Get The App

પ્રચંડ પુણ્ય અને મક્કમ મનોબળના સ્વામી : પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર વિજયજી મહારાજ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
પ્રચંડ પુણ્ય અને મક્કમ મનોબળના સ્વામી : પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર વિજયજી મહારાજ 1 - image

- (એક હતા શ્રીમદ્ રાજચંદ્ર અને એક થયા મુનિશ્રી રાજચંદ્રવિજયજી)

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'મારે તો તમને જ પરણવું છે, મને તમે ગમો છો.' ડીસાની એક બાવીસ વરસની નવયુવતી એક બેતાલીસ વરસના મુંબઈ-સાંચોરના યુવાનને કહી રહી છે.

આજથી ૪૪-૪૫ વરસ પૂર્વેની આ ઘટના છે. એક આકર્ષક ફિગર ધરાવતા અજાણ્યા યુવાનને એક અજાણી યુવતી સામે ચડીને-ચાલીને પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આ વાત જણાવે છે કે એ વ્યક્તિ ૪૨ વર્ષે પણ પોતાની યુવાનીને કેવી જાળવી રહ્યો હશે !

આ યુવાન એમ પણ જણાવે છે કે તે પરિણીત છે. ભલે તેની સ્ત્રી અત્યારે આ લોકમાં નથી. પણ તેમના અને તેની પણ પહેલાની સ્ત્રીના મળી પાંચ સંતાનો છે. તે છતાંય આ અજાણી ગુજરાતી સ્ત્રી આ અજાણ્યા મારવાડી યુવાનને પરણવાની તૈયારી દર્શાવી રહી છે.

યુવાન વિચારે ચડે છે. આ કોઈ જોગ-સંજોગ તો નહીં હોય ને ! એ ભૂતકાળમાં સરી પડયો. એકઝેટ ૨૨-૨૩ વર્ષ પૂર્વે અવસાન પામેલ પોતાની સ્ત્રી બંધ આંખો સમક્ષ ઊભરી આવી. કદાચ એનો જ આત્મા આ નહીં હોય ને ! એકવાર મન થઈ આવ્યું કે આ જોગ-સંજોગનો સંયોગ થવા દઈએ.

પણ ફરી એકવાર એમની બંધ આંખો સમક્ષ નજીકનો ભૂતકાળ તાદ્રશ થયો. હમણાં જ તાજેતરમાં સ્વર્ગવાસ પામેલી પોતાની ધર્મપત્ની હસતી આવી ઊભી. 'હવે આ સંસારના મોહ-નાટકમાં ક્યાં ઊતરવાનું વિચારી રહ્યા છો. સંસાર-સાગર તરવાનું આપણે એકવાર સમજી લીધું છે. હવે સમજો.'

અજાણી રાણીને માણી લેવાનો વિચાર છોડીને તરત જ તેઓ ત્યાંથી નીકળી પડયા. સંસારના લગ્ન બંધનમાં મગ્ન અને ભગ્ન બનવાનું સપનું ખંખેરી-વિખેરી નાંખ્યું. અને સંયમ-દીક્ષાના શમણામાં ક્યાં મણા-ઊણા ના ઊતરી જવાય, પણ સંયમ માર્ગે સદા રહીને સંસાર તરી જવાય. એના વિચારો ઊભા કર્યા.

મોટો દીકરો તો પરણાવી દીધો હતો, તેથી તે પછીના ત્રણ દીકરા અને એક દીકરીને ભગવાન નેમિનાથના ભાઈ કૃષ્ણ મહારાજાની જેમ સંયમનો રસ્તો બતાવ્યો. પણ એક દીકરો દીક્ષિત બન્યો, બાકીનાએ તૈયારી ન દર્શાવી.

છેવટે એ ત્રણે સંતાનોને લગ્નગ્રંથિમાં જોડીને પોતે આચાર્ય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજા (કલિકુંડવાળા)ના વરદહસ્તે દીક્ષિત બન્યા... અને તેઓ શ્રીમદ્ ના કાલધર્મ પછી ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સૂરિશ્વરજી મહારાજના આજ્ઞાધર્મને સ્વીકાર્યો...

આ વાત છે સાંચોરમાં જન્મ ધારણ કરીને મુંબઈની મોહનગરીમાં વ્યવસાય અર્થે વ્યસ્ત જીવન જીવનારા હંસરાજજી ગુણોતની. છોગાજી નેતાજી પરિવારના આ પવિત્ર રત્ન સમા હંસરાજજી પોતાની સાયતીદેવી અને સૌભાગ્યદેવી નામે બે-બે- ધર્મપત્નીઓના સહવાસે જવેરીમલ, દિનેશ, લલિત, નરેશ અને ઉષા (સરસ્વતી) એમ પાંચ સંતાનોના પિતા બન્યા.

સૌભાગ્યદેવીના સૌભાગ્યે તેઓ ધર્મમાં મજબૂત બન્યા. માતા ભૂતીબેનના વાવેલા ધર્મબીજને સૌભાગ્યદેવીએ કલ્પવૃક્ષ બનાવ્યા. દીક્ષિત પુત્ર આચાર્ય રાજહંસ સૂરિજીને નજર સામે રાખીને દીક્ષિત બન્યા. મુનિશ્રી રાજચંદ્ર નામ શોભાવ્યું. ૨૧ વર્ષ દીક્ષા પર્યાયમાં રહીને.

સંયમમાં સદા મજબૂત રહ્યા. ચાર-ચાર વાર હોસ્પીટલ ગયા. યમરાજના મુખમાં જઈને પાછા આવ્યા. એકવાર ફોર વ્હીલરથી અકસ્માત થઈ ગયો. પગનો અંગૂઠો કાપીને ફેંકી દેવો પડે, તેવી દારૂણ સ્થિતિને પણ તેઓ જીતી ગયા. દ્રવિત ન થયા.

એકવાર મણકાના ઓપરેશન વખતે ડોક્ટરોએ કહી દીધું. તેઓને હવે જીંદગીભર સૂતા જ રહેવું પડશે. પણ મક્કમ મનોબળે તેઓ બેઠા થયા, ઊભા થયા અને ચાલતા ય થઈ ગયા.

એકવાર વ્હીલચેરથી પડી ગયા. થાપાનો બોલ તૂટી ગયો. ફરી પાછા બેઠા-ઊભા થઈ ગયા.

હંસરાજમાંથી મહારાજ બનેલ આ વ્યક્તિએ ડોક્ટર વિપુલભાઈ અને ડોક્ટર પુનિતભાઈના સથવારે યમરાજને ય હંફાવી દીધા હતા. સૂર્યાસ્ત થવાની ૪૮ મિનિટ પૂર્વે જ તેઓ અન્ન-જળ ત્યાગી દેતા હતા. જીવનના સૂર્યાસ્તની ક્ષણોએ પણ તેઓ આવા કઠિન નિયમને કઠણ રીતે વળગી રહ્યા. ડોક્ટરોની દલીલોને પણ તેમણે પરાસ્ત કરી દીધી હતી. તેવા તેઓ જવાબો આપતા કે ડોક્ટર પણ પ્રભાવિત અને ભાવિત બની જતા.

પ્રભાવના

દીક્ષા પૂર્વે અને પછીના જીવનમાં થઈને ત્રણ ઉપધાન, બે-બે વરસી તપ, વર્ધમાનતપની ૨૬ ઓળી, એકવાર ઉપવાસ અને એકવાર એકાસણાથી વીશસ્થાનકની આરાધના તથા તપ, અઠ્ઠાઈ આદિ અનેકવિધ તપસ્યાએ તેજસ્વી બનેલા મુનિશ્રીની આ પ્રથમ માસિક પુણ્યતિથિ (મહા સુદ-૩)ના દિવસે યાદ આવે શ્રીમદ્ રાજચંદ્રજી -

તેમણે સંકલ્પ કર્યો હતો કે ૩૬ વરસની ઉંમરે ભગવાન મહાવીરનો સંયમ માર્ગ સ્વીકારવો. પણ અફસોસ, તેઓ ૩૨ વર્ષની ઊંમરે સંયમ સ્વીકાર્યા વિના જ આ લોક છોડી પરલોકના પંથે પહોંચી ગયા. ત્યારે આ મુનિ શ્રીમદ્ રાજચંદ્રજી મહારાજે ૩૬ વર્ષની ઊંમરે પોતાના ધર્મપત્નીના સહવાસે સંયમ સ્વીકારની પ્રેરણા પામ્યા હતા. અને ૬૫ વર્ષની ઊંમરે સંયમ સ્વીકારની ક્ષણો માણી હતી. પોતાના પ્રચંડ પુણ્યે તેઓ સૌને ગમતા રહ્યા હતા. અને પોતાના મક્કમ મનોબળે તેઓ હંમેશા સંયમમાં અડગ રહ્યા.