દિલ્હીની વાત : દિલ્હી પોલીસ હવે લાયસન્સ નહીં આપી શકે
નવી દિલ્હી : લાયસન્સ આપવાના હક્કો દિલ્હી પોલીસ પાસેથી લઈ લેવામાં આવ્યા છે. હવે સ્વિમિંગ પુલ, હોટલ, મોટલ, ઓડિટોરિયમ વગેરેને લાયસન્સ અથવા એનઓસી દિલ્હી સરકાર અથવા તો એ સંસ્થા જ આપી શકશે જેની ઓથોરિટી હેઠળ એ આવ્યા હોય. મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું કહેવું છે કે આ નિર્ણયને કારણે વેપારીઓને ફાયદો થશે. એમના ધક્કા બચી જશે. ગુપ્તાના કહેવા પ્રમાણે તેઓ ખુશ છે કે દિલ્હીના લોકોને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. દિલ્હી પોલિસ એક્ટ ૧૯૭૮ સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે આવા લાયસન્સો મેળવવા માટે એમણે પોલીસના ગજવા ગરમ કરવા પડતા હતા. આવા લાયસન્સો આપવાની જવાબદારી ખરેખર તો પોલીસ ડિપાર્ટમેન્ટની હોવી જોઈએ પણ નહીં.
પુત્રના નામ બાબતે ટ્રોલ થયેલા તેજસ્વી યાદવનો વળતો જવાબ
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવએ એમના પુત્રનું નામ ઇરાઝ રાખ્યું છે. પુત્રના નામ બાબતે સોશ્યલ મીડિયા પર તેજસ્વીને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ટ્રોલ કરનારાઓને સનાતન ધર્મનું કોઈ જ્ઞાન નથી. તેજસ્વીએ કહ્યું હતું કે 'કેટલાક કહે છે કે ઇરાઝ નામ શું કામ રાખ્યું. એઝાઝ ખાન નામ રાખવું હતું. આ ભક્તોને ખબર નથી કે ઇરાઝ સંસ્કૃત શબ્દ છે. આવી વ્યક્તિઓને સનાતનનું કોઈ જ્ઞાન નથી.' ઇરાઝનો મતલબ પવનપૂત્ર થાય છે જે હનુમાનજીનું નામ છે. તેજસ્વીએ ભાજપ પર પણ આરોપ મૂક્યો છે કે, ભાજપને કોઈ જ્ઞાન નથી. ભાજપને ન તો બંધારણનું જ્ઞાન છે ન બીજા વિષયોનું.
ધનખડમાં ફરીથી રાજકારણનો જીવ પ્રવેશ્યો
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાજ્યપાલ જગદીપ ધનખડએ ફરીથી વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. થોડા સમય પહેલા એમણે સુપ્રિમ કોર્ટના જજોની ટીકા કરી હતી. ધનખડે હવે કટોકટીના દિવસો દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલા નિર્ણયોેની ટીકા કરી છે. એ સમયને એમણે ન્યાયતંત્રનો સૌથી કાળો સમય કહ્યો છે. એમણે કહ્યું છે કે, ૯ હાઇકોર્ટના ચૂકાદાને રદ કરવાના સુપ્રિમ કોર્ટના નિર્ણયને કારણે કટોકટીનો સમય જોવો પડયો હતો. ધનખડએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદની પણ ટીકા કરી હતી. રાષ્ટ્રપતિએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કહેવાથી કટોકટીની જાહેરાત પર સહી કરી હતી. ધનખડના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ કોઈ એક વ્યક્તિ એટલે કે પ્રધાન મંત્રીની સલાહ લઈને કામ નહીં કરી શકે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે ધનખડ હવે ઉપરાષ્ટ્રપતિ બન્યા હોવાથી એમણે વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહેવું જોઈએ.
કોંગ્રેસમાંથી શશી થરૂરની વિદાય નક્કી
પહેલગામના આતંકવાદી હુમલા પછી કોંગ્રેસ સહિત વિરોધપક્ષો મોદી સરકારની ઇન્ટેલિજન્સ નિષ્ફળતાની ટીકા કરી રહ્યા હતા. એ વખતે કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ એવું નિવેદન આપ્યું હતું કે, આપણને ફક્ત એવા હુમલાઓની જાણ થાય છે કે જે ટાળી શકાયા નથી. વિશ્વના દરેક દેશમાં આવું થતું હોય છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ પણ ઘણી વખત નિષ્ફળ રહી છે. થરૂરના આ નિવેદન પછી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. કેટલાક કોંગ્રેસના નેતાઓએ એમની ખૂલીને ટીકા કરી હતી. શશી થરૂરે હવે જાહેરમાં કહ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે એમને મતભેદ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ શશી થરૂરના આવા બધા નિવેદનોને કારણે નારાજ છે. રાજકીય વિશ્લેષકો એમ માની રહ્યા છે કે થોડા દિવસોમાં જ શશી થરૂરને કોંગ્રેસમાંથી ગડગડીયું આપવામાં આવશે.
સત્તા પર આવવા અખિલેશએ પણ મહિલા તૃષ્ટીકરણ શરૂ કર્યું
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ભલે હજી સમય છે, પરંતુ મુખ્ય રાજકીયપક્ષો અત્યારથી જ મતદારોને રીઝવવા માંડયા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ મોટી જાહેરાત કરી છે. યાદવએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યારે સપાની સરકાર બનશે ત્યારે સ્ત્રી સન્માન યોજના શરૂ કરવામાં આવશે. સમાજવાદી પક્ષ જો સત્તા પર આવશે તો ગરીબ સ્ત્રીઓને મહિને ૩૦૦૦ રૂપિયા આપશે. ભાજપમાં મહિલાઓ અને દિકરીઓ સાથે અન્યાય થતો હોવાનું પણ એમણે કહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર પોલીસ ખોટા કેસ કરે છે. ભાજપ સરકારમાં મહિલાઓનું શોષણ થાય છે. એમ લાગે છે કે મહારાષ્ટ્રમાં જે રીતે મહિલાલક્ષી યોજના શરૂ કરીને ભાજપ સત્તા પર આવ્યો એ જ રીતે અખિલેશ યાદવ પણ મહિલા કાર્ડ રમવા માંગે છે.
ઉદ્ધવ અને રાજ ઠાકરે ભેગા થવાની વાત ફરીથી શરૂ
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. સમયાંતરે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને નવ નિર્માણ સેના (એમએનએસ) વચ્ચે ગઠબંધન થવાની વાતો થતી રહે છે. આ બાબતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, ગઠબંધનનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે કરશે. બીજા કોઈએ એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. રાજ ઠાકરેએ થોડા દિવસો પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે એક હોટલમાં મુલાકાત કરી હતી ત્યાર બાદ પહેલી વખત સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. રાઉતના આ નિવેદન પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાઉતએ કહ્યું હતું કે, 'મનસેના જે લોકો ગઠબંધનની વિરુદ્ધમાં બોલે છે તેઓ રાજકારણમાં નવા આવેલા છે.'
ઇરાનથી પત્ની સુરક્ષીત પાછી ફરી, પતિએ કહ્યું ત્યાં જ શહીદ થવાની જરૂર હતી
ઇઝરાયલ - ઇરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી ભારતની સરકારે ઇરાનમાં ફસાયેલા ભારતીઓને દેશ પરત લાવ્યા હતા. ઇરાનથી પાછા આવેલા લોકો ભારત સરકાર અને એમ્બેસીનો આભાર માની રહ્યા હતા. જોકે કેટલાકનું માનવું હતું કે ઇરાનની જમીન શહીદ થવા માટે શ્રેષ્ઠ છે. આવા લોકોનું કહેવું છે કે ઇરાનની 'પાકીઝા' જમીન પર શહીદ થવાનો સમય છે. એનાથી વધુ બહેતર મોત હોય શકે નહીં. સલામત રીતે દિલ્હી પહોંચી નિદાનો પતિ એને લેવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. નિદાના પતિએ પત્રકારોને કહ્યું હતું કે નિદા પાછી આવવા કરતાં ઇરાનમાં શહીદ થઈ હોત તો એને આનંદ થાત. ઇરાનમાં જે મૃત્યુ પામે છે તે અમર થઈ જાય છે. નિદાના પતિએ કહ્યું હતું કે, 'શિયા મુસ્લિમો માને છે કે શહીદનું મૃત્યુ શ્રેષ્ઠ છે. વખત આવશે ત્યારે અમે ભારત માટે પણ શહીદ થઈશું.'