દ્વારકા જિલ્લામાં માછીમારો માટે ૩૧મી જુલાઈ સુધીનો પ્રતિબંધ
- દરિયાકાંઠે કે ક્રિક વિસ્તારમાં અવર-જવારની મનાઈ
- મે માસથી દરીયો તોફાની થઈ જતો હોવાનાં કારણે પરવાનગી ન અપાતી હોવા છતાં માછીમારી કરવા જતાં ખલાસીઓને સુચના
ખંભાળિયા, તા. ૨૯ મે, ૨૦૨૦, શુક્રવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને તા. ૩૧ જુલાઈ સુધી દરીયાકાઠે કે ક્રિક એરીયામાં અવર જવર પર પ્રતિબંધ મુકતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને અમલ કરવા પણ કડક તાકિદ કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. મે માસથી દરીયો તોફાની થઈ જાય છે. માછીમારોને સામાન્ય રીતે મે માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમયુકત હોય છે. મત્સયોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી કરવા માટે સમુદ્રમાં જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલા માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી પુરી સંભાવના રહે છે.
જેથી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય, દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ તા. ૧ જુન થી તા.૩૧ જુલાઈ સુધી માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવા પર અને કોઇપણ બોટની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.