Get The App

દિલ્હીની વાત : સંઘની નજીકના નેતા દિલીપ ઘોષ ભાજપને નથી જોઈતા

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની વાત : સંઘની નજીકના નેતા દિલીપ ઘોષ ભાજપને નથી જોઈતા 1 - image


નવીદિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળના રાજકારણમાં પગ પેસારો કરવાની કોશિષ ભાજપ કરે છે. બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષનું પ્રદાન ભાજપની સફળતામાં મોટું છે. એમ લાગી રહ્યું છે કે, હવે બંગાળમાં દિલીપ ઘોષને સાઇડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. ભાજપના બે મોટા નેતાઓ બંગાળ આવ્યા ત્યારે દિલીપ ઘોષ એમની સાથે દેખાયા નહોતા. નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુર પછી અલીપુર દ્વારમાં રેલી કરવા આવ્યા ત્યારે ભાજપના તમામ મોટા નેતાઓ હાજર હતા સિવાય કે દિલીપ ઘોષ. એ જ રીતે અમિત શાહ જ્યારે બંગાળ ગયા ત્યારે પણ દિલીપ ઘોષ હાજર રહ્યા નહોતા. દિલીપ ઘોષને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમની પાસે કોઈ હોદ્દો નહીં હોય એટલે કદાચ એમને બોલાવવામાં નહોતા આવ્યા. ભાજપના બીજા નેતાઓનું કહેવું છે કે, સ્ટેટ કમિટીમાં જેટલા નેતા હતા એ તમામને અમિત શાહના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. દિલીપ ઘોષ એક સમયે આરએસએસની પસંદગી હતા. ૨૦૧૫માં એમને ભાજપ માટે કામ કરવા મોકલવામાં આવ્યા હતા.

જસ્ટીસ યશવંત વર્મા સામે કામ ચલાવવા મુંબઈના વકીલોની અરજ

બોમ્બે લોયર્સ એસોસીએશનએ સીજેઆઇ બી આર ગવઇને પત્ર લખીને અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્મા સામે કામ ચલાવવાની માંગણી કરી છે. જસ્ટીસ વર્માના દિલ્હીસ્થિત ઘરે મોટા પ્રમાણમાં સળગી ગયેલી રોકડ મળી હતી. સુપ્રિમ કોર્ટે તપાસ માટે નિમેલી કમિટિએ પણ જસ્ટીસ વર્માને દોષી ગણ્યા છે. બોમ્બે લોયર એસોસીએશન (બીએલએ)એ સીજેઆઇને લખેલા પત્રમાં જસ્ટીસ વર્મા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો હેઠળ કામ ચલાવવાની માંગણી કરી છે. ૧૯૯૧ કે કે વિરાટ સ્વામી કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, સીજેઆઇની પૂર્વ સમંતિ વગર સુપ્રિમ કોર્ટ કે હાઇકોર્ટના કોઈપણ જજ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવી શકે નહીં.

પાકિસ્તાનની માફક જ એનો મિત્ર દેશ તૂર્કી ઠગ નિકળ્યો

ભારતે તૂર્કીની સરકારી એરલાઇન્સ તૂર્કીસ એરલાઇન્સને સુરક્ષાના નિયમોના ભંગ બદલ કડક ચેતવણી આપી છે. ડીજીસીએ દ્વારા દિલ્હી, હૈદ્રાબાદ, ચેન્નઇ અને બેંગ્લુરુ એરપોર્ટો પર અચાનક ચેંકિગ કરવામાં આવ્યું ત્યારે કેટલીક ગંભીર ક્ષતી જોવા મળી છે. તૂર્કીસ એરલાઇન્સના એક વિમાનમાંથી વિસ્ફોટક સામગ્રી મળી હતી. આ બાબતે એરલાઇન્સે કોઈ ખૂલાસો પણ કર્યો નહોતો. એક કાર્ગો  વિમાનમાં જોખમી વસ્તુઓ મળી આવી હતી. આ પ્રકારના વિસ્ફોટકો ભારતની ઉપરથી અથવા તો ભારતમાં લાવવા માટે ડીજીસીએની ખાસ પરવાનગી લેવી પડે છે. વિમાન લેન્ડ થયું ત્યારે કોઈ માન્ય એન્જિનિયર પણ સ્થળ પર હાજર નહોતો. ડીજીસીએ તૂર્કીસ એરલાઇન્સ પર વિશ્વાસ મૂકતું નથી. જો ભવિષ્યમાં પણ આ પ્રકારની ઠગાઈ કરવામાં આવશે તો ડીજીસીએ ગંભીર પગલા લઈ શકે છે.

કોઈપણ વ્યક્તિને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવાનો હક્ક છે

દિલ્હી હાઇકોર્ટે હમણા એક અગત્યનો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિને સ્વેચ્છાએ પોતાનો ધર્મ બદલવાનો અને એ બાબતના દસ્તાવેજો જમા કરાવવાનો હક્ક છે. આ ચુકાદો બંધારણની કલમ ૨૫ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર સાથે જોડાયેલો છે. કેરળના એક યુવકના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ છે. યુવકએ ઇસ્લામ ધર્મ માનવાનો ઇન્કાર કરી દઈ હિન્દુ ધર્મ અપનાવ્યો. ત્યાર પછી એના દસ્તાવેજોમાં ધર્મ બદલવા માટે પ્રયત્ન કર્યો ત્યારે એને તકલીફ પડવા માંડી. સમગ્ર મામલો છેવટે કેરળ હાઇકોર્ટમાં પહોંચ્યો. જસ્ટીસ ડી કે સિંહે સ્પષ્ટ કહ્યું કે, બંધારણની કલમ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાને ગમતા ધર્મને અનુસરી શકે છે. આનો મતલબ એ થાય કે આ બાબતને લગતા દસ્તાવેજો પણ રેકોર્ડ પર લેવા જોઈએ.

પપ્પુ યાદવ પછી પીએમસીએચના વડા પર તેજસ્વી યાદવ પણ બગડયા

પટનાની પીએમસીએચ (પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ)માં એક દલિત છોકરીના અવસાન પછી હોસ્પિટલની ગેરવ્યવસ્થા બાબતે મોટો વિવાદ ઉભો થયો છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે પીએમસીએચમાં બાળકીને સમયસર બેડ નહીં મળવાને કારણે એનો યોગ્ય ઇલાજ થઈ શક્યો નહોતો. આ બાબતે પૂણિયાના સાંસદ અને કોંગ્રેસના નેતા પપ્પુ યાદવે પીએમસીએચના વડાની ટીકા કરી હતી. હવે આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ પીએમસીએચના વડાની ધોલાઈ કરી છે. તેજસ્વી યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, મુખ્યમંત્રી નિતિશકુમાર અને આરોગ્યમંત્રીએ સાથે મળીને રિટાયર્ડ અધિકારી તેમજ રિટાયર્ડ હોસ્પિટલના વડાની મદદથી પીએમસીએચને સ્મશાન બનાવી દીધી છે. પીએમસીએચના વડા આઇ એસ ઠાકુર ૨૦૨૪ની ૩૧મી જાન્યુઆરીએ નિવૃત્ત થવાના હતા. ત્યાર પછી નવી સરકાર આવી અને એમણે ઠાકુરને પીએમસીએચના વડા તરીકે ચાલુ રાખ્યા.

કેજરીવાલને રાહત, પાસપોર્ટ 10 વર્ષ સુધી રીન્યુ થઈ શકશે

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે. પાસપોર્ટને ૧૦ વર્ષ સુધી રીન્યુ કરાવવા બાબતે કોઈ વાંધો લીધો નથી. સુનાવણી વખતે ખાસ ન્યાયાધીશ દીગ્વિનય સિંહએ કહ્યું હતું કે, અરજીકર્તા વિદેશ યાત્રા માટે પરવાનગી માંગતા નથી. આનો અર્થ એ થાય કે ભવિષ્યમાં વિદેશ જવા માટેનું કોઈ આયોજન એમણે કર્યું નથી. જોકે અરજીકર્તાને પાસપોર્ટ ૧૦ વર્ષ રીન્યુ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધો નથી. કોર્ટે કહ્યું છે કે કેજરીવાલને જામીન આપવાની શરતોમાં એક શરત એવી છે કે કોર્ટની પરવાનગી વગર તેઓ વિદેશ યાત્રા કરશે નહીં. કેજરીવાલે જો વિદેશ જવું હશે તો કોર્ટની મંજૂરી લેવી પડશે.

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નંબર ગેઇમ શરૂ

બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનડીએના રાજ્યસ્તરના નેતાઓની બેઠક આવનાર થોડા દિવસોમાં મળવાની છે. આ બેઠક પહેલા જેડીયુના નેતાઓ કોર કમિટિની મિટિંગ પણ કરશે. આ બેઠકમાં સામૂહિક નિર્ણય લેવાશે કે એનડીએની બેઠકમાં જેડીયુ કઈ રીતે પોતાનો પક્ષ મૂકશે. અગાઉ પણ જેડીયુની કોર કમિટિની બેઠક મળી ચૂકી છે. જેડીયુ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો માટે માંગણી કરશે એના પર બધાની નજર છે. એમ મનાય છે કે જેડીયુ ૧૦૦ થી ૧૧૦ જેટલી બેઠકો માંગી શકે છે. જે બેઠકો પર જેડીયુએ જીત મેળવી છે એ તમામ બેઠકો જેડીયુને મળી શકે છે. બાકીની બેઠકો માટે કોર કમિટિમાં નિર્ણય લેવાશે. 

બિહારમાં ઓવૈસીએ મહાગઠબંધન તરફ દોટ મૂકી

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન-એઆઇએમઆઇએમના પાંચ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. જેમાંથી ચાર ઉમેદવારો લાલુ યાદવના રાજદમાં જોડાઇ ગયા હતા. હવેઔવૈસી ે લાલુ યાદવના પક્ષ રાજદ અને કોંગ્રેસને મહાગઠબંધનમાં જોડાવા માટે તૈયારી બતાવી રહ્યા છે. એઆઇએમઆઇએમના બિહારના પ્રમુખ અખ્તરૂલ ઇમાને જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિક પક્ષોના વિશાળ હિતમાં તેઓ સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે જેથી તેમના સેક્યુલર મતો વહેંચાઇ ન જાય. અમે સાથે મળીને મહાગઠબંધન બનાવી ચૂંટણી લડવા તૈયાર છીએ. હવે શું કરવું એ તેમણે નક્કી કરવાનું છે. 

ઇમાને જણાવ્યું હતું કે રાજદએ અમારા વિધાનસભ્યોને ફોડયા પણ અમે ગઇગુજરી ભૂલી જઇ નવેસરથી કામ કરવા તૈયાર છીએ. જો તેઓ અમારી ઓફર સ્વીકારશે નહીં તો બાદમાં એમ કહી નહીં શકે કે અમે મુસ્લિમ મતોને વિભાજિત કર્યાં. અમે અમારા વર્ચસ વાળા વિસ્તારો તથા સીમાંચલમાં  ૫૦ કરતાં વધારે બેઠકો પર ચૂંટણી લડવા તેયાર છીએ. 

રાહુલ ગાંધી મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફેરબદલ કરશે 

મધ્યપ્રદેશ રાજ્યમાં ચોતરફથી ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તન કરવાના સંકેતો રાહુલ ગાંધીએ આપ્યા છે. રાજ્યમાં પક્ષના સંગઠનને જોમવંતુ બનાવવા એક દિવસની ભોપાળની મુલાકાતે આવેલાં રાહુલ ગાંધીએ રવિન્દ્ર ભવનમાં પક્ષના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે  ગુજરાતમાં મેં જણાવ્યું હતું કે બે પ્રકારના ઘોડાં હોય છે પણ આપણે જાણીએ છીએ કે અહીં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે. ત્રણ પ્રકારના ઘોડાંમાં રેસના, લગ્નના અને ત્રીજા લંગડા ઘોડાં હોય છે. રેસના ઘોડાઓને રેસમાં દોડાવવામાં આવશે, લગ્નના ઘોડાઓને લગ્નમાં ઉપયોગ લેવામાં આવે છે પણ લંગડા ઘોડાઓને રિટાયર કરવા પડ તેમ ે છે. તેમણે કોઇને પણ કનડવાનું બંધ કરવું જોઇએ નહીં તો તેમની સામે શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે. 

ગેંગ રેપના મામલે ચિરાગે નિતિશને નિશાન બનાવ્યા 

કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને બિહારના મુખ્ય પ્રધાન નિતિશકુમારને મુઝ્ઝફરપુર ગેંગ રેપના મામલે પત્ર લખી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને જાહેર આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી હોવાનું જણાવી તે બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ચિરાગ પાસવાન અને નિતિશ કુમાર બંને એનડીએમાં સાથીઓ છે તેના કારણે બિહાર વિધાનસભાની ચૂંટણીટાણે તેમના આ પત્રનું રાજકીય મહત્વ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ પાસવાન રાજ્યમાં પોતાની ભૂમિકા વિસ્તારવાના ઇરાદાથી આ ધમપછાડાં કરી રહ્યા છે. પાસવાને તેમના પત્રમાં મુઝફ્ફર પુરમાં ગેંગ રેપનો ભોગ બનેલી દલિત છોકરીની હત્યા કરનારાઓ સામે કડક પગલાં ભરવાની તાકીદ કરી પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલે દાખવેલી બેદરકારીને મુદ્દો બનાવી જણાવ્યું છે કે બળાત્કારનો ભોગ બનેલી છોકરી ને જરૂરી સારવાર આપવાને બદલે હોસ્પિટલે તેને એમ્બ્યુલન્સમાં જ રહેવા દઇ કિંમતી સમય બગાડયો હતો. આ બેદરકારી જ નહીં પણ માનવતા સામેનો ગુનો છે. ૨૬ મેના રોજ નવ વર્ષની દલિત છોકરી પર ગેંગ રેપ કરી તેની હત્યા કરવાના પ્રયાસને કારણે બિહારમાં હોહા મચી ગઇ છે. 

ભૂતપૂર્વ કોંગ્રેસી અરવિંદ નેતામ સંઘના વડામથકે 

ઇન્દિરા ગાંધી અને પીવી નરસિંહ રાવ સાથે કામ કરનારાં ૮૩ વર્ષના આદિવાસી નેતા અરવિંદ નેતામે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા જતી વખતે જણાવ્યું હતું કે સંઘ દેશના કાજે કામ કરે છે અને સગઠન તથા આદિવાસી સમુદાય વચ્ચે રહેલાં અંતરને દૂર કરવા સંવાદ સાધવો જરૂરી છે. છત્તીસગઢના રાજકારણમાં વગદાર આદિવાસી નેતા ગણાતાં અરવિંદ નેતામ ભૂતપૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને પીવી નરસિંહરાવની કેબિનેટમાં કામ કરી ચૂક્યા છે. ૨૦૨૩ની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષ આદિવાસી નેતાઓને કારોણે મુકી રહ્યો હોવાનો આક્ષપ કરી તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. તેમણે બાદમાં હમાર રાજ પાર્ટી શરૂ કરી હતી પણ ચૂંટણીમાં તેનો રકાસ થયો હતો. 

નેતામે સંઘનું આમંત્રણ સ્વીકાર્યું તે બાબતે છત્તીસગઢ કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કરતાં નેતામે તેમની ટીકા કરતાં જણાવ્યું હતું કે તેઓ કઇ હેસિયતથી મારા નિર્ણય વિશે વાત કરે છે? તેઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. તેઓ જો દેશના ઉત્થાન માટે કામ કરતાં હોત તો હું એમની પાસે પણ જાત. જે લોકો આદર્શ અને વિચારધારાની ચર્ચા કરે છે તેમની સાથે હું સામેલ થાવ છું. 

હવે કોંગ્રેસના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પણ ગૌ રક્ષા કરશે 

તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ ગો રક્ષાના શ્રેણીબદ્ધ પગલાં લેવાની જાહેરાત કરી  પોતાનો બેઝ વિસ્તારવાની કવાયત હાથ ધરી છે. તેમણે અત્યાધુનિક ગૌ શાળાઓ સ્થાપવાની  સાથે પ્રાણી કલ્યાણ માટે પગલાં ભરવાની જાહેરાત કરતાં નિરીક્ષકો કહેવા માંડયા છે કે તેમને હિન્દુમતદારોને અપીલ કરવા આ પગલાં ભર્યાં છે. 

રેડ્ડી તેલંગણાના ગ્રામીણ પ્રદેશમાં ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે યુવાનીમાં અખિલભારતીય વિદ્યાર્થી સંઘ સાથે સંકળાઇ સંઘની હિન્દુત્વની વિચારધારાને પણ સમજ્યા હતા. એક ભાજપ તરફી અમલદારે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને ઢોરઢાંખરના રક્ષણ માટે જે પગલાં ભરવાની જાહેરાત કરી છે તે કોંગ્રેસના મુખ્ય પ્રધાન દ્વારા કરાયેલી સૌ પ્રથમ પહેલ છે. આ પગલાંથી ગાયને પવિત્ર માનતાં હિન્દુ મતદારોને રીઝવવામાં તેમને સહાય મળી શકે છે. 

-ઇન્દર સાહની

Tags :