Get The App

સિંહાસનનો મોહ સ્પર્શતો નથી ને સત્તાનો કેફમને ચડતો નથી

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
સિંહાસનનો મોહ સ્પર્શતો નથી ને સત્તાનો કેફમને ચડતો નથી 1 - image



રાજકુમાર નેમે કહ્યુ,'ના, મને આવી કોઈ ભેટ ખપતી નથી. અને તમે મારી એ વાત પણ સાંભળી લો કે કુહાડાનાં ફળાં તો તમારી પાસે તૈયાર છે. તમે કોઈ હાથો બને એની શોધમાં છો. 

નેમકુમારે કહ્યું કે' એક મણિને ખાતર યાદવો શ્રીકૃષ્ણના અસીમ ઉપકારને ભૂલી ગયા અને એમને ચોર ઠેરવ્યા. આવો છે આ સ્યમંતક મણિ, જે પ્રકાશ નહીં પણ અંધકાર પ્રસરાવે છે.'

આ સાંભળીને યાદવે નેમકુમારને કહ્યું,' હવે, ગઈ ગુજરી ભૂલી જાવ. ભૂતકાળ વિસારીને ભવિષ્યનો વિચાર કરો. કાલે મણિથી ચમકતા મુગટને તમે ધારણ કરશો, ત્યારે કેવા શોભી ઉઠશો ?'

નેમકુમારે કહ્યું,' ભાઈ, હું સ્વપ્નેય આ મણિ ધારણ કરવાનો વિચાર ન કરું. મણિથી શોભતો મુગટ મારે મારા મસ્તકે મૂકવો નથી કે પછી મણિમય મુદ્રિકા બનાવીને એના કહેવાતા તેજથી પ્રજાજનોને આંજી નાંખવાનો વિચાર સુદ્ધા કરતો નથી. મેં આ મણિ ચોરી લઈને પ્રસેનને જીવ બચાવતો લપાતો- છૂપાતો- નાસતો જોયો હતો. અરે ! એ મણિએ આખેઆખા પ્રસેનને પલટી નાખ્યો હતો.

એ મણિ ભલે પ્રકાશમાન હોય, પરંતુ એના પ્રકાશને છુપાવવા માટે એ સારા-ખોટા લાખ ઉપાય અજમાવતો હતો. એ પ્રકાશથી ભયભીત થતો હતો અને ગાઢ અંધકારને શોધતો હતો. અરે ! એને કારણે તો એ માણસ જોઈને ડરતો હતો. ભાગી છૂટતો હતો. જડ પથ્થરોમાં વસવું એને વધુ પસંદ હતું. આ મણિ ગમે તેટલો કીંમતી હોય, તો પણ માણસને પથરો બનાવી દે છે, પછી એની શી કિંમત ?

'અરે નેમ ! તમે તો રાજ કરી શકો તેવા છો. શ્રીકૃષ્ણ અને નેમકુમાર ! બલરામ તો હળ જોતરી જાણે. જમીન ખેડી જાણે. એમને રાજમાં નહીં, પણ ખેતીમાં રસ. તમે આ મણિ સ્વીકારીને રાજમુગટનો વિચાર કરો.'

આટલું બોલીને કૃષ્ણના ટીકાખોર યાદવે હળવેથી નેમને કહ્યું,' સહુ કોઈ તમને ચાહે છે. રાજસિંહાસન પર રાજમુગટથી તમે શોભાયમાન બનો, તેવી દ્વારિકાની પ્રજાની ઇચ્છા છે. વળી કેટલાક યાદવો તો શ્રીકૃષ્ણથી અત્યંત નારાજ છે. શું શ્રીકૃષ્ણ એટલે જ બધું ? આપણે બધા સાવ માયકાંગલા.' આટલું બોલી યાદવે જાણે કોઈ ગુપ્ત રહસ્ય પ્રગટ કરતો હોય તેમ નેમ તરફ નજર કરી. એની ઇચ્છા કૃષ્ણના પ્રતિસ્પર્ધી તરીકે નેમમાં ભાવ જગાવવાનો હતો.

એની બાજી સમજી જતાં રાજકુમાર નેમે કહ્યું,'ધન્ય છે તમારા મુત્સદ્દીવટને. જેની છરી, એનું જ ગળું. આનું નામ છે મુત્સદ્દીવટ. વાહ રે વાહ ! શ્રીકૃષ્ણની ટીકા કરી મારા મનમાં મલિન ભાવ જગાવવા માગો છો તમારી ખોટી ઇચ્છાઓ સિદ્ધ કરવા માટે મને હાથો બનાવવા માગો છો. આવા લોકો તો મને આત્મા અને અંતરને વેચતા વેપારી જેવા લાગે છે, માટે હવે તમે પધારો.'

નેમ વિચારમાં ડૂબી ગયા. પરંતુ દ્વેષને અંત હોતો નથી. એ રીતે કૃષ્ણદ્વેષી યાદવે એક નવો પાસો ફેંક્યો, એણે કહ્યું,' આપણી સંસ્કૃતિમાં પરંપરા છે કે રાજા તે યોગી, અને યોગી તો રાજા. જે યોગીત્વનો ચાહક હોય તે રાજા બને અને એની પ્રજાને મોક્ષના ઊર્ધ્વ માર્ગ ભણી દોરી જાય. રાજકારણે હંમેશાં યોગ્યની યોગ્યતા સ્વીકારવી જોઈએ. દ્વારિકાના રાજ્યને યોગ્ય તો આપ જ છો.'

'ના, સહેજે નહીં, મને રાજમાં રસ નથી, રાજકારણમાં રસ નથી અને આ તમારો મણિ પણ મારા મનને સહેજે પસંદ નથી. તમે જેને ઇચ્છો છો, તેનો હું ત્યાગી છું. જેમાં તમારો રાગ છે, ત્યાં મારો વિરાગ છે.'

'ત્યારે તમને રસ શેમાં છે ? નથી રાજમાં, નથી કંચનમાં, નથી કામિનીમાં ?'

' મને રસ છે રૈવતાચલ પર્વત પર આવેલી ગુફામાં સાધના કરવાનો મને રસ છે આત્માનો.'

નેમકુમારે ટૂંકમાં વાત પૂરી કરવા વિચાર્યું, પરંતુ એમ કૃષ્ણદ્વેષી યાદવ પાછો પડે તેમ નહોતો. ' રાજકુમાર, તમે આત્માની વાત કરો છો, સાધનાની વાત કરો છો, પણ ક્યાં કોઈએ આત્મા જોયો છે ? જો આત્મા જ ન હોય, તો સાધના જ કોની ? જરા વિચારો ! આ યાદવકુળ છે. આખું કુળ વિચારે અને બહુમતી જેને પસંદ કરે એ નેતા બને છે. આવા સંઘરાજ્યના તમે નેતા હો તો કેવું શોભે ? તમારા જેવા ત્યાગીને સહુ કોઈ નમે.'

આ શબ્દો સાંભળતા નેમ અકળાઈ  ઊઠયા, એમને લાગ્યું કે આ દ્વેષીના દ્વેષને ક્યાંય જંપ નથી. એના મનનો દ્વેષ એની જીભમાં ઝેર ટપકાવે છે. એને કોઈ પણ ભોગે પોતાના કૃષ્ણદ્વેષને પ્રગટ કરીને દુષ્ટતાની ટાઢક મેળવવી છે. નેમે કહ્યું, 'આત્મા ન ખવાય ! ન પિવાય ! પરંતુ તે આત્મા તો અનુભવાય.

દેહનું સુખ અને મનની વૃત્તિઓની પાછળ ફરનારા તમને ક્યાંથી આત્મા દેખાય ? વળી તમે આવાં પેંતરા શા માટે રચો છો ? શ્રીકૃષ્ણ મારો ભાઈ છે અને એના પ્રતાપે તો તમે સહુ કોઈ તપો છો. ઉપકાર કરનાર પર તમારા જેવો અપકારી મેં જોયો નથી. સિંહાસનનો મોહ મને સ્પર્શતો નથી અને સત્તાનો કેફ મને ચડતો નથી, માટે તમે અહીંથી વિદાય લો.'

કૃષ્ણ દ્વેષી યાદવને એમ હાર માનવી નહોતી એટલે એણે કહ્યું,' ખેર, તમે બીજું બધું ભૂલી જાવ. આ મણિનો સ્વીકાર કરો. સત્રાજિતની એ ભેટ સ્વીકારવામાં શો વાંધો ?'

રાજકુમાર નેમે કહ્યુ,'ના, મને આવી કોઈ ભેટ ખપતી નથી. અને તમે મારી એ વાત પણ સાંભળી લો કે કુહાડાનાં ફળાં તો તમારી પાસે તૈયાર છે. તમે કોઈ હાથો બને એની શોધમાં છો. મને એનો હાથો બનાવવા ચાહો છો, આને માટે ઝડપથી રંગ બદલાતા કાચિંડાની જેમ તમારી વાતને પલટો છો. ગઈકાલે તમે જ શ્રીકૃષ્ણના યશોગાન ગાતા હતા.

કાળયવનને  પરાજિત કરનારી એમની વીરતાના વખાણ કરતા થાકતા નહોતા. દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરનારી એમની શક્તિને સાષ્ટાંગ દંડવત્ કરતા હતા અને આજે તમે આમ કહો છો ? હું જાણું છું કે લોકપ્રશંસા અને લોકનિંદા પર લોકનેતાએ ભરોસો રાખવો નહીં. સમજી લો કે તમે જે જુઓ છો એ  હું જોતો નથી. તમે જે માનો છો એ હું માનતો નથી. તમારો જે માર્ગ છે એ મારો માર્ગ નથી.'

' તો તમારો માર્ગ શું છે એ તો અમને કહો ? (ક્રમશઃ)

ગોચરી

જેણે સૌથી પહેલાં ધન શોધ્યું, એણે સૌથી પહેલું દુઃખ શોધ્યું હશે. ધનના ઢગલા પર બેઠેલો માનવી પોતાને સર્વજ્ઞા માને છે.ધન એને સઘળી વાતો પર બોલવાનો અધિકાર આપે છે અને સંપત્તિ એને સઘળાં માનપાનને પાત્ર બનાવે છે. હકીકતમાં ધનન સદ્વ્યય થવો જોઈએ. સન્માર્ગે વપરાવવું જોઈએ. કલ્યાણનું કારણ બનવું જોઈએ અને આમ થાય તો જ એ ધનથી મનુષ્ય ધન્ય બની શકે છે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Tags :