જગતને દુ:ખમુક્તિ આપતાં ઋષભદેવનાં ભવ્ય મહાભિનિષ્ક્રમણો
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
કેવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે આપણી કે નજર સામે ઝળહળતા રત્નો હોય અને આપણને એની કશી જાણ પણ ન હોય.
આપણી સમક્ષ વિચાર અને તત્વજ્ઞાાનનો અફાટ સાગર ઘૂઘવતો હોય અને આપણે એની સામે બહેરા કાન કરીને સૂનમૂન બેસી રહ્યા હોઈએ.
બહારની દુનિયાનાં આકર્ષણોમાં ધર્મની વિજયયાત્રાની કલ્પના કરીએ છીએ, પણ ભીતરની ખાલી દુનિયાનો આપણને ખ્યાલ આવતો નથી.
જૈન સમાજની આ પરિસ્થિતિમાં કેટલાક સમર્થ આચાર્યો અને મહાત્માઓ ઉત્તમ ગ્રંથોનું લેખન-સંપાદન કરે છે. જૈન આચાર્યો અને સાધુઓના જેટલા ગ્રંથો પ્રગટ થાય છે, એટલા ભાગ્યે જ અન્ય ધર્મ કે સંપ્રદાયના થતા હોય છે. છતાં આપણને આ વાતનું જૈન સમાજને સહેજે ગૌરવ નથી, તે કેવું કહેવાય ! સમાજ એ ગ્રંથને જુએ છે, મોતીડે વધાવે છે, જય જયકાર કરે છે, પરંતુ એના ભીતરમાં રહેલા જ્ઞાાનમાં ડૂબકી લગાવવાનું તો બાજુએ રહ્યું, પરંતુ માત્ર ખોબો ભરીને અંજલિ પણ લેતા નથી. જ્ઞાાનની બાબતમાં હારી જવાય, થાકી જવાય, નાસીપાસ થઈ જવાય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે, ત્યારે આપણે સામા પૂરે તરવાની હિંમત કરી રહ્યા છીએ. ગ્રંથોનું વાંચન ભાગ્યે જ થાય છે, કોઈ માત્ર વાંચન કરે તો તે માત્ર પોપટિયું જ્ઞાાન બની જાય છે, પંરતુ એ ગ્રંથો, ઘટનાઓ, પરિસ્થિતિઓ અને વર્ણનોની પાછળ રહેલાં રહસ્યો કે મર્મને પામવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. આનું પરિણામ એ આવે છે કે આપણે પાણીની સપાટી પર ખૂબ તરીએ છીએ, પણ અંદર ડૂબકી લગાવીને એનો અનુભવ મેળવતા નથી.
મારે વાત કરવી છે મહાભિનિષ્ક્રમણની. જગતમાં અનેક દેશોમાં ફેલાઈ ગયેલા બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણનો અપાર મહિમા છે. ૨૯ વર્ષની વયે રાજકુમાર સિદ્ધાર્થે મહાભિનિષ્ક્રમણ કર્યું. બૌદ્ધ ગ્રંથો કહે છે કે, વૃદ્ધત્વ, મૃત્યુ અને વ્યાધિ વગરના જીવનની ખોજ માટે એમણે આ સંન્યાસ ધર્મ લીધો. પોતાના પુત્ર રાહુલના જન્મ પછી સાતમા દિવસે મધ્ય રાત્રિએ સિદ્ધાર્થે પરમ સત્યની ખોજ માટે મહાભિનિષ્ક્રમણ કર્યું. આ પરમ સત્યની ખોજ એટલે જગતને દુ:ખોથી મુક્તિ અપાવવાની ખોજ.
જરા જોઈએ એ ઘટનાને. સંસારમાં મૃત્યુ, વૃદ્ધત્વ વગેરેની વેદના જોયા પછી ગૃહત્યાગ કરવાની ઇચ્છા પહેલી વાર મહેલ છોડીને ચાલી નીકળ્યા, ત્યારે પત્ની યશોધરા અને પુત્ર રાહુલ સૂતા હતા. તેઓ પાછા આવ્યા, બીજી વાર નીકળ્યા અને પાછા આવ્યા અને ત્રીજી વાર નીકળ્યા એને ઇતિહાસ જગતના શ્રેય માટે અને દુ:ખમુક્તિ કાજે કરેલું મહાભિનિષ્ક્રમણ કહે છે. મહાભિનિષ્ક્રમણ એટલે 'મહાન આદર્શ તરફ જવું અને નીકળવું.' મહા + અભિ + નિષ્ક્રમણ એટલે મહાન તરફ ગતિ. ભગવાન બુદ્ધના આ સંસાર ત્યાગને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. માણસ જાતની દુ:ખમુક્તિને માટે એમણે રાજમહેલ ત્યાગીને સંન્યાસ્ત ધારણ કર્યો. જગત આખું આજે એ મહાભિનિષ્ક્રમણનો મહિમા ગાય છે.
આ સમયે મારે તમને કહેવું છે કે, 'જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનાં મહાભિનિષ્ક્રમણ વિશે તમે જાણો છો ખરા?' એમના ચરિત્રમાં ચિંતન અને મનનથી ઊંડે સુધી અભ્યાસ કરીએ, ત્યારે તમને જગતની દુ:ખમુક્તિ કરનારા મહાભિનિષ્ક્રમણોની હારમાળા મળશે. અહીં મારે ભગવાન ઋષભદેવના અગિયાર એવા મહાભિનિષ્ક્રમણ આપને દર્શાવવા છે અને ત્યારે આપને અહેસાસ થશે કે, 'ઓહ ! જગતની દુ:ખમુક્તિ કાજે કરેલાં કેવાં ભવ્ય અને અદ્ભુત મહાભિનિષ્ક્રમણો અહીં નજરે પડે છે.' માત્ર આધ્યાત્મિક જગતમાં જ નહીં, કિંતુ ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને જગતમાં રાજા ઋષભ અને એ પછી પ્રભુ આદિનાથે મહાભિનિષ્ક્રમણ કર્યા છે.
સૌથી પહેલા મહાભિનિષ્ક્રમણની વાત કરું તો આ પૃથ્વી પર હજારો વર્ષથી માનવજાતિ વસતી હતી. ત્યારે તે માનવજાતિને સૌથી પહેલું પ્રકાશનું કિરણ આપનાર રાજા ઋષભ છે. અંધારી રાત્રે ઘૂઘવતા અફાટ સાગરમાં વહાણમાં બેસીને સફર કરતા સાહસિક નાવિકને ધ્રુવનો તારો માર્ગ બતાવે છે. એ જ રીતે રાજા ઋષભે રખડુ અને જંગલી જીવન ગાળતા માનવીને જીવનનો અર્થ આપ્યો. એ સમયે અગોચર જંગલો, અગમ્ય જળરાશિ, વિરાટકાય પશુઓથી ભરેલી આ પૃથ્વી હતી અને એમાં ક્યાંક છૂટું છવાયું માનવજીવન અંધારી ગૂફાઓ અને ગાઢ જંગલોમાં વસતું હતું. કોઈ વગડામાં ખરેલા ફૂલ જેવી માનવીની દશા હતી, એ જ્યાં જન્મે ત્યાં જ ઊગે અને ત્યાં જ કરમાઈને જમીન પર પડે.
ઊંચા ઊંચા પર્વતો અને એમાં વસતી વિરાટ પ્રાણીસૃષ્ટિ વચ્ચે જીવતા માનવીનાં વસવાટો સતત ભયથી ઘેરાયેલા હતાં. વાઘની ગુફા પાસે, સર્પના રાફડા પાસે, નદીનાં કિનારા પાસે અને પર્વતની તળેટીમાં માનવજીવન વસતું હતું અને કેવાં હતાં એ માનવીઓ ? એનાં લાંબા નખ, તીક્ષ્ણ દાંત, વિખરાયેલાં વાળ, ઘેરાયેલી આંખો, ભયભીત એવું ભટકતું જીવન અને તદ્દન નગ્ન દેહ, કોઈ અંધારી ગુફામાં આખી જિંદગી વહી જતી. એ સમયે માનવજગતને પહેલો પ્રકાશ મળ્યો રાજા ઋષભદેવથી.
પૃથ્વીની માગમાંથી અને સમયના તકાજામાંથી તીર્થંકરોનું પ્રાગટય થતું હોય છે. એ રીતે રાજા ઋષભનું આગમન યુગપલટો સર્જે છે. જે ભોગમાર્ગમાં જીવતી પ્રજાને કર્મમાર્ગની ગરિમા બતાવે. પ્રમાદમાં રહેલા લોકોને પ્રવૃત્તિમાર્ગનું બળ બતાવે છે અને એમની જિંદગીને યોગમાર્ગનું અધ્યાત્મ બતાવે છે. આ માનવજાતનું મહાન પ્રતિ નિષ્ક્રમણ છે. રાજા ઋષભનું આ પહેલું નિષ્ક્રમણ.
ઋષભનો અર્થ તમે જાણો છો ? 'ઋ' એટલે 'શ્રેષ્ઠ' અને 'ભ' એટલે 'ભરનાર' અર્થાત્ માનવજીવનને શ્રેષ્ઠતા અર્પનાર એવા રાજા ઋષભ. જીવન તો હતું, પણ એ સાવ અલ્પવિરામ જેવું હતું. રાજા ઋષભે એને ઉત્કૃષ્ટ બનાવીને પૂર્ણવિરામ આપ્યું. એ ઋષભનાં બે અણિયાળા શિંગડા તમે જોયા હશે, પણ એની પાછળ કયો મર્મ રહ્યો છેૈ, તે જાણો છો ? આ બે શિંગડા એ મનુષ્યની શક્તિ અને કીર્તિનાં સૂચક છે. શક્તિ અને કીર્તિ હોય તો તમારું જીવન મંગલમય બની રહે. બીજી બાજુ ઋષભ એ ખેતીનો પ્રતિનિધિ છે અને તેથી આ જગતનો પાલનહાર છે. હકીકતમાં વર્ષા અને ઋષભ બંને શબ્દોનું મૂળ એક જ છે. એવા રાજા ઋષભે આ જગતને ખેતી શીખવી અને કૃષિ સંસ્કૃતિ એ જ ઋષિ સંસ્કૃતિનું સર્જન કરી શકે છે.
શ્વેતાંબર પરંપરા, દિગંબર પરંપરા અને વૈદિક પરંપરાનાં ગ્રંથોમાં આ નામોલ્લેખ મળે છે. ભગવતીસૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ, સમવાયાંગ, ચતુર્વિશિંતિસ્તવ, કલ્પસૂત્ર, નંદીસૂત્ર અને નિશીથચૂર્ણિ જેવાં આગમ સાહિત્યોમાં 'ઋષભ' નામ છે. દિગંબર પરંપરામાં ઋષભને બદલે વૃષભદેવ અને શ્રીમદ્ ભાગવત્ના પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે સુંદર શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ અને પરાક્રમ જેવા સદ્ગુણો ધરાવતા શિશુનું મહારાજા નાભિએ નામ ઋષભ રાખ્યું. તેઓ ધર્મ અને કર્મના આદ્ય નિર્માતા હોવાથી લેખકોએ એમનું એક નામ આદિનાથ લખ્યું અને આ નામ વધુ લોકોમાં વ્યાપક બન્યું. એમના કાશ્યપ, વિશ્વકર્મા, વિધાતા જેવાં નામ પણ મળે છે.
આજે પણ ભારત દેશ એ કૃષિ-સંસ્કૃતિ પર આધારિત છે. એનું કર્મ કૃષિસંસ્કૃતિ છે અને એનો ધર્મ ઋષિસંસ્કૃતિ છે. એ સંસ્કૃતિનો પ્રારંભ રાજા ઋષભથી થયો અને જગત પર એક મહાન પરિવર્તન સર્જાયું. એમનો પ્રભાવ કેટલો વિશ્વવ્યાપી હશે એનો ખ્યાલ તો જૂની તિબેટીયન ભાષામાં લખાયેલા 'ગાંગકારે ટેકશી' ગ્રંથમાં મળે છે. ગાંગકારે ટેકશીનો અર્થ છે 'શ્વેત કૈલાસ' અને એ પ્રાચીન ગ્રંથમાં એનો ભગવાન ઋષભદેવ અને ભરત-બાહુબલિના નામનો ઉલ્લેખ મળે છે. જરા વિચાર તો કરીએ કે વૈદિક સાહિત્ય અને તિબેટી સાહિત્યમાં ઋષભના વિશ્વવ્યાપી પ્રભાવની વિગતો આજ સુધી આપણે મેળવી શક્યા નથી અને એથીયે વિશેષ જગતનાં જુદા જુદા દેવો સાથે ઋષભદેવની સરખામણી કરશો તો તમને પારાવાર આશ્ચર્ય થશે. એ વિશે વધુ ઊંડાણથી હવે પછી વિચારીશું.