ગુજરાતમાં બે પદયાત્રાઓ રંગેચંગે નીકળે છે. એક છે ફાગણની પૂનમે જયરણછોડના ગગનભેદી નાદ સાથે ચાલીને ડાકોર જતી પદયાત્રા અને બીજી છે ભાદરવા પૂનમની અંબાજી જતી પદયાત્રા.
બંનેમાં લાખો લોકો જોડાય છે. ભાદરવાની પૂનમના સંઘો માર્ગ પર દેખાવા લાગ્યા છે. જેમ ડાકોર જતા સંઘોને જયધોષ જયછોડ હોય છે એમ અંબાજી જતા પદયાત્રીઓનો જયઘોષ જય અંબે હોય છે. ડાકેાર અને અંબાજી જતા પદયાત્રીઓમાં સૌથી વધુ પદયાત્રીઓ અમદાવાદના હોય છે. અંબાજી અને ડાકોર સંઘ લઇ જતા સેવાભાવીઓ પરંપરા અનુસાર સંઘ કાઢે છે અને તમામ પદયાત્રીઓની સવલતો સાચવતા-સાચવતા સાથે ચાલતા હોય છે. કોઇ એક સંઘમાં ૨૦૦ પદયાત્રીઓ હોય તે તેમની સલામતીની વ્યવસ્થા તેમજ તેમના ખાવા-પીવાની તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવીએ બહુ અઘરી વાત હોય છે. કાયમી પદયાત્રા સંધોતો રોજ મિષ્ટાન જમાડે છે. કેટલાક સંઘ વાળા પદયાત્રીઓને એટલી બધી સવલતો આપે છે કે તે આગામી વર્ષની પૂનમે અંબાજી જવા તૈયાર થઇ જાય છે. સંઘ લઇ જનારાને સંઘ પતિ કહેવાય છે. વટવાના અતુલ પટેલ અને તેમના સાથીઓ ડાકોર, અંબાજી, અમરનાથ જેવા સ્થળોએ કાયમ સેવા કેન્દ્રો ઉભા કરે છે.
હાલમાં તેમનું સેવા કેન્દ્ર હિંમતનગર નજીક જોવા મળે છે. આવા સેવાભાવીઓ પદયાત્રીઓને દર્શને લઇ જઇને પુણ્યનું ભાથું બાંધતા જાય છે. ડાકોર અને અંબાજી જતા સંઘોના પદયાત્રીઓને જમાડવા, ચા-નાસ્તા જેવી સેવા આપનારા એટલી મોટી સંખ્યામાં જોવા મળે છે કે સંઘ સિવાયના પદયાત્રીઓને તો ખાવા પીવાની કોઇ પરેશાની નથી રહેતી.


