દિલ્હીની વાત : ચીન સામે મોદીની 'ડિજિટલ સ્ટ્રાઈક'નો પ્રચાર શરૂ
ચીન સામે મોદીની 'ડિજિટલ સ્ટ્રાઈક'નો પ્રચાર શરૂ
નવીદિલ્હી, તા.01 જુલાઈ 2020, બુધવાર
નરેન્દ્ર મોદી સરકારે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ચીન સામેની 'ડિજિટલ સ્ટ્રાઈક'માં ખપાવવા ભાજપનું સોશિયલ મીડિયા તંત્ર કામે લાગ્યું છે. મોદી સરકારના પ્રતિબંધના કારણે ચીનમાં રાતોરાત લાખો લોકો બેકાર થઈ જઈ અને કરોડો રૂપિયાની કમાણી બંધ થઈ ગઈ એવા દાવા થઈ રહ્યા છે. આ પહેલાં કોઈ સરકારે ચીન સામે પગલાં ભરવાની હિંમત નહોતી કરી ત્યારે મોદીએ એ હિંમત બતાવી એ માટે તેમનાં વખાણ પણ કરાઈ રહ્યાં છે.
જો કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વાતોથી જરાય પ્રભાવિત નથી. મોદી સરકાર દેશના જવાનોના જીવને નકામી એપ્સના ત્રાજવે તોળીને જવાનોની શહીદીનું અપમાન કરી રહી છે એવી ટીકાઓ થઈ રહી છે. કોંગ્રેસ શાસનમાં જવાન શહીદ થતા ત્યારે ભાજપના નેતા એક જવાનના બદલામાં દસ જવાનોનાં માથાં વાઢવાની વાતો કરતા તેના વીડિયા મૂકીને લોકો કહી રહ્યા છે કે, હવે તમારો વારો છે ત્યારે મર્દાનગી કેમ નથી બતાવતા ?
શિલાન્યાસ માટે અયોધ્યા જવા મોદી તૈયાર નથી
નરેન્દ્ર મોદી અને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની ખેંચતાણના કારણે અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનું કોકડું ગૂંચવાતું જાય છે. ટ્રસ્ટ મોદી પાસે જ શિલાન્યાસ કરાવવા માગે છે. આ માટે ટ્રસ્ટે નૃપેન્દ્ર મિશ્રના માધ્યમથી મોદીને નિમંત્રણ પણ મોકલી દીધું છે. મોદીએ એ નિમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે પણ મોદી શિલાન્યાસ માટે અયોધ્યા આવવા તૈયાર નથી.
મોદી વીડિયો કોન્ફરન્સિંગથી વર્ચ્યુઅલી શિલાન્યાસ કરવા માગે છે જ્યારે ટ્રસ્ટીઓનો આગ્રહ છે કે, મોદી અયોધ્યા આવીને શિલાન્યાસ કરે. તેમની દલીલ છે કે, રામમંદિર શિલાન્યાસ ઐતિહાસિક ઘટના છે ત્યારે મોદીની હાજરીમાં વિધી કરવી જરૂરી છે. તેમનું કહેવું છે કે, મોદીને ડર હોય કે પોતાની હાજરીના કારણે ભીડ જામે ને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી જશે તો અમે ભીડ નહીં જામે તેની ખાતરી આપવા તૈયાર છીએ.
સૂત્રોના મતે, દેશમાં ધામક કાર્યક્રમો પર પ્રતિબંધ છે ત્યારે મોદી પોતે જ તેનો ભંગ કરે તો ખોટો મેસેજ જાય. મોદી પોતાને કાયદાથી પર માને છે એવો વિવાદ ના ઉઠે એટલે મોદી તૈયાર નથી.
આજે શિવકુમારના શપથ ગ્રહણનો ગ્રાન્ડ શો
ડી. કે. શિવકુમાર કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નિમાયાના પાંચ મહિના પછી અંતે ગુરૂવારે કાર્યભાર સંભાળશે. શિવકુમારની ઈચ્છા બેંગલુરૂમાં લાખો કાર્યકરોની હાજરીમાં શપથ લેવાની હતી પણ ભાજપ સરકારે કોરોનાના ખતરાને બહાને મંજૂરી નહોતી આપી. એ પછી લોકડાઉન આવી જતાં શિવકુમારની ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી.
હવે લોકડાઉન હટાવી લેવાયું છે પણ છ મહિના લગી ભવ્ય કાર્યક્રમની મંજૂરી મળે એવી શક્યતા નથી તેથી શિવકુમારે છેવટે વર્ચ્યુઅલી ગ્રાન્ડ શો કરીને કાર્યભાર સંભાળવાનો નિર્ણય લીધો છે. યેદુરપ્પાને તેની સામે વાંધો નથી તેથી તેમણે મંજૂરી આપી દીધી છે.
શિવકુમારે વર્ચ્યુઅલ શપથ ગ્રહણને પણ ભવ્ય બનાવવા માટે રાજ્યમાં ૭૨૦૦ જાયન્ટ એલઈડી સ્ક્રીન ગોઠવી દીધા છે. કોંગ્રેસના ૧૫૦ ટોચના નેતા વ્યક્તિગત રીતે હાજર રહેશે અને દિલ્હીથી સોનિયા, રાહુલ સહિતના નેતા વર્ચ્યુઅલી હાજરી આપશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૩૦ સ્ક્રીન ગોઠવાયા છે ને ૧૦ લાખ લોકો સમારોહમાં હાજરી આપશે એવો દાવો કરાયો છે. ટીવી ચેનલો તથા સોશિયલ મીડિયા પર લાઈવ ટેલીકાસ્ટ કરાશે.
સત્તાવાર જાહેરાત પહેલાં ગુર્જરને અભિનંદનથી શાહ ખફા
હરિયાણામાં ભાજપે પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે કોઈના નામની જાહેરાત નથી કરી છતાં રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવે કૃષ્ણપાલ ગુર્જરને અભિનંદન આપી દેતાં હાઈકમાન્ડ ખફા છે. હાઈકમાન્ડે ટપારતાં રાવે તરત જ આ પોસ્ટ ડીલીટ કરી દીધી પણ તેના કારણે ભાજપનો આંતરિક ઝગડો બહાર આવી જતાં ટોચના નેતા બગડયા છે. કૃષ્ણપાલ ગુર્જર હાલમાં મોદી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે.
અમિત શાહ કેપ્ટન અભિમન્યુ કે ઓમ પ્રકાશ ધાનકરને પ્રમુખપદે બેસાડવા માગે છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર બંનેમાથી કોઈને ઈચ્છતા નથી. ખટ્ટર પોતે બિન જાટ નેતા છે તેથી કોઈ બિન જાટ નેતાને જ પ્રમુખપદે બેસાડવા માગે છે. ગુર્જર પહેલાં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તેથી ખટ્ટર સાથે તેમને સારું બને છે. ખટ્ટર ગુર્જરને ફરી પ્રમુખ બનાવવાની તરફેણમાં છે. શાહ સહિતના નેતા માને છે કે, ખટ્ટરે રાવ પાસે ટ્વિટ કરાવીને આડકતરી રીતે દબાણ લાવવા પ્રયત્ન કર્યો છે.
બિહારમાં ભાજપ સોશિયલ મીડિયામાં 2000 કરોડ ખર્ચશે
બિહાર વિધાનસભાની ચૂંટણીમા નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો જીતવા ભાજપે કમર કસી છે. ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે સ્વીકાર્યા છે પણ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, ભાજપ જેડીયુ કરતાં વધારે બેઠકો જીતે કે જેથી ચૂંટણી પછી જેડીયુના પડછાયામાંથી બહાર નિકળીને પોતાની તાકાત પર સરકાર રચવાનો વિકલ્પ ખુલી જાય.
હાઈકમાન્ડની વ્યૂહરચના પ્રમાણે બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરે એ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે સોશિયલ મીડિયાની તાકાત પર જંગ લડવાનું નક્કી કર્યું છે.
ભાજપે પહેલાં બિહારમાં ૬૦ વર્ચ્યુઅલ રેલી કરી અને હવે ૯૫૦૦ શક્તિકેન્દ્ર પર આઈ.ટી. સેલ હેડ નિમ્યા છે. આ આઈ.ટી. સેલ હેડને જ ભાજપ દર મહિને સો કરોડ રૂપિયા પગાર ચૂકવશે. જુલાઈથી ડીસેમ્બર સુધી છ મહિના માટે તેમને જ પગાર પેટે છસ્સો કરોડ ચૂકવાશે. ભાજપ સોશિયલ મીડિયા કેમ્પઈન પાછળ કુલ ૨૦૦૦ કરોડ રૂપિયા ખર્ચશે એવું ભાજપનાં સૂત્રો કહે છે. અત્યારથી આઈ.ટી. સેલે સોશિયલ મીડિયા પર ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે.
કેપ્ટનની લીલાઃ પતિ ડીજીપી, પત્ની ચીફ સેક્રેટરી
પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યના ચીફ સેક્રેટરીપદે વિની મહાજનની નિમણૂક કરી તેના કારણે વિવાદ થઈ ગયો છે. મહાજન ૧૯૮૭ની બેચનાં આઈએએસ અધિકારી છે. તેમના કરતાં સીનિયોરિટીમાં પાંચ અધિકારી આગળ હતા છતાં કેપ્ટને તેમને ચીફ સેક્રેટરી બનાવી દીધાં.
આ નિમણૂકમાં વિવાદનું બીજું એક કારણ એ પણ છે કે, વિનીના પતિ દિનકર ગુપ્તા રાજ્યના પોલીસ વડા છે. કેપ્ટને આ નિર્ણય દ્વારા આખા રાજ્યનું વહીવટી તંત્ર એક દંપતિના હાથમાં સોંપી દીધું છે. દેશના કોઈ રાજ્યમાં આ પ્રકારની ઘટના પહેલી વાર બની છે. ગુપ્તા પણ ૧૯૮૭ની બેચના આઈપીએસ અધિકારી છે એ જોતાં પતિ-પત્ની પંજાબમાં ચાર વર્ષ સુધી રાજ કરશે.
કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા કરે છે કે, ભાજપ સરકારો દ્વારા સીનિયર અધિકારીઓને બાજુ પર મૂકીને પોતાના માનીતા અધિકારીઓને પ્રમોશન અપાય છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બધાંને ટપી ગયા છે ત્યારે કોંગ્રેસના નેતા ચૂપ છે.
***
ભારતે ખુબ જ શાંતિથી ચીન સામે પગલાં ભરવા જોઇએ
ભારતે ચીન સાથેના સબંધોમાં નવેસરથી વિચાર કરવો પડશે. થોડું દુઃખ થશે, પણ ભારતે કરવું તો પડશે જ, એમ ચીન ખાતેના પૂર્વ ભારતીય રાજદૂત ગૌતમ બમ્બાવાલાએ કહ્યું હતું.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે તેની ચીન પોલોસી પર શાંતિથી અને રેશનલ ફ્રેમથી વિચાર કરવો જોઇએ.એકદમ ચીનને ઝાટકો આપવાની જરૂર નથી.મંત્રણાના ટેબલ જે વાતો અને મુદ્દાઓ મૂકવા જોઇએ તેમાં ભારતે વ્યાપક મસલત કરવી જોઇએ, પરંતુ તે સમયબધ્ધ હોવી જોઇએ.
૨૦૨૦થીજ નવી પોલીસી પર અમલ કરવો જોઇએ. એમ તેમણે કહ્યું હતું. ચીન સાથેની પોલીસી નક્કી કરતાં ભારતે સૌ પહેલ તો એના એપ્સ ૫૯ રદ કર્યા હતા. ભારતની ફાઇવ-જી ટ્રાયલ્સમાં તેના ભાગ લેવા પર રાષ્ટ્રીય સુરક્ષાના કારણસર ચીની કંપનીઓ પર પ્રતિબંધ અને સખત નિયમો દાખલ કરવા એ થોડા સંગીન પુરાવા છે.ભારતે કરેલી લશ્કરી કાર્યવાહી પણ બતાવે છે કે ચીનની આવી દુષ્ટતા સહન નહીં થાય.
મોદી સરકાર માટે સોથી મોટો પડકાર
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એપીડોમોલોજી અને નોન-કોમ્યુનીકેબલ ડીસીઝના વડા તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા હતા તેમણે ભારત માટે આગામી દિવસોમાં જે સોથો મોટા પડકારનો સામનો કરવો પડશે તે કોવિડ-૧૯ની આરોગ્ય પર અસર અને ઓદ્યગિક ઉત્પાદન વચ્ચે બેલેન્સ કરવાનો હશે.તેમણે કહ્યું હતું 'અર્થતંત્ર માટે તમારે કેટલાક ચોક્કસ પગલાં તો ભરવા જ પડશે, પરંતુ સાથે સાથે કોરોનાની મહામારી આપણા નિયંત્રણની બહાર સરકી ના જાય તેનો પણ ખ્યાલ રાખવો પડશે.ભારત વિવિધતાઓથી ભરેલું છે માટે કથિત પીક ટાઇમ એચાનક આવે તેવું નથી.વસ્તીની ઘનતા અને વિવિધતાના કારણે અલગ અલગ સમયે ્અને અલગ અલગ ક્ષેત્રોમાં પીક આવી શકે છે.
એની વેકસિન અથવા તો કોઇ દવા ના શોધાય ત્યાં સુધી આપણે કદાચ તેને પાછળ ઠાલવી શકીશું.આપણે કેટલાક કેસ વધ્યા તેની પર જ વિચાર ના કરવો જોઇએ, બલકે મૃત્યની સંખ્યા કેટલી શક્યા તે પણ જોવું જોઇએ. આપણા માટે એ ખુબ જ જરૂર છે.સમુદાયને પ્રેરિત કરવો અને તેમનામાં જગૃત્તિ લાવી એ પણ ખુબ જ અગત્યનું છે. જો આપણે તેને યોગ્ય કરી શકીશું તો આ મહામારીનો સારી રીતે મુકાબલો કરી શકીશું.
દવાખાનાનો કચરોનો નિકાલ ક્યારે?
દિલ્હી મ્યુનિ.કોર્પો.માં આમ પણ મજુરોની અછત તો છે જ અને આ તરફ વધુને વધુ કોવિડના દર્દીઓને તેમના ઘરે જ આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે તેમના ઘરમાંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ પણ વધતો જાય છે જે મ્યુ.કોર્પો. માટે મોટો પડકાર છે.જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે ત્યાં આ સમસ્યા નથી.અન્ય વિસ્તારોમાં દર ત્રણ કે ચાર દિવસોમાં કચરાને ઉપાડી લેવામાં આવે છે. હાલ દિલ્હીમાં ૨૭૮૪૭ એકટિવ કેસ પૈકી ૧૭૧૪૮ હોેમ ક્વોરન્ટાઇન દર્દી ઓ છે. કોવિડ-૧૯ના કચરાના નીકાલ માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા અનુસાર,દર્દીના ઘરેથી નીકળતો કચરો દરરોજ ઉઠાવી લેવો જોઇએ.તેનો ચેપ અન્ય કોઇને ના લાગે એટલા માટે રંગીન થેલીઓ અને તેની પર કોડ હોવા જોઇએ. આવા કચરાને પીળા રંગની થેલીઓમાં મૂકી તેનો નિકાલ કરવો જોઇએ.
દેશમાં 460000 બાળકીઓ જન્મી શકી જ નહતી
ભારતમાં આટલી મોટી સંખ્યામાં છોકરીઓ જન્મ લઇ શકી જ ન હતી, કારણ કે તેમના માતા-પિતાને છોકરો જોઇતો હતો. આ આંકડા ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચેના છે. યુએનના એહેવાલમાં આના માટે ત્રણ સૌથી વધુ જોખમી કારણો આપવામાં આવ્યા હતા.એક બાળ લગ્નોની પ્રથા બે, પુત્રની જંખના અને લૈંગિક અસમાનતા.'ભારતમાં બાળ લગ્નનો ગરીબી, શિક્ષણનો અભાવ અને ભૌગૌલિક સ્થળ સાથે સીધો સંબંધ છે. દેેશમાં શહેર વિરૂધ્ધ ગામડું એવી ગણતરી કરાય છે, એમ યુએનના પરિવાર નિયોજનના વડા આર્જેન્ટીના માટાવેલે કહ્યું હતું.
શ્રમિક ટ્રેનોની શુન્ય માગ
૨૭ જૂન સુધી રેલવે દ્વારા ૪૫૯૬ ટ્રેનો પ્રવાસી મજુરો માટે ચલાવવામાં આવી હતી. પરંતુ હવે એક પણ રાજ્યે તેની માગ કરી નથી. સોમવારે ચાલતી સ્પેશિયલ ટ્રેન સિવાય અન્ય એક પણ ટ્રેનને ચલાવવામાં આવતી નથી, એમ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે કોઇ રાજ્ય તરફથી માગ કરાશે તો અમે તેની વ્યવસ્થા કરી દઇશું. દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી સૌથી વધુ માગ કરાઇ હતી. ત્યાર પછી પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડે માગ કરી હતી.
પિતાને સાયકલ પર ગામડે લઇ જનારની વાત પર ફિલ્મ બનશે
ગુડગાંવથી છેક બિહાર સુધી ૧૨૦૦ કિમી સાયકલ ચલાવીને માંદા પિતાને લઇ જનાર જ્યોતિ કુમારી પાસવાનના જીવન પરથી હવે એક ફિલ્મ બનશે.જ્યોતિ પોતે જ 'આત્મનિર્ભર'નામની ફિલ્મ ભૂમિકા કરશે. આ ફિલ્મના સર્જકો છે વીમેકફિલ્મઝ અને તે હિન્દી,અંગ્રેજી મૈથીલી ભાષામાં બનશે. ત્યાર પછી ૨૦ ભાષામાં પણ તેને ડબ કરાશે.જે રૂટ પરથી જ્યોતિએ પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી તે રસ્તે જ આ ફિલ્મ બનાવવામાં આવશે.ફિલ્મનું નામ હશે 'એ જર્ની ઓફ એ માઇગ્રન્ટ'.જ્યોતિના પ્રશંસકોમાં એક છે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ. જ્યોતિને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી ટ્રાઇસાયકલ આપવામાં આવી હતી.પરંતુ તેણે ઇનકાર કર્યો હતો.
- ઇન્દર સાહની