દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંજૂરી વગર પ્રવેશતા આસામીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
- ભાણવડ પંથકમાં 161 લોકો સામે ગુનો નોંધાયો
જામ ખંભાળિયા, તા. 6 મે 2020 બુધવાર
કોરોના વાઈરસની મહામારી સંદર્ભે દ્વારકા જિલ્લાનું સરકારી તંત્ર કડક રીતે ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં મંજૂરી વગર બહારથી આવતા શખ્સો દ્વારા કોરોનાનું સંક્રમણ થવાની પૂરી સંભાવના વચ્ચે પોલીસ તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ કોવિડ - 19 ની મહામારી વચ્ચે ભાણવડ તાલુકામાં અન્ય જિલ્લા તથા અન્ય રાજ્યમાંથી મંજૂરી વગર પ્રવેશ કરેલા શખ્સો સામે સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જે મુજબ આ પંથકમાંથી 161 આસામીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સો સામે સુધી આઈ પી. સી. કલમ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ લોકોને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
હાલ જિલ્લામાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કરફયુ જેવી પરિસ્થિતિનું પાલન કરવાનું થશે. આ માટે ભાણવડ પોલીસ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ જિલ્લા કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવી છે.