રાજા ઋષભે માનવજાતને આનંદ,સંવેદના અને અભિવ્યક્તિ આપ્યા!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ભગવાન ઋષભદેવના ચરિત્રને વાંચ્યું હશે, એમની પ્રતિમાની પૂજા અને આરાધના કરી હશે, પણ મારે વાત કરવી છે એમની ભુલાયેલી ભવ્યતાની અને વણઓળખાયેલી દિવ્યતાની.
એની ભવ્યતાની ખોજ કરીએ, ત્યારે કેટલીક વિચારપ્રેરક હકીકતો નજર સામે આવે છે. ગ્રીસના એપોલો દેવની પ્રતિમા જગતભરમાં જાણીતી છે. પણ તમે એ જાણો છો કે એ પ્રતિમા નગ્ન છે. બીજા કોઈ ગ્રીસ દેવતા નગ્ન નથી. વળી એ પ્રતિમાનાં હાથમાં કોઈ શસ્ત્ર નથી. ગ્રીસની અન્ય પ્રતિમાઓનાં મસ્તક પર જટા હોય છે અને એ પ્રતિમાઓને 'કુરોશ' કહેવામાં આવે છે. આ 'કુરોશ' એટલે એવો નવયુવક જેને દાઢી, મૂછ આવતી નથી. જરા વિચાર કરો કે આપણા તીર્થકરોની આવી જ વિશેષતા મળે છે ને !
સિરિયા, ઇઝરાયલ અને ઇજિપ્ત વગેરે સ્થળોએથી ભગવાન ઋષભદેવની પ્રતિમા પ્રાપ્ત થઈ છે. ઇતિહાસકાર શ્રી વી.જી. નાયર બતાવે છે કે ઋષભદેવની ઇ.સ. પૂર્વે બારસોની એક મૂર્તિ સાઈપ્રસના અલાસિયામાંથી મળી છે, તો બીજી બાજુ આર્મિનિયાના તોસાબાની શહેરમાંથી ઋષભની કાંસ્ય મૂર્તિ મળી છે. પી.સી.ચૌધરી જેવા ઇતિહાસકારો આદિનાથને છેક પથ્થરયુગ (સ્ટોન એઇજ)માં થયા હોવાનું કહે છે અને એ પછી કૃષિનો પ્રારંભ થયો એમ કહે છે.
ભારતના વિખ્યાત ઇતિહાસવિદોની વાત કરીએ, જેમણે ભારતની પ્રાચીન એવી સિંધુ ખીણમાં ખોદકામ કર્યું હતું અને પ્રાચીન અવશેષો મેળવ્યા હતા એવા રામપ્રસાદ દેશમુખ તેમજ સિંધુ ખીણનાં સંશોધન માટેની ખીણનાં મુખ્ય ઓફિસર ર્જ્હોન માર્શલ એમ માને છે કે ઋષભનો સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે ગાઢ
સંબંધ છે.
પ્રાચીન ઇતિહાસની આ કેડીએ જઈશ તો ઘણી વિગતો પ્રાપ્ત થશે. ઘણા દેશોમાં ઋષભદેવની મૂર્તિની શક્યતા જોવા મળશે અને ઘણાં ગ્રંથોમાં એના ઉલ્લેખો મળશે, પણ ખેર ! કોઈ વિરલ સંશોધક જૈન ધર્મના પ્રથમ તીર્થકરની વિશેષ ખોજ કરે તો અપાર આનંદ થાય.
ઋષભે કરેલા અગિયાર મહાભિનિષ્ક્રમણમાં પ્રથમ મહાભિનિષ્ક્રમણ તે કૃષિસંસ્કૃતિની સ્થાપના છે. એમનું બીજું મહાભિનિષ્ક્રમણ એ છે કે એમણે અગ્નિ આપ્યો અને આ અગ્નિએ માનવજીવનને કલ્પના પણ ન કરી હોય, તે હદે તેજસ્વી બનાવી દીધું. એક નહીં, પણ અનેક પ્રકારે વિકાસની ગતિ સર્જાઈ. જરા જુઓ, રાજા ઋષભે માત્ર અગ્નિ આપ્યો નથી. પરંતુ એની સાથે પ્રજાને ઘઉં, ચણા, મગ વગેરેને અગ્નિમાં નાખીને ભોજન બનાવતા શીખવ્યું. એ પછી ભીની માટીનો પિંડ બનાવી હાથીનાં કુંભસ્થળ પર મૂકીને એને હાથથી ઘાટ આપીને વાસણ બનાવ્યું. આમ અગ્નિની પ્રાપ્તિએ મનુષ્યજીવનને જંગલી માણસમાંથી વિચારક માનવી બનાવ્યો.
માણસને ઘર બાંધતા શીખવ્યું, ઘરમાં ચિત્ર દોરતાં શીખવ્યું, શિયાળાની કડકડતી ઠંડી કે પછી બળબળતો ગ્રીષ્મનો તાપ ઓછો લાગે તે માટે વસ્ત્રહીન માનવીને વસ્ત્ર આપ્યું. આથી રાજા ઋષભદેવએ પ્રથમ ઘરનિર્માતા, ચિત્રકાર, વણકર, કુંભકાર અને એકસો શિલ્પોનાં રચયિતા બન્યા. આમ જીવન જીવવાની આખીય કલા એમની પાસેથી મળી. માનવીના રખડું જીવનને સ્થાયી નિવાસ મળ્યો, તો એની સાથોસાથ જુદી જુદી કલાઓ દ્વારા માનવીની વિચારશક્તિને સંકોરી.
હવે ત્રીજા મહાભિનિષ્ક્રમણની વાત કરીએ. વન-જંગલમાં ભટકતા માનવીને પહેલી કૃષિસંસ્કૃતિ આપી અને એને ઠરી-ઠામ કર્યો. પુરુષાર્થની સાથે પ્રાપ્તિનું અનુસંધાન સાધી આપ્યું. એમની બીજી ક્રાંતિ તે માનવીને કલા આપી અને એના જીવનને ઘાટ આપ્યો અને એમનું ત્રીજું મહાભિનિષ્ક્રમણ તે તો આ બધાથી ય અનેરું છે.
માણસની વ્યાખ્યા શું ? ગ્રીસના દાર્શનિક પ્લેટોએ કહ્યું કે,' બીજા પ્રાણીઓ ચાર પગવાળા હોય અને માણસ એ બે પગવાળું પ્રાણી છે.' એ ફિલોસોફર માનવીનાં હૃદયની સંવેદનાને ઓળખી શક્યો નહોતો. રાજા ઋષભે માનવીને સંવેદના, આનંદ અને આત્માભિવ્યક્તિ કરવાની કલા આપી અને એ કલાની પહેલી શરત હતી, માનવ માત્ર પ્રત્યે પ્રેમ. એમના એક પુત્ર ભરતે પુરુષોની બોંતેર કલા શીખવી, તો બીજા પુત્ર બાહુબલિએ સ્ત્રી-પુરુષો અને પશુઓનાં લક્ષણઓનું જગતને જ્ઞાાન આપ્યું. એમની પુત્રી બ્રાહ્મીએ જમણે હાથે લખીને જગતને અઢાર લિપિઓ શીખવી, તો એમની બીજી પુત્રી સુંદરીએ ડાબા હાથે ગણિત શીખવ્યું.
સામાન્ય રીતે એમ કહેવાય છે કે કલાવિહિન માનવી એ પશુસમાન ગણાય, ત્યારે એ સમયે રાજા ઋષભે દર્શાવ્યું કે કલા એ કામધેનું અને ચિંતામણિ રત્ન છે. કલા જ આત્મકલ્યાણ સાધનારી છે, એ જ ધર્મ, અર્થ, કામરૂપ ફળ સહિત સંપત્તિઓને ઉત્પન્ન કરનારી છે. આદિ પુરાણના રચયિતા પણ કહે છે કે, 'આદિ તીર્થકરે સ્વયં પોતાની પુત્રીઓને શિક્ષણ આપ્યું.'
રાજા ઋષભે કરેલું ચોથું મહાભિનિષ્ક્રમણ તે છે કુટુંબભાવના. આજે જ્યારે તમારા મોબાઈલ ફોને તમારી ઘડિયાળ, કેલેન્ડર, એલાર્મ અને કેમેરાનું સ્થાન લઈ લીધું છે, અને એણે તમારા ફેમિલીનું સ્થાન લઈ લીધું છે. આજે આપણા દેશમાં કુટુંબભાવના ઘસાતી જાય છે અને એવે સમયે રાજા ઋષભનાં એ ચોથા મહાભિનિષ્ક્રમણને યાદ કરવાની જરૂર છે.
જરા વિચાર તો કરો કે માતા મરુદેવા પ્રત્યે ઋષભદેવને કેવો અપાર પ્રેમ હતો. પોતાની પત્ની સુમંગલા તરફ કેવો આદર હતો અને એમણે પોતાના પુત્રોને બળવાન અને પુત્રીઓને કલાવાન બનાવ્યા. મારી દૃષ્ટિએ તો રાજા ઋષભે આ જગતને ઉત્કૃષ્ટ કુટુંબનો આદર્શ આપ્યો છે. ક્યારેય ભગવાનની ભક્તિ સાથે આ કુટુંબભાવનાને આપણા જીવનમાં રોપવાનો પ્રયાસ કર્યો ખરો ? આનો જવાબ બીજા કોઈ પાસેથી નહીં, પણ આપણે આપણા ભીતર પાસેથી માગીએ.
આ ચાર મહાભિનિષ્ક્રમણ દ્વારા માનવને સાચો માનવ બનાવવાનો પ્રયત્ન થયો. હવે સમાજને એક વ્યવસ્થા આપવાની જરૂર હતી. ઘોર જંગલોમાં રખડુ જીવન ગાળતા જંગલી માનવીને એમણે કલાપૂર્ણ જીવન જીવતા શીખવ્યું. ચોપાસ ફેલાયેલી અંધાધૂંધી, અરાજકતા અને અવ્યવસ્થાને એમણે શાસન વ્યવસ્થા દ્વારા વ્યસ્થિત કરી. એમના આવા કાર્યને માટે તો કુમાર ઋષભધ્વજને પ્રજાએ પોતાના રાજા બનાવ્યા અને તેઓ આદિ પૃથ્વીનાથ કહેવાયા અને આદિ પૃથ્વીનાથે શું આપ્યું, તે તમે જાણો છો ?
એમણે આ જગતને ત્રણ મહાન બાબતો આપી. પહેલું રહેવા માટે ઘર, બીજું શક્તિ માટે ભોજન અને ત્રીજું જીવવા માટે અભય. રઝળતા, વિખરાયેલા માનવટોળાંઓને એમણે સમાજમાં પરિવર્તિત કર્યો. માનવજાતિને અવ્યવસ્થા અને અંધાધુંધીમાંથી બચાવવા માટે રાજવ્યવસ્થા આપી. એમણે એક રક્ષકદળની સ્થાપના કરી, એનું નામ હતું આરક્ષક દળ અને એના અધિકારી 'ઉગ્ર' કહેવાતા. એમણે મંત્રીમંડળ બનાવ્યું. જેમને 'અધિકાર ભોગ'ના નામથી પ્રસિધ્ધિ થયા. પ્રજા અને રાજ્યનાં સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓની વ્યવસ્થા કરી. જનસંખ્યામાં અભિવૃદ્ધિ અને ખાદ્ય સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી હતો, એમણે પાક વિદ્યા સીખવી. એ સમયે વરસાદ ન વરસતા એમણે પોતાની આત્મશક્તિથી વરસાદ વરસાવ્યો હતો અને એને કારણે ખાદ્યવસ્તુઓની અછત દૂર થઈ હતી. આ પરિસ્થિતિને લોકોએ કઈ રીતે વધાવી હતી, તે તમે જાણો છો ? દુષ્કાળની એ સ્થિતિ દૂર કરનારા રાજા ઋષભ વરસાદનાં દેવતા તરીકે પ્રસિદ્ધ થયા. એમણે માનવીની આજીવિકાને વ્યવસ્થિત રૂપ આપવા માટે વર્ણવ્યવસ્થાની સ્થાપના કરી. આની પાછળ કોઈ ઊંચ-નીચના ભેદની વાત નહોતી, માત્ર કાર્યનાં આયોજનની જરૂર હતી. રાજા ઋષભનાં આ મહાભિનિષ્ક્રમણોએ માનવજાત પર કેવો મોટો ઉપકાર કર્યો છે, એની વિશેષ વાતો હવે પછી કરીશું.