- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
તે પછી જનતા સમક્ષ અટ્ટહાસ્ય કરતાં કહ્યું હતું - 'આને પણ ખ્યાલ આવે અને તમને બધાને પણ ખ્યાલ આવે કે રાજાને મારવાની આ દુશ્ચેષ્ટાનું ફળ શું આવે ? રાજાની હત્યાનો વિચાર કરનારો હત્યારો કેવી સજા પામી શકે છે, તેનો ખ્યાલ આ ખાલને જોવાથી આવી જાય. રાજદ્રોહ કરવાનો વિચાર પણ કોઈ કરશો નહીં.'
આ માણસ બીજું કોઈ નહીં, મથુરાનગરીનો રાજકુમાર હતો. ૨૫૦૦ (પચ્ચીસ સો) વર્ષ પૂર્વે થયેલા મથુરા નગરીના શ્રીદામરાજાનો આ રાજકુમાર હતો.
વળી, આવી ભયંકર યાતના આપનાર બીજું કોઈ નહીં, એનો સગો બાપ હતો. ખુદ રાજાએ જ આ રાજકુમારને-પોતાના સગા દીકરાને આવી કાળી વેદના આપીને અકાળે કાળનો કોળિયો કરાવી દીધો.
અને આ કાળા પાણી નહીં પણ કાલાપાણી કરતાંય વધુ કાળી સજા કોઈ એકાંત સ્થળમાં નહિ, પણ મથુરાની વચ્ચોવચ્ચ જાહેર ચોકમાં-ભરબજારમાં-ધોળે દિવસે આ કાળી સજા કરવામાં આવી હતી. તથા આખી મથુરામાં બંદી બનાવીને, બેડી નાંખીને ફેરવવામાં પણ આવ્યો હતો, જાહેર ચોકમાં જાહેરમાં સજા આપતાં પૂર્વે.
એનો એકમાત્ર અપરાધ હતો - રાજાના અર્થાત્ સગા બાપનું ખૂન કરવાનું આયોજન. નંદીવર્ધન નામે આ રાજકુમાર પોતે ૬૦ (સાઈઠ) વર્ષનો થઈ ગયો હતો, છતાંય રાજા પોતે રાજગાદી છોડતા ન હતા, અને રાજકુમારને રાજા બનાવતા ન હતા. રાજકુમારની રાજા બનવાની ઇચ્છા જોર કરી રહી હતી. તેથી હજામ સાથે મસલત કરી. હજામત કરતી વેળા રાજાનું ગળું કાપી દેવાનું. અને એના બદલામાં અડધું રાજ્ય આપવાની ગળી-ગળી ચોકલેટ દેખાડી. હજામ કબૂલ થઈ ગયો. પણ સમય આવ્યે તે ગભરાઈ ગયો. અને રાજાના પડખામાં ભરાઈ ગયો. રાજકુમારની દુષ્ટ યોજના ઓકી કાઢી. પોતે માફી માગીને ત્યાંથી ભાગી ગયો.
જોકે રાજકુમાર નંદીવર્ધને પણ માફી માગી. હાથ જોડયા. પગે લાગ્યો. કરગર્યો. રડયો. પણ બધું જ વ્યર્થ.
ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીના 'આનું કારણ શું ?' ના જવાબમાં જણાવ્યું - 'રાજકુમાર પૂર્વભવમાં દુર્યોધન નામે જેલર હતો. સિંહપુરનગરનો આ જેલર જર્મનીના હિટલર સૈન્યે યહૂદીઓ ઉપર અને જાપાનના સૈન્યે ચીનાઓ ઉપર જે ભયંકર અમાનુષી અત્યાચારો કર્યા હતા, તેથી વધુ અત્યાચારો કરતો હતો. તેના પૂર્વભવીય કરતૂતોનું આ ફળ હતું. મન-વચન-કાયાથી અન્ય જીવને પીડા આપતા પૂર્વે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ જ વેદના-તમને બીજાને જે આપી છે તે અનેકગણી થઈને પાછી ફરશે. જે બીજ વાવ્યા છે, તે તેવા ફળને ચાખશે.'
પ્રભાવના
સિંહપુર નગરના રાજા સિંહરથનો જેલર દુર્યોધન કેદીઓને તાંબાનો-સીસાનો ગરમ-ગરમ રસ પીવડાવતો. ઉકળતા પાણીથી કેદીઓને ખૂબ નવડાવતો. બેડીથી બાંધીને સોટીઓથી મારતો. તડકામાં ઊભા રાખીને સુકાયેલી ચામડીને ચીરી નાંખતો. કપાળમાં વાંસના ખીલાઓ ઠોકાવતો. હાથ-પગ-નાક-કાન કપાવતો. આંખોના ડોળા બહાર કઢાવતો. જિંદગીના ૩૧૦૦ વર્ષ સુધી તેણે કેદીઓને ભયંકર પીડા આપી છે. તે પાપના ફળ સ્વરૂપે તે મરીને ત્યાંથી છઠ્ઠી નરકે ગયો. ત્યાંથી મરીને અહીં મથુરાનગરીનો રાજકુમાર નંદીવર્ધન થયો. જાલિમ સીતમ જે ગુજાર્યા હતા, તેના ફળસ્વરૂપ વેદના ભોગવી મરીને ફરી પહેલી નરકમાં ગયો.


