Get The App

બિહાર મહાગઠબંધનમાં આ મોટો પક્ષ જોડાઈ શકે છે .

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
બિહાર મહાગઠબંધનમાં આ મોટો પક્ષ જોડાઈ શકે છે                . 1 - image


નવી દિલ્હી : થોડા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવી ચર્ચા છે કે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ ઓલ ઇન્ડિયા મજલીસ -એ- ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધન સાથે જોડાણ કરી શકે છે.

 એઆઇએમઆઇએમ તેજસ્વી યાદવના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યો છે. એઆઇએમઆઇએમના પ્રવક્તા આદીલ હસનએ કહ્યું છે કે, 'મહાગઠબંધન સાથે જોડાવામાં અમને રસ છે. આ બાબતે અમે સકારાત્મક છીએ. અમારી વિચારધારા ભાજપને હરાવીને બિહારને મજબૂત બનાવવાની છે.

 ૨૦૦૨માં પણ અમે મહાગઠબંધનને વિનંતી કરી હતી. અમારો ઉદ્દેશ ભાજપને હરાવવાનો હતો. બિહારમાં એનડીએની સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ૨૦૧૪માં બિહારે એનડીએના ૩૨, ૨૦૧૯માં ૩૯ અને ૨૦૨૪માં ૩૦ સાંસદ આપ્યા હતા, પરંતુ એમણે બિહાર માટે કંઈ કર્યું નથી.'

કર્ણાટક ભાજપમાં ધમસાણ, પક્ષે બે ધારાસભ્યોની હકાલપટ્ટી કરી

કર્ણાટક ભાજપમાં ભડકો થયો છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે ભાજપએ બે ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢયા છે. એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બર ઘણા સમયથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. આ બંને ધારાસભ્યોને પક્ષમાંથી હાકી કાઢવાની માહિતી કર્ણાટક ભાજપના પ્રમુખ બી વાય વિજયેન્દ્રએ આપી હતી. આ નિર્ણય હાઇકમાન્ડ તરફથી લેવામાં આવ્યો હતો. હાંકી કઢાયેલા ધારાસભ્યો વારંવાર ભાજપને કફોડી પરિસ્થિતિમાં મૂકતા હતા. આ બંને ધારાસભ્યો એ ૧૪ ધારાસભ્યોનો હિસ્સો હતા જેમણે એચ ડી કુમારસ્વામીની સરકાર તોડી પાડી હતી. સોમશેખર પોતાની કારર્કિદીની શરૂઆતમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સોમશેખર સિદ્ધારમૈયાની નજીક હતા. શિવરામ હેબ્બર ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ યેદીયુરપ્પા અને બોમ્મઇ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

'ઓપરેશન સિંદુર નિષ્ફળ છે' સંજય રાઉતની જીભ ફરી લપસી

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બહુ બોલકા સાંસદ સંજય રાઉતે ફરીથી વિવાદાસ્પદ વિધાન કર્યું છે. પાકિસ્તાનના આતંકવાદ સામે ભારતીય સેનાએ કરેલી કામગીરી ઓપરેશન સિંદુરને એમણે નિષ્ફળ ગણાવી છે. એમણે ફરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું છે. રાઉતે પત્રકારોને કહ્યું છે કે, 'જુઓ હું તો પહેલેથી જ કહું છું કે ઓપરેશન સિંદુર નિષ્ફળ ગયું છે. દેશના હિતમાં વિપક્ષના નેતાઓ આ બાબતે વધુ વાતચીત કરતા નથી. બીજી વાત એ છે કે ઓપરેશન સિંદુર કરવાની જરૂર કેમ પડી. પહેલગામમાં ૨૬ લોકોની હત્યા થઈ એ માટે જવાબદાર ગૃહમંત્રી અમિત શાહ છે. પ્રાયશ્ચિત કરવા માટે અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ. જો તેઓ રાજીનામું નહીં આપે તો વડાપ્રધાને એમનું રાજીનામું માંગી લેવું જોઈએ. સમગ્ર કેન્દ્રીય મંત્રી મંડળનું પણ વિસર્જન કરી નાખવું જોઈએ.'

સુરક્ષા માટે જોખમ હોવાનું કારણ આપી માયાવતીએ દિલ્હીનું ઘર ખાલી કર્યું

બહુજન સમાજ પક્ષના પ્રમુખ માયાવતીએ દિલ્હી ખાતેના લોઢી એસ્ટેટમાં આવેલો બંગલો ખાલી કર્યો છે. એક વર્ષ પહેલા સરકારે એમને આ ઘર આપ્યું હતું. બંગલો ખાલી કરવાનું કારણ એ આપવામાં આવ્યું કે એમના બંગલાની પાસે સ્કૂલ હોવાથી એમની સુરક્ષા જોખમાતી હતી. આ કારણ જાણીને ઘણાને નવાઈ લાગી છે. લગભગ ૧૦ વર્ષ પહેલા માયાવતીએ પોતાને જોખમ હોવાની વાત કરવાથી એમને લૂટીયન્સ દિલ્હી ખાતેના બંગલાની સામે આવેલા એક બસ સ્ટોપને પણ હટાવી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ હોવાથી એમને આ આવાસ આપવામાં આવ્યું હતું. બંગલો છોડીને એમણે ચાવી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી)ને આપી દીધી છે. રાજકીય નીરિક્ષકોના કહેવા પ્રમાણે તેઓનું આ નિવાસસ્થાન એકદમ યોગ્ય જગ્યા હતી કારણ કે એમને ઝેડપ્લસ સિક્યુરીટી આપવામાં આવી છે.

ખુરશી જોખમમાં મૂકાતા યુનુસને હિન્દુઓ યાદ આવ્યા

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની કોશિષ થઈ રહી છે. હમણા બાંગ્લાદેશના ડીફેક્ટો વડા મહોમ્મદ યુનુસ સત્તા જવાના ડરને કારણે ફફડી રહ્યા છે. હવે એમને બાંગ્લાદેશના હિન્દુઓની યાદ આવી છે. યુનુસે અમેરિકા સમક્ષ કરગરતા કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે બધુ કરી છૂટશે. તેઓ બધાને સાથે લઈને ચાલવા માંગે છે એવું વચન પણ એમણે અમેરિકાને આપ્યું. યુનુસે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ સ્ટીફન સ્નેક સાથે મુલાકાત કરી હતી. એમની સમક્ષ જ્યારે બાંગ્લાદેશના હિન્દુઓનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે ડરી જઈને એમણે કહ્યું હતું કે, મે નક્કી કર્યું છે કે અહીંના લઘુમતિઓ સાથે અન્યાય નહીં થવા દઉ. ૨૦૨૨ની વસ્તિ ગણતરી પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ૧ કરોડ ૩૦ લાખ છે.

મહિલા સાંસદનો આક્ષેપ, દારૂ પીને ટેબલ પર નાચવા માટે કહ્યું

ઓસ્ટ્રલિયાના એક મહિલા મુસ્લિમ સાંસદે પોતાના સહ કર્મચારી પર ગંભીર આક્ષેપ મૂક્યો છે. એમનું કહેવું છે કે એક કાર્યક્રમ દરમિયાન એમને દારૂ પીવા માટે કહેવામાં આવ્યું હતું. એમની સાથે બિભત્સ વાતો કરવામાં આવી હતી. આ બાબતે એમણે સંસદીય સમીતી સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. ઓસ્ટ્રેેલિયાના આ સાંસદ આ પહેલા પણ શારીરિક અત્યાચારની ફરિયાદ કરી ચૂક્યા છે. સેનેટર ફાતિમા પેમૈનના આ આક્ષેપથી મોટો વિવાદ થયો છે. એક પુરુષ સહકર્મચારીએ એમને ટેબલ પર ચઢીને ડાન્સ કરવા માટે પણ કહ્યું હતું. સેનેટરના કહેવા પ્રમાણે પોતે દારૂ પીતા નથી અને એમના સહકર્મચારીએ દારૂ પીધા પછી આ પ્રકારની ટીપ્પણી કરી હતી. સહકર્મચારીએ કહ્યું હતું કે, 'ચાલો તમને થોડો દારૂ પાઇએ અને પછી ટેબલ પર નાચતા જોઇએ.'

પાકિસ્તાનને સાથ આપવાનું તૂર્કીને ભારે પડયું, એરલાઇન્સ બરબાદ થઈ

ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનો સાથ આપવાનું તૂર્કીને ભારે પડી રહ્યું છે. ભારતીઓએ કરેલા બહિષ્કારને કારણે તૂર્કીનો પર્યટન ઉદ્યોગ ઠપ થઈ ગયો છે. તૂર્કીસ્ટ એરલાઇન્સના શેરોના ભાવમાં છેલ્લા દિવસો દરમિયાન ૧૦ ટકાથી વધારે ઘટાડો થયો છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તૂર્કીનો પ્રવાસ રદ કર્યો છે. મેઇકમાઇટ્રીપના કહેવા પ્રમાણે તૂર્કીની ફલાઇટોમાં ૬૦ ટકા બુકિંગ કેન્સલ થયા છે. ભારતથી તૂર્કીના નવા બુકિંગો થતા નથી. તૂર્કીની ઇકોનોમી પર પણ ભારતના બહિષ્કારની અસર થઈ છે. ૨૦૨૩માં ૨.૮૭ લાખથી વધુ ભારતીય મુસાફરો તૂર્કીની મુલાકાતે ગયા હતા. તૂર્કી જઇને દરેક ભારતીય પર્યટક આશરે ૧૨૦૦થી ૧૫૦૦ ડોલર ખર્ચ કરતા હતા.

કમાલ હસનના નિવેદનથી કર્ણાટકમાં રોષ

અભિનેતા કમાલ હસને તેની ફિલ્મ થગ લાઈફની રજૂઆતના માત્ર થોડા અઠવાડિયા પૂર્વેજ કન્નડ ભાષા તમિલમાંથી જન્મી હોવાનો દાવો કરીને વિવાદ સર્જ્યો છે. આ નિવેદનથી સમગ્ર કર્ણાટકમાં વ્યાપક રોષ ફેલાયો છે. કર્ણાટકના ભાજપ ચીફ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કમાલના વર્તનને અસંસ્કૃત ગણાવીને તેના પર પોતાની માતૃભાષાનું ગૌરવ વધારવા સાડા છ કરોડ કન્નડ લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ  લગાવ્યો. ભાજપના ચીફે એવું પણ જણાવ્યું કે કમાલ હસન છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ ધર્મનું અપમાન કરીને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યો છે.

ખેરાએ વિપક્ષી સાંસદોની પ્રશંસા કરતા દુબેએ પ્રતિક્રિયા આપી

કોંગ્રેસ નેતા પવન ખેરાએ ભારતના હિતો આગળ વધારવામાં વિપક્ષી સાંસદો સરકાર કરતા વધુ સક્ષમ હોવાનું જણાવ્યું હતું. હજી થોડા દિવસ પહેલા જ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા પ્રસ્તાવિત નામોની  ડેલિગેશનમાંથી બાદબાકી બાબતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટકરાવ થયો હતો. કોંગ્રેસે સૂચવેલા સભ્યોને નકારીને ભાજપે અન્ય સભ્યો નિયુક્ત કરતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. પવન ખેરાએ સાત ડેલિગેશનના સભ્યોની કામગીરી બાબતે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે સરખામણી કરવાની માગણી કરી હતી. ખેરાએ કોઈ નામ નહોતા લીધા પણ તેનો ઈશારો ભાજપ સાંસદ નિશિકાન્ત દુબે પ્રત્યે હતો જે હાલ એક ડેલિગેશનના સભ્ય તરીકે કુવૈતમાં છે. પ્રવાસ દરમ્યાન પણ દુબે સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા રહ્યા છે. ખેરાને જવાબ આપતા દુબેએ પોસ્ટ કરી કે આ વાત તમારા નેતા રાહુલ ગાંધીને સમજાવો. કે પછી મોદીનો વિરોધ કરવાનો તમારો એજન્ડા ભારતના વિરોધમાં ફેરવાઈ ગયો છે?

પાંચસોની નોટ પર પ્રતિબંધ મુકવાની નાયડુની ભાજપને સલાહ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ હાલ ચલણમાં રહેલી ઉચ્ચ મૂલ્યની ચલણી નોટોને નાબૂદ કરવાની તેમજ જીવનના તમામ ક્ષેત્રોમાં, ખાસ કરીને રાજકારણમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ડિજિટલ ચલણને સંપૂર્ણ રીતે અપનાવવાની હિમાયત કરી છે. કડપા ખાતે પાર્ટીના વાષક ત્રણ દિવસીય મેગા કન્વેશન  દરમ્યાન મંગળવારે ભાષણ આપતા નાયડુએ જણાવ્યું હતું કે ૨૦૧૬ માં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોના ડિમોનેટાઇઝેશન પછી તેમણે વડા પ્રધાનને દેશમાં ડિજિટલ કરન્સી રજૂ કરવાની  સલાહ આપી હતી. એ વખતે પણ એનડીએના સહયોગી રહેલા નાયડુને ચલણ રહિત અર્થતંત્ર માટે એક્શન પ્લાન બનાવવાની કમિટીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાયડુએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર નાબુદ કરવા ઉચ્ચ મૂલ્યની નોટો પર પ્રતિબંધ મુકવાનો એકમાત્ર ઉપાય છે.

- ઈન્દર સાહની

Tags :