દિલ્હીની વાત : હમણા રાહ જોઉ છું, સરકાર પાસે ખુલાસો માગીશ
નવીદિલ્હી : કર્ણાટકના ગ્રામ્ય વિકાસ મંત્રી પ્રિયંક ખડગેએ અમેરિકા જવાની યોજના નક્કી કરી નાખી હતી. કેન્દ્ર સરકારે એકાએક એમને પ્રવાસ માટે મંજૂરી આપી નહીં એટલે ખડગેએ અમેરિકા જવાનું આયોજન પડતું મૂકવું પડયું હતું. આ બાબતે પ્રિયંક ખડગેનું કહેવું છે કે અમેરિકા જવાની એમની યોજના કેન્દ્ર સરકારે શા માટે અટકાવી દીધી એ માટે તેઓ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગશે. હમણા તેઓ આ બાબતે કોઈ નિવેદન આપવા માંગતા નથી. તેઓ જ્યારે બેંગલુરુ પાછા ફરશે ત્યારે સરકારને સવાલો પૂછશે. ખડગે અમેરિકામાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. બેંગલુરુમાં થયેલી ભાગદોડ બાબતે ખડગેએ કહ્યું હતું કે તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કોઈને બલીના બકરા બનાવવામાં આવ્યા નથી. ખડગે સતત ભાજપની ટીકા કરી રહ્યા છે.
બિહારમાં તેજસ્વી- માંઝી વચ્ચે શાબ્દીક યુદ્ધ
બિહારમાં 'દામાદ આયોગ' અને 'જમાઈ આયોગ'ના નામ પર રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ લખી હતી. એમણે લખ્યું હતંછ કે, જો તમે કોઈના જમાઈ હો તો વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નિતિશકુમારએ અનામત રાખેલા 'બિહાર રાજ્ય દામાદ આયોગ'માં અરજી કરી શકો નહીં, કારણ કે આ હક્ક કેટલાક ખાસ લોકો પૂરતો મર્યાદિત છે. તેજસ્વીની આ પોસ્ટને રીપોસ્ટ કર્યા પછી કેન્દ્રય મંત્રી જીતનરામ માંઝીએ પ્રત્યુત્તર આપ્યો છે કે, બદલા લેગે, બદલ દેગે, તોડેગે આપકા ઘમંડ. મુસ્લિમો મત આપે છે, રાજ કરે છે લાલુ યાદવ, મુસ્લિમો મત આપે છે, વિરોધ પક્ષના નેતા બને છે તેજસ્વી યાદવ, મુસ્લિમો મત આપે છે, રાજ્યસભા જાય છે મિસા દીદી.
ઉદ્ધવ અને રાજ ઠાકરે બંનેને ભાજપએ આંચકો આપ્યો
મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થવાની વાત ચાલી રહી છે ત્યારે નાસિક જિલ્લાના શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને રાજ ઠાકરેની નવનિર્માણ સેના (મનસે)ને મોટો આંચકો લાગ્યો છે. બંને પક્ષના સિનિયર નેતાઓ અને પદાધિકારીઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબનરાવ ઘોલપ અને નાસિકના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સુધાકર બળગુજર ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત મનસે પ્રમુખ રાજ ઠાકરેના નજીકના મનાતા નાસિકના ભૂતપૂર્વ મેયર અશોક મૂર્તડક પણ ભાજપમાં જોડાયા છે. જૂનના પહેલા અઠવાડિયામાં બળગુજરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતથી નારાજ થયેલા ઉદ્ધવ ઠાકરેએ એમને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)માંથી કાઢી મૂક્યા હતા.
ચિરાગ પાસવાનને ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડવાનું આમંત્રણ મળ્યું
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો વિવિધ નેતાઓને ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી રહ્યા છે. અલગ અલગ બેઠકો પરથી ચૂંટણી લડવા માટે નેતાઓને કહેવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર રાજકારણમાં આવી રહ્યાની ચર્ચા છે. તેઓ નિતિશકુમારના વારસદાર બનશે એવી વાત પણ છે. નિશાંતકુમાર આજકાલ ફરીથી ચર્ચામાં એટલા માટે છે કે નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમારએ નિશાંતકુમારને નાલંદાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે આગ્રહ કર્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે નિશાંતકુમાર જો નાલંદાના ઇસ્લામપુરથી ચૂંટણી લડશે તો એમને જીતાડવાની જવાબદારી એમની છે. બીજી તરફ હરનૌત વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે પણ નિશાંતને આમંત્રણ મળ્યું છે. એજ રીતે એલજેપી (આર)ના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાનને પણ ત્રણ અલગ અલગ બેઠકો પરથી ચૂંટણી લડવાનું આમંત્રણ મળ્યું છે.
સમાધાનની શક્યતા વચ્ચે શરદ પવારે અજીત પવાર માટે નિવેદન આપ્યું
મહારાષ્ટ્રમાં ભત્રીજા અજીત પવાર સાથે ફરીથી જોડાવાની શક્યતા વચ્ચે શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે અજીત પવારનું નામ લીધા વગર કહ્યું છે કે, 'ભાજપ સાથે હાથ મેળવીને સ્વાર્થની રાજનિતિ કરનારાઓને પ્રોત્સાહન આપવામાં નહીં આવે.' મહારાષ્ટ્રના પીપરી ચિંચવાડ ખાતે શરદ પવાર એનસીપીના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે, તેઓ એવી વ્યક્તિનો સહકાર લેવા માગે છે જેઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, મહાત્મા જ્યોતિરાવ ફુલે અને ડો. બી આર આંબેડકરની વિચારધારામાં માનતા હોય. હમણા કોઈકે કહ્યું કે બધાને સાથે લઈને ચાલવું જોઈએ એનો વાંધો નથી, પરંતુ આ બધા કોણ છે? ફક્ત સત્તા માટે ભાજપ સાથે ગયેલાઓનો સાથ લેવામાં નહીં આવે.
દેશના ચાર રાજ્યોમાં 47 ટકા બાળકો ઓછા વજનના છે
સરકારના દાવાઓ વચ્ચે એક કડવી વાસ્તાવિકતા બહાર આવી છે. દેશમાં ઓછા વજન (૨.૫ કિલોૈગ્રામ)ના જેટલા બાળકો જન્મે છે એમાંથી ૪૭ ટકા એકલા ચાર રાજ્યોમાંજ હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને મહારાષ્ટ્રમાં નબળા બાળકોની સંખ્યા સૌથી વધુ છે. આ હકીકત બ્રિટિશ મેડિકલ જનરલ (બીએમજે) એ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત કરી છે. ઉંડા અભ્યાસ અને વિશ્લેષણ પછી જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૩૦ વર્ષોમાં ભારતમાં ઓછા વજનના બાળકોનો જન્મદર થોડો ઘટયો છે. જોકે પરિસ્થિતિ હજી ગંભીર છે. એક વર્ષમાં જન્મેલા ઓછા વજનના ૪૨ લાખ બાળકોમાંથી લગભગ અડધા ચાર રાજ્યોના છે. ૧૯૯૩ના વર્ષમાં સૌથી વધારે (૪૭ ટકા) ઓછા વજનના બાળકો રાજસ્થાનમાં જન્મ્યા હતા. ૨૦૨૧માં પંજાબ અને દિલ્હીના નામે આ બદનામી છે. આ બે રાજ્યોમાં ઓછા વજનના જન્મેલા બાળકોની ટકાવારી ૨૨ ટકા છે.
તપાસ માટે મેઘાલય પોલીસ સોનમના ઇન્દોરવાળા ફલેટ પર પહોંચી
રાજા રઘુવંશી હત્યા કેસમાં દરરોજ નવી વાત બહાર આવી રહી છે. હવે મેઘાલય પોલીસની એક ટીમ તપાસ માટે ઇન્દોર ગઈ છે. રાજાની હત્યા પછી આરોપી પત્ની સોનમ જે ફલેટમાં છૂપાઈને રહી હતી એની તપાસ ચાલી રહી છે. આ ફલેટ ઇન્દોરના દિવાસ નાકા વિસ્તારમાં છે. આ ફલેટમાં રોકાયા પછી સોનમ ઉત્તર પ્રદેશ ગઈ હતી જ્યાથી એની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલય પોલીસ રાજા રઘુવંશીના ઘરે પણ ગઈ હતી. રાજા રઘુવંશીના કુટુંબીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. સોનમના વ્યવહાર બાબતે એમને પૂછવામાં આવ્યું હતું. લગ્ન પછી કુટુંબીઓ સાથે એ કેટલો સમય રહી હતી એ વિશે પણ પોલીસે જાણકારી માંગી હતી.
હરિયાણામાં ભાજપના મંત્રીઓ જાહેરમાં બાખડયા
રેવારીના રાવ તુલારામ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દરજીત સિંહ અને હરિયાણા સીએમ નાયબ સિંહ સૈની વચ્ચે જાહેરમાં ટપાટપી થતા તેમના કલહ વિશે અટકળો થઈ રહી છે. રાવે સૈની અને ભૂતપૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર બંનેને લક્ષ્યાંક બનાવતા ભાજપ હરિયાણા યુનિટમાં તિરાડ જાહેર થઈ હતી. જો કે સીએમ સૈનીએ તેમની લાક્ષણિકતા મુજબ સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું કે આપણે કોઈ એક જ્ઞાાતિની સરકાર નથી પણ અઢી કરોડ લોકોની સરકાર છીએ. આપણો સંબંધ રાજકીય નહિ પણ હૃદયનો છે. આપણે રેવારીના વિકાસ માટે કોઈ કચાશ નહિ રાખીએ. તેમણે ૨૦૧૪ પછી રેવારી મતદાર સંઘમાં ૧,૯૧૬ કરોડના પ્રોજેક્ટ કરાયા હોવાનો દાવો કર્યો. રાજકીય નિષ્ણાંતોના મતે રાવ સાથે અથડામણમાં સૈનીની પ્રાદેશિક મહત્વાકાંક્ષા છલકાય છે. તેમના મતે અમે તમારી સરકાર બનાવી એવા રાવના દાવામાં આહિરવાલ પટ્ટાની મત બેન્કનું પ્રતિબિંબ પડે છે.
કાશ્મીરીઓમાં ટેટૂ કઢાવવાની હોડ
શ્રીનગરના ખૂણામાં એક નાનકડી ક્લિનિકમાં લોકો ૨૯ વર્ષીય બસિત બશિરને મળવા ધસારો કરી રહ્યા છે. આમ તો તેઓ સ્લિપ ડિસ્ક અને દુઃખતા સ્નાયુના વિશેષજ્ઞા કહેવાય છે પણ હાલ તેઓ લોકોને તેમની ભૂલો દૂર કરવામાં સહાય કરી રહ્યા છે. બશિર કહે છે કે મને લોકોના બિભત્સ ટેટૂ જોઈને આંચકો લાગ્યો હતો જેમાં મહિલાઓ અને પુરુષો બંનેએ તેમના જીવનમાં અમુક તબક્કે ઉત્તેજક ટેટૂ કરાવ્યા હતા. બશિરનો દાવો છે કે તેણે ૨૦૨૨થી અત્યાર સુધીમાં એક લાખથી વધુ ટેટૂ દૂર કર્યા છે જેમાં લોકોએ કુરાનની આયાતો, પાંદડાઓ, સાપ, રાઈફલોના ટેટૂ કરાવ્યા હતા. બશિર કહે છે કે તેના ગ્રાહકોમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ છે.
ડીએમકેના યુવા પેઢીને રિઝવવાના ભગીરથ પ્રયાસ
તમિલનાડુના બદલાતા પરિપ્રેક્ષ્યમાં ડીએમકે યુવા પેઢી સુધી પોતાની પહોંચ વધારવા ભારે પ્રયાસ કરી રહી છે. ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલીનની આગેવાની હેઠળ તેઓ પોતાની વિચારધારા આગળ વધારવા બે યોજના રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે જેમાંથી એક છે કલાઈનગર સ્ટુડન્ટ રિપોર્ટર્સ સ્કીમ અને બીજી છે રાજ્યના દ્રાવિડ ઈતિહાસ પર કામ કરતા લેખકો અને સંશોધકો માટે ફેલોશિપ સ્કીમ. બંને યોજનાનો હેતુ યુવાનોમાં રાજકીય જાગૃકતા લાવવાનો છે. ડીએમકેની યુવા પાંખના મતે પાર્ટીના પ્રયાસોના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. તેમણે ઉદાહરણ આપ્યું કે તેમણે પસંદ કરેલા વક્તાઓમાંથી ઘણા પાર્ટીના સભ્ય બની ગયા હતા. સ્ટુડન્ટ રિપોર્ટર સ્કીમ હેઠળ યુવાનોને પાર્ટીના મુખપત્ર મુરાસોલી માટે કામ કરવા આમંત્રિત કરાશે.
તેલંગણા ફોન ટેપિંગ કેસમાં કોંગ્રેસ ચીફની પૂછપરછ
તેલંગણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને વિધાનપરિષદના સભ્ય બી.મહેશકુમાર ગૌડની બીઆરએસ શાસન દરમ્યાન રાજકરણીઓ, અધિકારીઓ, પત્રકારો, ન્યાયાધીશો અને સેલિબ્રિટીઓ સહિત અનેક હાઈ પ્રોફાઈલ લોકોના ગેરકાયદે ફોન ટેપિંગ પ્રકરણ માટે રાજ્ય પોલીસની એસઆઈટીએ પૂછપરછ કરી હતી. એસઆઈટીએ ગૌડને ૨૦૨૩માં તેમણે દાખલ કરેલી ફરિયાદ પર આધારીત કેસમાં સાક્ષી તરીકે બોલાવ્યા હતા. ગૌડે જણાવ્યું કે તેમનો ફોન પણ ટેપ કરાયો હતો. તેમણે એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યા પછી જણાવ્યું કે ફોન ટેપિંગ લોકશાહીની વિરુદ્ધ છે અને ગેરબંધારણીય છે. તેમના દાવા મુજબ તેમણે અગાઉ પણ આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ એ સમયના તેલંગણા કોંગ્રેસ પ્રમુખ એ રેવન્થ રેડ્ડીનું ધ્યાન દોર્યું હતું.
- ઈન્દર સાહની