કીમ-કોઠવા દરગાહ પર આજથી 3 દિવસ ઉર્સ મુબારક અને મહામેળો
બાવન ગજની દરગાહ પર દેશભરમાંથી શ્રદ્ધાળુ આવશે
સોમવારે રાત્રે કવ્વાલીનો પ્રોગ્રામ
મોસાલી,તા.29,નવેમ્બર,2019,શુક્રવાર
સુરત જિલ્લાના કીમ નજીક કોઠવા ગામે આવેલી હઝરત ખ્વાજા મખદૂમ શહીદ બાવાનો ઉર્સ દર વર્ષે ઉજવાય છે. જેમાં આખા દેશમાંથી લાખોની સંખ્યામાં ચાહકો દુઆ-મન્નત માંગવા માટે હાજરી આપે છે.
ચાલુ વર્ષે તા.30મી નવેમ્બરને શનિવારના દિવસે સંદલ શરીફની ઉજવણી કરશે અને તા.1લી ડિસેમ્બરે શેર અલી બાવા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવશે. તા. 2જી ડિસેમ્બરે રાત્રે કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ થશે. જેમાં કવ્વાલ અઝીઝ નાઝા અને મજીદ શોલા પોતાના સુરીલા અવાજમાં કોમી એકતા ઉપર કવ્વાલ રજુ કરશે. અહીં 200 થી વધુ પોલીસ જવાન ખાડા પગે બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. અને બે એમ્બ્યુલન્સની પણ ફાળવણી કરાઇ છે. હઝરત મખદૂમ શહીદ બાવાની દરગાહને તેના મઝાર શરીફની લંબાઈ બાવન (52) ગજ હોય ૫૨ ગજ નામથી ઓળખાણ મળેલી છે. આ હસ્તી ઉઝબેકિસ્તાન દેશ બુખારાથી યાત્રા કરી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને એકતાનો સંદેશ આપતા આ સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને અહીં દફન થયા હતા. ભારતભરનાં લાખો હિન્દુ, મુસ્લિમના ધર્મને માનતા લોકો તેમને માને છે અને મુરાદો માંગવા આવે છે. બોલીવુડના સંજય દત્ત, અમિતાભ બચ્ચન જેવી કેટલીક હસ્તીઓએ પણ આ દરગાહની મુલાકાત લીધી હતી.
3 દિવસ 100થી વધુ એસટી બસો દોડશે
100થી વધુ એસ.ટી.બસો ત્રણ દિવસ સુધી
સુરત, માંડવી, કીમ જેવા
મથકથી સીધી કોઠવા દરગાહ સુધી શ્રદ્ધાળુઓને લાવશે અને લઇ
જશે. અમદાવાદ અને મુંબઈથી ટ્રેન મારફતે આવતા શ્રદ્ધાળુઓ માટે કેટલીક ટ્રેનોને ત્રણ
દિવસ માટે કીમ ખાતે વધારાનું સ્ટોપેજ પણ
આપવામાં આવે છે.