Get The App

દિલ્હીની વાત : લડકી હો લેકિન ચુનાવ નહીં લડ સકતી !

Updated: Jan 16th, 2022

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : લડકી હો લેકિન ચુનાવ નહીં લડ સકતી ! 1 - image


નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં કોગ્રેસના 'લડકી હૂં, લડ સકતી હૂં' અભિયાનની પોસ્ટર ગર્લ પ્રિયંકા મૌર્યે કરેલા આક્ષેપોએ કોંગ્રેસની હાલત ખરાબ કરી નાંખી છે. પ્રિયંકાએ લખનઉની સરોજિની નગર બેઠક માટે ટિકિટ માગી હતી પણ કોંગ્રેસે આ બેઠક પર એક મહિના પહેલા જ પક્ષમાં જોડાયેલા રૂદ્રદામન સિંહને ટિકિટ આપી છે.

ભડકેલી પ્રિયંકાએ આક્ષેપ કર્યો છે કે, પ્રિયંકા ગાંધીના સેક્રેટરી સંદીપ સિંહે પોતાની પાસે ટિકિટના બદલામાં લાંચની માગણી કરી હતી પણ પોતે નાણાં ના આપતાં ટિકિટ ના મળી. પ્રિયંકાએ એવો આક્ષેપ પણ મૂક્યો કે, કોંગ્રેસને બ્રાહ્મણ સહિતના સવર્ણોમાં જ રસ છે જ્યારે પોતે ઓબીસી છે તેથી ટિકિટ ના મળી. પ્રિયંકા ગાંધીની ઓફિસ દ્વારા એવો બચાવ કરાયો છે કે, પ્રિયંકાને ટિકિટની કોઈ ખાતરી નહોતી અપાઈ અને 'લડકી હૂં, લડ સકતી હૂં' અભિયાનના પોસ્ટરમાં તેનો ફોટો પણ ભૂલથી મૂકાયો હતો. વ્યવસાયે ડોક્ટર પ્રિયંકા યુપીમાં મહિલા કોંગ્રેસની ઉપપ્રમુખ છે. હવે લોકો તેના પર કટાક્ષ કરી રહ્યા છે કે, લડકી હો, લડ સકતી હો લેકિન ચુનાવ નહીં.'

રઝા મુરાદની 24કલાકમાં જ છુટ્ટી

મધ્ય પ્રદેશની ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશને ફિલ્મ અભિનેતા રઝા મુરાદને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બ્સેડર બનાવ્યાના ૨૪ કલાકમાં જ તગેડી મૂકાયા છે. રઝા મુરાદને ગુરૂવારે જ સ્વચ્છતા દૂત જાહેર કરાયા હતા. રઝા મુરાદે ભોપાલવાસીઓ વચ્ચે જઈને સ્વચ્છતાનો સંદેશ આપવાનો હતો ને સોનાગિરીના એક કાર્યક્રમમાં હાજરી આપીને મુરાદે કામ પણ શરૂ કરી દીધું હતું ત્યાં શક્રવારે શિવરાજસિંહ ચૌહાણ સરકારે મુરાદની નિમણૂકને રદ કરી નાંખી.

મધ્ય પ્રદેશના શહેરી વિકાસ મંત્રાલયે લખેલા પત્રમાં ભોપાલની સંસ્કૃતિને સારી રીતે જાણનારી અથવા સ્વચ્છતામાં ઉલ્લેખનિય યોગદાન આપનારને સ્વચ્છતા દૂત બનાવીને રઝા મુરાદની નિમણૂકને રદ કરવા આદેશ અપાયો છે. મુરાદના સ્થાને આવી વ્યક્તિને સ્વચ્છતા દૂત નિમવા પણ આદેશ છે.

બંગાળ ભાજપમાં હવે દિલિપ ઘોષ નારાજ

પશ્ચિમ બંગાળ ભાજપમાં વધેલા અસંતોષને ઠારવા માટે પ્રદેશ પ્રમુખ સુકાન્ત મજુમદારે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલિપ ઘોષના સમયમાં બનાવાયેલા ભાજપના તમામ વિભાગો અને સેલ વિખેરી નાંખ્યા છે. ભાજપનાં સૂત્રોના મતે, કુલ ૧૮ વિભાગ અને ૧૭ સેલને વિખારી નાંખીને મજુમદારે અસંતુષ્ટોને સમાવવાનો તખ્તો તૈયાર કર્યો છે.

મજુમદારની આ જાહેરાતથી ઘોષ નારાજ છે.  ઘોષે જાહેરમાં કહ્યું કે, આ રીતે વિભાગો અને સેલ વિખેરી નાંખવાની જાહેરાત કરવાની જરૂર નહોતી. તમામ વિભાગો અને સેલમાં નવી નિમણૂકોની સીધી જાહેરાત કરી શકાઈ હોત પણ તેના બદલે તેમને વિખેરી નાંખવાની જાહેરાત કરીને ખોટો મેસેજ અપાયો છે. સૂત્રોના મતે, મજુમદારે હાઈકમાન્ડના આદેશથી જાણી જોઈને આ પગલું ભર્યું છે કે જેથી પ્રદેશ માળખા પર ઘોષનું વર્ચસ્વ નથી એ સ્પષ્ટ થાય. અસંતુષ્ટોને પણ સમાવી લેવાશે એવો મેસેજ આપીને તૃણમલમાં જતા રોકી શકાય. અલબત્ત પ્રદેશ કારોબારી તથા મીડિયા સેલમાં કોઈ ફેરફાર કરાયા નથી તેના કારણે શાંતનુ ઠાકુર સહિતના અસંતુષ્ટો માનશે કે કેમ તેમાં શંકા છે.

મોર્યની પુત્રી સંઘપ્રિયાનો યોગી પર કટાક્ષ

ઉત્તર પ્રદેશમાં ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયેલા સ્વામીપ્રસાદ મોર્યનાં પુત્રી સંઘમિત્રા મૌર્યની સોશિયલ મીડિયા પોસ્ટે ભાજપમાં ભારે ચર્ચા જગાવી છે. બદાયુ લોકસભા બેઠકનાં સાંસદ સંઘમિત્રાએ પિતાના પગલે ભાજપ છોડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પેતે ભાજપમાં જ રહેશે એવો હુંકાર કરનારાં સંઘમિત્રાએ યુપીમાં ભાજપ જ જીતશે એવો દાવો પણ કર્યો છે પણ સાથે સાથે પિતાને પોતાનું અભિમાન, પોતાના હીરો ગણાવ્યા છે.

જો કે ચર્ચા સંઘમિત્રાએ યુપી ભાજપની નેતાગીરી પર કરેલા પ્રહારની થઈ રહી છે. સંઘમિત્રાએ લખ્યું છે કે, યુપીમાં અત્યારે ડંફાશો મારવાનો માહોલ છે. મોદી ભાજપ પરિવારને મોટો કરવાની વાત કરે છે અને કામ કરે છે ત્યારે નીચેના સ્તરના નેતા સંકુચિત માનસિકતાનો પરિચય આપીને કોઈને સ્વીકારવા તૈયાર નથી.

ભાજપનાં સૂત્રોના મતે, સંઘમિત્રાનો ઈશારો યોગી આદિત્યનાથ તરફ છે એ સ્પષ્ટ છે. સંઘમિત્રાએ યોગી કામ ઓછું કરે છે ને ડંફાશ વધારે મારે છે એવું કહી  છે. આ પોસ્ટ દ્વારા સંઘમિત્રાએ સપા સત્તામાં આવે તો ભાજપ છોડવાનો તખ્તો પણ ઘડી કાઢયો છે.

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી આરજેડીમાં જોડાશે

બિહારમાં ભોજપુરી  ફિલ્મોના સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ આરજેડીમાં જોડાય એવી શક્યતા છે. ખેસારીએ તાજેતરમાં એક ગીત લોચ કર્યુ છે કે જેમાં તેજસ્વી યાદવ અને લાલુપ્રસાદ યાદવનાં ભરપૂર વખાણ કર્યાં છે. 'તેજસ્વી કે બિના સુધાર ન હોઈ ઔર લાલુ કે બિના ચાલુ બિહાર ન હોઈ 'એવા શબ્દો ધરાવતું ગીત જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આરજેડીના નેતા અનિલ સમ્રાટ માટે ખેસારીએ આ ગીત બનાવ્યું છે. સમ્રાટને આરજેડીએ વિધાન પરિષદની ચૂંટણી માટે ટિકિટ આપી છે.

આરજેડીનાં સૂત્રોના દાવા પ્રમાણે, તેજસ્વી ખેસારીલાલને લોકસભામાં સિવાન બેઠક પરથી ઉતારવા માગે છે. એક સમયે સિવાન બેઠક આરજેડીનો ગઢ હતી. મોહમ્મદ શાહબુદ્દીનની સામે ટકવાની કોઈની તાકાત નહોતી. શાહબુદ્દીન સળંગ ચાર વાર આ બેઠક પર જીતેલો. શાહબુદ્દીનને સજા થતાં આરજેડીએ શાહબુદ્દીનની પત્ની હીના શાહબને ત્રણ વાર ટિકિટ આપી પણ  હીના જીતી શક્યાં નથી. તેજસ્વીએ આ બેઠક પાછી મેળવવા ખેસારી પર દાવ લગાવવાનું નક્કી કર્યું છે. ખેસારી આરજેડીને બીજી બેઠકો પર પણ બહુ મદદરૂપ થશે.

***

''હું ભાજપની વફાદાર કાર્યકર છું'' : મૌર્ય-પુત્રી

ભાજપ છોડીને સમાજવાદી પક્ષમાં જોડાયેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી અને ભાજપના બદાયુંના સાંસદ સંધમિત્રા  મૌર્ય કહ્યું કે ''મારાં પિતાએ ભાજપ સાથે છેડો ફાડયો હોવ છતાં હું ભાજપ સાથે જ છું જો કે અમે હવે અલગ રાજકીય પક્ષોમાં હોવા છતાં પિતા સાથેનું મારૂં બંધન પણ અતૂટ  રહેશે. મારાં માટે પક્ષ અને મારાં પિતા બે અલગ વસ્તુઓ છે. હું ભાજપની વફાદાર કાર્યકર છું. સાથે જ મારાં પિતા સમાજવાદી પક્ષમાં જોડાયા હોવા છતાં અમારાં પિતા-પુત્રીના સંબંધને કોઇ રીતે આંચ આવતી નથી.''

ટિકિટ ન મળતાં કોંગ્રેસ છોડતાં મહિલા-અગ્રણી

ઉત્તર પ્રદેશ સ્થિત મહિલા સંસ્થા ગુલાબી ગેંગના સ્થાપક સંપતપાલ દેવીએ વિધાનસભાની ટિકિટ નહિ મળતાં શુક્રવારે કોંગ્રેસ છોડી દીધી છે. બાંદાની માણિકપુર બેઠકના દાવેદાર સંપતપાલ દેવીએ કહ્યું કે ''મારાંથી ઓછા મત મેળવનારને એ બેઠક પરથી ઊભા રખાયાં છે. મેં કોંગ્રેસને મજબૂત બનાવવા વર્ષોથી સખત પરિશ્રમ કર્યો છે.'' કોંગ્રેસના એક અન્ય નેતા પ્રિયંકા મૌર્યે આક્ષેપ કર્યો છે કે પક્ષના પદાધિકારીઓએ એમની પાસે ટિકિટ બદલ પૈસાની માગણી કરી છે.

લડકાઉ ભાષણ : મહંત ભૂખ હડતાળ પર 

જ્યાંથી મુસ્લિમોના સંહારની હાકલ કરવામાં આવી હતી એ હરિદ્વાર ધર્મ સંસદના આયોજક મહંત અને ગાઝિયાબાદના દાસનાદેવી મંદિરના વડા યતિ નરસિંઘાનંદ સરસ્વતી, કેસમાં પકડાયેલા એકમાત્ર વ્યક્તિની મુક્તિને માગણી સાથે ગુરૂવારથી ગંગાતટે સર્વાનંદ ઘાટે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આ વ્યક્તિ એટલે ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વાસમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી નરસિંઘાનંદે રિઝવીને તા. ૬ ડિસેમ્બરે ધર્માંતર કરાવીને હિંદુ બનાવ્યા છે. રિઝવી ઉર્ફે ત્યાગી સામે ધર્મસંસદમાં મુસ્લિમો વિરુધ્ધ ભડકાઉ ભાષણનો આક્ષેપ છે, જેના લીધે એમની અટક કરાઇ છે.

કોંગ્રેસી વિડિયોમાં કાશ્મીરના અગાઉના વિરોધની ઇમેજ

કોંગ્રેસે રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસેગે બુધવારે સોશ્યલ મીડિયા પર રજૂ કરેલા એક વિડિયોમાં દાવો કરાયો છે કે દેશના યુવાવર્ગે ભાજપને હરાવવાયું નક્કી કર્યું છે. વિડિયોમાં યુવા રોજગારી, ભૂખ, વાણી સ્વાતંત્ર્ય, અને મે. ૨૦૨૦ થી ચીનની ઘૂસણખોરી જેવા મુદ્દે ભાજપની ટીકા કરવામાં આવી છે. આ વિડિયોને ટ્વિટર પર ૧૦૦૦ લાઇક અને ૪૫૦ ટ્િવિટર મળ્યા છે. જોકે તાજેતરમાં થયેલી એક સ્પષ્ટતા મુજબ વિડિયોમાં વપરાયેલી યુવા વિરોધકારોની એક તસવીર ૨૦૧૪ના એ સમયગાળાની છે જ્યારે ડો. મનમોહન સિંઘ વડાપ્રધાન હતા. આ તસવીર, ૨૮ સેંકડ માટે દર્શાવાઇ હતી, જેમાં યુવાનો કાશ્મિરમાં વિરોધી દેખાવો કરતા જણાયા છે.

- ઇન્દર સાહની

Tags :