શાહ મલ્ટિનેશનલ કંપનીઓ સામે ઝૂકી ગયા
શાહ મલ્ટિનેશનલ કંપનીઓ સામે ઝૂકી ગયા
નવી દિલ્હી, તા.21 મે 2020, ગુરુવાર
મોદીએ 'આત્મનિર્ભર ભારત અભિયાન'ની જાહેરાત કરી તેના બીજા જ દિવસે અમિત શાહે દેશની તમામ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ કેન્ટિન્સ (સીએપીએફ)માં સ્વદેશી અપનાવવાની જાહેરાત કરી હતી. સીએપીએફ માત્ર ભારતીય ઉત્પાદનો જ વેચશે એવું શાહે મોટા ઉપાડે જાહેરાત કરીને સત્તાવાર રીતે એ અંગેનો આદેશ પણ બહાર પાડી દીધો હતો.
એક અઠવાડિયામાં તો શાહને આ આદેશ પાછો ખેંચી લેવાની ફરજ પડી છે. ગુરૂવારે ગૃહ મંત્રાલયે ચૂપચાપ આ આદેશ પાછો ખેંચી લીધો અને શાહની સ્વદેશીની વાતને અભરાઈ પર ચડાવી દીધી. હવે પહેલાંની જેમ બધો માલ વેચવા કહી દેવાયું છે.
આ નિર્ણય પાછળ મલ્ટિનેશનલ કંપનીઓનું દબાણ જવાબદાર હોવાનું કહેવાય છે. શાહના 'સ્વદેશી' પ્રેમના કારણે વિદેશી કંપનીઓને કરોડોનો ફટકો પડી જાય તેમ હતો કેમ કે એફએમસીજી બજાર પર વિદેશી કંપનીઓનું વર્ચસ્વ છે. મલ્ટિનેશનલ કંપનીઓ અમેરિકા સહિતના મોટા દેશોની હોવાથી તેમનું પણ દબાણ હતું. શાહે આ દબાણ સામે ઘૂંટણ ટેકવી દેવા પડયા.
અશ્લીલ ટ્વિટે કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મૂકી
હરિયાણા કોંગ્રેસના નેતા પંકજ પુનિયાએ કરેલી અશ્લીલ કોમેન્ટના કારણે કોંગ્રેસ શરમજનક સ્થિતીમાં મૂકાઈ ગઈ છે. પુનિયાએ ટ્વિટ કરી હતી કે, કોંગ્રેસ તો મજૂરોને પોતાના ખર્ચે તેમના ઘરે પહોંચાડવા માંગતી હતી પણ બિષ્ટ (યોગી) સરકારે રાજકારણ શરૂ કર્યું. ભગવો લપેટીને નીચ કામ સંઘીઓ જ કરી શકે. પુનિયાએ એ પછી ભગવાન રામ સાથે જોડીને લખી ના શકાય એવી અશ્લીલ કોમેન્ટ્સ કરીને ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
આ ટ્વિટના પગલે સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નિકળ્યો. કોંગ્રેસે તાત્કાલિક પુનિયાને ટ્વિટ ડીલિટ કરવા કહ્યું. પુનિયાએ ટ્વિટ ડીલીટ કરી પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. લોકોએ પુનિયાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અને ધરપકડ કરવાની માંગ સાથે પોસ્ટનો મારો ચલાવી દીધો. પુનિયા સામે ઠેક ઠેકાણે ફરિયાદો પણ થતાં કરનાલ પોલીસે પુનિયાને પકડીને અંદર કરી દીધા છે.
નિર્મલાએ મધ્યમ વર્ગના ઘા પર મીઠું ભભરાવ્યું
મોદી સરકારના 'આત્મનિર્ભર ભારત અભિયાન' પેકેજમાં કશું ના મળતાં મધ્યમ વર્ગ નિરાશ છે. મધ્યમ વર્ગના ઘા પર મીઠું ભભરાવતાં હોય એમ નિર્મલા સીતારામને ઈન્કમ ટેક્સના દરોમાં કોઈ ઘટાડો કરવાનો ઈન્કાર કરી દીધો છે. નિર્મલાએ અત્યારે નહીં પણ ભવિષ્યમાં પણ ઈન્કમટેક્સ દર નહીં ઘટે એવો સ્પષ્ટ સંકેત આપી દીધો.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં નિર્મલાએ સાફ શબ્દોમાં કહ્યું કે, કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે સરકારને આવકમાં જંગી નુકસાન થયું છે એ જોતાં આવકમાંથી કશું પણ છોડી દેવાનો વિચાર પણ કરી શકાય એમ નથી.નિર્મલાની આ કોમેન્ટ પછી સોશિયલ મીડિયા પર લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, ગરીબોને સરકાર મફતમાં અનાજ અને ખાવાની ચીજો આપે છે, ધનિકોને આથક પેકેજના રૂપમાં લોનની લહાણીઓ કરે છે અને બીજી પણ છૂટછાટો આપે છે ત્યારે મધ્યમ વર્ગને જ કશું પણ આપતાં કેમ પેટમાં દુઃખે છે ?
વાહવાહી મોદી સરકારની, ખર્ચનો બોજ રાજ્યો પર
મોદી સરકાર અને રાજ્યો વચ્ચે 'આત્મનિર્ભર ભારત અભિયાન' પેકેજની બે યોજનાઓ મુદ્દે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. નિર્મલા સીતારામને આ પેકેજમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ સ્કીમ એ બે યોજનાઓ જાહેર કરી હતી. આ બંને યોજનાઓ માટે કુલ ૩૦ હજાર કરોડ રૂપિયાની રકમ ખર્ચાશે એવું એલાન પણ કરાયું હતું. બુધવારે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં આ બંને યોજનામાં ૪૦ ટકા ખર્ચ રાજ્યો ભોગવશે એવો નિર્ણય લેવાતાં રાજ્યો ભડક્યાં છે.
લોકડાઉનના કારણે રાજ્યોની આથક હાલત ખરાબ છે ત્યારે આ બોજ નાંખીને મોદી સરકાર પડતા પર પાટુ મારી રહી છે. રાજ્યોને આથક પેકેજ આપવાના બદલે સરકાર તેમને માથે બોજ નાંખી રહી છે એવો આક્ષેપ કરતા પત્ર વિપક્ષી મુખ્યમંત્રીઓએ લખ્યા છે. મોદી સરકાર જાહેરાતો કરીને વાહવાહી લૂંટે છે અને ખર્ચ રાજ્યોના માથે નાંખી દે છે એવા આક્ષેપ પણ કરાયા છે.
રાજીવની પુણ્યતિથીએ શાહબાનો કેસ ચમક્યો
ગુરૂવારે રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસે તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે કરેલી ટ્વિટે બખેડો ઉભો કરી દીધો. કોંગ્રેસે ટ્વિટ કરી કે, રાજીવ ગાંધીએ પોતાની જીંદગી મહિલા સશક્તિકરણને સમપત કરી હતી. સત્તામાં મહિલાઓની ભાગીદારીનું મહત્વ સમજીને તેમણે મહિલાઓ માટે પંચાયતો અને નગરપાલિકાઓમાં ૩૩ ટકા અનામત બેઠકોની જોગવાઈ કરી.
આ ટ્વિટ સામે યુઝર્સ તૂટી પડયા અને સવાલ કર્યો કે, તમે મહિલાઓની વાત કરતા હો તો શાહબાનોનું શું ? રાજીવને ઓક્ટોપસ બતાવતા મીમ્સ પણ પોસ્ટ થયા કે જેમાં શાહબાનો કેસ, બોફોર્સ કૌભાંડ, ૧૯૮૪નાં સીખ વિરોધી રમખાણો, ભોપાલ ગેસ કાંડ વગેરેનો ઉલ્લેખ છે.
***
લૉકડાઉન એક, નિયમો જુદાં જુદાં
લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે ધીમે ધીમે નિયમો બનતા ગયા. હવે જ્યારે લૉકડાઉન-૪ ચાલે છે ત્યારે નિયમો હળવા થવા માંડયા છે. પરંતુ શહેર પ્રમાણે, રાજ્ય પ્રમાણે, જિલ્લા પ્રમાણે નિયમો સાવ જુદા જુદા છે, જે લોકો માટે પણ પહેલી જેવા બની ગયા છે. દિલ્હીમાં એક જ વ્યક્તિ ટેક્સીમાં બેસી શકે છે.
કોલકાત્તામાં બે બેસી શકે છે. દિલ્હીમાં વાળ કપાવી શકાતા નથી. નોઈડાથી દિલ્હી ડ્રાઈવ કરીને આવી શકાય છે, પરંતુ દિલ્હીથી પાછું નોઈડા જઈ શકાતું નથી. આ તો માત્ર ઉદાહરણો છે. આખા દેશમાં લૉકડાઉનના નિયમોમાં ભારે વિસંગતતા છે. રાજ્યો બદલાય એમ નિયમો પણ બદલાઈ જાય છે. ઘણી વખત તો શહેર પ્રમાણે નિયમો બદલાય જાય છે. આટલા નિયમો હોવાના કારણે લોકોની મૂંઝવણ વધી જાય છે.
મહિનામાં 28 મજૂરોના અકસ્માતમાં મોત
એક મહિનામાં ૩૨ એવા ગમખ્વાર અકસ્માત થયા હતા કે જેમાં ૨૮ મજૂરોના મોત થયા હતા. પૂરપાટ ઝડપે વાહન ચલાવતા લોકોએ મહિના દરમિયાન ચાલતા જતા ૨૮ મજૂરોને કચડી નાખ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને દિલ્હી ટ્રાફિક પોલીસના એક અહેવાલમાં આ દાવો થયો હતો.
૧૫મી એપ્રિલથી ૧૫મી મે સુધીના અકસ્માતોનો અભ્યાસ થયો હતો. એક અધિકારીને ટાંકીને અહેવાલોમાં કહેવાયું હતું કે આંકડો ખરેખર મોટો હશે. આ આંકડો તો ધ્યાનમાં આવેલા અકસ્માતોનો છે. કદાચ એ સિવાયના ધ્યાનમાં ન આવેલા અકસ્માતો પણ થયા હશે અને એમાં પણ મજૂરોના મોત થયા હશે. હાઈવે ઓથોરિટીએ અકસ્માત સંભવિત ક્ષેત્રોમાં પેટ્રોલિંગ શરૂ કરીને અકસ્માતો ઘટાડવાના પ્રયાસો કર્યા હતા.
એફએમ રેડિયોએ રૂ.300 કરોડની સહાય માગી
જે સેક્ટર્સને કોરોનાની અસર થઈ છે તેમને રાહત પેકેજ આપવાની જાહેરાતો થઈ છે. એફએમ રેડિયો ઓપરેટર્સે પણ રાહત પેકેજ માગ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એફએમ રેડિયો ઓપરેટર્સે અપીલ કરી છે કે તેમને આ મહામારીમાંથી ઉભરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. એફએમ રેડિયો એસોસિએશને કહ્યું હતું કે લોકડાઉનના કારણે તેમને ૩૦૦ કરોડનું નુકસાન થયું છે.
આ પેકેજ મળશે તો તેમને ટકી રહેવામાં મદદરૂપ બનશે એવું અપીલમાં કહેવાયું હતું. પત્ર લખીને રેડિયો એસોસિએશનના પ્રમુખ અનુરાધા પ્રસાદે વડાપ્રધાનને રજૂઆત કરી હતી કે તેમને ઈકોનોમિક સર્વાઈવલ પેકેજ મળશે તો જ આર્થિક તંગદિલીમાંથી આ સેક્ટર બહાર નીકળી શકશે.
જો આ સેક્ટર્સ આવી સ્થિતિમાંથી ઉભરી જશે તો આગામી ૧૨ વર્ષમાં સરકારને લાઈસન્સ ફી, જીએસટી, રેન્ટલ વગેરે સ્વરૂપે ૧૫,૦૦૦ કરોડ ચૂકવશે, પરંતુ અત્યારે મદદ મળશે તો જ આ મીડિયા સ્વરૂપ બચી શકે તેમ છે એવું પત્રમાં કહેવાયુંં હતું.
- ઈન્દર સાહની