શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલી 'વૃત્રસુર' રાક્ષસની અદ્ભુત સ્તુતિ
- વૃત્રાસુરે પ્રભુભક્તિ માંગી, લૌકિક ભોગ ભક્તિમાં બાધક હોય તેવા ભોગોથી તે દૂર રહેવા માગે છે
શ્રી મદ્ ભાગવત ગ્રંથનાં છઠ્ઠા સ્કંધ જે પોષણ લીલા કે પુષ્ટિ લીલા - ભગવાનનો ડાબો ઉરુ તરીકે ઓળખાય છે. તેઓ તેમાં વૃત્રાસુરનું વર્ણન આપેલ છે. તે એક મોટો અસુર હતો. તે દેવોને ત્રાસ આપતો હતો. એટલે તેનું નામ વૃત્રાસુર રાખ્યું હતું. - ત્રાસ આપનાર જેની વૃત્તિ છે એજ વૃત્રાસુર છે.
દેવોના સર્વ અસ્ત્રશસ્ત્રો ને તે ગળી જવા લાગ્યો હતો. કોઇ થી તે મરતો ન હતો. દેવો પ્રભુને પ્રાર્થના કરી પરમાત્માએ દેવોને કહ્યું ''દધીચિ ઋષિનાં અસ્થિઓનું શસ્ત્ર બનાવો, તેનાથી વૃત્રાસુર મરશે. પછી દેવો દધીચિ ઋષિની પાસે જઇને આ માટે પ્રાર્થના કરી. ''દધીચિ ઋષિએ લોક કલ્યાણ માટે આ માંગણી સ્વિકારીને યોગથી દેહત્યાગ કરી દેવોને શરીર અર્પણ કર્યું'' વિશ્વનું આ પહેલું દેહદાન હતું, ''અને બોધ આવ્યો કે બીજા ને કામ લાગે તેજ સાચું શરીર છે.'' જીવન ઉનકા જીવન હૈ જો ઔરો કે કામ આતા હૈ.
ઇન્દ્રએ જ્યારે એ દધીચિનાં અસ્થિમાંથી બનાવેલ વજ્ર ઉઠાવ્યું ત્યારે વૃત્રાસુરે કહ્યું કે હે ઇન્દ્ર તમારા હાથમાં જે વજ્ર તે દધીચિ મુનિના અસ્થિમાંથી બન્યું છે. અને તેનાથી મારૂં મૃત્યુ છે એ હું જાણું છું. મારૂ મોત તારી મુઠ્ઠીમાં છે. આ યુદ્ધમાં મારો પરાજય અને મૃત્યુ નિશ્ચિત છે. તમારો વિજય અને જીવન પણ નક્કી જ છે. તમારા વ્રજમાં મને પ્રભુના દર્શન થાય છે. આથી પહેલા મને પ્રભુની પ્રાર્થના કરી લેવા દો. આમ કહીને એણે સમરાંગણમાં ચાર શ્લોકમાં સ્તુતિ કરી જે ભાગવતમાં 'ચતુશ્લોકી' ભાગવત તરીકે પણ ઓળખાય છે. આ ચાર શ્લોકમાં વૈષ્ણવનાં ધર્મ-અર્થ-કામ અને મોક્ષની વ્યાખ્યા આપી છે.
હિન્દીમાં શ્લોક છે.
(શ્રીમદ ભાગવત ૨૬-૧૧-૨૭)
(૧) વૃત્રાસુર કહે છે 'મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે તેવું પ્રભુ મને આપો. આ વૃત્રસુરની શરણાગતિ છે.
(૨) ત્યાગોના વિષયોનો ત્યાગ તમારા વિયોગમાં આ બધા વિષયો શાં કામના ? તમારા સિવાય હું કશાની ઇચ્છા કરતો નથી. આમા 'હું' ...ને ત્યાગ છે.
(૩) પાંખો આવી ન હોય તેવા પક્ષીઓનાં બચ્ચાં જેવી રીતે પોતાની માતાની આતુરતાથી રાહ જુએ છે. ...... પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી ઉત્કંઠા સેવે છે. તેવી જ રીતે હે 'કમલનયન' મારૂં મન પણ આપના દર્શન કરવા માટે તરફડી રહ્યું છે.
(૪) હે નાથ, હું આપનો દાસ થવાને તો યોગ્ય નથી પરંતુ આપના દાસનો દાસ (દાસાનુદાસ) બનાવો.
હું મુક્તિ ઇચ્છતો નથી, મારા કર્મોના ફળરૂપે વારંવાર મારે જન્મ લેવા પડે અને ભવ ભવાટવીમાં ભટકવું પડે તેની મને પરવા નથી પરંતુ જે જે યોનિમાં હુ જન્મ લઉં ત્યાં ત્યાં તમારા લાડીલા ભક્તજનોનો પ્રેમ ભર્યો સહવાસ મને મળી રહે. હે પ્રભુ કે હું એટલું જ માંગુ છું કે જે લોકો તમારી માયાથી ધન-ધામ અને ધરા તથા પોતાના સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઇ રહેલ છે તેવા લોકોની સાથે મારે કોઇપણ પ્રકારનો સંબંધ ક્યારેય ન થાય.
આમ વૃત્રાસુરે પ્રભુભક્તિ માંગી, લૌકિક ભોગ ભક્તિમાં બાધક હોય તેવા ભોગોથી તે દૂર રહેવા માગે છે. વૃત્રાસુરની આવી પ્રભુમયભાવની સ્તુતિથી ઇન્દ્ર પણ ડોલવા લાગ્યો. ભક્તિ સ્વતંત્ર ભગવાનને પ્રેમના બંધનમાં પરતંત્ર બનાવે છે.
સ્તુતિ પૂરી થઇ અને ઇન્દ્રના વજ્રથી વૃત્રાસુરનો વધ થયો. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળ્યું છે. વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું છે. ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું કે આ રાક્ષસ હતો પણ ભગવાનમાં તેનો કેવો પ્રેમભાવ હતો! ભગવાને વૃત્રાસુર ઉપર પુષ્ટિ કરી-કૃપા કરી આથી આને પુષ્ટિ લીલા પણ કહે છે.
આપણે પણ આ વૃત્રાસુરની સ્તુતિનું રટન કરીને જેવા હોઇએ તેવા પણ પ્રભુની શરણાગતિનો સ્વિકાર કરીએ...અસ્તુ
- ઉમાકાન્ત જે. જોષી