Get The App

દિલ્હીની વાત : મોદીએ સમય બચાવવા શાહને આગળ કર્યા

Updated: May 12th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદીએ સમય બચાવવા શાહને આગળ કર્યા 1 - image


મોદીએ સમય બચાવવા શાહને આગળ કર્યા

નવી દિલ્હી, તા.11 મે 2020, સોમવાર

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી એ પહેલાં અમિત શાહે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.  મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પાંચમી બેઠક હતી ને પહેલી વાર એવું બન્યું કે, મોદી સિવાય બીજા કોઈએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હોય. આ નિર્ણયથી આશ્ચર્ય ફેલાયંડ હતું. શાહને મહત્વ આપવા માટે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા.

લાંબા સમયથી અમિતશાહ તેમના સ્વભાવ વિરૂદ્ધ શાહમૃગ અવસ્થા હોય તેવી ચર્ચાઓ લોકમુખે ચાલતી હતી. બીજી બાજુ જે રીતે દેશભરમાં કોરોનાની સ્થિતિ બગડતી ગઈ છે તેને મ્હાત કરવી એકલે હાથે નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ છે. આવનારા સમયમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ વકરતી જશે માટે પણ મોડે મોડે અમિતશાહને સક્રિય કરાયા હોવાનું મનાઈ રહ્યું છે.

બઘેલની જાહેરાત પછી 'મોદીજી દાન કા હિસાબ દો' ટ્રેન્ડિંગ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સોમવારે 'મુખ્યમંત્રી સહાયતા કોષ'નો હિસાબ જાહેર કરીને નવી પહેલ કરી. બઘેલે કરેલી જાહેરાત પ્રમાણે ૨૪ માર્ચથી ૭ મે સુધીમાં દાતાઓ તરફથી ૫૬ કરોડ ઉપરાંત રકમનું દાન મળ્યું ને તેમાંથી રાજ્યના તમામ જિલ્લાઓને સહાયની રકમ મોકલી અપાઈ છે. જિલ્લાઓને કુલ ૧૦.૨૫ કરોડ રૂપિયા મોકલાયા હોવાનું બઘેલે જાહેર કર્યું છે. બઘેલે ચોક્કસ કેટલી રકમનું દાન આવ્યું ને કેટલા ખર્ચાયા તેનો હિસાબ આપ્યો છે. બઘેલના પહેલ પછી કોંગ્રેસના બાકીના મુખ્યમંત્રીઓ પણ હિસાબ રજૂ કરશે એવું કોંગ્રેસનાં સૂત્રો કહે છે. બઘેલે મોદીને ભીંસમાં લેવાની કોંગ્રેસની વ્યૂહરચનાના ભાગરૂપે આ હિસાબની જાહેરાત કરી છે. કોંગ્રેસ કોરોના સામે લડવા નરેન્દ્ર મોદીએ બનાવેલા પીએમ કેર ફંડ સામે સવાલો ઉઠાવી રહી છે. આ ફંડને કેટલું દાન મળ્યું અને આ રકમ ક્યાં ખર્ચાઈ તેનો હિસાબ કોંગ્રેસ માગી રહી છે.  બઘેલની જાહેરાત પછી તરત ટ્વિટર પર 'મોદીજી દાન કા હિસાબ દો' હેશ ટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું તેના પરથી જ કોંગ્રેસનો ઈરાદો સાફ થઈ ગયો.

કેન્દ્રમાં 'વર્ક ફોર્મ હોમ', રેલ્વે લેપટોપ આપશે

મોદી સરકાર મહત્તમ કેન્દ્રીય કર્મચારીઓ ઘરે રહીને પોતાની ફરજ બજાવે એવું 'વર્ક ફોર્મ હોમ' કલ્ચર વિકસાવવા માગે છે. તેની શરૂઆત રેલ્વે મંત્રાલયથી કરાઈ છે. રેલ્વે બોર્ડે તેના તમામ ગેઝેટેડ અધિકારીઓને લેપટોપ આપવાનો નિર્ણય લીધો છે. બોર્ડના નિર્ણય અનુસાર, મહત્તમ ૮૫ હજાર સુધીનું લેપટોપ, ટેબ્લેટ, પર્સનલ કોમ્પ્યુટર ખરીદી શકશે પણ તેનો ઉપયોગ સરકારી કામ માટે જ કરવાનો રહેશે.  ચાર વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યા પછી ખરીદ કિંમતના દસ ટકા રકમ આપીને અધિકારી લેપટોપ ખરીદી શકશે.

મોદી એ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે, કોરોના પછી દુનિયા બદલાશે અને કામ કરવાની પધ્ધતિ પણ બદલાશે. મોદીએ 'વર્ક ફોર્મ હોમ' કલ્ચર પર પણ ભાર મૂક્યો હતો. રેલ્વે બોર્ડનો નિર્ણય આ દિશામાં પહેલું કદમ મનાય છે. ધીરે ધીરે બીજાં મંત્રાલયોમાં પણ આ પધ્ધતિ દાખલ કરાશે. એ પછી એકાદ વર્ષમાં સરકાર 'વર્ક ફોર્મ હોમ' પોલિસી લાવશે ને ખર્ચનું ભારણ ઘટાડવા કર્મચારીઓને 'વર્ક ફોર્મ હોમ' વિકલ્પ આપશે એવું સૂત્રો જણાવે છે.

મમતા સામે લડવાના ઝનૂનમાં બાબુલ ભેરવાયા

મમતા બેનરજી સામે લડવાના ઝનૂનમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો નવી મુસબીતમાં ફસાયા છે. બાબુલે ટ્વિટર પર એક તસવીર મૂકી હતી જેમાં બંગાળના ચીફ સેક્રેટરી રાજીવ સિંહા કેટલાંક લોકો સાથે બેસીને દારૂ પી રહ્યા છે એવું દેખાતું હતું.  આ લોકોમાં મમતા બેનરજીના ભાઈ કાતક બેનરજી પણ છે. બાબુલે આ તસવીર સાથે અણછાજતી ટીપ્પણી પણ કરી હતી.

જો કે આ તસવીર બનાવટી હોવાનું બહાર આવતાં બાબુ ભેરવાઈ ગયા. કોલકાત્તા પોલીસે 'ફેક' ફોટો વાયરલ કરવાના આરોપ હેઠળ બાબુલ સામે જામીન ના મળે એવી આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધી દીધો છે. બાબુલે આ તસવીર પહેલાંથી વાયરલ હોવાનો ખુલાસો કર્યો પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બાબુલે કેસ નોંધાયા પછી માફી માંગવાની તૈયારી પણ બતાવી પણ મમતા કશું સાંભળવા તૈયાર નથી. મમતા સાથેના સંબંધો જોતાં ભાજપમાંથી પણ બાબુલને કોઈ મદદ કરી શકે તેમ નથી એ જોતાં બાબુલ માટે આ કેસ મોટી મુશ્કેલી બનશે.

દારૂ મુદ્દે ધમાસાણથી મુખ્યમંત્રીઓની ઉંઘ હરામ

તમિલનાડુમાં શરૂ થયેલા દારૂના રાજકારણે દેશના ઘણા મુખ્યમંત્રીઓનાં બ્લડ પ્રેશર વધારી દીધાં છે. કેન્દ્રે રાજ્યોને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી તેના પગલે ગયા અઠવાડિયાથી દારૂની દુકાનો ખૂલી ગઈ હતી. આ નિર્ણયથી રાજ્યોને રાહત થઈ કેમ કે દારૂના વેચાણમાંથી તેમને જંગી કર મળે છે. દારૂ ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટતાં મુખ્યમંત્રીઓ ખુશ હતા.

તમિલનાડુ આ મુદ્દે અરજી થતાં હાઈકોર્ટે સરકારને દારૂની દુકાનો બંધ કરવા ફરમાન કર્યું છે કેમ કે આ ભીડના કારણો લોકડાઉનના નિયમોનો ભંગ થાય છે.  તમિલનાડુ સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે ત્યારે બીજી તરફ ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા કમલ હસને દારૂની દુકાનો બંધ કરવા આદેશ આપવા સુપ્રીમનાં દ્વાર ખટખટાવ્યાં છે.

સુપ્રીમ પણ હાઈકોર્ટની જેમ દારૂનું વેચાણ બંધ કરવાનો ચુકાદો આપી દેશે તો રાજ્યોની હાલત બગડી જશે. માંડ માંડ શરૂ થયેલી આવક બંધ થઈ જશે એ વિચારે ઘણા મુખ્યમંત્રીઓની ઉંઘ ઉડાડી દીધી છે.

ડો. સિંહની તબિયતે કોંગ્રેસી કાર્યકરોને ઉચાટમાં લાવી દીધા

ડો. મનમોહનસિંહની તબિયત લથડતાં તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં ભરતી કરાયા છે. સિંહની દવા બદલવામાં આવતાં તેમની તબિયત બગડી ગઈ પછી રવિવારે રાત્રે તેમને ભરતી કરવા પડયા હતા.

આ સમાચાર ફેલાતાં કોંગ્રેસના ઘણા કાર્યકરો રાત્રે જ એઈમ્સ બહાર ભેગા થઈ ગયા હતા. પોલીસે તેમને વિખેરવા પ્રયત્ન કર્યો પણ એ લોકો તૈયાર ના થતાં સંઘર્ષની સ્થિતીનું નિર્માણ થઈ ગયું હતું. છેવટે સિંહનાં પત્ની ગુરશરણ કૌરે બહાર આવીને કાર્યકરોને ચિંતા નહીં કરવા વિનંતી કરી પછી કાર્યકરો વિખેરાયા. ડો. સિંહની તબિયત વિશે કોઈ અફવા ના ફેલાય એટલે એઈમ્સ દ્વારા પણ ડો. સિંહની તબિયત સ્થિર હોવાનું જાહેર કરાયું.

કોંગ્રેસના ઘણા નેતા સિંહની તબિયત જોવા એઈમ્સ જવા માગતા હતા પણ તેમને પણ રાહુલ ગાંધીએ રોકવા પડયા. રાહુલ અને સોનિયા બંનેએ ગુરશરણ કૌર સાથે ફોન પર વાત કરીને ડો. સિંહની તબિયતની જાણકારી મેળવી હતી.

* * * 

પીએમ કેર્સ ફંડ મુદ્દે અસ્પષ્ટતા

પીએમ કેર્સ ફંડ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી નથી. કેન્દ્ર સરકારને પીએમ કેર્સ ફંડમાં ઘણું દાન મળ્યું છે. સામાન્ય લોકોથી ઉદ્યોગપતિઓ સુધી તમામ સ્તરે પીએમ કેર્સ ફંડમાં દાન આપવાનું વલણ જોવા મળ્યું હતું. કંપનીઓએ કર્મચારીઓના પગારમાંથી ફંડ કાઢીને પણ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવ્યું છે. પરંતુ સરકારે એનો કેવી રીતે અને કેટલો ઉપયોગ થશે તે બાબતે કોઈ જ જાણકારી જાહેર કરી નથી. પીએમ કેર્સ ફંડમાં કેટલું દાન મળ્યું એ બાબતેય હજુ સુધી કોઈ આંકડો જાહેર થયો નથી. એ ફંડમાંથી ક્યા પ્રકારના લોકોને કેવી સુવિધા અપાશે અથવા તો કેવી મદદ કરાશે તે અંગે કેન્દ્ર સરકારે જાહેરાત કરવી જોઈએ એવો ગણગણાટ શરૂ થયો છે. આ માટે બનેલાં ટ્રસ્ટમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહ મંત્રી અને સંરક્ષણ મંત્રી હશે એવું કહેવાય છે, પરંતુ આ ફંડ રાષ્ટ્રીય સંપત્તિ છે કે નહીં તે કહી શકાય તેમ નથી. છેક ૧૯૪૮થી જ પીએમ નેશનલ રીલિફ ફંડ છે જ, તો પછી આ નવા પ્રકારના ફંડની શી જરૂર છે એ મુદ્દો પણ હવે ઉઠવા લાગ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ અગાઉ કહ્યું હતું કે પીએમ કેર્સ ફંડ બાબતે તેમ જ કોરોનાની લડાઈમાં થતાં તમામ પ્રકારના ખર્ચ માટે અલગ સમિતિ બનાવીને ફંડની ફાળવણીમાં ટ્રાન્સપરન્સી જાળવવી જોઈએ. કોરોના સામેનો જંગ પૂરો થાય પછી પબ્લિકને તેનો હિસાબ આપવો જોઈએ એવી માગણી પણ વિપક્ષી નેતાઓ કરી ચૂક્યા છે. 

તૃણમૂલ કોંગ્રેસે અમિત શાહના પત્રને જવાબ આપ્યો

ગૃહ મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. પત્રમાં અમિત શાહે પશ્વિમ બંગાળ સરકાર સામે આરોપ મૂક્યો હતો કે રાજ્ય સરકાર પરપ્રાંતીય મજૂરોની ટ્રેનને પરવાનગી આપવામાં ઢીલ કરે છે. રાજ્ય સરકાર રાજ્યના જ મજૂરોને પાછા લાવવા બાબતે કેન્દ્ર સરકારને સહકાર આપતી નથી એવા આરોપના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ જૂઠાણું ચલાવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે માગણી કરી હતી કે આવું જૂઠાણું ચલાવવા બદલ અમિત શાહ તુરંત માફી માગે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રેઈને કહ્યું હતું કે અમિત શાહ લોકડાઉનના ૪૫ દિવસે સક્રિય થયા અને એમાં પણ પશ્વિમ બંગાળને જૂઠાણાથી નિશાન બનાવે છે. તેમણે તેમની જવાબદારી નિભાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જર્મનીનો નાગરિક દિલ્હી એરપોર્ટમાં ફસાયો

માર્ચ મહિનાની ૧૮મી તારીખે જર્મન નાગરિક એડગર્ડ ઝેઈબાત ઈસ્લામ્બુલમાંથી દિલ્હી એરપોર્ટે પહોંચ્યો હતો. ત્યારથી એ દિલ્હી એરપોર્ટમાં જ છે. ૪૦ વર્ષનો આ જર્મન નાગરિક દિલ્હીથી ફ્લાઈટ પકડવાનો હતો, પરંતુ ભારતે એ ફ્લાઈટ રદ્ કરી હોવાથી તેને ફરજિયાત એરપોર્ટ ઉપર જ રહી જવું પડયું હતું. એ પછીના ચારેક દિવસમાં ભારતે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી. ૨૫મી માર્ચથી લોકડાઉન લાગુ પડી ગયું હતું. લોકડાઉન બીજી વખત લંબાયું અને પછી તો ત્રીજી વખત પણ લંબાયું હતું. વળી, તેનો જર્મનીમાં ગુનાઈત રેકોર્ડ હોવાથી પણ જર્મનીએ તેને વતન પાછો મોકલવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે.

એનએસજી સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ

સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબી જેવા સુરક્ષાદળોના જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સુરક્ષાદળોમાં ૭૪૫ કુલ કેસ નોંધાયા હતા. હવે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એનએસજીમાં પ્રથમ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે. એનએસજીના અધિકારીએ કહ્યું હતું કે એક વ્યક્તિને કોરાના થયાનું જણાતા તેના સંપર્કમાં આવેલા સ્ટાફને તુરંત ક્વોરન્ટાઈન કરાયો છે. 

- ઈન્દર સાહની

Tags :