમેદની ઊમટી. સભાસ્થળથી બે કિલોમીટર સુધીના રાજમાર્ગો માનવમેદનીથી વ્યાપ્ત હતા. આખર હાઈકોર્ટ આદેશમાં ફેરફાર કર્યો અને એ મહાજિનાલયની એક કાંકરી પણ ન ખરી.

વ્યકિત હો યા સંસ્થા : સદ્ગુરુનો 'રોલ' એની સુરક્ષા કરીને જ રહે છે...
૪) યુ ફોર અમ્બ્રેલ : સાધકના મનોભાવો પ્રતિબિંબત કરતાં એક અધ્યાત્મપદની ધ્રૂવપંકિત આ છે કે ' મોહે લાગી લગન ગુરુ ચરણનકી'. સાધકને ગુરુચરણની લગન એટલે હોય છે કે એ એને બાહ્ય- આંતર હરેક વિષમતાથી બચાવે છે. આ સંદર્ભમાં સદ્ગુરુ છત્રી જેવા છે.

છત્રી જેના માથે હોય એનો બચાવ વર્ષાથી પણ થાય અને તડકાથી પણ થાય. બસ, એજ રીતે સદ્ગુરુ જેના શિરછત્ર હોય એ સાધકનો બચાવ વિપત્તિઓની વર્ષાથી ય થાય અને તન- મનના તાપ- સંતાપથી ય થાય, દુષ્પ્રવૃત્તિઓથી ય થાય અને દુર્વૃત્તિઓથી ય થાય. દિવગંત આચાર્યશ્રી દોષો- દૂષણોથી બચાવનાર કેવી અલૌકિક છત્રી સમા હતા એનો આ મહાગ્રન્થગત એક પ્રસંગ ટાંકીએ :

અમારા શિષ્યરત્ન આચાર્ય રશ્મિરત્નસૂરિજી. ગુરુદેવના હસ્તે એમને ગણિપદ પ્રદાન થનાર હતું એ અરસામાં એમના વર્ધમાનવિદ્યાપટ માટે ચાંદીનું નકશીદાર સાધન અમારા સાધ્વીજી ભગવંતો લાવ્યા. એમનો આશય સારો હતો કે વિદ્યાપટ જેવા ઉત્તમ ઉપકરણને રાખવાનું સાધન પણ ઉત્તમ હોય. જયાં એ સાધન અપાયું ત્યાં જ ગુરુદેવની દૃષ્ટિ એ તરફ ગઇ. એમણે તુર્ત ઇન્કાર કર્યો કે ' આ ચાંદીની ચીજ રાખવાની નથી.

પરત આપી દો અને એનાં સ્થાને એકાદ સાદુ- અલ્પ મૂલ્યનું સાધન રાખજો.' રશ્મિરતન્સૂરિજીએ 'તહત્તિ' કહીને એ ચાંદીનું સાધન પરત આપી દીધું. ગુરુદેવે એ પછી સમજાવ્યું : ' પઢના નામે પણ બહુમૂલ્ય સાધનો આપણે ન રાખવા. કેમ કે આપણે સાધુ છીએ. અપરિગ્રહ આપણું વ્રત છે. આ યાદ નહિ રાખીએ તો કાલે ઉત્તમના નામે સોનાનાં સાધન પણ આવી જશે. માટે અત્યારથી જ આવી બાબતોથી દૂર રહેવું હિતાવહ છે.' ગુરુદેવ દોષો- દૂષણથી બચાવનાર કેવી અદ્ભુત છત્રી હતા એ આ ઘટનાથી પ્રતીત થાય છે.

ઇંગ્લીશલિપિના 'ગુરુ' શબ્દના ચારેય અક્ષરો પરના ચાર શબ્દોને પૂર્ણત : સાર્થક કરનાર ગુરુદેવને જીવનચરિત્ર ગ્રન્થપ્રકાશન પ્રસંગે ભાવાંજલિ અર્પતા એ જ જણાવીશું કે:
ગુરુ હી જ્ઞાાન- ધ્યાન- પૂજા, ગુરુ વિદ્યા- વિશ્વાસ,
જો ગુરુ કે ગુણ ગૌરવ જાણે, પ્રભુ ઉસકે પાસ..

Tags :