Get The App

દિલ્હીની વાત : ખડગે અને થરૂર વચ્ચે ટનાટની

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ખડગે અને થરૂર વચ્ચે ટનાટની 1 - image


નવીદિલ્હી : છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદીના ચાહક બની ગયેલા શશી થરૂર વિશે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ટીખળ કરી હતી. કટોકટીના ૫૦ વર્ષ પૂરા થયાના પ્રસંગે ખડગેએ મોદીને નિશાન બનાવ્યા હતા. મિડિયાએ જ્યારે ખડગેને શશી થરૂર વિશે પૂછયું ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે, કેટલાક લોકો માટે દેશ કરતા પહેલા મોદી છે. ખડગેએ કહ્યું હતું કે, 'દેશ અમારા માટે પહેલો છે, નહીં કે મોદી.' ખડગેના આ કટાક્ષનો જવાબ આપતા શશી થરૂરએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં એમણે કોઈનું નામ લખ્યું નહોતું. પરંતુ એમનો ઇશારો કોની તરફ હતો એ બધા સમજી ગયા હતા. થરૂરે લખ્યું હતું કે, 'ઉડવાની મંજૂરી નહીં માંગો, પાંખ તમારી પોતાની છે અને આસમાન કોઈનું નથી.'

બિહાર ચૂંટણી માટે ડી રાજાએ તેજસ્વી યાદવ પાસે બે ડઝન બેઠકો માંગી

બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય ગતિવિધિ ઝડપી થઈ ગઈ છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડી રાજા મહાગઠબંધનના સંયોજક તેજસ્વી યાદવને મળ્યા હતા. ભાકપાના ડી રાજા સિવાય રાજ્ય સચીવ રામ નરેશ પાંડેય, રાજ્ય સચીવ મંડળના સભ્ય સંજયકુમાર, ઓમ પ્રકાશ નારાયણ અને અવધેશકુમાર રાય પણ આ મુલાકાત વખતે હાજર હતા. મળતી જાણકારી પ્રમાણે આ મીટિંગમાં બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી સહિત દેશના રાજકારણ વિશે પણ ચર્ચા થઈ હતી. ડી રાજાએ સોશ્યલ મીડિયા એક્સ પર આ મુલાકાતની તસવીરો પણ મૂકી છે. મળતી જાણકારી પ્રમાણે ડી રાજાએ અધધ કહી શકાય એવી ૨૪ બેઠકોની માંગણી કરી હતી. ડી રાજાની આ માંગણી સાભળીને તેજસ્વી યાદવ અચંબામાં પડી ગયા હતા. જોઈએ હવે ભાકપાને કેટલી બેઠકો મળે છે.

કોંગ્રેસે આપને દગો આપ્યો

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ગુજરાત અને પંજાબની પેટા ચૂંટણીમાં મળેલી જીત પછી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. કેજરીવાલના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્પ નથી, પરંતુ એના ખોળામાં બેઠી છે. કેજરીવાલનો આક્ષેપ છે કે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપ સાથે મળેલા છે. ગુજરાતમાં કોંગ્રેસે એમના પક્ષને દગો કર્યો છે. બંને પક્ષો વચ્ચે પેટા ચૂંટણી માટે સમાધાન થયું હતું જેનું પાલન કોંગ્રેસે કર્યું નથી. કેજરીવાલે કહ્યું હતું કે, 'કોંગ્રેસે કહ્યું હતું કે, ગુજરાતમાં જે પાંચ બેઠકો પર એમના ધારાસભ્ય ભાજપમાં ચાલ્યા ગયા છે એના પર આપ ચૂંટણી નહીં લડે અને જે એક બેઠક પર આપના ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં કોંગ્રેસ ચૂંટણી નહીં લડશે. પાંચ બેઠકોની ચૂંટણી ગયા વર્ષે થઈ ત્યારે આપે એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો, પરંતુ છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે આપ સામે ઉમેદવાર ઉભો રાખ્યો હતો.

લાલુ યાદવના કુટુંબમાં ઝઘડાની પરાકાષ્ઠા

લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં ચાલી રહેલા ઝઘડા પર ભાજપનું ધ્યાન છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ બાબતે નિવેદનો પણ કરી રહ્યા છે. પ્રસાદે એવી ભવિષ્યવાણી કરી છે કે, લાલુ કુટુંબમાં આંતરિક ખેંચતાણ આગળ પણ ચાલુ રહેવાની છે. રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, ચારા ગોટાળામાં જાહેર હીતની અરજી એમણે જ કરી હતી જેને કારણે લાલુ પ્રસાદે જેલમાં જવું પડયું હતું. લાલુ પ્રસાદ યાદવએ ગયા મહિને એમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને જાહેરમાં પક્ષ અને કુટુંબમાંથી કાઢી મૂક્યા છે. બીજી તરફ માંઝીએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે, તેજસ્વી યાદવ નથી ઇચ્છતા કે મિસા ભારતી અને એમના પતિને આરજેડીમાં કોઈ જવાબદારી મળે. રાજકારણમાં સામાન્ય રીતે એવું મનાય છે કે રાજકીય રીતે વિરોધીઓ પણ બીજાના કૌટુંબિક ઝઘડામાં પડતા નથી. જોકે લાલુ પ્રસાદ યાદવના કિસ્સામાં કંઈક અલગ જ થઈ રહ્યું છે.

મજીઠિયાના ઘરે રેડ કરીને ધરપકડ કરવી બીનજરૂરી

પંજાબના સિનિયર અકાલી લિડર વિક્રમસિંહ મજીઠિયાને વિજિલન્સની ટીમે રેડ કરીને એમની ધરપકડ કરી હતી. એમને મોહાલી લઈ જવામાં આવ્યા હતા. મજીઠિયાએ આ કાર્યવાહીને રાજકીય કાવતરૂ ગણાવ્યું છે. નવાઈની વાત એ છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ જ એમની ધરપકડનો વિરોધ કર્યો છે. મજીઠિયાની પત્ની વિજિલન્સ ટીમ સાથે દલીલ કરતા હોય એવો એક વિડિયો શેર કરતા આપના ધારાસભ્ય કુવરવિજય પ્રતાપસિંહે કહ્યું હતું કે, 'મજીઠિયાજી જ્યારે જેલમાં હતા ત્યારે માન સાહેબએ કોઈ તપાસ કરાવી નહોતી કે કોઈ પૂછપરછ કરી નહોતી. એમને જામીન મળી ગયા હતા.' એમણે વિજિલન્સ ટીમ જે રીતે જરબદસ્તીથી ઘરમાં ઘૂસી એની ટીકા પણ કરી હતી.

અખિલેશના વિડિયો કોલ પછી તેજપ્રતાપ લાગણીશીલ થયા

આરજેડીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવએ મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પક્ષ અને કુટુંબમાંથી દૂર કર્યા છે. બીજી તરફ લાલુ પ્રસાદના પુત્રી રાજ લક્ષ્મી યાદવના કાકા સસરા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ તેજપ્રતાપ યાદવને વિડિયો કોલ કર્યો હતો. તેજપ્રતાપ યાદવએ બનેવી તેજપ્રતાપસિંહના કાકા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના વિડિયો કોલનો સ્ક્રીન શોર્ટ સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. સાથે એમણે લખ્યું છે કે, અખિલેશ યાદવ હંમેશા એમના દિલની નજીક રહ્યા છે. લાગણીશીલ થઈ ગયેલા તેજપ્રતાપે લખ્યું છે કે, અખિલેશના ફોન પછી એમને લાગી રહ્યું છે કે, લડાઈમાં તેઓ એકલા નથી. અખિલેશ અને તેજપ્રતાપે બિહારના રાજકારણ પર પણ ચર્ચા કરી હતી.

ઘરોની વધતી કિંમત બાબતે રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઘરોની વધતી કિંમત બાબતે ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે હવે ઘર માટે સપના જોવાનો ગરીબોનો અધિકાર છીનવાઈ ગયો છે. એમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં હવે તમને કોઈ જીડીપીના આંકડા બતાવે તો એમને તમારા ઘરેલુ બજેટની સત્ય હકીકત બતાવજો. પોતાના વોટ્સઅપ ચેનલ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. ગાંધીના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાં આવકના હિસાબે પાંચ ટકા શહેરી પરિવારોએ મુંબઈમાં ઘર ખરીદવું હોય તો ૧૦૦ વર્ષ સુધી બચત કરવી પડે. એમણે લખ્યું છે કે 'મુંબઈમાં ઘર ખરીદવા માટે ભારતના સૌથી વધુ પૈસાદાર પાંચ ટકા લોકો એ પણ પોતાની આવકના ૩૦ ટકા ૧૦૯ વર્ષ સુધી બચાવવા પડે.'

 કોંગ્રેસમાં શશી થરૂરનું ભાવિ ડામાડોળ

૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમરજન્સી વિશે ભાજપના પ્રચારના પડઘમ સામે કોંગ્રેસના જવાબો બાબત મિડિયા સાથે થયેલી વાતચીત દરમ્યાન કોંગ્રેસમાં શશી થરૂરના ભાવિ બાબતે અને ક સવાલો થતાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષની નેતાગીરી સમક્ષ પોતાની નારાજી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું સૂત્ર દેશ પહેલો છે પણ થોડા લોકો માટે મોદી પહેલાં છે અને દેશ પછી છે. જો કે, શશી થરૂર સામે કોઇ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે કે કેમ તેનો ફોડ પાડવાનું તેમણે ટાળ્યું હતું. જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે શશી થરૂર સાથે પક્ષના સબંધો એ હદે કથળી ગયા છે કે તેને સુધારવાની પણ કોઇને પડી નથી. 

કર્ણાટકમાં સિદ્ધરામૈયા સરકાર સામે બળવાના એંધાણ 

કર્ણાટકમાં સિદ્ધરામૈયાની પક્કડ તેમની સરકાર પર નબળી પડી રહી છે. કોંગ્રેસના પાંચ વિધાનસભ્યોએ જાહેરમાં તેમના પક્ષની સરકારની ટીકા કરતાં મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા સામે બળવો થવાના એંધાણ જણાયા છે. રાજુ કાગે, બી.આર. પાટીલ, એન.વાય. ગોપાલકૃષ્ણન અને વિધાનપરિષદના સભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ સરકાર સામે નબળાં શાસનથી માંડી વિકાસ ભંડોળના અભાવ સુધીના આક્ષેપો કર્યા છે. 

ગૃહ પ્રધાન જી. પરમેશ્વરે પણ બદામીમાં એક જાહેર સભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે નાણાં નથી.  મોલોકામુરુના વિધાનસભ્ય એન.વાય. ગોપાલકૃષ્ણે સોમવારે જણાવ્યું હતું કે હું વિધાનસભ્ય હોવા છતાં હું મારા મતવિસ્તારમાં ગટર, રસ્તો કે સારી શાળા બાંધી શકું તેમ નથી. છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસના ઘણાં વિધાનસભ્યોએ નિરાશા વ્યક્ત કરી જણાવ્યું છે કે પાંચ ગેરન્ટીઓ પુરી કરવાથી જ વિકાસ ન થઇ જાય. 

સિદ્ધરામૈયાએ સત્તા સ્થાને બે વર્ષ પુરાં કર્યા છે પણ બાકીની મુદત તેમના ડેપ્યુટી ડી.કે. શિવકુમાર તેમની ગાદી ન પચાવી પાડે તે જોવામાં જશે તેમ અનુભવીઓએ જણાવ્યું હતું. 

મજિઠિયાએ પંજાબમાં પ્રધાન તરીકે 540 કરોડનો 'વહીવટ' કરેલો 

સિનિયર અકાલી નેતા બ્રિકમ સિંહ મજિઠિયાની પંજાબ વિજિલન્સ બ્યુરોએ બુધવારે સવારે અમૃતસરમાં તેમના નિવાસસ્થાનેથી આવકના પ્રમાણમાં અઢળક સંપત્તિ ધરાવવાના કેસમાં એફઆઇઆર નોંધ્યા બાદ ધરપકડ કરી હતી. આ એફઆઇઆર વિજિલન્સ બ્યુરોને  સાતમી જુને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે લખેલાં પત્ર પર આધારિત છે. આ ટીમ ૨૦૨૧થી મજિઠિયા સામે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધવામાં આવેલાં કેસની તપાસ કરી રહી હતી. વિજિલન્સ બ્યુરો અને એફઆઇઆર અનુસાર મજિઠિયાએ ૫૪૦ કરોડ રૂપિયાના નાણાંકીય વ્યવહારો કર્યા હતા જેને કારણેૈ તેઓ પંજાબ સરકારમાં પ્રધાન હતા ત્યારે માલદાર બની ગયા હતા. 

-ઇન્દર સાહની

Tags :