દ્વારકામાં સસ્પેન્ડેડ ભાજપ ધારાસભ્ય પબુભા મોરારિબાપુને મારવા દોડયા
- ભગવાન શ્રી કૃષ્ણ વિશેના વિધાનોથી થયેલા વિવાદમાં નવો વળાંક
- ભાજપ સાંસદ, મીડિયા અને આહિર સમાજના આગેવાનોની હાજરીમાં કથાકારને તું કારે બોલાવીને પડકાર
- મહિલા સાંસદે વચ્ચે પડીને વાર્યા
રાજકોટ, તા. 18 જૂન, 2020, ગુરૂવાર
ભગવાન શ્રી કૃષ્ણ, યાદવકૂળ અને દ્વારકા નગરી વિશેના કથાકાર મોરારિબાપુના વિધાનોએ ખડા કરેલા વિવાદમાં આજે નવો વળાંક આવ્યો છે. આહિર સમાજે તેમના વિરૂધ્ધ આંદોલનનો પડકાર કરતાં આ રામાયણી આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવીને માફી માગવા પહોંચ્યા હતાં, પરંતુ વિવાદ શમે ત્યાં જ દ્વારકાના સસ્પેન્ડેડ ભાજપી ધારાસભ્ય પબુભા માણેક તેમના પર હુમલો કરવા દોડી ગયા હતાં. અલબત્, આગેવાનોએ સમયસર વચ્ચે પડીને મામલો બિચકતા અટકાવ્યો હતો.
કથાકાર મોરારીબાપુના કેટલાક વિધાનથી વિરોધની લાગણી પ્રસરી હતી. હિન્દુઓના આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણ બાબતે ટિપ્પણીને લઈને વિરોધની લાગણી પ્રસરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 'કાન્હા વિચાર મંચ' દ્વારા મોરારીબાપુને તેમના વિધાનો બદલ દ્વારકાધીશના ચરણઓમાં આવીને માફી માંગવા માટે અલ્ટિમેટમ અપાયું હતું. આના અનુસંધાને તેઓ આજે દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતાં તેમણે સ્થાનિક આગેવાનો તથા સાંસદ પૂનમબેન માડમ વિગેરેની ઉપસ્થિતીમાં તેમનું કથન રજૂ કર્યું હતું.
તેમની વાત પૂર્ણ થતાં તુરંત જ દેવભૂમિ દ્વારકાના તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેક ગુસ્સાભેર ધસી આવ્યા હતાં અને મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સમય પારખીને સંસદ સભ્ય પૂનમબેન માડમે મોરારી બાપુની બાજુમાંથી તુરંત જ ઊભા થઈ પબુભા માણેકને અટકાવ્યા હતાં. આ સ્થળે આગેવાનો કાર્યકરોએ પબુભાને આ સ્થળેથી લઈ જઈને મામલો થાળે પાડયો હતો. આ સાથે જ આ સમગ્ર પ્રકરણ દેવભૂમિ દ્વારકા સાથે દેશ ભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું હતું.
દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવી કાન્હા વિચારમંચના આગેવાનો સાથે રાખી દ્વારકાધીશ પાસે માફી માગી તે પછી મોરારીબાપું શારદાપીઠખાતે રૂમમાં મીડિયાને ઈન્ટરવ્યૂ આપતી વેળાએ રૂમમાં ઓચીંતા દ્વારકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા મામેક રૂમમાં ક્રોધ સાથે ધસી આવ્યા હતાં.
મોરારી બાપુ ઉપર પબુભા હુમલાનો પ્રયાસ કરે એ પહેલા અન્ય એક વ્યક્તિએ પબુભાને પકડી દૂર ખસેડયા હતાં. પબુભાએ મોરારીબાપુને તુકારો આપી બહાર નીકળવા પડકાર્યા ત્યારે સાંસદ પુનમબેન માડમે પબુભાને બારથી પંદર વાર 'બાપુ મારા સમ છે' તેમ કહીને રોકયા હતાં. પબુભાએ કહેલ હાલો જાવા દિયો આયથી કહેતા મોરારી બાપું ત્યાંથી જતા રહ્યા હતાં. જો કે ત્યાં હાજર રહેલ પોલીસ કર્મીઓ પણ સમગ્ર ફિલમ જોતા રહ્યા હતાં.
આક્રમક દોટ બાદ માજી ધારસભ્યનો રક્ષણાત્મક બચાવ!
'હું તો પ્રશ્ન પૂછવા ગયો હતો, બધાને થયું કે મારવા દોડયો છું'
૧૭૦૦ વર્ષથી આપણે આવી જ ફિલોસોફીમાં માર ખાતાં આવ્યા છીએ, હિન્દુના દિકરા તરીકે દુ:ખ થાય : પબુભા
સાંજે કથાકારને મારવા માટે આક્રમક દોટ મુકયા બાદ રાતે માજી ધારાસભ્ય પબુભા માણેકે ટેલિફોનિક વાતચીતમાં રક્ષણાત્મક રવૈયો અપનાવતાં કહ્યું કે 'હું તો ત્યાં દર્શન કરવા ગયો હતો, મોરારિબાપુ ત્યાં આવ્યાની ખબર પડી તો મને થયું કે, લાવ ને એમને પૂછું કે તમે જે બોલ્યા તે શેમાં લખેલું છે. હું એ પૂછવા જતો હતો તો બધાને એમ લાગ્યું કે મારવા દોડયો છૂં.'
જો એમ જ હોય, તો પછી તેમને બહાર લઈ જવાતા હતા ત્યારે તુંકારો આપીને પડકાર કર્યા હતા તેનું શું એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, મોરારિબાપુના વિધાનથી ઘણાંને ખીજ ચડેલી છે અને એવામાં આ બન્યું એટલે યજ્ઞ થતો હોય એમાં આહૂતિ આપવી હોય તેમ વાટકી વાટકી લઈને બધા દોડે એવું થયું!
હાલના વિવાદમાં પ્રસ્તુત બની રહે તેવા નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે, 'હિન્દુના દિકરા તરીકે દુ:ખ તો થાય જ ને આપણે હિન્દી - ચીની ભાઈ - ભાઈ અને એવી બીજી વાતોને લીધે જ ૧૭૦૦ વર્ષથી માર ખાતાં આવીએ છીએ.'
સવા-દોઢ મિનિટની વિડીયો ક્લિપ્સ જોતજોતાંમાં વાયરલ
દ્વારકામાં શારદાપીઠ ખાતે મીડિયા સાથે કથાકારની વાતચીતના અંતિમ તબક્કાથી માંડીને હુમલા માટે ધસી આવેલા ધારાસભ્ય, તેને રોકવા એક અગ્રણીનો અને મહિલા સાંસદનો પ્રયાસ તેમજ માજી ધારાસભ્યના પડકારા વચ્ચે ફેલાઈ ગયેલી ઉત્તેજનાની ક્ષણોની એકાધિક વિડીયો ક્લિપ્સ ધડાધડ વાયરલ થઈ ગઈ હતી.
કથાકાર રામાયણી, બોલ્યા શ્રીકૃષ્ણ વિશે, ઉશ્કેરાયા શિવભક્ત !
મૂળત: મોરારીબાપુ રામાયણી છે અને પરંપરાગત રીતે રામકથા કરતા આવ્યા હતાં, જેમાં છેલ્લા થોડાં વર્ષોથી બદલાવ આણીને હવે જે - તે સ્થળ, જ્ઞાાતિ - સંપ્રદાય કે સમૂહને અનુલક્ષીને 'માનસ' કથા કહી તેમાં રામાયણના પ્રસંગોને આવરી લે છે. હાલ તેમના જે વિધાનથી વિવાદ થયો એ શ્રીકૃષ્ણ ભગવાન વિશે હતાં, અને તેનાથી ઉશ્કેરાઈ ગયેલા માજી ધારાસભ્ય શિવભક્ત છે!