(માગશર વદ- 9 જલેબી નોમ)
પુષ્ટિ માર્ગના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પંઢરપુર પધાર્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથ ભગવાને આપશ્રીને આજ્ઞાા કરી કે, આપ વિવાહ કરો પછી આપને ત્યાં હું સ્વયં પુત્રરૂપે પ્રગટ થઈશ. મહાપ્રભુજીના વિવાહ બાદ મા અક્કાજીની ગોદમાં દ્વિતીય પુત્રરૂપે માગશર વદ નોમે ઉત્તરપ્રદેશના ચરણાટમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું અવતરણ થયું. આપશ્રીએ ભક્તિમાર્ગનો વિસ્તાર કર્યો. રાગ, ભોગ, ઉત્સવ અને શૃંગારને ચાર ચાંદ લગાવ્યા. બસો બાવન વૈષ્ણવો સેવક બન્યા. આપની ગૌસેવાથી પ્રભાવિત થઈને બાદશાહ અકબરે 'ગુંસાઇજી' નામ રાખ્યુ. બિરબલ, તાનસેન, રાણી દુર્ગાવતી, અલીખાન પઠાણ પિરઝાદી આપને ગુરૂ માનતા.
દરરોજ શ્રી ગોકુલથી ઘોડા ઉપર ગિરીરાજમાં શ્રીનાથજીની સેવામાં પધારતા. એક વાર શ્રીજીબાવાએ રામદાસ, કુંભનદાસ સૌને જલેબી સિદ્ધ કરવાની આજ્ઞાા કરી. ભોગમાં જલેબી જાણી શ્રી ગુંસાઈજીએ શ્રીજીબાવાને પૂછયું ત્યારે શ્રીનાથજીએ જણાવ્યું કે, કાકાશ્રી, આજે આપના પ્રાગટય દિન નિમિત્તે જલેબી આરોગી છે. તેથી માગશર વદ નોમનું બીજું નામ 'જલેબી નોમ' પડયું. સર્વ વૈષ્ણવો આ દિવસે શ્રી ઠાકોરજીને સ્વહસ્તે સિદ્ધ કરી જલેબી ધરાવે છે. આરતી કરતા ગાય છે, 'પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હાથ દે માથે, જે જન શરણ આય અનુસરહીગ્રહી સોંપત શ્રી ગોવર્ધન નાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણિ રાખત ભવધારા વહ્યો જાત, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ.'
- મુકેશભાઈ ભટ્ટ


