દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 26 શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ
જામ ખંભાળિયા, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આજે શુક્રવાર સુધીમાં કુલ 26 વ્યક્તિઓના શંકાસ્પદ જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કોરોના સંદર્ભે હોમ કવોરોન્ટાઈનમાં હવે ફક્ત પાંચ વ્યક્તિઓ તથા સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં માત્ર સાત જ વ્યક્તિઓ રહી છે. ત્યારે બોટ કવોરોન્ટાઈનમાં 118 વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. આ સાથે 546 વ્યક્તિઓના ચૌદ દિવસના ફોલો અપ પૂર્ણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ સુધી જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નથી. જેથી જિલ્લાની જનતા સાથે આરોગ્ય તંત્રમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.