દિલ્હીની વાત : દિલ્હીમાં વિમાનોનું બળતણ ચોરતી ગેંગ પકડાઈ
નવીદિલ્હી : પેટ્રોલ અને ઓઇલ ચોરી પછી વિમાનના ઇંધણ ચોરતી ગેંગ પણ પકડાઈ છે. દિલ્હી એરપોર્ટ પર લઈ જવાતા એવીએશન ટર્બાઇન ફ્યુલ (એટીએફ)ની ચોરી ટેન્કરોમાંથી કરવામાં આવતી હતી. કેટલાકને વિચાર આવશે કે આ ચોરીના ઇંધણનું ચોરો શું કરતા હશે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઇંધણને બજારમાં મિનરલ ટર્પેન્ટાઇન ઓઇલના સ્વરૂપમાં વેચવામાં આવતું હતું. ચોરીને કારણે રાષ્ટ્રીય ખજાનાને દર મહિને ૧.૬૨ કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું.
આ ચોરોએ ત્રણ વર્ષ સુધી બિન્દાસ્ત રીતે ઇંધણની ચોરી કરી છતાં પણ કોઈને ખબર પડી નહોતી. આ કાંડમાં અધિકારીઓમાંથી કોઈની મીલીભગત પણ હોઈ શકે. અંદાજ પ્રમાણે દરરોજ પાંચ હજાર લીટર ઇંધણની ચોરી થતી હતી. ટેન્કરો પરના લોક ડુપ્લીકેટ માસ્ટર ચાવીઓથી ખોલવામાં આવતા હતા.
સપામાંથી હકાલપટ્ટી પછી રાકેશ પ્રતાપ સિંહનું મોટું નિવેદન
સમાજવાદી પાર્ટીએ ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહને પક્ષમાંથી હાંકી કાઢયા છે. આ બાબતે રાકેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે, મને કાઢવામાં મોડું કર્યું છે. મોડું કેમ કરવામાં આવ્યું એનો જવાબ તો એ જ આપી શકે જેમણે આ નિર્ણય લીધો છે. હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. હું સાચુ બોલું છું અને ભવિષ્યમાં પણ સાચું બોલતો રહીશ. મારી વાતોથી સપાને તકલીફ થાય છે એટલા માટે જ પક્ષે મને બહાર કર્યો છે. રાકેશ પ્રતાપ સિંહ જોકે પક્ષ ખારીજ થયા પછી ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાના મૂડમાં નથી. એમણે ચાલાકીપૂર્વક કહ્યું કે હું તો પહેલા રાજીનામું આપવા માંગતો હતો, પરંતુ મારા કાર્યકરો અને જનતાએ મને રોક્યો હતો. હવે ફરીથી હું ગૌરીગંજની જનતા અને મારા ટેકેદારો સાથે બેસીશ. એ લોકો જ નક્કી કરશે કે મારે શું કરવાનું છે.
સાંસદ ચંદ્રશેખર આઝાદની મુશ્કેલી વધશે, રોહીણી ઘાવરી મહિલા આયોગ પહોંચી
ઉત્તર પ્રદેશના નગીના લોકસભાથી ચૂંટાયેલા સાંસદ ચંદ્રશેખર આઝાદ સામે ડો. રોહીણી ઘાવરીએ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)માં ફરીયાદ દાખલ કરી છે. આ જાણકારી ઘાવરીએ પોતે આપી છે. છેલ્લા થોડા વર્ષોથી ઘાવરી ચંદ્રશેખર આઝાદ બાબતે વારંવાર નિવેદનો કરે છે. ઘાવરીએ ચંદ્રશેખર સામે ગંભીર આરોપો પણ મૂક્યા છે. આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના નેતા આઝાદનું કહેવું છે કે તેઓ પોતાનો પક્ષ કોર્ટમાં રજું કરશે. ઘાવરીએ સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટમાં મહિલા આયોગમાં કરેલી ફરિયાદની રસીદ મૂકીને કહ્યું છે કે, આજથી કાયદાકીય લડાઈ શરૂ થઈ ચૂકી છે. સત્ય સામે આવીને રહેશે. હું મારા સ્વાભીમાન અને સન્માન માટે લડીશ અને પીછેહટ નહીં કરું.
કેજરીવાલ ખુરશીની ચિંતાથી પીડિત છે
પંજાબ પ્રદેશ કોંગ્રેેસ કમીટી દ્વારા ૨૦ -હલકા પટ્ટીના કો-ઓર્ડિનેટરની જવાબદારી વિકાસ સંગરને આપવામાં આવી છે. વિકાસ સંગર જ્યારે પટ્ટી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના સ્થાનીક આગેવાનોએ એવો દાવો કર્યો હતો કે અમારા પ્રયત્નોથી આસપાસના ગામોના લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. સાડા ત્રણ વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે કોઈ કામ કર્યું નથી. વિકાસ સંગરએ કહ્યું હતું કે યુવા કોંગ્રેસ, એસસી, બીસી વિંગ, મહિલા મંડળ, કોંગ્રેેસ સેવા દળ, રાહુલ ગાંધી કોંગ્રેસ, કોંગ્રેસ બ્રિગેડ સહિત તમામ સંગઠનોને સાથે લઈને પક્ષને મજબૂત કરવામાં આવશે. આપએ ૨૦૨૨માં ફેરફારના નામે દરેક વર્ગની સાથે છેતરપીંડી કરી છે. દિલ્હીની હાર પછી આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સત્તા વગરના થઈ ગયા છે હવે એમને મુખ્યમંત્રીની ખુરશી જોઈએ છે. સત્તા માટે તેઓ પંજાબ આવતા રહે છે.
સાંસદ નિશિકાંત દુબેની પોસ્ટ સામે કોંગ્રેસ નેતા ખેડાને વાંધો
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધી વિશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશ્યલ મીડિયા પર લખેલી એક પોસ્ટ સામે કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ વાંધો લીધો છે. એમણે કહ્યું છે કે આવા લોકો ભારતમાં રહે છે એની મને શરમ આવે છે. ઇરાનમાંથી ભારતીઓને પાછા લાવવા માટે શરૂ થયેલા ઓપરેશન સિંધુ બાબતે ખેડાનું કહેવું છે કે, ઇરાનએ હંમેશા ભારતને ટેકો આપ્યો છે. નિશિકાંત દુબેએ સોશ્યલ મીડિયા પર શિમલા કરાર વિશે સવાલો પૂછયા હતા. એમણે લખ્યું હતું કે, શું શિમલા કરાર 'આયરન લેડી' ઇન્દીરા ગાંધીએ અમેરિકાના દબાણને કારણે કર્યોે હતા? આયરન લેડીએ ભારતે કબજે કરેલો પાંચ હજાર સ્કવેર માઇલનો વિસ્તાર પાકિસ્તાનને કેમ આપી દીધો હતો? ૯૩ હજાર સૈનિકો સોંપ્યા પછી આપણા ૫૬ સૈનિકોને પાકિસ્તાનની જેલમાં કેમ રાખવામાં આવ્યા હતા?
નિતિશ - કુશવાહાને બાદ કરતા બિહારમાં દરેક પક્ષનું પરિવારવાદને સમર્થન
બિહારમાં નિતિશકુમારની સરકારે જીતનરામ માંઝી અને અશોક ચૌધરી પછી ચિરાગ પાસવાનના કુટુંબીઓને બોર્ડ-નિગમોમાં ચેરમેન બનાવતા રાજકારણ ગરમાયું છે. બિહારના રાજકારણની પરિસ્થિતિ એવી છે કે જેડીયુના નિતિશકુમાર અને આરએલએમના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને બાદ કરતાં કોઈ દુધે ધોયેલા નથી. બિહારમાં જ્યારે પરિવારવાદની વાત થાય છે ત્યારે વિજયકુમાર ચૌધરી કે નબીન જેવા નેતાઓ તરફ કોઈનું ધ્યાન નથી જતું જેઓ તેમના પિતાના મૃત્યુ પછી પેટા ચૂંટણીથી રાજકારણમાં આવ્યા હતા. ભારત ભૂષણ મંડલ, લલન યાદવ અને રાણા રણધિર સિંહ જેવા ધારાસભ્યોના પિતા પણ ધારાસભ્ય હતા. જેડીયુના નેતા અને મંત્રી શિલા મંડળના સસરા ધનિકલાલ મંડલ મંત્રી અને ગવર્નર રહી ચૂક્યા છે. નિખિલકુમાર, ઉદયસિંહ ઉર્ફ પપ્પુ સિંહ કે ચંદ્રીકા રાય જેવા નેતાઓ પણ શક્તિશાળી રાજકારણીઓના વારસદાર છે.
દિલ્હીમાં આરએસએસની મહત્વની બેઠકમાં શું થશે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ૪૬ પ્રાંતોના સિનિયર પ્રચારકો ચાર જુલાઈથી છઠ્ઠી જુલાઈ સુધી દિલ્હીના વસંતકુંજ સ્થિત સંઘ કાર્યાલય ખાતે મળવાના છે. સંઘની આ વાર્ષિક બેઠકને ખૂબ મહત્ત્વ અપાય છે. આ બેઠકમાં દેશભરમાં પૂરા થયેલા સંગઠન શિક્ષણ શિબિરોના પરિણામોના રીપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રીપોર્ટ પર લંબાણપૂર્વક ચર્ચા પણ થશે. બેઠકમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચીવ દતાત્રેય હોસબાલે પણ ભાગ લેવાના છે. આ વર્ષે વિજયા દશમીથી શરૂ થનારા શતાબ્દી વર્ષ સંદર્ભે આખુ વર્ષ જે કાર્યક્રમો થવાના છે એની ્રચર્ચા પણ બેઠકમાં થશે. આ બેઠકમાં તમામ પ્રાંત પ્રચારકો ઉપરાંત સહપ્રાંત પ્રચારક, ક્ષેત્ર પ્રચારક અને સહક્ષેત્ર પ્રચારક પણ ભાગ લેશે. ૨૦૨૫-૨૬ના વર્ષ દરમિયાન આરએસએસના પ્રમુખની યાત્રા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
આપના વિજયથી કોંગ્રેસ અને ભાજપની મર્યાદા છતી થઈ
રાજ્ય સભા સાંસદ અને આપના ઉમેદવાર સંજીવ અરોરાએ લુધિયાણા પશ્ચિમની પેટાચૂંટણીમાં પ્રભાવશાળી વિજય હાંસલ કરીને સંસદના ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલ માટે માર્ગ મોકળો કર્યો છે. જાન્યુઆરીમાં આપના ઉમેદવાર વિધાનસભ્ય ગુરુપ્રીત સિંઘ ગોગીના જાન્યુઆરીમાં થયેલા નિધનને કારણે આ પેટા-ચૂંટણીની જરૂર પડી હતી. નિષ્ણાંતોના મતે આપના વિજયથી કેજરીવાલને રાષ્ટ્રીય રાજકરણમાં પ્રવેશ કરવાની તક મળશે ઉપરાંત આપને પંજાબમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ મળશે. જો કે આ વિજય માટે પાર્ટીની દિલ્હી ટીમને જ શ્રેય આપવામાં આવે છે જેના પરિણામે રાજ્યમાં સીએમ માનની સ્થિતિ વધુ નબળી પડશે. કોંગ્રેસ માટે આ પરિણામ તેના આંતરિક વિખવાદ અને ચૂંટણી પર તેની અસરને ઉજાગર કરે છે જ્યારે ભાજપનો દેખાવ પણ અપેક્ષા કરતા ઊણો હતો. તેણે આ બેઠક પર ૨૦૧૨થી ધ્યાન આપ્યું હતું. પરિણામથી સ્થાપિત થયું છે કે ભાજપ માટે પંજાબમાં હજી મંઝિલ ઘણી દૂર છે. દરમ્યાન અરોરાને પંજાબની કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના છે જેનું વચન કેજરીવાલે પ્રચારમાં જાહેરમાં આપ્યું હતું.
અખિલેશે આઠમાંથી માત્ર ત્રણ બળવાખોરને કાઢી મુક્યા
સમાજવાદી પાર્ટીએ સોમવારે ત્રણ ધારાસભ્યોને પક્ષ વિરોધી વર્તન બદલ હાંકી કાઢીને તેમના પર પક્ષના મુખ્ય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો અને વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોના એક જૂથે બળવો કર્યાના લગભગ ૧૬ મહિના પછી અભય સિંહ (ગોસાઈગંજ), રાકેશ પ્રતાપ સિંહ (ગૌરીગંજ) અને મનોજ પાંડે (ઉંચાહર) સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આમાં મહત્વની વાત છે કે હાંકી કઢાયેલા વિધાયકોમાંથી કોઈપણ પિછડા, દલિત અથવા અલ્પસંખ્યક (પીડીએ) જૂથના નથી. અહેવાલ મુજબ બળવાખોરીમાં કુલ આઠ સભ્યો સામેલ હતા પણ અખિલેશે માત્ર ત્રણ સામે કાર્યવાહી કરી જેમાં તેના પક્ષની વ્યાપક વ્યૂહરચના સ્પષ્ટ થાય છે. અખિલેશે પીડીએ શબ્દ ૨૦૨૨માં ઉ.પ્ર. ચૂંટણી દરમ્યાન રજૂ કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા મુજબ આ ત્રણ સભ્યોએ સતત પીડીએ સિદ્ધાંત સામે નિવેદનો કર્યા હતા.
- ઇન્દર સાહની