Get The App

ખંડણી માગતા પકડાયેલી ન્યૂઝ એન્કર પાસે 25 લાખનો મોબાઇલ

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
ખંડણી માગતા પકડાયેલી ન્યૂઝ એન્કર પાસે 25 લાખનો મોબાઇલ 1 - image


નવીદિલ્હી: એક ન્યૂઝ ચેનલના સીઇઓ અને મુખ્ય સંપાદક પાસે ૬૦ કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં નવી હકીકત બહાર આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ખંડણી માગનાર મહિલા એન્કર શાઝીયા નિસાર હીરા-સોના મઢયો ૨૫ લાખ રૂપિયાની કિંમતનો મોબાઇલ રાખતી હતી. શાઝીયાએ વિદેશથી બિલાડીઓ પણ મંગાવી હતી. આ વર્ષે શાઝીયાએ ૨૫ લાખ રૂપિયાની સ્કાર્પિયો ગાડી પણ ખરીદી હતી. ખંડણીના કેસમાં શાઝીયા નિસાર ઉપરાંત ડિજિટલ મીડિયાના એન્કર આદર્શ ઝાની પણ ધરપકડ થઈ છે. બંને આરોપીઓએ ચેનલના સીઇઓ પાસે ૨ કરોડ ૨૬ લાખ રૂપિયાની ખંડણી પડાવી હતી. બાકીની રકમની ઉઘરાણી કરતા ચેનલના અધિકારીઓએ એમની સામે ફરિયાદ નોંધાવી હતી.

પરમાણુ વૈજ્ઞાાનીકથી માંડીને દેશના પહેલા સીડીએસ સુધીનાઓ વિમાન અકસ્માતનો ભોગ બન્યા છે

વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહેલા વીવીઆઇપી નથી. સ્વાતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝનું અવસાન પણ વિમાન અકસ્માતમાં થયું હતું. ભારતના પહેલા પરમાણુ વિજ્ઞાાની હોમી ભાભાનું અવસાન એર ઇન્ડિયાના વિમાન અકસ્માતમાં થયું હતું. એ વખતે એમની ઉમર ફક્ત ૫૬ વર્ષની હતી. એમનું વિમાન સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વત નજીક થયું હતું.

 ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના પુત્ર અને સાંસદ સંજય ગાંધી પણ જ્યારે ખાનગી વિમાન ઉડાવી રહ્યા હતા ત્યારે વિમાન તૂટી પડતા એમનું મૃત્યુ થયું હતું. 

કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયા રેલી સંબોધીને ચાર્ટર્ડ વિમાનમાં દિલ્હીથી કાનપુર જઈ રહ્યા હતા ત્યારે વિમાન ક્રેશ થઈ જતા મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને તેમના પત્નીના વિમાનને પણ પાક દ્વારા નિશાન બનાવતા અકસ્માત સર્જાયેલ ને મૃત્યુ પામ્યા હતા.

મહિલાના મોતની તપાસ કરવા ગોગોઇએ મુખ્યમંત્રી ધામીને પત્ર લખ્યો

આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રમુખ ગૌરવ ગોગોઇએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને પત્ર લખ્યો છે. એમણે માંગણી કરી છે કે આસામની મહિલાના મૃત્યુની તાત્કાલીક તપાસ કરવામાં આવે. આસામની મહિલાનું શબ ઋષિકેશમાં ગંગા નદીને કિનારે મળ્યું હતું. આ મહિલાનું નામ રોસ્મિતા હોજાઇ હતું. 

મહિલા રેલવે ભરતી બોર્ડની પરીક્ષા આપવા દિલ્હી ગઈ હતી. ત્યાર પછી તે દિલ્હીથી બે વ્યક્તિઓની સાથે ઋષિકેશ ગઈ હતી. છઠ્ઠી જૂને ઋષિકેશથી એ ગુમ થઈ ગઈ હતી. 

પાંચ દિવસ પછી એનુ શબ ગંગા નદીમાં તરતુ મળ્યું હતું. ગોગોઇએ લખેલા પત્રમાં કહ્યું છે કે, મહિલાનું ગુમ થઈ જવું અને ત્યાર પછી એનું શબ મળવું એ ચિંતાજનક છે. મહિલાના મૃત્યુને કારણે એના કુટુંબીઓ અને મિત્રોને આઘાત લાગ્યો છે. મહિલાના મૃત્યુ માટે જવાબદારોને પકડીને સખત સજા કરવામાં આવે.

યુદ્ધ વિરામ બાબતે ટ્રમ્પના નવા દાવા બાબતે મોદીને કોંગ્રેસના સવાલો

કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શાબ્દીક હુમલો કરતા કહ્યું છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૧૩ વખત કહી ચૂક્યા છે કે એમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો છે. કોંગ્રેેસે પૂછયું છે કે, મોદી આ બાબતે કયારે જવાબ આપશે. કોંગ્રેસના નેતા અને પ્રભારી મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, યુદ્ધ વિરામ બાબતે વડાપ્રધાન મોઢુ ખોલતા નથી. ભારત જ્યારે અમદાવાદ વિમાન અકસ્માતને કારણે દુઃખી છે ત્યારે ટ્રમ્પે ફરીથી એક વખત ભારત -પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ પહેલા એમણે કેનેડી સેન્ટર ખાતે પણ આ જ વાત કહી હતી. એવી વાત પણ મળી રહી છે કે પાકિસ્તાની સૈન્યના વડા આસીમ મુનીરને અમેરિકાએ આર્ર્મી ડે પર આમંત્રીત કર્યા છે. આ સમાચાર ભારતની વિદેશનીતિ માટે આઘાતજનક છે.

ઇઝરાયલના સૈન્યએ ભારતની માફી શા માટે માંગી

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોનો ખોટો નકશો પોસ્ટ કરવા માટે ઇઝરાયલ સૈન્યએ ભારતની માંફી માંગી છે. આ નકશામાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવવામાં આવ્યું હતું. ઇઝરાયલ સૈન્યએ પોતાની ભૂલનો સ્વિકાર કરીને કહ્યું કે સંબંધીત નકશો સરહદને યોગ્ય રીતે દર્શાવવામાં નિષ્ફળ રહ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે વિરોધ નોંધાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટના જવાબમાં ઇઝરાયલે માફી માગી હતી. ભારતના વિદેશ મંત્રાલયે ઇઝરાયલના સૈન્ય પાસે માગણી કરી હતી કે, નકશો દર્શાવતી પોસ્ટ તેઓ પાછી લઈ લે. આ બાબતે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને પણ ટેગ કરવામાં આવ્યા હતા.

સિપાઇ હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવા ચંદ્રશેખર આઝાદની માંગણી

દિલ્હી નજીક આવેલા ગાઝીયાબાદના નાહલ ગામની મુલાકાત નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદએ લીધી હતી. ચંદ્રશેખર આઝાદ ગામવાસીઓને પણ મળ્યા હતા. એમણે કહ્યું હતું કે પોલીસ નિર્દોષ લોકોને હેરાન કરી રહી છે. ચંદ્રશેખર આઝાદનું કહેવું છે કે સ્થાનિક લોકો માને છે કે ગોળી ગામના લોકોએ નહીં, પરંતુ પોલીસએ ચલાવી હતી. આમ છતાં ગામના લોકોને જેલમાં પુરવામાં આવે છે. સિપાઇ સૌરવ હત્યાકાંડને કારણે આ વિસ્તારમાં મોટો વિવાદ થયો છે. આ હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી પણ આઝાદે કરી છે. આઝાદના કહેવા પ્રમાણે પીડિતોને ન્યાય આપવાને બદલે એમને જ હેરાન કરવામાં આવી રહ્યા છે. પુરાવા વગર કોઈને પણ ઉંચકી લેવામાં આવે છે. 

કર્ણાટકમાં હવે બાઇક ટેક્સીઓ જોવા નહી મળે

કેટલાક દેશોમાં બાઇક ટેક્સીઓનું ચલણ છે. ભારતના કર્ણાટકમાં પણ છેલ્લા કેટલાક સમયથી બાઇક ટેક્સીનું ચલણ હતું. હવે કર્ણાટક હાઇકોર્ટે બાઇક ટેક્સી સર્વિસ વિરુદ્ધ ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે ઓલા, ઉબર અને રેપીડો જેવી એગ્રીગ્રેટર કંપનીઓને મોટો આંચકો આપ્યો છે. બાઇક ટેક્સી સેવાને ચાલુ રાખવા માટે કામચલાઉ સ્ટે આપવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. બેન્ચે સ્પષ્ટ કહી દીધું છે કે, રાજ્યમાં બાઇક ટેક્સી સર્વિસ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોર્ટે રાજ્ય સરકારને પણ આ બાબતે સૂચના આપી છે. ચિફ જસ્ટીસ વી કામેશ્વર રાવ અને જસ્ટીસ શ્રીનિવાસ હરીશકુમારની બેન્ચે રાજ્ય સરકાર અને બીજા પક્ષોને નોટીસ મોકલી છે. તમામ પક્ષોએ ૨૦મી જુન સુધી પોતાના જવાબ રજુ કરવાના રહેશે.

અઝહરનો પુત્ર પણ ક્રિકેટ પછી રાજકારણમાં

તેલંગણા કોંગ્રેસે આ અઠવાડિયે નિયુક્ત કરેલા ૬૯ જનરલ સચિવો પૈકી એક મોહમ્મદ અસદુદ્દીન પણ છે. અસદુદ્દીન ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમનો કપ્તાન તેમજ લોકસભાનો ભૂતપૂર્વ સાસંદ મોહમ્મદ અઝહરુદ્દીનનો પુત્ર છે. અસદુદ્દીન રણજી ક્રિકેટ રમી ચુક્યો છે અને હવે રાજકરણની પિચ પર પ્રવેશ કર્યો છે. રવિવારે વિધાયક મગાન્ટી ગોપીનાથના હૃદયરોગના હુમલાથી થયેલા અવસાનને કારણે હૈદરાબાદની જ્યુબિલી હિલ્સની બેઠક ખાલી પડી હતી. નવેમ્બર ૨૦૨૩માં અઝહરુદ્દીન જ્યુબિલી હિલ્સમાંથી કોંગ્રેસનો ઉમેદવાર હતો, પણ બીઆરએસના મગાન્ટી સામે પરાજિત થયો હતો.

લુધિયાણા પેટાચૂંટણીમાં લોક ગીતોની બોલબાલા

લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીને અઠવાડિયુ બાકી છે ત્યારે એઆઈ રચિત પંજાબી લોકગીતોમાં આપ (દિલ્હી)ની પરાજીત ટીમ દ્વારા પંજાબ પર કબજો જમાવવાના પ્રયાસની પેરડી કરાઈ રહી છે. આ ગીતમાં પાર્ટીના કાર્યકરોની કફોડી દશાનું વર્ણન છે જેમની દિલ્હીની ટીમના ભોગે ઉપેક્ષા કરાઈ રહી છે. ગીત રચનામાં કોઈને શ્રેય નથી અપાયું પણ આ ગીતો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યા છે. ગીતોમાં કેજરિવાલ અને મનિષ સિસોદિયા પાસે દિલ્હીના પરાજય પછી કોઈ કામ ન હોવા બાબતે ટીકા થઈ રહી છે ત્યારે પંજાબના સીએમ ભગવંત માનની પણ દિલ્હીના માલિકોને સત્તા સોંપી દેવા તત્પર હોવાની ટીકા થઈ  છે.

સીટ 11એમાં ફરી પ્રવાસીનો જીવ બચતા થાઈ ગાયકને આશ્ચર્ય

વિધિના વિચિત્ર વળાંકમાં ત્રણ દાયકાઓ દરમ્યાન અને હજારો માઈલ દૂર બે વ્યક્તિઓને સમાન અનુભવ થયો. બંને જણા વિમાન દુર્ઘટનામાં ૧૧એ નંબરની સીટ પર હતા અને બચી ગયા.પહેલી દુર્ઘટના હતી ૧૯૯૮માં થાઈલેન્ડમાં અને બીજી તાજેતરમાં ભારતમાં. હવે આ રહસ્યમય જોગાનુજોગ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોરાયું છે. અહેવાલ મુજબ થાઈ અભિનેતા અને ગાયક જેમ્સ રુઆંગસાક લોયચુસાક ૧૯૯૮માં સુરત થાનીમાં લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયેલી થાઈ એરવેઝની ફ્લાઈટ ટીજી૨૬૧ના બચી ગયેલા પ્રવાસી પૈકી એક હતો. એ ફ્લાઈટમાં ૧૪૬ પ્રવાસીઓ હતા જેમાંથી ૧૦૧ના મોત થયા હતા. ૧૧એ બેઠક પર બેઠેલો લોયચુસાક પણ બચી ગયો હતો.  લોયચુસાકને જ્યારે જાણ થઈ કે એર ઈન્ડિયા દુર્ઘટનામાં બચી ગયેલો વિશ્વાસ રમેશ કુમારની સીટ પણ ૧૧એ હતી ત્યારે તેણે આ જોગાનુજોગ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

કોંગ્રેસે ગાઝા યુદ્ધવિરામ ઠરાવમાં મોદી સરકારની ગેરહાજરીને વખોડી

ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરતા યુનોની સામાન્ય સભાના ઠરાવમાં ભારતના ગેરહાજર રહેવાના નિર્ણયને કોંગ્રેસે નૈતિક કાયરતા કહીને સવાલ કર્યો હતો એનડીએ સરકારે વાજપેયીના પેલેસ્ટાઈન બાબતે સૈદ્ધાંતિક અભિગમ ત્યજી દીધો હતો કે કેમ. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, જનરલ સચિવ પ્રિયંકા ગાંધી વાઢરા, કેસી વેણુગોપાલ સહિત અગ્રણી નેતાઓએ સરકારની જોરદાર ટીકા કરતા જણાવ્યું કે ગેરહાજર રહેવાનો નિર્ણય સાબિત કરે છે કે દેશની વિદેશ નીતિ પડી ભાંગી છે.

 પ્રિયંકા વાઢરાએ એક ડગલુ આગળ વધીને જણાવ્યું કે શુક્રવારે ઈરાન પર ઈઝરાયેલનો હુમલો તેના સાર્વભૌમનું ઉલ્લંઘન હતું અને તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોથી વિપરીત હતું. ૧૨મી જૂને યુનો એસેમ્બ્લીના ૧૯૩ સભ્યોમાંથી ભારત સહિત ૧૯ દેશો  મતદાનમાં ગેરહાજર રહ્યા હતા જ્યારે ૧૪૮ દેશોએ નાગરિકોની સુરક્ષા અને કાનૂની તેમજ માનવીય જવાબદારીઓને માન્ય કરતા ઠરાવની તરફેણમાં મત આપ્યા હતા.

- ઈન્દર સાહની


Tags :