દિલ્હીની વાત : બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાન ભાજપની બાજી બગાડશે
નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બેઠકોની વહેચણી બાબતે એનડીએમાં ખેંચતાણ થવાની શક્યતા છે. એનડીએના નેતા એમ કહી રહ્યા છે કે, બેઠકોની વહેચણી બાબતે કોઈ તકલીફ નથી. લોકસભાની જેમ વિધાનસભામાં પણ નેતાઓ સાથે મળીને નક્કી કરશે. જોકે મળતી માહિતી પ્રમાણે આ વખતે પરિસ્થિતિ એટલી સરળ નહીં હોય. કોઈપણ રાજકીય પક્ષોનું ગઠબંધન થાય ત્યારે દરેક પક્ષ પોતાને વધુમાં વધુ બેઠકો મળે એ માટે પ્રયત્ન કરે છે. જોકે એનડીએમાં ભાજપ અને જેડીયુ જે ફોર્મ્યુલા બનાવવા માગે છે એ માટે ચિરાગ પાસવાન અને માંઝી સહમત નહી થાય એવું મનાય છે. બેઠક વહેચણી માટે એનડીએના પક્ષોની કોઈ બેઠક થઈ નથી. જોકે ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૪૩ બેઠકોમાંથી ૧૧૦ બેઠકો ભાજપને, ૧૦૨ બેઠકો જેડીયુને, ૨૮ બેઠકો ચિરાગ પાસવાનના પક્ષને, જીતન રામ માંઝીના પક્ષને ૭ બેઠકો અને કુશવાહાને ૪ બેઠકો મળી શકે છે. ચિરાગ પાસવાનને ૭૦ થી ઓછી બેઠકો ખપતી નથી એવી વાતો થઈ રહી છે ત્યારે ચિરાગ પાસવાન એનડીએનો ખેલ બગાડી શકે એમ છે.
અખિલેશ યાદવએ બધાને દુર કર્યા, કુશીનગરના જિલ્લા અધ્યક્ષ કેમ બચ્યા
૨૦૨૪ લોકસભાની ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની કેટલીક બેઠકો પરની પેટા ચૂંટણી પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ મોટો નિર્ણય લીધો છે. સપાએ કુશીનગર બાદ કરતાં તમામ જિલ્લાના પ્રમુખોને દુર કર્યા છે. આ સમાચાર બહાર આવ્યા પછી બધાને સવાલ થઈ રહ્યો છે કે, ફક્ત કુશીનગરના જિલ્લા પ્રમુખને કેમ બાકી રાખવામાં આવ્યા. આ વર્ષે માર્ચ મહિનામાં કુશીનગર જિલ્લાના અધ્યક્ષ મહોમદ અંસારીનું મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ પછી નવી નિમણૂક થઈ નહોતી. સપાએ આ જવાબદારી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય રામઅવધ યાદવને સોંપી હતી. રામઅવધની નિમણૂકને ફક્ત બે મહિના થયા હોવાથી એમને દુર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત રામઅવધ યાદવ અખિલેશ યાદવના વિશ્વાસુ પણ છે.
રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ગઠબંધનની વાતો છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ચાલી રહી હતી. હવે એકાએક રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા છે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આ પહેલા રાજ-એકનાથ શિંદે વચ્ચે પણ ગઠબંધનની વાતો થઈ હતી. જોકે ફડણવીસ સાથેની મુલાકાત પછી એમ મનાય છે કે રાજ ઠાકરે ભાજપ સાથે જોડાઈ શકે છે. ફડણવીસ સાથેની મુલાકાત પછી રાજ ઠાકરેએ મનસેના નેતાઓની મીટીંગ બોલાવી છે. આ મીટીંગ માટે મુંબઈ, થાણે અને પાલઘરના શહેર પ્રમુખો તેમ જ ઉપપ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યા છે. રાજ ઠાકરેએ હમણા એમના પક્ષના નેતાઓને કોઈ નિવેદન નહી આપવા કહ્યું છે.
તેજસ્વી - હેમંતની દોસ્તી તૂટી, બિહાર ચૂંટણીમાં જેએમએમને કઈ નહી મળે
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો) બિહારના રાજકારણથી પોતાને અલગ અનુભવી રહ્યો છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સ્થાન મેળવવાની આશા ઝામુમોને હતી. જોકે મહાગઠબંધનની બેઠકોમાં ઝામુમોને આમંત્રીત કરવામાં આવ્યો નથી. મહાગઠબંધનના મુખ્ય પક્ષો આરજેડી અને કોંગ્રેસએ અત્યાર સુધીમાં ચાર વખત બેઠકો કરી છે. બિહારમાં ચર્ચા થઈ રહી છે કે, તેજસ્વી યાદવ અને હેમત સોરેન વચ્ચેની દોસ્તી તૂટી ગઈ છે. તેજસ્વીની ઇચ્છા નથી કે વિધાનસભાની ચૂંટણીમાં ઝામુમોને એક પણ બેઠક આપવામાં આવે. સમગ્ર ઘટનાક્રમ જોઈને ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા છે.
ન્યાયપાલિકાએ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરવો જરૂરી નથી : સીજેઆઇ ગવઇ
સીજેઆઇ બી આર ગવઇએ કહ્યું છે કે, દેશમાં ન્યાયીક સક્રિયતા (જ્યુડિશિયલ એક્ટીવિઝમ) ચાલુ રહેશે, પરંતુ એની મર્યાદા હોવી જોઈએ. જ્યુડિશિયલ એક્ટીવિઝમ, જ્યુડિશિયલ ટેરરીઝમ બનવું જોઈએ નહીં. ચિફ જસ્ટીસના કહેવા પ્રમાણે વિધાનમંડળ અને કાર્યપાલિકા નાગરીકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહે છે ત્યારે ન્યાયપાલિકાએ હસ્તક્ષેપ કરવો પડે છે. જોકે આ હસ્તક્ષેપની પણ એક મર્યાદા નક્કી કરવી જોઈએ. કેટલીક વખત ન્યાયપાલિકા પોતાની મર્યાદા ચૂકીને બીજા ક્ષેત્રોમાં દખલ કરે છે જે કરવાની જરૂર હોતી નથી. આ એક ચિંતાનો વિષય છે. જ્યુડિશિયલ એક્ટીવિઝમનો ઉપયોગ કેટલીક ખાસ પરિસ્થિતિમાં જ કરવો જોઈએ.
અસદુદ્દીન ઓવૈસી વડાપ્રધાનને કેમ નહીં મળ્યા
ઓલ પાર્ટી ડેલિગેશનના સભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. વિદેશથી પરત આવ્યા પછી વડાપ્રધાને ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોને આમંત્રીત કર્યા હતા. જોકે વડાપ્રધાન સાથેની મુલાકાતમાં એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી હાજર રહ્યા નહોતા. દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ બાબતે ચર્ચા પણ થઈ હતી. આ બાબતે હવે એઆઇએમઆઇએમના નેતા વારિસ પઠાણએ ખુલાસો કર્યો છે. વારિસ પઠાણએ કહ્યું છે કે, અસદુદ્દીન ઓવૈસીની ગેરહાજરી માટે કોઈ રાજકીય કારણ નહોતું. મેડિકલ ઇમર્જન્સીને કારણે એમણે વિદેશ જવું પડયું છે. ઓવૈસીએ આ બાબતની જાણકારી ડેલિગેશનના પ્રમુખ જયંત પાંડાને આપી હતી. વિદેશથી આવ્યા પછી તેઓ શું કરશે એ હવે પછી ખબર પડશે.
વિમાન અકસ્માત સાયબર હુમલો હતો? સંજય રાઉતનો સવાલ
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતએ અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે ગંભીર સવાલો કર્યા છે. એમણે પૂછયું છે કે શું કોઈ દુશ્મન દેશ તરફથી સાયબર હુમલો કરવામાં તો નથી આવ્યો ને. હમણા જ દુશ્મનોએ સાયબર હુમલો કરીને ભારતના સૈન્ય સ્થાનોને નિશાન બનાવવાની કોશિષ કરી હતી. રાઉતે કહ્યું હતું કે, તેઓ કોઈ એક્સપર્ટ નથી પરંતુ અમદાવાદમાં જે રીતે ઉડયા પછી ૩૦ સેકન્ડમાં જ વિમાન તૂટી પડયું એ ગંભીર વાત છે. રાઉતે કહ્યું હતું કે 'જ્યારે બોઇંગની ડિલ થઈ હતી ત્યારે ભાજપ એની વિરુદ્ધ હતો. એ વખતે પ્રફુલ પટેલ એવિએશન મીનિસ્ટર હતા. લોકો હવે વિમાનમાં બેસતા ડરે છે. એવિએશન સેક્ટર માટે જાળવણી ખૂબ મહત્વની છે. અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ફલાઇટ સાથે જ અકસ્માત કેમ થયો.
રાજા સુહેલદેવના સન્માન બાબતે ભાજપ અને સપા વચ્ચે ખેંચતાણ
રાજા સુહેલદેવની વિરાસત ઉત્તર પ્રદેશમાં નવું યુદ્ધનું મેદાન બની ગઈ છે જેમાં શાસક અને વિપક્ષ બંને ૧૧મી સદીના આ રાજાને સન્માન આપવા રાજકીય વર્ચસ્વનું નાટકીય પ્રદર્શન કરી રહ્યા છે. સીએમ યોગીએ મંગળવારે શ્રવસ્તીમાં મહારાજ સુહેલદેવના પિત્તળના પૂતળાનું અનાવરણ કર્યાના થોડા કલાકોમાં જ સપાએ રાજાના સન્માનમાં લખનઉ ખાતે વિજય દિવસની ઉજવણી દરમ્યાન જાહેરાત કરી કે તેને સત્તા મળશે તો લખનઉમાં સુહેલદેવનું સોનાનું પૂતળુ બનાવશે. આ જાહેરાતો રાજભર સમુદાયને પ્રભાવિત કરવાના આશયથી કરવામાં આવી હતી જેઓ પોતાને રાજાના વંશજો માને છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ અને સપા બંનેને ઈતિહાસની નહિ પણ રાજભર સમુદાયની મતબેન્કની પરવા હતી.
જસ્ટિસ વર્મા વિવાદઃ કોંગ્રેસે પેનલનો અહેવાલ માગ્યો
કોંગ્રેસે કેન્દ્ર પાસે ન્યાયાધીશ યશવંત વર્મા સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીના અહેવાલની માગણી કરી છે. કેન્દ્ર સરકારે પાર્ટીને ન્યાયાધીશ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાના તેના નિર્ણયની જાણકારી આપી હતી. કોંગ્રેસે જણાવ્યું કે આ બાબતે નિર્ણય લેવા માટે તેને પેનલના અહેવાલની જરૂર છે. ૧૪ માર્ચે વર્માના ઘરે એક રૂમમાંથી ચલણી નોટો મળી આવી હતી. એ સમયે તેઓ દિલ્હી હાઈ કોર્ટ ખાતે ન્યાયાધીશ તરીકે સેવા આપતા હતા. આ ઘટનાથી રાજકીય તેમજ ન્યાયિક વર્તુળોમાં આંચકો લાગ્યો હતો. વર્માએ આરોપો નકાર્યા હતા. તેમને ત્યાર પછી અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટ કમિટી દ્વારા કરાયેલી તપાસના પ્રતિસાદમાં વર્મા સામેના આરોપો નકારી કાઢ્યા હતા.
- ઈન્દર સાહની