Get The App

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બાબતે હજી પણ અવઢવ

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બાબતે હજી પણ અવઢવ 1 - image


નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી એવી વાત થઈ રહી છે કે, ગમે ત્યારે જેપી નડ્ડાને સ્થાને ભાજપ નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક કરશે. નાગપુર ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત મળ્યા હતા ત્યારે એમ મનાતું હતું કે, રાષ્ટ્રીય પ્રમુખ બાબતે બંને નેતાઓએ કોઈક નામ પર સહમતી સાધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ જેપી નડ્ડાનો કાર્યકાળ પુરો થઈ ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપએ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને કારણે સંગઠનની ચૂંટણી પર ભાજપએ ફોકસ કર્યું નહોતું. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થાય છે કે ભાજપએ નક્કી કરેલા નામ બાબતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સહમત નથી. આરએસએસની સહમતી પછી જ રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થશે.

કોંગ્રેસે ટ્રોલ કર્યા તો થરૂરે કહ્યું, 'મારી પાસે કરવા જેવા બીજા ઘણા કામ છે'

ભારત તરફથી ઓલ પાર્ટી ડેલિગેશન ઓપરેશન સિંદુરની સફળતા બાબતે વાતચીત કરવા વિદેશમાં ગયું છે. એક ડેલિગેશનની આગેવાની કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લીધી છે. શશી થરૂરે પનામામાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકારે પહેલી વખત ક્રોસ બોર્ડર સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. થરૂરના આ નિવેદનથી કોંગ્રેસ હાઇકમાન્ડ ખૂબ નારાજ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ થરૂરને સોશ્યલ મીડિયા એક્સ પર ટ્રોલ કર્યા ત્યારે થરૂરે વળતો જવાબ આપ્યો હતો કે, મારી પાસે ટીકાકારોને જવાબ આપવાનો સમય નથી. મેં ફક્ત આતંકવાદી હુમલા સામે થયેલી કામગીરી વિશે વાત કરી હતી. મેં યુદ્ધ બાબતના ઇતિહાસ વિશે વાત કરી નહોતી. મારું નિવેદન છેલ્લા થોડા વર્ષોમાં થયેલા હુમલા વિશેનું હતું. પનામાથી મારે અરધી રાત્રે નિકળીને બોગોટા, કોલમ્બિયા પહોચવાનું છે. મારી પાસે સમય નથી.

'આ મોગલ શાસન સ્થાપવાની કોશિશ છે', કોર્ટની ટકોર

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક વકીલની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી રદ કરતી વખતે જજે કહ્યું છે કે, જે કોઈ પુરાવા રજુ કરવામાં આવ્યા છે એનાથી ચોખ્ખુ લાગે છે કે વકીલે સાંપ્રદાયિક સદભાવ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત મોગલ શાસનની સ્થાપના કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જે વકીલ સામે કેસ દાખલ થયો છે એ માનવ અધિકાર માટે કામ કરતા હોવાનું કહેવાય છે. ૨૦૨૩માં એમની સામે ફરિયાદ દાખલ થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભોપાલની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે પણ એમની અરજી રદ કરી હતી. વકીલની સામે ક્રિમિનલ કોન્સપીરસી, બે કોમો વચ્ચે નફરત ફેલાવવા જેવી કલમો લાગુ કરવામાં આવી હતી. યુએપીએ હેઠળ પણ વકીલ સામે ફરીયાદ કરવામાં આવી હતી.

બીજેપી પહેલાં સરકારની કામગીરીનો રીપોર્ટ આપ લાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવીને ભાજપ સત્તા પર આવ્યા પછી રાજકીય ક્ષેત્રે શાંતિનું વાતાવરણ હતું. જોકે વિરોધપક્ષ આપએ શાંતિથી પોતાનું હોમવર્ક કર્યે રાખ્યું હતું. દિલ્હીની ભાજપ સરકારે ૧૦૦ દિવસ પુરા કર્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘણી કામગીરી કરી હોવાની ગુલબાંગો હાંકી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી આ ૧૦૦ દિવસોને સરકારની નિષ્ફળતા ગણાવ્યા છે. પક્ષના સિનિયર નેતા સૌરભ ભારદ્વાજ, આતીશી મારલેના અને કુલદિપ કુમારે રેખા ગુપ્તાની સરકાર પર શાબ્દીક હુમલા ક્યા છે. આપના કહેવા પ્રમાણે સરકાર ખોટુ બોલી રહી છે. આપે સરકારની નિષ્ફળતાનો રીપોર્ટ જાહેર કર્યો છે અને આ રીપોર્ટ તેઓ દિલ્હીવાસીઓને ઘરે ઘરે જઈને પહોંચાડવાના છે.

સંજય નિરૂપમનો આક્ષેપ, મીઠી નદી કૌભાંડમાં આદિત્ય ઠાકરેની પણ સંડોવણી

મુંબઈની મીઠી નદીનું શુદ્ધીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ ફિલ્મસ્ટાર ડીનો મોરિયાને આપવામાં આવ્યો હતો. એ વખતે મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની સરકાર હતી. આ શુદ્ધીકરણમાં મોટુ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે. મુંબઈ પોલીસની ઇકોનોમીક વીંગ્સે આ ગોટાળા બાબતે ડીનો મોરિયાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બે વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે અને આ બંને વચેટિયાઓને ડીનો મોરિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. ૬૫ કરોડ રૂપિયાના કૌભાંડમાં કેટલાક અધિકારીઓ સહિત ૧૩ વ્યક્તિઓ સામે કેસ દાખલ થયો છે. હવે શિવસેના (એકનાથ શિંદે)ના નેતા સંજય નિરૂપમે કહ્યું છે કે, '૨૦૦૫માં મીઠી નદીની સફાઈ માટે ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સફાઈની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. વર્ષો સુધી મુંબઈ કોર્પોરેશનમાં ઠાકરે કુટુંબની સત્તા હતી અને એમની પરવાનગી વગર કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નહોતા. આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયા વચ્ચે મિત્રતા છે. આદિત્ય ઠાકરેની પણ તપાસ થવી જોઈએ.'

રંગીલા ભાજપ નેતાની લીલા કઈ રીતે બહાર આવી

હાઇવે પર મહિલા સાથે જાહેરમાં સંબંધ બાધીને ચર્ચામાં આવેલા ભાજપના નેતા મનોહરલાલ ધાકડની પોલીસે કરેલી પૂછપરછ પછી કેટલીક નવી વાતો બહાર આવી છે. ધાકડના બહાર પડેલા વિડિયો કરતા પણ વધુ બિભત્સ વર્તન એણે હાઇવે પર કર્યું હતું. હાઇવે કર્મચારીઓએ આ વિડિયો વાયરલ કર્યો હતો. આ કર્મચારીઓએ પહેલા ધાકડ પાસે વિડિયો દબાવી દેવાના એક લાખ રૂપિયા માંગ્યા હતા. ધાકડ પાસે ૨૦ હજાર રૂપિયા રોકડા હતા જે એમણે કર્મચારીઓને આપી દીધા હતા. જોકે બાકી ૮૦ હજાર બાબતે સમાધાન નહીં થતા એક કર્મચારીએ વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. નેશનલ હાઇવે ઓથોરીટીએ આ બાબતે ત્રણ કર્મચારીઓને ડિસમિસ કર્યા છે.

કોંગ્રેસના સાંસદ વિદેશમાં પાકિસ્તાનને બેનકાબ કરે છે, પરંતુ દેશને સચ્ચાઈ જાણવી છે

મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અલકા લાંબાએ દિલ્હીમાં જય હિન્દ સભાનું આયોજન કર્યું હતું. ભારતીય સેનાના પરાક્રમને સલામ કરવા માટે કોંગ્રેસે આ સભા બોલાવી હતી. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, છેલ્લા કેટલાક સમયથી સામાન્ય પ્રજામાં એવી ધારણા બંધાઈ છે કે, કોંગ્રેસ ભારતીય લશ્કરની ટીકા કરે છે. આ ધારણાનો ભંગ કરવા માટે કોંગ્રેસ હવે એક્ટીવ થઈ છે. અલકા લાંબાએ કહ્યું હતું કે, અમે ભારતીય લશ્કરના પરાક્રમને સલામ કરીએ છીએ. વિદેશ ગયેલા ઓલ પાર્ટી ડેલિગેશનમાં કોંગ્રેસના સાંસદો પણ છે. કોંગ્રેસના સાંસદો વિદેશમાં પાકિસ્તાનને ખૂલ્લુ કરી રહ્યા છે, પરંતુ દેશમાં લોકોને સત્ય જાણવાનો હક્ક છે કે, ઓપરેશન સિંદુર બાબતે કોણ રાજકારણ રમી રહ્યું છે. યુદ્ધવિરામ કરવા પાછળ કોનો ડર હતો.

ઓપરેશન સિંદૂરના રાજનીતિકરણ માટે મમતાએ પીએમની ટીકા કરી

એક તરફ બહુ પક્ષીય પ્રતિનિધિમંડળ દેશના હિત માટે વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વડા પ્રધાન પર બેફામ આક્ષેપ કરીને તેમના પર ઓપરેશન સિંદૂરના રાજનીતિકરણ દ્વારા ક્રોસ બોર્ડર આતંકવાદ સામે ભારતની લડાઈ નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. ભારત-પાક સંઘર્ષ દરમ્યાન પ્રેસ બ્રીફિંગની જવાબદારી સંભાળનાર કર્નલ સોફિયા કુરેશીનો ઉલ્લેખ કરીને મમતાએ આરોપ કર્યો કે વડા પ્રધાન જ્યારે પોતાને યોગ્ય લાગે ત્યારે ભારતની વિવિધતાને રજૂ કરે છે જ્યારે અન્ય સમયે રાજકીય લાભ માટે ધાર્મિક ભાવનાઓને ભડકાવે છે. મમતાએ એવું પણ જણાવ્યું કે મોદીએ ૭૫ વર્ષની વય પછી જાહેર જીવનમાંથી નિવૃત્તિ લેવાની તરફેણ કરી હોવાથી બંગાળની ૨૦૨૬ની આગામી ચૂંટણીમાં તેઓ વડા પ્રધાન પદે નહિ હોય. મમતાએ પીએમ પર કટાક્ષ કર્યો કે એક સમયે તેઓ પોતાને ચહાવાળા ગણાવતા, પછી પોતાને ચોકીદાર તરીકે રજૂ કર્યા અને હવે સિંદૂર વેચવા નીકળ્યા છે. મમતાએ વધુ આરોપ લગાવ્યા કે યુપીના રસ્તાઓ પર બિભિત્સ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ભાજપના સાસંદ પહલગામની વિધવાઓને આતંકીઓનો સામનો નહિ કરવા બદલ જવાબદાર ઠેરવી રહ્યા છે. 

કવિતાનો બીઆરએસ નેતાગીરી સામે બળવો

તેલંગણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના નેતૃત્વ હેઠળની બીઆરએસ સામે તેમની પુત્રી કવિતાએ ગુરુવારે આરોપ કર્યો હતો કે પાર્ટીને ભાજપ સાથે મેળવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કવિતાએ ખાસ કરીને તેના ભાઈ કેટી રામારાવ સામે ગંભીર આરોપો કર્યા છે. કવિતાએ કહ્યું કે હું જેલમાં હતી ત્યારે પણ ભાજપ સાથે ભળી જવાના પ્રસ્તાવ આવી રહ્યા હતા, પણ મેં સાફ ઈન્કાર કરતા જણાવ્યું કે હું જેલમાં રહેવા તૈયાર છું, ભાજપમાં ભળવા તૈયાર નથી.

રાજસ્થાનમાં જાસૂસી માટે પકડાયેલો શખ્સ કોંગ્રેસ સાથે મળેલો હોવાનો ભાજપનો દાવો

ભાજપે દાવો કર્યો છે કે જૈસલમેરમાં પાકિસ્તાન માટે જાસૂસી  કરવા પકડાયેલો રાજસ્થાન સરકારનો કર્મચારી ભૂતપૂર્વ કોંગ્રેસ મંત્રી શાલે મોહમ્મદનો આસીસ્ટન્ટ હતો તેમજ તેણે સરકારને જાણ કર્યા વિના અનેકવાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર શકુર ખાન ૨૦૧૧થી સાત વાર પાકિસ્તાન ગયો હતો. એવો આરોપ છે કે ખાને જૈસલમેરથી સુરક્ષા સંબંધિત જાણકારી શેર કરી હતી. ખાનના રાજકીય સંબંધો વિશે પોલીસે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું પણ ભાજપના સૂત્રોએ દાવો કર્યો કે ખાન અશોક ગહેલોતની આગેવાની હેઠળની સરકારના ભૂતૂપર્વ મંત્રીનો સહાયક હતો.

- ઈન્દર સાહની


Tags :