શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગ્ટય સંવત્ ૧૭૯૫ ના શ્રાવણ વદ- આઠમના રોજ અયોધ્યામાં થયું હતું. તેઓ બ્રાહ્મણ કુળમાં પ્રગટયા હતા. તેમના પિતાશ્રીનું નામ અજય વિપ્ર અને માતાનું નામ સુમતિ હતું. રામાનંદસ્વામીનું બાળપણનું નામ રામશર્મા હતું. તેઓ બાળપણથી જ પ્રભુ પ્રેમને કારણે વૈરાગ્યવાન હતા. નાની ઉંમરમાં સંસારના બંધન તોડીને તેઓ ગૃહત્યાગ કરી સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં આવ્યા અને ત્યાં શ્રી આત્માનંદ સ્વામી પાસેથી દિક્ષા લઈ રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું. શ્રી રામાનંદ સ્વામી- શ્રી સહજાનંદ સ્વામી સાથે ૧ વર્ષ ૫ માસ ૧૬ દિવસ રહ્યાં તથા આ લોકમાં ૬૩ વર્ષ ૪ માસ અને ૫ દિવસ રહી અનેક મુમુક્ષોને ભગવાન ઓળખાવ્યા. અનેક મુમુક્ષોમાં સદાચાર, શીલ, સંસ્કાર, ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિના બીજ વાવ્યા અને ત્યારપછી એ બીજ સહજાનંદસ્વામીના પોષણે કરીને વટવૃક્ષ બન્યાં.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


